Home Blog Page 935

તખતાપલટઃ મુનિરને સ્થાને નવા આર્મી ચીફ સાહિર શમશાદ મિર્ઝા?

નવી દિલ્હીઃ “ઓપરેશન સિંદૂર” પછીથી પાકિસ્તાન હેરાન-પરેશાન છે. પાકિસ્તાનને વારંવાર શરમજનક હારનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતે તેના ડ્રોન ધ્વસ્ત કર્યા છે, તેની મિસાઇલ અને ફાઇટર જેટ્સને પણ ભારતીય સેના દ્વારા તબાહ કરવામાં આવ્યા છે. આને લીધે પાકિસ્તાની સેના બે ભાગમાં વિભાજિત થઈ ગઈ છે. અહેવાલો મુજબ પાકિસ્તાને સેનાપ્રમુખ આસિમ મુનીરને પદ પરથી હટાવીને હિરાસતમાં લઇ લીધો છે. તેના પર વ્યક્તિગત એજન્ડા ચલાવવાનો આરોપ છે. તેને સ્થાન પર પાકિસ્તાન સરકારે સાહિર શમશાદ મિર્ઝાને નવો આર્મી ચીફ નિયુક્ત કર્યો છે.

નવા આર્મી ચીફ સાહિર શમશાદ મિર્ઝા કોણ છે?

સાહિર શમશાદ મિર્ઝા PM શહબાઝ શરીફના નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. લેફ્ટેનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝા અગાઉ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટી (CJCSC)ના ચેરમેન રહી ચૂક્યા છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં તેઓ આર્મી ચીફ બનવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા, પણ એ સમયે આસિમ મુનીરને આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા. સાહિરને ચીફ ઓફ જનરલ સ્ટાફ (CGS) તરીકે નીમવામાં આવ્યા હતા. તે પહેલાં તેઓ ડિરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

સાહિર શમશાદ મિર્ઝાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. બાળપણમાં જ તેમનાં માતા-પિતાનું નિધન થયું હતું. તે તેમના માતા-પિતાના નામની જગ્યાએ એક ફોર્મમાં પોતાની યુનિટનું નામ લખતા હતા.

તેમણે  સિંધી રેજિમેન્ટમાં પણ સેવા આપી છે. આ ઉપરાંત તેઓ જનરલ મુખ્ય મથક (GHQ)માં જનરલ રાહીલ શરીફની કોર ટીમનો ભાગ હતા. શહબાઝ શરીફ સાથે તેમનો વિશિષ્ટ સંબંધ હોવાનું કહેવાય છે.

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ તણાવની સ્થિતિમાં શું કહ્યું?

દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિઓ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ ભારતીય સશસ્ત્ર દળોને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે, જે હાલમાં પાકિસ્તાન તરફથી ભારે તોપમારો, ગોળીબાર અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”ઓપરેશન સિંદૂર માટે અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે.” ભારત આતંકવાદના તમામ સ્વરૂપો સામે તેના ઉદ્દેશ્યમાં એકતા, દૃઢનિશ્ચયી અને અડગ છે. અંબાણીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ સરહદ પારથી થતી દરેક ઉશ્કેરણીનો ચોકસાઈ અને તાકાતથી જવાબ આપ્યો છે.

ભારતે નવ સ્થળોએ હુમલો કર્યો
અહેવાલો અનુસાર, ભારતે બુધવારે બે અઠવાડિયા પહેલા થયેલા ઘાતક આતંકવાદી હુમલાના બદલામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલો કર્યો હતો, જે દાયકાઓમાં પાકિસ્તાનની અંદરનો સૌથી મોટો હુમલો હતો. આ પછી પાકિસ્તાને એક ડઝનથી વધુ શહેરો અને નગરોમાં ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલો છોડવાનો પ્રયાસ કર્યો, જેમાંના ઘણા વાયુસેનાના ઠેકાણા હતા. ભારતીય સેનાએ કહ્યું કે હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ કહ્યું કે આવા સમયમાં જ વિશ્વ ભારતની સાચી તાકાત અને એકતા જોઈ શકે છે, જે તેની એકરૂપતા અને વિવિધતા બંનેમાં રહેલી છે. અમે અતૂટ એકતામાં ઉભા છીએ અને આપણા સશસ્ત્ર દળોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે તેઓ આપણી માતૃભૂમિના આત્મા અને આપણા આદર્શોની ભાવનાનું રક્ષણ કરે છે. #IndiaFirst જય હિન્દ!

વેદાંત ગ્રુપના અનિલ અગ્રવાલે પણ ટેકો આપ્યો
ખાણ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે એક અલગ પોસ્ટમાં કહ્યું કે તેઓ ભારતીય સશસ્ત્ર દળોના બહાદુર પુરુષો અને મહિલાઓને સલામ કરે છે. મારી બધી પ્રાર્થનાઓ તમારા માટે છે. હિન્દીમાં પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે તેમના ન્યાયી કાર્ય દ્વારા તેમણે ભારતનું આત્મસન્માન વધાર્યું છે. હું દેશના નેતૃત્વ અને બહાદુર સશસ્ત્ર દળો સાથે ઉભો છું – પૂરા દિલથી. અગ્રવાલે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણ નિર્ણાયકતા, દૃઢતા, જવાબદારી અને પરિપક્વતા સાથે પોતાનું કાર્ય કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે 1.4 અબજ ભારતીયો આ ક્ષણે એક શક્તિ છીએ. આ શક્તિ અનંત અને અનન્ય છે. મારો ન્યાયપ્રેમી દેશ ભારત હંમેશા વિજયી રહેશે. જય હિન્દ!

જાપાનના ઓસાકા એક્સ્પોમાં ઝળક્યું ગુજરાત!

ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ પ્રત્યે વિશ્વભરના લોકોમાં આકર્ષણ છે અને જાપાનના ઓસાકામાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાતની સંસ્કૃતિને જોવા માટે વિશ્વભરના મુલાકાતીઓ ઉમટી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જાપાનના ઓસાકા ખાતે 4 મે થી 17 મે, 2025 દરમિયાન વર્લ્ડ એક્સ્પો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ એક્સ્પોમાં વિશ્વ સમક્ષ પોતાના વેપાર, સંસ્કૃતિ અને પ્રવાસનનું પ્રતિનિધિત્વ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જેનું નેતૃત્વ ઇન્ડેક્સ-બી (iNDEXTb) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વર્લ્ડ એક્સ્પોમાં નિર્મિત ભારત પેવેલિયનમાં ગુજરાત ઝોનનો દબદબો જોવા મળી રહ્યો છે. 4 મેથી શરૂ થયેલ આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી એટલે કે 8 મે, 2025 સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન સ્થિત ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ જણાવ્યું કે, “આટલા મોટા પ્લેટફોર્મ પર અમે વિઝન 2047ની તર્જ પર આધુનિક, શહેરીકૃત અને ટેકસૅવી ગુજરાત પ્રદર્શિત કર્યું છે. અમે જાપાન અને વિશ્વભરના મુલાકાતીઓના હૃદયને સ્પર્શી જાય તેવી મોટી અસર ઉભી કરવા માટે પ્રદર્શન સાથે અમારી સંસ્કૃતિનું સંમિશ્રણ કર્યું છે.”

ઉદ્યોગ કમિશનર અને iNDEXTb ના ચેરમેન સ્વરૂપ પી. (IAS)એ જણાવ્યું હતું કે, “મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ટેક્નોલોજી અને સંસ્કૃતિએ વૈશ્વિક પ્રેક્ષકોમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાજ્ય તરીકે ગુજરાતની આધુનિક અને પ્રગતિશીલ છબિનું નિર્માણ કર્યું છે. હું અમારા ભાગીદારો, DPIIT, ITPO અને CGI, ઓસાકાનો તેમના સહકાર બદલ ખૂબ આભાર માનું છું.”

ગુજરાત રાજ્યના પ્રતિનિધિત્વમાં વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટેની લાક્ષણિકતાઓ છે. ભારત પેવેલિયનમાં જે ગુજરાત ઝોન ઊભો કરવામાં આવ્યો છે, તેમાં ગુજરાત સંબંધિત વિવિધ વિશેષતાઓને રજૂ કરવામાં આવી છે.

  • ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને જાપાન સાથેના તેના સંબંધોને રજૂ કરતી કલાકૃતિઓ અને પુસ્તકો, જેમાં જાપાની ભાષામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે.
  • ગુજરાતના પ્રવાસન, સંસ્કૃતિ અને પરંપરાગત વસ્ત્ર-પરિધાનનો વાસ્તવિક અનુભવ કરાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ
  • એક QR કોડ સક્ષમ 3D મોડેલ, જે ગુજરાતના વિકાસને એક એવા રાજ્ય તરીકે પ્રદર્શિત કરે છે, જે પવન ઊર્જા, સેમિકન્ડક્ટર, સ્માર્ટ શહેરો, અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં વધુ સારા વિશ્વનું નિર્માણ તેમજ રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યું છે
  • ગુજરાતના પરંપરાગત લોકનૃત્યો અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે એક કલ્ચરલ ટ્રુપ એટલે કે સાંસ્કૃતિક મંડળ
  • ગુજરાતમાં વેપાર સમુદાયો અને પ્રવાસીઓને આમંત્રિત કરવાના હેતુથી રાજ્યના પ્રવાસન, વેપાર અને રોકાણ અંગેની ફિલ્મો

દરરોજ સરેરાશ 11,000 લોકોએ લીધી ગુજરાત ઝોનની મુલાકાત

વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાત ઝોનનું આકર્ષણ મુલાકાતીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તેની પુષ્ટિ એ બાબત પરથી થાય છે કે 4 મેથી શરૂ થયેલા આ એક્સ્પોમાં સતત પાંચ દિવસ સુધી, એટલે કે 8 મે, 2025 સુધી ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની દરરોજ સરેરાશ 11,000 લોકોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતીઓમાં અન્ય પ્રદર્શનકારી દેશોના લોકો તેમજ જાપાનના સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. કેટલાક ઉચ્ચ સ્તરીય મહાનુભાવો અને લોકપ્રિય હસ્તીઓએ પણ ગુજરાત ઝોનની મુલાકાત લીધી છે અને જાપાનના મીડિયાએ ગુજરાત ઝોન અને ભારત પેવેલિયનને કવર કર્યું છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોના શો હાઉસફુલ

મુલાકાતીઓમાં ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળવાનું તેમજ ગુજરાતના નૃત્ય કલાકારો સાથે ફોટો પડાવવા માટેનું આકર્ષણ સૌથી વધુ જોવા મળ્યું છે. ત્યારબાદના આકર્ષણોમાં AI ફોટો બૂથ અને VR પ્રવાસન આધારિત અનુભવોનો સમાવેશ થાય છે. નૃત્ય કલાકારોના તમામ શૉ અને વર્કશોપ્સ અત્યારસુધી હાઉસફુલ રહ્યા છે અને સાંજે તેમાં લોકોની ભીડ ઉમટી પડે છે.

ટેક્નોલોજીના માધ્યમથી ગુજરાતનો અનુભવ કરવા માટે VR અને AI ફોટોબૂથ પર લોકોની લાંબી લાઇનો લાગે છે. મુલાકાતીઓ QR કોડ આધારિત જાણકારીઓ દ્વારા ગુજરાતની કલાકૃતિઓ વિશે વધુ માહિતી મેળવે છે, જેનાથી તેમને તે ચીજવસ્તુઓના ઇતિહાસ અને ઉત્પત્તિ વિશે વિગતવાર જાણકારી મળે છે. આ ઉપરાંત, બાળકો અને યુવાનોમાં 3ડી મોડેલને નજીકથી જોવા માટે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રોફેશનલ લોકો મોડલ પર લાગેલા QR કોડનો ઉપયોગ કરીને જાણકારી મેળવી રહ્યા છે.

ડોશી મરે એનો ડર નથી, પણ…

ગયા મહિને 12 એપ્રિલે, સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ એની સ્થાપનાની પંચોતેરમી તિથિ મુંબઈમાં ધામધૂમથી ઊજવી. આ અવસરે પ્રકાશિત થયેલા વિશેષાંકમાં જયંતીલાલ ગડાએ એક વિચારપ્રેરક વાત કરી કે “દેશની કુલ વસતીના માંડ બે-ત્રણ ટકા લોકો જ થિએટરમાં ફિલ્મ જોવા જાય છે.” ગયા અઠવાડિયે આમીર ખાને જયંતીભાઈની વાત દોહરાવતાં કહ્યું કે “આપણી મોટામાં મોટી હિટ ફિલ્મ જોવા દેશની માત્ર 2 ટકા જનતા જ જાય છે… તો બાકીના 98 ટકા ક્યાં છે? નિર્માતાઓ જ પ્રેક્ષકોને કહે છે કે થિયેટર સુધી લાંબા થવાની જરૂર નથી… થિયેટરમાં રિલીઝ થયાના થોડા જ દિવસોમાં એ OTT પર આવી જશે. હું તમને કહું કે તમે કાર ખરીદો… ઓકે, ન ખરીદો તો કાંઈ નહીં, ચારેક અઠવાડિયાંમાં તમારા ઘરે ડિલિવર કરી દઈશ. તમે કહેશો, ઠીક છે- ઘરે પહોંચાડી દેજો.”

જયંતીલાલ ગડા અને આમીર ખાનને યાદ કરવાની વજહ આ છેઃ ‘સ્ત્રી 2’, ‘છાવા’, ‘મુંજ્યા’ જેવી ફિલ્મોના નિર્માતા, મેડોક ફિલ્મ્સના દિનેશ વિજને એમની નવીનક્કોર કૉમેડી ‘ભૂલ ચૂક માફ’ની રિલીઝની પૂર્વસંધ્યાએ જાહેરાત કરી કે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીને ચમકાવતી આ ફિલ્મ હવે  થિયેટરને બદલે સીધી પ્રાઈમ વિડિયો પર 16 મેના રોજ રિલીઝ થશે. નિર્માતાઓ તરફથી જે ખુલાસો કરવામાં આવ્યો એ કંઈ આવો છેઃ

દેશની સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં લેતાં અમે નક્કી કર્યું કે ભૂલ ચૂક માફને હવે સીધી તમારા ઘરે પહોંચાડીશું- 16 મેએ આ ફિલ્મ પ્રાઈમ વિડિયો પર વિશ્વભરમાં સ્ટ્રીમ થશે… ઍક્ચ્યુલી, અમે તમારી સાથે થિએટરમાં ફિલ્મનો ઉત્સવ ઊજવવા આતુર હતાપણ દેશની ભાવના પ્રથમ છે. જય હિન્દ.”

નિર્માતાઓની આ જાહેરાતથી થિએટરમાલિકો રોષે ભરાયા છે. એમનું કહેવું છે કે કોવિડ-19ના અંધાધૂંધીવાળા વાતાવારણમાં આમ બન્યું હોત તો સમજી શકાત, પણ અત્યારે આવું કરવાની શું જરૂર છે? ફિલ્મ બિઝનેસના ખેરખાંઓના જણાવ્યા મુજબ, ‘ભૂલચૂક માફ’ને ત્રણેક કરોડ રૂપિયાનું ઓપનિંગ મળવાનો અંદાજ હતો. શુક્ર-શનિમાં પ્રેક્ષકોને ફિલ્મ ગમી ગઈ હોત તો માઉથ પબ્લિસિટીથી રવિવાર, 11 મે સુધી 15 કરોડ રૂપિયાની કમાણી થઈ હોત. આમેય 6 જૂન સુધી કોઈ મોટા બજેટની ફિલ્મ હતી નહીં.

મુંબઈના એક થિએટરમાલિક સાથે ચિત્રલેખાએ વાત કરી તો એમના જણાવ્યા મુજબ, “ભૂલચૂક માફના ઍડવાન્સ બુકિંગમાં કોઈએ ખાસ રસ બતાવ્યો નહોતો. મારા થિએટરમાં (ઍડવાન્સમાં) એક પણ ટિકિટ વેચાઈ નહોતી. ટૂંકમાં ફિલ્મની ડિમાન્ડ જ નહોતી. ઍડવાન્સ બુકિંગ પ્રોત્સાહજનક હોત તો દિનેશ વિજન થિએટ્રિકલ-રિલીઝ મોકૂફ ન રાખત.”

એ કહે છે કે “મારી દષ્ટિએ આમાં નિર્માતાનો વાંક નથી. દેશમાં હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે, લોકોનું ધ્યાન એની પર જ છે. આમાં થિએટરમાં ફિલ્મ જોવા કોણ જાય? જો કે નિર્માતા 9 મેના બદલે બીજી રિલીઝ-ડેટનો વિકલ્પ અજમાવી શક્યા હોત… સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય પ્રોપર નથી.”

રાજકુમાર રાવની છેલ્લી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’એ આશરે 35 કરોડ રૂપિયાનો બિઝનેસ કરેલો. માનો કે ભૂલચૂક માફ વીસેક કરોડ રૂપિયાનો ધંધો કરે તો એના કરતાં OTT પર રિલીઝ કરી દો. પ્રાઈમ વિડિયો કદાચ ડાયરેક્ટ OTT રિલીઝ માટે વધારે પૈસા આપ્યા હશે. વળી નિર્માતાઓએ વિચાર્યું હશે કે આવનારા થોડા દિવસ લોકો થિએટરમાં તો નહીં જ જાય એટલે લોકોને મનોરંજન ઘેર બેઠાં જ પહોંચાડો.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે, ખાસ કરીને મલ્ટિપ્લેક્સવાળાઓ માટે, ‘ભૂલચૂક માફ’ને સીધી પર રિલીઝ કરવાના સમાચાર ખરાબ છે. એની અવેજીમાં એ લોકો બતાવશે શું? આનો ફાયદો ‘રેડ 2’ને થઈ શકે કેમ કે એ સારી ચાલી રહી છે.

ગુજરાતના એક ડિસ્ટ્રિબ્યુટરે કહ્યું કે “ઑપરેશન સિન્દૂર કે મૉક ડ્રીલ્સથી ફિલ્મબિઝનેસને કંઈ અસર થઈ નથી. મારો અનુભવ છે કે ગંભીર પરિસ્થિતિમાં લોકો મનોરંજન મેળવવા સિનેમા જોવા જાય છે. બહુ બહુ તો શહેરની બહાર નહીં જાય બાકી લંચ કે ડિનર લેવા રેસ્ટોરાંમાં જઈ જ રહ્યા છે. એવું તો નથી કે લોકો થિએટરમાં આવવાનું જ બંધ કરી દેશે.”

થિયેટરમાલિકોનો આક્રોશ સમજી શકાય છેઃ ડોશી મરે એનો ડર નથી, પણ જમડા ઘર ભાળી જશે એની ચિંતા છે. બીજા નિર્માતાઓને ફિલ્મો સીધી OTT પર રિલીઝ કરવાની પ્રેરણા મળી શકે. પૅન્ડેમિક દરમિયાન આમ જ થયું હતું.

દરમિયાન સુનીલ શેટ્ટી-વિવેક ઓબેરોય-સૂરજ પંચોલીને ચમકાવતી ઐતિહાસિક વિષય પર આધારિત  ‘કેસરી વીરઃ લેજન્ડ ઓફ સોમનાથ’ના નિર્માતા કનુ ચૌહાણે ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવાની જાહેરાત કરી છેઃ “16 મેના બદલે હવે 23 મેએ કરીશું, પણ કરીશું તો થિયેટરમાં જ.”

જેબ્બાત. ખરા વીર.

 

ભારતીય સેના દ્વારા LoC પર પાકિસ્તાનની ચોકીઓ ધ્વસ્ત કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા ટેન્શનને પગલે નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની એક સૈન્ય ચૌકીને નષ્ટ કરવાની ઘટનાનો પ્રથમ વિડિયો શેર કર્યો છે.. સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા શસ્ત્રવિરામના ઉલ્લંઘનનો મજબૂત જવાબ આપવામાં આવ્યો છે.

વિડીયોમાં નગરોટા સેક્ટરમાં એરફઓર્સ દ્વારા ડ્રોનને નિશાન બનાવીને નષ્ટ કરવામાં આવતું દર્શાવવામાં આવ્યું છે. આ સંઘર્ષમાં એલ-70 તોપો, ZU-23 મિ.મી., શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય આધુનિક કાઉન્ટર-ડ્રોન સાધનોનો વ્યાપક ઉપયોગ થયો, જે ભારતીય સેની હવાઈ હુમલાનો

ગુરુવારે રાત્રે પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર સહિત કેટલાક વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોન હુમલાની કોશિશો કરવામાં આવી, પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવી. અખનૂર, સાંબા, બારામુલ્લા અને કૂપવાડા સહિત અનેક વિસ્તારોમાં સાયરન વાગ્યા અને વિસ્ફોટોની માહિતી મળી હતી, કારણ કે ભારતીય સશસ્ત્ર દળોએ સરહદ પર રાત્રે વિશાળ ચાંપતી નજર રાખી હતી.

આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે ભારતે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાની અધિકૃત કશ્મીર (PoK)માં નવ આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા. આ હુમલામાં 27 લોકોના જીવ ગયા હતા. ત્યાર પછી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનિં પ્રણ લીધા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતની અખંડતતાની રક્ષા માટે કોઈ પણ હદ અડચણ બની શકે નહીં અને દેશ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ભારતે હંમેશાં જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તન કર્યું છે, ઘણું સંયમ રાખ્યો છે અને વાટાઘાટથી સમસ્યાઓ ઉકેલવામાં વિશ્વાસ રાખે છે. જો કોઈ દેશ ભારતના સંયમનો લાભ લેવા પ્રયત્ન કરશે, તો તેને કડક જવાબનો સામનો કરવો પડશે. અમે ભવિષ્યમાં પણ આવી જ જવાબદાર, પરંતુ દ્રઢ કામગીરી માટે તૈયાર છીએ, એમ તેમણે કહ્યું હતું.

ગુજરાતમાં ફટાકડા અને ડ્રોન પર 15 મે સુધી પ્રતિબંધ, ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યો આદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણની વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર 15 મે, 2025 સુધી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા સામે આવી છે, જેમાં જણાવાયું છે કે ગૃહમંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને આ અંગે જાહેરનામું બહાર પાડવા સૂચના આપી છે.

આ પ્રતિબંધનો હેતુ સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો છે. પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલાની ઘટનાઓ બનતાં, ગુજરાતના સરહદી જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આવા સમયે ફટાકડા અને ડ્રોનનો ઉપયોગ સુરક્ષા માટે જોખમી બની શકે છે, કારણ કે ફટાકડાનો અવાજ અને ડ્રોનની ગતિવિધિઓ ગેરસમજ કે અરાજકતા સર્જી શકે છે. આથી, ગૃહમંત્રીએ આ પ્રતિબંધ લાગુ કરીને સરકારની સતર્કતા દર્શાવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિક્ષકોને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના વિસ્તારોમાં આ પ્રતિબંધનો કડક અમલ કરાવે. પોલીસ તંત્રને સોશિયલ મીડિયા પર દેશવિરોધી કે ભડકાઉ પોસ્ટ પર નજર રાખવા અને આવા કૃત્યોમાં સામેલ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત, સરહદી જિલ્લાઓમાં ઈવેક્યુએશન પ્લાન, સેફ હાઉસની ઓળખ અને આવશ્યક સંસાધનોનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તંત્ર સક્રિય છે. આ પ્રતિબંધનો હેતુ નાગરિકોની સલામતી અને રાજ્યની શાંતિ જાળવવાનો છે. ગૃહમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સરકારના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સત્તાવાર સમાચારો પર જ વિશ્વાસ રાખે. સરહદી વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે વ્યક્તિ નજરે પડે તો તુરંત તંત્રને જાણ ક

જયારે રવીના ટંડનના નામે પાકિસ્તાનના ભૂતપૂર્વ PMને મોકલાઈ મિસાઈલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. પાકિસ્તાન દ્વારા કાશ્મીર સહિત નોર્થ ભારતના વિસ્તારોમાં હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેના જવાબના ભાગરૂપે ભારત પણ વળતા હુમલાઓ કરી રહ્યું છે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું. જેની એક ઘટના અભિનેત્રી રવીના ટંડન સાથે જોડાયેલી છે, જેના વિશે જાણીએ.

જ્યારે 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું ત્યારે અભિનેત્રી રવીના ટંડન પણ ખૂબ જ ચર્ચામાં આવી હતી. એવું બન્યું હતું કે ભારતે રવીના ટંડન તરફથી પાકિસ્તાન પર એખ મિસાઈલ ફેંકી હતી. તો વાત એવી હતી કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોના પાર્થિવ દેહને પરત કરવાના બદલામાં પાકિસ્તાન સૈનિકોએ મજાક ઉડવતા શરત રાખી હતી તેમના બદલે રવીના ટંડન અને માધુરી દીક્ષિતને મોકલવામાં આવે.

આ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાબ શરીફે રવીના ટંડન માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ ત્યારની વાત છે જ્યારે તે ભારતની મુલાકાતે આવ્યા હતાં. આ વાતનો ફાયદો ભારતીય એર ફોર્સે ઉઠાવ્યો અને રવીના તરફથી પડોશી દેશમાં એખ મિસાઈલ મોકલવામાં આવી. કારિગલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર ઠેર કરવામાં આવેલી આ મિસાઈલ પર લખ્યું હતું, ‘રવીના ટંડન કી ઓર સે નવાબ શરીફ કે લિએ’. આ સાથે જ તેના પર એક દિલ હતું, જેમાંથી તિર આરપાર નિકળે છે.

ઘણા લાંબા સમય બાદ રવીનાએ આ મિસાઈલ પર પ્રતિક્રિયા આપી હતી. તેણીએ એક્સ (ટ્વિટર) પર કહ્યું હતું કે આ ઘટના વિશે તેને ઘણી મોડી ખબર પડી હતી. તેમજ તેણીએ કહ્યું હતું કે જો કંઈ પણ પ્રેમ અને શાંતિથી નિરાકરણ થઈ શકતું હોય તો એ જ કરવું જોઈએ. બંને બાજુ લોહીનો રંગ લાલ છે.

રવીના ટંડનના કામની વાત કરીએ તો છેલ્લે પટના શુક્લામા જોવા મળી હતી. તેની દીકરી રશાએ પણ બૉલિવૂડમાં ડેબ્યુ કરી દીધું છે.

પાકિસ્તાની સાંસદે PM શાહબાઝને પાર્લમેન્ટમાં ‘ગીધડ’ કહ્યા, જુઓ વિડિયો…

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સંસદનો વધુ એક વિડિયો સામે આવ્યો છે, જેમાં ત્યાંના એક સાંસદે શહબાઝ શરીફને બુજદિલ ગણાવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ પર જ પાકિસ્તાની સાંસદે કડક પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાની સાંસદ શાહિદ અહમદે શહબાઝ શરીફને ગીધડ પણ કહી દીધા. તેમણે કહ્યું હતું કે શહબાઝ શરીફ PM મોદીનું નામ લેવા પણ ડરે છે.

તેમણે કહ્યું હતું  મને ટીપુ સુલતાનનું એક કથન યાદ આવે છે કે જો સિંહોની સેના હોય અને તેનો નેતા ગીધડ હોય, તો એ લડી શકતી નથી, એ યુદ્ધ હારી જાય છે. સરહદ પર ઊભેલા આપણા સૈનિકો અપેક્ષા રાખે છે કે અમારું રાજકારણ દિલેરીથી સામનો કરશે, પરંતુ જ્યારે તમારો વડા પ્રધાન, તમારો નેતા જ બુજદિલ હોય, તો તમે સરહદ પર લડતા જવાનને શો સંદેશ આપો છો?

પાકિસ્તાનના PMએ ગઈ કાલે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતે આજના હુમલાની કિંમત ચૂકવવી પડશે. 26 નાગરિકો માર્યા ગયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. અમે પાકિસ્તાની લોહીના એક-એક ટીપાંનો બદલો લઈશું.

જોકે પાકિસ્તાની લોકો તેમના ભાષણથી બહુ ખુશ નહોતા. સોશિયલ મિડિયા પર યુઝર્સ તેમના ભાષણની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે  PM શાહબાઝ આત્મવિશ્વાસથી નબળા દેખાઈ રહ્યા છે, આ સારું નથી દેખાઈ રહ્યું. બસ કહી રહ્યો છું. જ્યારે અન્ય એક પાકિસ્તાની X યુઝરે પોસ્ટ કરી કે શાહબાઝ કાકા કૃપા કરીને બે ગણી ઝડપે બોલવાનું શરૂ કરો અને આપણે દરેક બાબતે ભાષણો સાંભળવાની જરૂર નથી.

એક યુઝરે કહ્યું હતું કે જેટલી શહબાઝ શરીફની બોલવાની સ્પીડ છે તે હિસાબથી તો યુદ્ધ ખતમ થઈ જશે અને તેમનું ભાષણ ખતમ નહીં થાય. જ્યારે એક પાકિસ્તાની નાગરિકે PM શાહબાઝને તો કાયર સુધી કહી દીધા હતા.

‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ: ગુજરાતની રામસર સાઇટો પર પક્ષીઓનું કલરવ

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે.

વન વિભાગ દ્ધારા આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે. ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. વન્ય જીવ સંરક્ષણ-સંવર્ધનના આ અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય વન મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સુપેરે આગળ ધપાવી રહ્યો છે.

નળ સરોવર પક્ષી અભયારણ્ય-અમદાવાદ

વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૭૬ પ્રજાતિઓના સૌથી વધુ કુલ ૬.૯૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આવ્યા હતા. આ પક્ષીઓમાં મુખ્યત્વે સોવલર, પિન્ટેલ, ગોડવિટ, ગુઝ, પેલિકન, ફ્લેમિંગો, ગર્ગીની, પોચારડ, ઇગલ, ક્રેન, વેડર્સ, સ્ટ્રોક, કૂટ, સ્પૂન બિલ, ઇગ્રેટની વગેરેના પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. મધ્ય એશિયાના પથ વે પર આવતા નળ સરોવરને વર્ષ ૧૯૬૯માં પક્ષી અભિયારણ્યનો જ્યારે વર્ષ ૨૦૧૨માં ‘રામસર સાઇટ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ સરોવર અંદાજે ૧૨૦ ચો. કી.મી વિસ્તારમાં ફેલાયલું છે. દર વર્ષે યાયાવર પક્ષીઓ નળસરોવરમાં આવી રોકાણ કરતા હોવાથી અત્યાર સુધીમાં કુલ ૩૨૮ કરતા વધારે પક્ષીની જાતો નોંધાઈ છે. વન વિભાગ દ્વારા દર બીજા વર્ષે પક્ષીઓની અંદાજીત ગણતરી કરવામાં આવે છે.

ખીજડીયા પક્ષી અભયારણ્ય-જામનગર

જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક-ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વર્ષ ૨૦૨૪માં ૨૮૬ પ્રજાતિઓના ૨,૨૫,૧૬૯ તેમજ વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ૨૯૧ પ્રજાતિઓના ૩,૦૯,૦૬૨ એમ કુલ ૫.૩૪ લાખથી વધુ સ્થળાંતરીત પક્ષીઓ મુલાકાતે આવ્યા હતા. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પાણી પર, જમીન પર, ઝાડ પર, કાદવ કીચડ, શિકારી તથા લાંબા પગ પગવાળા વગેરે પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં અત્યાર સુધીમાં કુલ  ૩૧૪ જેટલી પક્ષીની પ્રજાતીઓ જોવા મળી છે. જેમાં ૧૭૦ જેટલા યાયાવર પક્ષીઓ જેવા કે  સાઈબેરીયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગેલીયા, ઈરાક, ઇરાન, યુરોપ, સાઉથ અમેરિકા વગેરે જેવા દેશોમાંથી આવીને ખીજડીયાના મહેમાન બની અભયારણ્યની શાનમાં વધારો કરે છે.

ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૮૨માં જાહેર કરાયેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર શહેરથી માત્ર ૧૩ કિ.મી. દૂર આવેલું છે જે ૬.૦૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય મુખ્યત્વે બે ભાગ-૧ ધુવાવ તરફ અને ભાગ-૨ જાંબુડા તરફ વહેચાયેલું છે. ઈન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગમાં ખીજડીયા મધ્યમાં આવે છે,  જે  યાયાવર પક્ષીઓ માટે વિસામાનું આદર્શ સ્થળ છે. તેમાંથી કેટલાક યાયાવર પક્ષીઓ સમગ્ર શિયાળા દરમિયાન આ વિસ્તારમાં જ નિવાસ કરે છે. આ અભયારણ્યને વર્ષ ૨૦૨૧માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે.

વઢવાણા સરોવર-વેટલેન્ડ

વઢવાણા સરોવરને વર્ષ ૨૦૨૧માં ‘રામસર સાઈટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૬૭ પ્રજાતિઓના કુલ ૫૮,૧૩૮ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૪૫ પ્રજાતિઓના ૫૪,૧૬૯ યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્યત્વે નોર્ધન પીન ટેઈલ, કોમન ટીલ, રૂડી શેલડક, ગ્રે લેમ ગ્રીમ,  સ્પુન બિલ્સ, પોન્ડ હેરોન, ગ્રેટર હેરોન, કોરમોરન્ટ, ડાર્ટર, સ્પોટ બીલ ડક, બ્લેક ટેલ ગોડબીટ, વેઈન્ટેડ સ્ટોર્ક, નોર્ધન શોવેલર, કુટ, બ્લેક વિન્મડ સ્ટીલ્ટ, રોસી સ્ટાર્લીંગ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.

થોળ વન્યજીવ અભયારણ્ય

વર્ષ ૨૦૨૧થી ‘રામસર સાઈટ’નો દરજ્જો ધરાવતા થોળ વન્યજીવ અભયારણ્યમાં વર્ષ ૨૦૨૪માં ૭૪ પ્રજાતિઓના કુલ ૫૫,૫૮૭ તેમજ વર્ષ ૨૦૨૫માં ૫૯ પ્રજાતિઓના કુલ ૨૬,૧૬૨ યાયાવર પક્ષીઓએ મહેમાન બન્યા હતા. વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યજીવો અને પક્ષીઓ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે.

રામસર સાઇટ્સ

ભારતની કુલ ૮૯ રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે.

સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે સરકારનું એક્શન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્ય સરકારે સરહદી સુરક્ષા અને નાગરિક સલામતી માટે નક્કર પગલાં લીધાં છે. આજે ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સેનાની ત્રણેય પાંખ (આર્મી, નેવી, એરફોર્સ)ના વરિષ્ઠ અધિકારીઓ, બીએસએફના આઈજી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રીએ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા સરહદી જિલ્લાઓની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી. આ જિલ્લાઓના કલેક્ટર અને એસપી સાથે સીધો સંવાદ થયો, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટર અને એસપી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા. બેઠકમાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા, ઈમરજન્સી પ્લાનિંગ અને નાગરિકોની સલામતી માટે ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી કે આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઈન, સેટેલાઈટ ફોન જેવા વૈકલ્પિક દૂરસંચાર માધ્યમોની ચકાસણી કરવામાં આવે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુરુવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયા પર દેશવિરોધી અને ભડકાઉ પોસ્ટ કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસને આવી કોઈ પણ પોસ્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર દેશની એકતા અને સુરક્ષાને ખલેલ પહોંચાડે તેવી ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર છે.”

બેઠકમાં મુખ્યમંત્રીએ સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાનને સક્રિય કરવા, નાગરિક સંરક્ષણ માટે સુરક્ષિત સ્થળો (સેફ હાઉસ)ની ઓળખ કરવા અને પાણી, ખોરાક, દવાઓ તેમજ પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણનો પૂરતો સંગ્રહ રાખવા આદેશ આપ્યો. તેમણે ખાસ ભાર મૂક્યો કે નાગરિકોને આવશ્યક વસ્તુઓની કોઈ અછત ન થાય તે માટે જિલ્લા તંત્રે પૂર્વ તૈયારીઓ કરી લેવી. આરોગ્ય વિભાગને હોસ્પિટલોમાં ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, બેડ, બ્લડ બેંક અને દવાઓની સુવિધા સજ્જ રાખવા સૂચના અપાઈ. વાહન વ્યવહાર વિભાગને પણ કોઈપણ વિકટ પરિસ્થિતિ માટે પૂરતા માનવબળ સાથે તૈયાર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા. મુખ્યમંત્રીએ લોકોમાં ભય કે અફવાઓ ન ફેલાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના આપી. તેમણે નાગરિકોને સરકારના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સત્તાવાર સમાચારો પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે ગતિવિધિ નજરે પડે તો તુરંત તંત્રને જાણ કરવા જણાવ્યું. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ, મોબિલાઈઝેશન અને ચેતવણીની વ્યવસ્થા પણ ચકાસવા આદેશ આપ્યા.