પડશે એવા દેવાશે એવો અભિગમ રાખો છો?

એક કલ્પના કરોઃ તમે જ્યાં રહેતા હો એ સોસાયટીમાં વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. એ વખતે તમે શું કરો? રિપેર કરવાની ટ્રાય કરો, વીજકંપનીને ફોન કરો કે પછી બીજાની પણ ગઈ છે કે નહીં એ ચેક કરીને વોટ્સેપમાં બિઝી થઈ જશો?

અચાનક અંધારું થઈ જવાની ઘટનાનું ઍનાલિસીસ કરીએ તો અમેરિકાવાળાઓનું બિનધાસ્ત અભિગમ સામે આવશે. એ લોકો સીધો કંપનીને ફોન કરીને સ્ટાફને ખખડાવશેઃ લાઈટ ગઈ જ કેમ? કોઈ વળી કેસ પણ ઠોકી દેશેઃ 22 મિનિટ ઈલેટ્રિસિટી ખોરવાઈ એમાં મને બે લાખનું નુકસાન થઈ ગયું.

આની સામે આપણે રિલેક્સ એટિટ્યુડ રાખીએ છીએ. બધાની આવશે ત્યારે મારી આવશે. સારી વાત છે, પણ આવો અભિગમ પ્રગતિમાં અવરોધક બની શકે, ‘એ તો ચાલ્યા કરે’ જેવા લેઈડબૅક એટિટ્યુડથી પ્રગતિ કરી ના શકાય. ખરેખર તો અંધારું ચલાવી જ ન લેવાય એવો આપણો અભિગમ હોવો જોઈએ.

એટિટ્યૂડ અથવા અભિગમ એ ચાર અક્ષરનો એક એવો નાનો શબ્દ છે, જે જીવનમાં બહુ મોટો ફેર લાવી શકે છે. અને જીવનમાં એટિટ્યુડ માત્ર પોઝિટિવ જ નહીં, પણ મોટો રાખવો જોઈએ. એક નાનકડી વાર્તા છેઃ એક મચ્છર પરિવાર બહુ ઉત્સાહિત હતો, કેમ કે એમનું વહાલું બાળ-મચ્છર પાંખો ફૂટ્યા બાદ આજે પહેલી વાર એની નાજુક પાંખો ફફડાવીને ઊડવાનું હતું. રાતે ડિનર બાદ ઘરના સૌ સભ્યો ડ્રૉઈંગ રૂમમાં બેસીને ગપ્પાં મારી રહ્યાં હતાં ત્યારે પેલા બાળ-મચ્છરે અહીંથી તહીં ઉડાન ભરવાની શરૂઆત કરી. એનાં માતા-પિતા આનંદાશ્ચર્યથી એને જોઈ રહ્યાં હતાં. થોડી વારમાં એની ઉડાન પૂરી થઈ એટલે માતા-પિતાએ એને પૂછ્યું, “ડિયર, કેવું લાગ્યું ઊડવાનું?”

બાળ-મચ્છર કહેઃ “બહુ મજા આવી. ઘરના બધા સભ્યો મને તાળીથી વધાવી રહ્યા હતા.”

મચ્છરનાં માવતર અને તમે પણ સમજી ગયા હશો કે ઘરના સભ્યો બાળ-મચ્છરની ફર્સ્ટ ફ્લાઈટને વધાવવા નહીં, પરંતુ એને બન્ને હથેળીની વચ્ચે મસળી નાખવા તાળી પાડતા હતા, પણ એવા નબળા વિચાર શું કામ કરવા? વિચારવું તો પોઝિટિવ જ વિચારવું.

હંમેશાં પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈ જવું, ઍડજસ્ટમેન્ટ કરી લેવાનો એટિટિયુડ રાખવો. પાણીનો એટિટ્યુડ તમે જોયો હશેઃ જેવું વાસણ એવો આકાર. ગ્લાસ હોય, બાલદી હોય કે બૉટલ હોય. એને જેમાં રેડવામાં આવે એવો શેપ એ ધારણ કરી લે.

ઍડજસ્ટમેન્ટ ઈઝ લાઈફ. કૉમ્પ્રોમાઈઝ ઈઝ લાઈફ… ઍડજસ્ટમેન્ટ ઍન્ડ કૉમ્પ્રોમાઈઝ ઈઝ એટિટ્યુડ ઑફ લાઈફઃ પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાનો અને સમાધાન કરી લેવાનો અભિગમ રાખવો. કેમ કે હંમેશાં આપણે ધારીએ એમ જ થાય એ જરૂરી નથી. બીજા શબ્દોમાં, દુનિયા આપણા હિસાબે ચાલે એ જરૂરી નથી.

આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશેઃ “મેં તો એમને ચોખ્ખું કહી દીધું કે મારા વિચાર સાથે સંમત થતા હો તો જ આગલી મિટિંગમાં આવજો, અન્યથા આ ચર્ચા અહીં પૂરી થાય છે.”

મહાન વ્યક્તિ આવો અભિગમ રાખીને મહાન નથી બની. મહાન વ્યક્તિઓનો સક્સેસ મંત્ર રહ્યો છેઃ સીએમપીઃ કૉમન મિનિમમ પ્રોગ્રામઃ “થોડું મારું રાખું છું, થોડું જતું કરું છું… તમે પણ તમારું થોડું રાખીને, થોડું જતું કરો. એક કૉમન પ્લૅટફૉર્મ પર આવીએ, સાથે મળીને કામ કરીએ, કંઈ પરિણામ લાવીએ.”

આવો એટિટ્યુડ રાખીને કામ કરશો, આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે. જક્કી વલણ અથવા બીજાનું ન સાંભળવાનો અભિગમ ડેવેલપમેન્ટની આડે આવતું એક મોટું સ્પીડબ્રેકર છે.

-છેલ્લે શ્રદ્ધાની વાતઃ હું તમને એટલું જ કહીશ કે પ્રોફેશનલી ભગવાનમાં માનો. એનાથી ચમત્કાર થશે, ધન-સમૃદ્ધિ મળશે, સ્વર્ગ, મોક્ષ મળશે એ બધાંની આપણે વાત જ નથી કરતા. હું કહું છું, પ્રોફેશનલી. આપણાં પુરાણો, શાસ્ત્રો પ્રત્યે આસ્તિકભાવ રાખવો એ પણ એક એટિટ્યુડ છે.

યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં થયેલા એક સંશોધનનાં તારણ કહે છે કે દરરોજ ભગવાનની સામે પૂરી આસ્થાથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાથી ઑસ્ટિયોપોરોસીસની સમસ્યા દૂર રહે છે, ભગવાનના નામસ્મરણથી યાદશક્તિ આત્મવિશ્વાસ વધે છે. જપજાપ, નામસ્મરણ તમને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે. આ હું નહીં, પણ યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં વિવિધ વયજૂથનાં સ્ત્રીપુરુષો પર થયેલા અભ્યાસનાં તારણ કહે છે. ભગવાન જ કર્તાહર્તા છે, જગતનિયંતા છે એવો એક પોઝિટિવ એટિટ્યુડ રાખશો તો શારીરિક-માનસિક શાંતિ રહેશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)