નયન આજે ખૂબ ખુશ હતો, કેમ કે, આજે તેની કૉલેજનો છેલ્લો દિવસ હતો એટલે જ એ બને એટલો વહેલો જઈને વહેલો પાછો આવવા માગતો હતો, કારણ કે આવતી કાલથી તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી બેંકના ઈન્વેસ્ટમેન્ટ વિભાગમાં જોડાવાનો હતો. એનું વાર્ષિક પગાર-પૅકેજ આશરે નવ લાખ રૂપિયાનું હતું. તૈયાર થઈ રહેલો નયન અરીસામાં જોઈ સહેજ મલકાયો. તૈયાર થઈ રહેલા નયનને માતા-પિતા પણ સગર્વ જોઈ રહ્યાં. એણે ઘરની બહાર પગ મૂક્યા ને એને હેલ્મેટ લેવાનું યાદ આવ્યું, પણ એણે વિચાર્યું, ચાલશે હવે… પાછો ક્યાં અંદર જાઉં? હમણાં કૉલેજ જઈને તો આવી જવું છે.
-અને નયને બાઈકને કિક મારીને સડસડાટ ઊપડ્યો. સોસાયટીની બહાર નીકળી સર્વિસ રોડ પરથી એણે બાઈક હાઈવે પર લીધી. એક કારને એણે ઓવરટેક કરી, પછી બીજીને, ત્રીજીને… ત્યાર બાદ એક ખટારાને ઓવરટેક કરવા નયન સાઈડમાંથી નીકળ્યો, પણ બૅલેન્સ ગુમાવતાં બાઈક પરથી ફંગોળાયો. નયનનું માથું ફૂટપાથની ધાર પર જોરથી અફળાયું, લોહીનો જાણે ફુવારો વછૂટ્યો. અને એક તેજસ્વી યુવાનનો જીવનદીપ ત્યાં જ બુઝાઈ ગયો. તેનાં માતા-પિતાનો આશાદીપ પણ જાણે ત્યાં જ આથમી ગયો. ખરેખર, નયને ‘ચાલશે’ની ભારે કિંમત ચૂકવવી પડી.
ખરેખર, આળસ કલાકોમાં નહીં, પણ સેકન્ડ્સમાં જ હોય છે, પરંતુ તેની સજા જિંદગીભરની હોય છે. તેથી એ જીવતા માણસની ચિતા સમાન છે. મહાભારતમાં કહ્યું છેઃ આળસ સુખદ લાગે છે, પણ તેનો અંત દુખદ હોય છે.
એક શેઠનો ગુમાસ્તો પેઢીના આડતિયાને કામ સંબંધી કાગળ લખતો. એક વાર દીવામાં દીવેલ ખૂટી ગયું અને દીવો ઝાંખો પડી ગયો. આ જોઈ કો’ક બોલ્યું, દીવામાં દીવેલ ખૂટી ગયું છે. કાગળ લખતા ગુમાસ્તાએ આ વાક્ય પણ કાગળમાં લખી નાખ્યું. આમ તો રોજ એ કાગળ પોસ્ટ કરતાં પહેલાં વાંચી જતો, જેથી ભૂલચૂક સુધારી શકાય, પણ આજે એને થયું, આજે નહી વાંચું તો ચાલશે. રોજ તો લખું છું. બધું બરાબર જ હોય છે. એમ વિચારી કાગળ મોકલી આપ્યો.
કાગળ આંગડિયાના હાથમાં પહોંચ્યો. એણે પેલું વાક્ય વાંચ્યું કે, દીવામાં દીવેલ ખૂટી ગયું છે. એને વિચાર આવ્યો કે ગુમાસ્તાએ પોતાના શેઠની આર્થિક નબળાઈ આમ સાંકેતિક ભાષામાં લખી છે. પણ મને આડકતરી રીતે ચેતવણી આપી છે. તેણે તરત બીજા લેણદારને વાત કરી બીજાએ ત્રીજાને… ત્રીજાએ ચોથાને… આમ બજારમાં વાત ફેલાઈ ગઈઃ ફલાણા શેઠની પેઢી કાચી પડી છે, સંભાળજો. જે લોકોએ શેઠ પાસે વ્યાજે પૈસા મૂકેલા એ પણ પૈસા ઉપાડી લેવા દોડ્યા. આમ, ગુમાસ્તાની ‘ચાલશે’વાળી વૃત્તિએ શેઠનું દેવાળું ફૂંકાવ્યું
પ્રશ્ન એ થાય કે આ આળસ રૂપી દુર્ગુણને આપણે સમૂળગો મિટાવી શકીએ? જવાબ છે હા. આનો એક અસરકાર ઉપાય છેઃ મહાપુરુષોનાં જીવન તરફ એક નજર.
મહાત્મા ગાંધીજી હોય કે સરદાર વલ્લ્ભભાઈ પટેલ કે અબ્રાહમ લિંકન હોય કે ડૉ. અબ્દુલ અબ્દુલ કલામ. પોતપોતાનાં ક્ષેત્રમાં શિખર તરફ ડગ માંડતા આ મહાપુરુષો પોતાના પ્રત્યેક પગલે આવતી આળસને ખંખેરતા રહ્યા છે. મહાન સંત પ્રમુખસ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખવા જેવું છેઃ હમણાં કરવાનું કામ એક મિનિટ પછી કરીએ, તો તે પણ આળસ જ છે.
ખરેખરો મહાપુરુષો પોતાનાં જીવનમાં આળસને થોડો પણ અવકાશ આપતા નથી તેથી જ તેઓ સર્વાંગી સફળતા મેળવી શક્યા છે. આવો, આપણે પણ તેમને અનુસરીએ અને વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક જીવનમાં આળસથી મુક્ત રહીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
