જિન સુમિરન સે અતિ સુખ પાવે, સો સુમિરન ક્યોં છોડ દિયા…

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના લીધે હાલ ચર્ચામાં છે તે અમેરિકાની અવ્વલ દરજ્જાની વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ડૉ. હર્બટ બેન્સન નામના પ્રોફેસરે પોતાના શોધપત્રના તારણરૂપે જણાવેલું કે, ‘જો કોઈ વ્યક્તિ સવાર-સાંજ 20-20 મિનિટ મંત્રનું રટણ કરે તો તેના શરીરમાં અંતઃસ્રાવોનું ઉત્પાદન નિયમિત રહે છે. તેની નાડીના ધબકાર અને રુધિરનું દબાણ પ્રમાણસર રહે છે. સામાન્ય વ્યક્તિને 8 કલાકની ગાઢ નિંદ્રા પછી અનુભવાતી સ્ફુર્તિ અને તાજગી માત્ર 40 મિનિટના મંત્ર રટણથી પ્રાપ્ત થાય છે.’

અત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીના આ પ્રોફેસરને યાદ કરવાનું કારણ? થોડી જ વારમાં એ જણાય આવશે.

પશ્ચિમી જગતમાં એવું મનાય છે કે કોઈ પણ કંપનીને કે દેશને સારી રીતે ચલાવવા વહીવટી તંત્ર સક્ષમ હોવું જોઈએ. જેમ કે, ઈઝરાયલ દેશમાં વાર્ષિક પાંચથી છ ઈંચ જ વરસાદ જ પડે છે તેમ છતાં એ સારી રીતે ખેતી કરી શકે છે, કારણ કે તેમની પાસે સારું ઍડમિનિસ્ટ્રેશન છે. એકમ ભલેને ઘર જેવો નાનો હોય કે વિશ્વ જેટલો વિશાળ, પણ તેને વ્યવસ્થિત ચલાવવા તંત્ર સુવ્યવસ્થિત હોવું જોઈએ.

હવે, ધારો કે કોઈ પ્રશ્ન પૂછે કે તંત્રને વેગવંતું કરવું હોય તો શું કરવું? જવાબ છેઃ તંત્ર સાથે યંત્ર જોડવા પડે. એક સમયે સંદેશાની આપ-લે કરવા કબૂતરોને રાખવામાં આવતાં હતાં. ત્યાર બાદ પત્રવ્યવહાર શરૂ થયો, પરંતુ આ તંત્રમાં ફોન, ફૅક્સ, ઈન્ટરનેટ અને ઈમેલ જેવાં યંત્ર અથવા ટેક્નોલોજી ભળ્યાં તો સંદેશવ્યવહારનું તંત્ર આજે ઝડપી બન્યું છે.

આજે જ્યારે માણસ માત્રના પ્રયત્નો સુખ અને શાંતિ મેળવવાના છે ત્યારે તંત્ર અને યંત્ર દ્વારા તે સુવિધાઓ અને મનોરંજન તો પામ્યો છે, પરંતુ તેની મૂળભૂત જરૂરિયાત સુખ અને શાંતિ ઘણો છેટો રહી ગયેલો જોવા મળે છે.

અંગ્રેજ ઈતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટોયમ્નીએ કહ્યું છે કે ઍટ ધિઝ સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ ઈન ધ હ્યુમન હિસ્ટરી, ધ ઓન્લી વે ઑફ સાલ્વેશન ફૉર મેનકાઈન્ડ ઈઝ ધ ઈન્ડિયન વે અર્થાત્ અત્યારના અંધાધૂંધીથી ભરેલા સમયમાં મોક્ષ મેળવવાનો એકમાત્ર ઉપાય છેઃ ભારતીય શાસ્ત્રો દ્વારા ઋષિમુનિઓએ બતાવેલો સુખનો રાજમાર્ગ.

હા, માર્ગદર્શક તરીકે આપણા ઋષિ-સાધુ-સંતો સુયોગ્ય છે, કારણ કે તેઓ તંત્ર અને યંત્રની સાથે મંત્રના જ્ઞાતા હતા. આજથી દસ હજાર વર્ષ પહેલા વિશ્વની પ્રથમ લોકશાહીનું તંત્ર ભારતમાં હતું. વળી છ બળદથી ખેતી કરવાનું યંત્ર પણ એ સમયે ભારતમાં હતું. આમ છતાં ઋષિમુનિઓએ આપણા શાસ્ત્રોમાં તંત્ર અને યંત્ર કરતાં પહેલાં ભગવાનના મંત્રને મૂક્યો. તેઓ જાણતા હતા કે સુખ અને શાંતિ મેળવવાનો શાશ્વત ઉપાય ભગવાનના મંત્રમાં રહેલો છે.

ભગવાનનો મંત્ર એ માત્ર કક્કો-બારખડીથી બનેલો શબ્દ નથી, પણ મંત્રની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે, ‘મંત્રયતે અનેન ઈતિ મન્ત્રઃ ભાવાર્થઃ ‘જે ભગવાનમાં જોડી આપે તે મંત્ર.’

પ્રશ્ન એ છે કે મંત્રજાપ તો આપણે પણ કરીએ છીએ તો પછી ભગવાનમાં જોડાણ કેમ નથી થતું? તો જવાબ છે કે, યોગ્ય પદ્ધતિની ઊણપ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે, ‘ભગવાનના નામનો મંત્રજાપ મહિમાથી, વિશ્વાસ લાવીને અને પ્રીતિપૂર્વક કરવો.’

મંત્રશક્તિનો અનોખો અનુભવ જર્મનીના કૉન્સલ જનરલ લાઉલ રેનરને પણ થયો હતો. 2001ના કચ્છ ધરતીકંપની બચાવકામગીરીમાં 37 એક્સપર્ટ્સ અને 7 સ્નિફર ડૉગ્સની ટુકડી સાથે જોડાયા હતા. કોઈ જગ્યાએ કાટમાળ તળેથી અવાજ સંભળાય તો તેઓ ત્યાં ધ્વનિવર્ધક યંત્ર મૂકી તપાસ કરે, શ્વાન ગંધ લઈ એમને મદદરૂપ થાય. જો કોઈ વ્યક્તિ ત્યાં દટાયેલી હોય અને જીવંત હોય તો તેને તત્કાળ બચાવી શકાય. આવી એક વ્યક્તિને કાટમાળ હેઠળથી બહાર લાવ્યા તો તેમના આશ્ચર્ય વચ્ચે એ સંપૂર્ણ સ્વસ્થ હતી. રેનરે પોતાનો સ્વાનુભવ કહેતાં જણાવ્યું કે 50 કલાકથી વધુ અહંકાર, અનિશ્ચિતતા, અસહાયતા અને અસલામતી વચ્ચે કોઈ વ્યક્તિ સ્વસ્થતાથી રહી શકે તેવું તેમણે પ્રથમ વખત નોંધાયું છે. બહાર આવેલી વ્યક્તિને જ્યારે તેની સ્વસ્થતા અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે જણાવ્યું કે 70-70 કલાકથી એ સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ રટણ કરી રહેલી, જેના કારણે તેના મન ઉપર તત્કાલીન પરિસ્થિતિની કોઈ અસર થઈ નહોતી.

આપણે પણ આપણા ઉપાસ્ય દેવના મંત્રજાપના અનેક લાભોને પોતાના કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)