Home Blog Page 966

પાયલ કાપડિયાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે મળી આ મોટી જવાબદારી

ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા ગયા વર્ષથી તેની ફિલ્મ માટે ચર્ચામાં છે. ઐતિહાસિક જીત બાદ સન્માનિત, ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. 2024 માં તેણીની પ્રથમ ફીચર ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઈટ માટે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિકસ જીત્યા બાદ, તેણી હવે જ્યુરી સભ્ય તરીકે કાન્સ 2025 માં હાજરી આપવા માટે તૈયાર છે. આયોજકોએ સોમવારે સત્તાવાર જાહેરાત કરી, જે ભારતીય સિનેમા માટે વધુ એક ગર્વની ક્ષણ છે.

કાન્સ 2025ની જ્યુરીમાં પાયલનું નામ
પાયલ કાપડિયા આ વર્ષે 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરીમાં સામેલ કેટલીક પસંદગીની હસ્તીઓમાંની એક છે જેમને સિનેમા ક્ષેત્રમાં તેમના યોગદાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત જ્યુરીનું નેતૃત્વ ફ્રેન્ચ અભિનેત્રી જુલિયટ બિનોશે કરે છે, જે ધ ઇંગ્લિશ પેશન્ટ, થ્રી કલર્સ: બ્લુ અને ચોકલેટ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે.

પાયલ સાથે જ્યુરીમાં અન્ય લોકો પણ સામેલ છે. હેલ બેરી (અમેરિકન અભિનેત્રી અને દિગ્દર્શક), આલ્બા રોહરવાચર (ઇટાલિયન અભિનેત્રી), લીલા સ્લિમાની (ફ્રેન્ચ-મોરોક્કન લેખક), ડીયુડો હમાદી (કોંગી ફિલ્મ નિર્દેશક અને નિર્માતા),હોંગ સાંગસુ (કોરિયન દિગ્દર્શક અને પટકથા લેખક),કાર્લોસ રેગાડાસ (મેક્સીકન ફિલ્મ નિર્માતા),જેરેમી સ્ટ્રોંગ (અમેરિકન અભિનેતા) જ્યુરીમાં સામેલ છે. આ જ્યુરી આ વર્ષે સ્પર્ધામાં રહેલી 21 ફિલ્મોમાંથી પાલ્મે ડી’ઓર વિજેતાની પસંદગી કરશે. ગયા વર્ષે આ જવાબદારી ગ્રેટા ગેર્વિગ દ્વારા નિભાવવામાં આવી હતી, જેમણે સીન બેકરના અનોરાને ટોચનો પુરસ્કાર અપાવ્યો હતો.

ગયા વર્ષે કાન્સમાં “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ” એ ઇતિહાસ રચ્યો હતો, જેમાં ત્રણ દાયકામાં મુખ્ય સ્પર્ધામાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. મુંબઈમાં સેટ કરેલી આ ફિલ્મ સ્ત્રી મિત્રતા, પ્રેમ અને ઇચ્છાઓને કરુણ રીતે રજૂ કરે છે.

ગ્રાન્ડ પ્રિકસ જીત્યા બાદ, ફિલ્મને ગોલ્ડન ગ્લોબ્સમાં શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીઓમાં નામાંકિત કરવામાં આવી હતી, તેમજ તેને ત્રણ શ્રેણીઓમાં બાફ્ટા લાંબી યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

કાન્સમાં ભારતીય સ્ટાર્સની જ્યુરી હાજરી
પાયલ કાપડિયા પહેલા પણ, ઘણી પ્રતિષ્ઠિત ભારતીય હસ્તીઓએ કાન્સની જ્યુરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં મૃણાલ સેન, મીરા નાયર, શેખર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, નંદિતા દાસ, શર્મિલા ટાગોર, વિદ્યા બાલન અને દીપિકા પાદુકોણ જેવા નામો સામેલ છે. કાન્સ 2025 માં પાયલ કાપડિયાની હાજરી ફક્ત તેની કારકિર્દીને જ નહીં પરંતુ ભારતીય સિનેમાની વૈશ્વિક પ્રતિષ્ઠાને પણ ઉન્નત કરવા તરફ એક પગલું છે. વિજેતાઓની જાહેરાત 24 મેના રોજ સમાપન સમારોહમાં કરવામાં આવશે.

જળ સંકટને કારણે પાકિસ્તાનમાં કૃષિ ઉત્પાદન ઘટવાની આશંકા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના અર્થતંત્રને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ ફક્ત 1.1 ટકા રહી છે. પહેલી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ ખરાબ રહી હતી, જ્યાં વૃદ્ધિ દર ફક્ત 0.74% નોંધવામાં આવી હતી. આ ઘટાડો ખૂબ જ નોંધપાત્ર છે, કારણ કે નાણાકીય વર્ષ 2024માં કૃષિ ક્ષેત્રે પહેલી અને બીજા ત્રિમાસિકમાં 8 ટકા કરતાં વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. જળ સંકટ અને મોંઘી વીજળીએ મુશ્કેલી વધારી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2024માં નહેરોમાં પાણી 3.4 ટકા કરતાં ઓછું રહ્યું હતું. વરસાદ સામાન્ય કરતાં 40 ટકા ઓછો થયો હતો, જેને કારણે દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ટ્યુબવેલથી સિંચાઈ માટે વીજળીના દરમાં પણ 20 ટકા વધારો થયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે અને પાકને અસર પહોંચી.

પાક ઉત્પાદનમાં Q1માં -6.57 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે Q2માં -5.38 ટકાનો ઘટાડો થયો છે.

કયા પાકોને નુકસાન થયું?

  • કપાસનું ઉત્પાદન 30.7 ટકા ઘટીને 7.08 મિલિયન ગાંસડીનું રહ્યું હતું.
  • મકાઈમાં 15.4 ટકાનો ઘટાડો થયો હતો
  • ચોખામાં 1.4 ટકાનો ઘટાડો અને
  • શેરડીમાં 2.3 ટકાની ઘટ નોંધાઈ છે.

વળી, હાલના જલ સંકટને કારણે આવતા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2026માં પણ પાક ઉત્પાદન ઘટવાની આશંકા છે. જો સરકાર કૃષિ ઋણ, સંગ્રહ ક્ષમતા અને બજાર સુધારાઓ પર ઝડપથી પગલાં નહીં લે, તો પાકિસ્તાનની કૃષિ અર્થતંત્ર લાંબા સમય સુધી સંકટમાં ફસાઈ શકે છે.

પાકિસ્તાનનું કૃષિ અર્થતંત્ર એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સતત ઘટતું ઉત્પાદન, વધી રહેલા ખર્ચ અને નીતિગત નિષ્ફળતાઓએ ખેડૂતોની હાલત નાજુક બનાવી છે. જો તાત્કાલિક સુધારા નહીં થાય તો આવનારાં વર્ષો વધુ મુશ્કેલભર્યાં સાબિત થશે.

‘ભારત 2-3 દિવસમાં કંઈક કરશે…’પાકિસ્તાની રક્ષા મંત્રીનું મોટું નિવેદન

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે ગઈકાલે હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. તેમના આ નિવેદનથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો. આ અંગે ચર્ચા હજુ બંધ પણ થઈ ન હતી કે પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ ફરી એક મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે કે 2-3 દિવસમાં કંઈપણ થઈ શકે છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આ સંદર્ભમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને યુદ્ધનો સંકેત આપ્યો છે.

ખ્વાજા આસિફનું નિવેદન

પાકિસ્તાની ન્યૂઝ સાથેની એક મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે કહ્યું કે આવનારા થોડા દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ચીન અને સાઉદી અરેબિયા સહિત ઘણા ખાડી દેશો બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખ્વાજા મુહમ્મદ આસિફના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં એમ પણ કહ્યું હતું કે “જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરનારા લોકોને ચોક્કસ સજા મળશે.

હુમલાનો સંકેત આપ્યો

આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને યુદ્ધનો સંકેત આપ્યો હોય. ગઈકાલે પણ તેમનું એક નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે “ભારતીય સેના ટૂંક સમયમાં પાકિસ્તાન પર હુમલો કરવા જઈ રહી છે. પાકિસ્તાન પણ આ અંગે સંપૂર્ણપણે સતર્ક છે.”

પહલગામ પીડિતોને રૂ.50 લાખ અને સરકારી નોકરી, દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે મોટી રાહત રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારોને 50 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે. આ ઉપરાંત, અસરગ્રસ્ત પરિવારોના બાળકોને સરકાર દ્વારા મફત શિક્ષણ અને ત્યારબાદ સરકારી નોકરી આપવામાં આવશે. ગુરુવારે કેબિનેટની બેઠક બાદ ફડણવીસે આ જાહેરાતો કરી.

તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા. ફડણવીસે કહ્યું કે આ પ્રકારની મદદ આપીને અમે કહેવા માંગીએ છીએ કે અમારી સરકાર પીડિતોની સાથે ઉભી છે. દરમિયાન, રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કેટલાક પક્ષો અને તેમના કાર્યકરો પરિસ્થિતિનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

20 એપ્રિલના આતંકવાદી હુમલા બાદ રાજ્યપાલે પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પડોશી દેશ ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે અને તેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાધાકૃષ્ણને કહ્યું, ‘તે ખૂબ જ સ્પષ્ટ છે… તેઓ દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે.’ પાકિસ્તાન સતત આ કરી રહ્યું છે…

પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, સરકારી વેબસાઇટ્સને નિશાન બનાવી

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પાકિસ્તાન ભારતના બદલાના ડરમાં જીવી રહ્યું છે. પોતાના આતંકને છુપાવવા અને ભારતીય સેના વિરુદ્ધ પ્રચાર ફેલાવવા ઉપરાંત, તે નાપાક કાવતરાં પણ ઘડી રહ્યું છે. હવે સરહદ પારથી સાયબર હુમલા જેવા કાયરતાપૂર્ણ કૃત્યો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાંથી ભારતીય સેના સંબંધિત સ્વાયત્ત વેબસાઇટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં આ ઘટના બે વાર બની છે. જોકે, આ બધા ભારતીય સેનાના નેટવર્ક સાથે જોડાયેલા નથી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સ્થિત સાયબર ગ્રુપ IOK હેકરે ભારતીય સેના સાથે સંબંધિત કેટલીક જાહેર વેબસાઇટ્સને નિશાન બનાવી હતી. આર્મી પબ્લિક સ્કૂલ શ્રીનગર, રાનીખેત, આર્મી વેલ્ફેર હાઉસિંગ ઓર્ગેનાઇઝેશન અને એરફોર્સ પ્લેસમેન્ટ પોર્ટલની વેબસાઇટને નિશાન બનાવવાનું નાપાક કૃત્ય કરવામાં આવ્યું હતું.

સાયબર એજન્સીઓએ પાકિસ્તાનના નાપાક કૃત્યને નિષ્ફળ બનાવ્યું

આ વાતની જાણ થતાં જ, દેશની સાયબર એજન્સીઓએ સરહદ પાર ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી. આ સમય દરમિયાન, તેનું સ્થાન પાકિસ્તાન હોવાનું જાણવા મળ્યું. આ સાથે, સાયબર એજન્સીઓએ તમામ જરૂરી પગલાં લેવા જોઈએ જેથી આ વેબસાઇટ્સની સંવેદનશીલતા અને તેમના ઓપરેશનલ નેટવર્કને અસર ન થાય.

રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક થઈ

બીજી તરફ, રાજસ્થાનના શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પણ હેક થઈ ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે વેબસાઇટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ આ બાબતની નોંધ લેતા શિક્ષણ વિભાગના માહિતી ટેકનોલોજી વિભાગને સતર્ક કર્યા છે. વેબસાઇટની રિકવરીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. વિભાગની સાયબર સુરક્ષા એજન્સીઓને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

સાવરકુંડલા APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

સાવરકુંડલામાં આજે વહેલી સવારે દુઃખદ ઘટના બની છે, જ્યાં APMCના 32 વર્ષીય ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અંકુર રામાણીએ તેમાના પિયાવા સ્થિત નિવાસસ્થાને જ ગળાફાસો ખાઈ આત્માહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કરવા પાછળનું કોઈપણ સ્પષ્ટ કારણ પણ સામે આવ્યું નથી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં કેટલીક અંગત પરિસ્થિતિઓને કારણે દિલ તૂટી જવાનું કારણ જણાય રહ્યા છે.

સૂત્રોની જાણકારી મુજબ, અંકુર રામાણી પારિવારિક તણાવ હેઠળ જીવી રહ્યાં હતા. કહેવાય છે કે પત્ની રિસામણમાં હોવાથી તેઓ માનસિક રીતે અત્યંત દબાણમાં હતા. ઘરના એકમાત્ર પુત્ર અને ચાર બહેનોમાં વચ્ચે લાડકવાયો ભાઈ ગણાતા અંકુરનું આ રીતે અચાનક વિદાય લેવું સમગ્ર સમાજને ચોંકાવનારી ઘટના બની છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આત્મહત્યાની પાછળનાં સ્પષ્ટ કારણો શોધવા તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતિક ઘટના બાદ સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં શોકનું માહોલ જોવા મળ્યો છે. APMC દ્વારા પણ દુઃખ વ્યક્ત કરીને આવતીકાલે સમગ્ર માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક લોકો, વેપારીઓ અને શાહેરી સ્તરે અંકુરના નિધનથી ગંભીર અસર પડી છે અને હાલ સૌ કોઇ તેમનાં પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે.

શું પ્રીતિ ઝિન્ટા રાજકારણમાં પ્રવેશ કરી રહી છે? અભિનેત્રીએ ખુલાસો કર્યો

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના રાજકારણમાં જોડાવવાની અફવાઓ વહેતી થઈ છે. હવે અભિનેત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જાણો અભિનેત્રીએ શું ખુલાસો કર્યો. તે રાજકારણમાં જોડાશે કે નહીં?

અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ તેના એકાઉન્ટ પર એક સેશન શરૂ કર્યું છે જ્યાં યુઝર્સ અને ચાહકો કોઈપણ વિષય પર પ્રશ્નો પૂછી શકે. આ અંગે તેમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. એક યુઝરે પ્રીતિ ઝિન્ટાને રાજકારણ સાથે સંબંધિત પ્રશ્ન પૂછ્યો, ‘શું તમે આવનારા સમયમાં ભાજપમાં જોડાશો?’ છેલ્લા કેટલાક મહિનાઓના ટ્વીટ્સ જોતાં એવું લાગે છે. આના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા યુઝર્સની આ જ સમસ્યા છે કે તેઓ ખૂબ જ નિર્ણયાત્મક બની જાય છે. તેણીએ વધુમાં કહ્યું કે મંદિર કે મહાકુંભમાં જવું એ તેના માટે ગર્વની વાત છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે રાજકારણ કે ભાજપમાં જોડાઈ રહી છે.

ભારત પ્રત્યેનો પ્રેમ વધ્યો
અભિનેત્રીએ આ જ ટ્વીટના જવાબમાં આગળ લખ્યું કે તે ભારતની બહાર રહેતી હોવાથી, તે ભારત સાથે વધુ જોડાયેલી છે કારણ કે વિદેશમાં તે તેના દેશનું સાચું મહત્વ સમજે છે. આ કારણોસર તે ભારતની વસ્તુઓને વધુ મૂલ્યવાન માને છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ 2016 માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ પ્રીતિ ઝિન્ટા લોસ એન્જલસ ગઈ અને અભિનયમાંથી બ્રેક લીધો હતો.

પ્રીતિ ઝિન્ટા વર્કફ્રન્ટ
જો પ્રીતિ ઝિન્ટાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે આગામી ફિલ્મ ‘લાહોર 1947’માં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં અભિનેત્રી IPLમાં તેની ક્રિકેટ ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળે છે.

પહલગામ હુમલા પછી CCSની બીજી બેઠક આવતી કાલે

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઝુંબેશને તેજ બનાવી દીધું છે. ભારતે હવે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. પોતાને સરહદ પાર આતંકવાદનો શિકાર બતાવીને ભારતે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના કબૂલનામાને ઉજાગર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની રાજદૂત યોજના પટેલે જણાવ્યું કે તેમનું કબૂલનામું આશ્ચર્યજનક નથી અને તે પાકિસ્તાનને એક દુષ્ટ દેશ તરીકે પ્રગટ કરે છે, જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પટેલે જણાવ્યું હતું કે હવે વિશ્વ વધુ લાંબો સમય આંખો બંધ રાખીને રહી નથી શકતું.

પાકિસ્તાની સૈનિકોએ  28-29 એપ્રિલની રાત્રે સતત પાંચમી રાત જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર વિરુદ્ધ યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સંયમ દાખવ્યો હતો. ગોળીબાર કુપવાડા અને બારામુલા જિલ્લા તેમ જ અખનૂર સેક્ટરમાં પણ થયો હતો.

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આવતી કાલે સવારે 11 વાગ્યે PM મોદીની અધ્યક્ષતામાં મળશે, જેમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ઝિપ લાઇન ઓપરેટરની ભૂમિકાની પુષ્ટિ કરી રહી છે, જેમણે ગોળીબાર શરૂ થતા અલ્લાહ-હૂ-અકબરનાં સૂત્રો પોકાર્યાં હતાં. પ્રવાસન સ્થળો બંધ કરવા અંગે ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું હતું  કે આ (પહલગામ હુમલો) કાશ્મીર, ત્યાંના નિવાસીઓ અને પ્રવાસન પર મોટો હુમલો છે. તેથી 48 પ્રવાસન સ્થળોને બંધ કરવું યોગ્ય પગલું છે. હાલ ત્યાં કોઈ સુરક્ષા તહેનાત નથી. ભવિષ્યમાં શક્ય પરિણામોને ટાળવા માટે આ યોગ્ય નિર્ણય છે.

બીજી બાજુ, પહલગામ આતંકવાદી હુમલા બાદ ‘પાકિસ્તાનનો બચાવ’ કરવા બદલ આસામમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના ચંડોળા તળાવ પર મેગા ઓપરેશન, હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી

ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદે વિદેશીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા વધુ ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન જોવામાં મળ્યું. અહીં વર્ષોથી વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના બનાવેલા ગેરકાયદે નિવાસોને તોડી પાડવા માટે બે હજારથી વધુ પોલીસ જવાનો, ક્રાઇમ બ્રાન્ચ, SRP અને SOG જેવી ટીમો તૈનાત કરાઈ. 50 જેટલા બુલડોઝર અને ડમ્પર સાથે તળાવના આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે, જ્યાંથી અત્યારસુધી 800થી વધુ શંકાસ્પદ લોકો અટકાવવામાં આવ્યા છે.

આ ઓપરેશન દરમિયાન સૌથી ચર્ચાસ્પદ નામ લલ્લા બિહારીનું છે, જેના પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને નકલી દસ્તાવેજો સાથે વસાવ્યા અને ભાડે મકાન આપ્યાં. તેનું ફુલ ફેસિલિટીવાળું ગેરકાયદે ફાર્મહાઉસ તોડી પાડવામાં આવ્યું છે. લલ્લા બિહારી પશ્વિમ બંગાળથી વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લઈને બાંગ્લાદેશીઓ લાવતો હતો અને તેમને વસવાટ માટે જગ્યા આપતો હતો. હાલ તેની અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે.

ડિમોલિશન પ્રક્રિયાને રોકવા માટે 18 જેટલા રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દલીલ આપવામાં આવી કે તેઓ બાંગ્લાદેશી નહી, સ્થાનિક રહેવાસી છે અને તેમને કોઈ નોટિસ કે પુનર્વસન વિના મકાન તોડવામાં આવી રહ્યા છે. પણ હાઈકોર્ટે આ તમામ દલિલો ફગાવીને સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. ચંડોળા તળાવ નજીક છેલ્લા 14 વર્ષથી દોઢ લાખ સ્ક્વેર મીટરથી વધુ સરકારી જમીન પર દબાણ હતું. હવે તે દબાણ સામે તંત્ર દ્વારા પહેલીવાર મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઈ છે.

Padma Awards 2025:શેખર કપૂરથી લઈને અરિજિત સિંહ સહિતના આ કલાકારોનું સન્માન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સાંજે નવી દિલ્હીમાં અજિત કુમાર, નંદામુરી બાલકૃષ્ણ અને શેખર કપૂર સહિત કલાકાર જગત અને અન્ય ક્ષેત્રમાં યોગદાન આપનારને સન્માનિત કર્યા હતાં. આ દરમિયાન ગાયકો અરિજિત સિંહ, જસપિંદર નરુલા અને પીઢ અભિનેત્રી મમતા શંકરને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં જાણો કઈ સેલિબ્રિટીઓને એવોર્ડ મળ્યો. પીઢ ગાયક પંકજ ઉધાસને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ફરીદા પંકજ ઉધાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી આ એવોર્ડ મેળવ્યો હતો.

ફિલ્મ ઉદ્યોગની આ હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું

અભિનેતા નંદમુરી બાલકૃષ્ણ- પદ્મ ભૂષણ
ગાયક પંકજ ઉધાસ (મરણોત્તર) – પદ્મ ભૂષણ
અભિનેતા અજિત કુમાર-પદ્મ ભૂષણ
ફિલ્મ નિર્માતા શેખર કપૂર-પદ્મ ભૂષણ
અભિનેતા અનંત નાગ- પદ્મ ભૂષણ
અભિનેતા અશોક લક્ષ્મણ સરાફ – પદ્મશ્રી
અભિનય કોચ, થિયેટર ડિરેક્ટર બેરી ગોડફ્રે જોન – પદ્મશ્રી
ગાયક જસપિન્દર નરુલા- પદ્મશ્રી
ગાયિકા અશ્વિની ભીડે-દેશપાંડે-પદ્મશ્રી
સંગીતકાર રિકી જ્ઞાન કેજ – પદ્મશ્રી
લોક ગાયક ભેરુસિંહ ચૌહાણ-પદ્મશ્રી
ભક્તિ ગાયક હરજિન્દર સિંહ શ્રીનગર વાલે-પદ્મશ્રી
લોક સંગીતકાર જોયનાચરણ બાથેરી – પદ્મશ્રી
ઓમાનકુટ્ટી અમ્મા – શાસ્ત્રીય ગાયિકા પદ્મશ્રી
ગાયક મહાબીર નાયક – પદ્મશ્રી
અભિનેત્રી મમતા શંકર – પદ્મશ્રી

અજિત કુમારને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યા
સુપરસ્ટાર અજિત કુમારને પણ પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો. જાન્યુઆરીમાં જ્યારે પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે અજીથે એક નિવેદનમાં કહ્યું હતું કે,’ભારતના રાષ્ટ્રપતિ તરફથી પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરીને હું ખૂબ જ નમ્ર અને સન્માનિત અનુભવું છું. હું ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રતિષ્ઠિત સન્માન માટે દ્રૌપદી મુર્મુ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત
ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે. જ્યાં દક્ષિણના બે કલાકારોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. બોલિવૂડના શેખર કપૂરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શેખર ‘માસૂમ’, ‘મિસ્ટર’ જેવી ઉત્તમ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.