
IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ક્વોલિફાયર-1 મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું. મેચમાં, RCB ને જીતવા માટે 102 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે ફક્ત 10 ઓવરમાં જ મેળવી લીધો. ફાઇનલ 3 જૂને અમદાવાદમાં રમાશે, જ્યાં RCB ક્વોલિફાયર-2 ના વિજેતા સામે ટકરાશે.
Say Hello to the first 𝐅𝐈𝐍𝐀𝐋𝐈𝐒𝐓𝐒 of #TATAIPL 2025 ❤#RCB fans, how elated are you? 🤩
Updates ▶ https://t.co/FhocIrg42l#PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/gmnjZsFWxF
— IndianPremierLeague (@IPL) May 29, 2025
જો જોવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથી વખત અને 9 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા તે 2009, 2011 અને 2016 સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. જોકે, તેને ત્રણેય વખત હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પંજાબ કિંગ્સ બીજી ક્વોલિફાયર રમશે, જે 1 જૂને અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ એલિમિનેટર મેચના વિજેતા સામે ટકરાશે. એલિમિનેટર મેચ 30 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે યોજાવાની છે.
ONE MORE ☝️
That's the word from the #RCB camp – IYKYK ❤️#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile pic.twitter.com/kNe1kpgPYS
— IndianPremierLeague (@IPL) May 29, 2025
લક્ષ્યનો પીછો કરતી વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી નહોતી અને તેને પહેલો ફટકો 30 રનના સ્કોર પર મળ્યો. વિરાટ કોહલી ફાસ્ટ બોલર કાયલ જેમિસન દ્વારા વિકેટકીપર જોશ ઇંગ્લિસના હાથે કેચ આઉટ થયો. કિંગ કોહલીએ 100 ના સ્ટ્રાઇક રેટ અને બે ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા.વિરાટ કોહલીના આઉટ થયા પછી, ફિલ સોલ્ટ અને ‘ઇમ્પેક્ટ સબ’ મયંક અગ્રવાલ વચ્ચે 54 રનની ભાગીદારી થઈ, જેણે પંજાબ કિંગ્સ પાસેથી મેચ સંપૂર્ણપણે છીનવી લીધી. મયંક 19 રન બનાવીને મુશીર ખાનનો શિકાર બન્યો. મયંક આઉટ થયા બાદ ફિલ સોલ્ટ અને રજત પાટીદાર (15*) એ આરસીબીને વિજયના દરવાજા સુધી પહોંચાડ્યું. સોલ્ટે 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા.
ONE MORE ☝️
That's the word from the #RCB camp – IYKYK ❤️#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile pic.twitter.com/kNe1kpgPYS
— IndianPremierLeague (@IPL) May 29, 2025
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ પંજાબ કિંગ્સની આખી ટીમ 14.1 ઓવરમાં માત્ર 101 રનમાં જ સમેટાઈ ગઈ. પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી અને તેણે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી દીધી. તેની પહેલી વિકેટ બીજી ઓવરમાં જ પડી ગઈ, જ્યારે યશ દયાલે પ્રિયાંશ આર્ય (7 રન) ને આઉટ કર્યો. ત્યારબાદ ભુવનેશ્વર કુમારે બીજા ઓપનર પ્રભસિમરન સિંહ (18 રન) ને પણ પેવેલિયન મોકલ્યો. આ પછી, જોશ હેઝલવુડે તેની પહેલી જ ઓવરમાં વિરોધી ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર (2 રન) ને પેવેલિયન મોકલ્યો. પંજાબને પાવરપ્લેમાં જોશ ઈંગ્લીસના રૂપમાં બીજો ફટકો પડ્યો, જે 4 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો. જોશ ઈંગ્લીસના આઉટ થયા સમયે પંજાબનો સ્કોર 5.1 ઓવરમાં 4 વિકેટે 38 રન હતો.
પંજાબ કિંગ્સની વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ રહી. જ્યાં ફોર્મમાં ચાલી રહેલા નેહલ વાઢેરાને યશ દયાલે બોલ્ડ કર્યો. આ પછી, સ્પિનર સુયશ શર્માની સ્પિન જોરદાર રીતે કામ કરી. સુયશે તે જ ઓવરમાં શશાંક સિંહ (3 રન) અને ‘ઈમ્પેક્ટ સબ’ મુશીર ખાન (0) ને આઉટ કર્યા. સુયશે માર્કસ સ્ટોઈનિસની મોટી વિકેટ પણ લીધી. સ્ટોઈનિસે 17 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા.
પંજાબ કિંગ્સની છેલ્લી બે વિકેટ હરપ્રીત બ્રાર અને અઝમતુલ્લાહ ઉમરઝાઈના રૂપમાં પડી. પંજાબ તરફથી, ફક્ત માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને પ્રભસિમરન સિંહ જ બે આંકડા સુધી પહોંચી શક્યા. આરસીબી તરફથી જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. તે જ સમયે, યશ દયાલે બે સફળતા મેળવી. રોમારિયો શેફર્ડ અને ભુવનેશ્વર કુમારને પણ એક-એક વિકેટ મળી.
ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર MEAનું મોટું નિવેદન
ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટેરિફના મુદ્દા પર પ્રતિક્રિયા આપી. MEAએ કહ્યું કે આ મહિને ભારત-પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ માટે અમેરિકા સાથે થયેલી વાટાઘાટોનો ભાગ ટેરિફ નહોતો. ભારતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ ફેડરલ કોર્ટને જણાવ્યું હતું કે ટેરિફ ચેતવણીથી અમેરિકાને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મદદ મળી.
Watch: MEA Spokesperson Randhir Jaiswal says, “See, the India-U.S. bilateral trade agreement negotiations are ongoing. We just had a team visit the United States. So, we will have to wait for the negotiations to conclude, and as and when we have an update, we will share it with… pic.twitter.com/KDMIEAap42
— IANS (@ians_india) May 29, 2025
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે તાજેતરના સંઘર્ષને રોકવાનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરસ્પર વાતચીત હતી, બીજું કોઈ કારણ નહોતું. ટેરિફ આ વાતચીતનો ભાગ નહોતો. વિદ્યાર્થી વિઝા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધ અંગે, MEAએ કહ્યું કે વર્ષ 2023-24માં 3 લાખ 30 હજાર (330K) થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તાજેતરમાં વિઝા બાબતે કેટલીક પ્રવૃત્તિઓ થઈ છે. વિઝા આપવો એ કોઈ પણ દેશનો સાર્વભૌમ અધિકાર છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અમારી ચિંતા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીનો નિર્ણય યોગ્યતાના આધારે લેવામાં આવશે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સાથેની વાતચીત પર પ્રતિક્રિયા આપી
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથેના અમારા સંબંધોનો સવાલ છે, ત્યાં સુધી અમારું વલણ સ્પષ્ટ છે. કોઈપણ સંબંધ દ્વિપક્ષીય હોવો જોઈએ. અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે તે કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા પડશે, જેમના રેકોર્ડ અને યાદી અમે થોડા વર્ષો પહેલા પાકિસ્તાનને સોંપી હતી. વાતચીત ત્યારે જ થશે જ્યારે પીઓકે ખાલી થશે અને જ્યારે પાકિસ્તાન આ વિસ્તાર અમને સોંપશે.
સિંધુ જળ સંધિ પર વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે જ્યાં સુધી સિંધુ જળ સંધિનો સવાલ છે, ત્યાં સુધી તે સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અટલ રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું છોડી ન દે. જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકતી નથી, આતંકવાદ અને વેપાર એકસાથે ચાલી શકતી નથી, અને પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી.
કોરોનાના નવા વેરિયેન્ટ માટે WHOએ જારી કરી એડવાઇઝરી
જિનિવાઃ કોરોના ચેપ ફરી એકવાર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ અને ભારતમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોવિડના નવા કેસોમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા દેશોમાં કોરોનાના નવા પ્રકારો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેને કારણે લોકો ચિંતિત અને ડરી ગયા છે. જોકે પરિસ્થિતિ ગઈ વખત જેટલી ભયાનક નથી. તેમ છતાં, તકેદારી રાખવી જરૂરી છે.
WHOની ચેતવણી
WHOએ કહ્યું છે કે કોરોનાના ઘણા નવા વેરિયન્ટ્સ બહાર આવી રહ્યા છે. તેમાં NB.1.8.1, JN.1 અને KP.2 જેવા વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે, જે ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ્સ છે. NB.1.8.1 વેરિયન્ટ હાલમાં ચીન, અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના પેટા વેરિયન્ટ NB.1.8.1 અને LF.7 બંનેના કેસ ઝડપથી વધ્યા છે. આ કારણે ભારતમાં ચેપમાં ઝડપી વધારો નોંધાયો છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ હવે NB.1.8.1 ને મોનિટરિંગ વેરિયન્ટની શ્રેણીમાં મૂક્યું છે, અત્યાર સુધી તેને ઇન્ટરેસ્ટ વેરિયન્ટ તરીકે રાખવામાં આવતું હતું, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને બદલાતાં સ્વરૂપોને ધ્યાનમાં રાખીને તેને મોનિટરિંગ વેરિયન્ટમાં મૂક્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર આ પ્રકાર લોકોને ખૂબ જ ઝડપથી ચેપ લગાવે છે, પરંતુ હાલમાં તે ગંભીર બીમારી કે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ નથી. પરિસ્થિતિ વધુ વણસે તો પણ ખૂબ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે તેને અવગણવું જોઈએ નહીં, કારણ કે વાયરસ ક્યારે તેનું સ્વરૂપ બદલશે તે કહી શકાય નહીં.
ભારતમાં શું પરિસ્થિતિ છે
ભારતમાં પણ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કેટલાક નવા કેસ નોંધાયા છે. આમાંના મોટા ભાગના કિસ્સાઓમાં લોકો હળવી ઉધરસ, તાવ અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા છે. આ રોગને કારણે ખૂબ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેસ્ટ્રોલને ખરીદવા માટે રિલાયન્સ, એપોલો સહિત અનેક દાવેદાર
નવી દિલ્હીઃ બ્રિટિશ ઊર્જા કંપની BPએ તેની લુબ્રિકન્ટ બિઝનેસ કેસ્ટ્રોલ (Castrol) વેચવાની યોજના બનાવી રહી છે. BPએ કેસ્ટ્રોલના વેચાણ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેસ્ટ્રોલ ઉદ્યોગ અને ઓટોમોટિવ લુબ્રિકન્ટ બનાવે છે. ઘણા મોટા કોર્પોરેટ ગ્રુપ્સ અને રોકાણ કંપનીઓ આ બિઝનેસમાં રસ દાખવી રહી છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ આ વેચાણમાં રસ ધરાવે છે. આ સિવાય એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને લોન સ્ટાર ફંડ્સ જેવી બાયઆઉટ ફર્મોનો સમાવેશ થાય છે. આ ડીલ આઠ બિલિયન ડોલરથી લઈને 10 બિલિયન ડોલર સુધીની થવાની શક્યતા છે.
BP શા માટે વેચી રહી છે?
કંપની તેનું દેવું ઘટાડવા માટે આ પગલું લઈ રહી છે. આ વર્ષ ફેબ્રુઆરીમાં કંપનીએ જણાવ્યું હતું કે તે 2027 સુધીમાં 20 અબજ ડોલર એકઠા કરવા માટે કેટલીક મિલકતો વેચવાની યોજના બનાવી રહી છે. કેસ્ટ્રોલનું વેચાણ આ યોજનાનો હિસ્સો છે. BPએ અન્ય સંભવિત ખરીદદારોને પણ પ્રાથમિક માહિતી મોકલી છે, જેમાં બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ અને સ્ટોનપીક પાર્ટનર્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ડીલમાંથી BPને અંદાજે 8થી 10 અબજ ડોલર મળી શકે છે.

આ પ્રક્રિયા હજી શરૂઆતની તબક્કામાં છે. BP આશા રાખી રહી છે કે થોડાં સપ્તાહમાં પ્રાથમિક બોલીઓ આવશે, તેથી હજી કિંમતો અને સોદાનું પરિણામ સ્પષ્ટ નથી. આ વેચાણમાં સાઉદી અરામ્કો પણ પોતાની બોલી લગાવે એવી છે.
કેસ્ટ્રોલ બિઝનેસમાં શું ખાસ છે?
કેસ્ટ્રોલ કંપની ઓટોમોબાઇલ અને ઉદ્યોગો માટે લુબ્રિકન્ટ બનાવે છે. એ સાથે-સાથે કંપની લાંબા સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર્સ માટે લિક્વિડ કુલિંગ ટેક્નોલોજી પણ વિકસાવી રહી છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો, જાણો કેમ..
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. તેમણે પૂંચ અને પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત અન્ય વિસ્તારોના પીડિતો માટે ભારત સરકાર પાસેથી રાહત પેકેજની માંગ કરી છે.
पाकिस्तान की गोलाबारी से प्रभावित पुंछ और अन्य सभी इलाकों के लिए राहत और पुनर्वास पैकेज देने के संबंध में नेता विपक्ष श्री @RahulGandhi ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी को पत्र लिखा। pic.twitter.com/KLu8V0BMpX
— Congress (@INCIndia) May 29, 2025
રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું કે મેં તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના પૂંચની મુલાકાત લીધી હતી, જ્યાં પાકિસ્તાની ગોળીબારમાં 4 બાળકો સહિત 14 લોકોનું દુઃખદ મૃત્યુ થયું હતું અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. આ અચાનક અને અંધાધૂંધ હુમલાથી સામાન્ય વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. સેંકડો ઘરો, દુકાનો, શાળાઓ અને ધાર્મિક સ્થળો ખરાબ રીતે નાશ પામ્યા છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને પીડિતોને મદદ કરવા માંગ કરી
રાહુલ ગાંધીએ પત્રમાં એમ પણ લખ્યું છે કે ઘણા પીડિતોએ જણાવ્યું હતું કે તેમની વર્ષોની મહેનત એક જ ઝાટકે બરબાદ થઈ ગઈ. પૂંચ અને સરહદ પરના અન્ય વિસ્તારોના લોકો દાયકાઓથી શાંતિ અને ભાઈચારામાં જીવી રહ્યા છે. આજે જ્યારે તેઓ આ ઊંડા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આપણી ફરજ છે કે આપણે તેમના દુ:ખને સમજીએ અને તેમના જીવનને ફરીથી બનાવવા માટે શક્ય તમામ મદદ પૂરી પાડીએ.
રાહત અને પુનર્વસન પેકેજ તૈયાર કરવું જોઈએ: કોંગ્રેસ સાંસદ
તેમણે વધુમાં કહ્યું કે હું ભારત સરકારને વિનંતી કરું છું કે પૂંછ અને પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત અન્ય તમામ વિસ્તારો માટે એક નક્કર અને ઉદાર રાહત અને પુનર્વસન પેકેજ તૈયાર કરે.
3 દિવસમાં સોનું 10000 રૂપિયા સસ્તું થયું
ભારતમાં સોનાના ભાવમાં તાજેતરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી બધા રોકાણકારો અને ખરીદદારો આશ્ચર્યચકિત થયા છે. માત્ર ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 10,400 રૂપિયાનો ઘટાડો થયો છે, જે સોના ખરીદનારાઓ માટે સારી તક બની છે. ખાસ કરીને 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં સતત ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ યુએસના નિર્ણયો અને ડોલરની મજબૂતાઈ જેવા કારણો જવાબદાર છે. ચાલો જાણીએ આજના સોનાના તાજેતરના ભાવ, ભાવમાં ઘટાડાનાં કારણો અને આગામી દિવસોની સંભાવનાઓ વિશે.

સોનાના ભાવમાં ભારે ઘટાડો
29 મેના રોજ ભારતમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં, 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹104 સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹55 ઘટ્યું છે. આજે 24 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹9,704 પર પહોંચી ગયું છે, જે ગઈકાલ કરતા ₹44 ઓછું છે. 22 કેરેટનો ભાવ ₹8,895 છે, જે ₹40 ઘટ્યો છે. 18 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹7,278 પર છે, જે ગઈકાલ કરતા ₹33 સસ્તું થયું છે. આવનારા સમયમાં સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકોને આ ઘટાડાથી રાહત મળી છે.

દેશભરમાં સોનાના તાજેતરના દરો
24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹9,704 છે, એટલે કે, 10 ગ્રામ માટે ₹97,040 અને 100 ગ્રામ માટે ₹9,70,400 ચૂકવવા પડશે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,895 છે, જેનો અર્થ 10 ગ્રામ માટે ₹88,950 અને 100 ગ્રામ માટે ₹8,89,500 છે. 18 કેરેટ સોનું પ્રતિ ગ્રામ ₹7,278 માં વેચાઈ રહ્યું છે, જેનો ભાવ 10 ગ્રામ માટે ₹72,780 અને 100 ગ્રામ માટે ₹7,27,800 છે. 26 મે ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹9,764 હતો, જે હવે ત્રણ દિવસમાં ₹60 ઘટી ગયો છે. તેવી જ રીતે, 20 કેરેટ સોનાનો ભાવ ₹8,950 થી ઘટીને ₹8,895 થયો છે.

ભાવમાં ઘટાડાનું કારણ શું છે?
સોનાના ભાવમાં આ ઘટાડો અમેરિકાના તાજેતરના નિર્ણય સાથે સંબંધિત છે. યુએસ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા કેટલાક આયાત કર પર રોક લગાવી દીધી છે. અગાઉ, આ કરવેરાને કારણે, રોકાણકારો સોનાને સલામત વિકલ્પ માનીને ખરીદી કરતા હતા, પરંતુ કરવેરા દૂર થયા પછી, સોનાની માંગમાં ઘટાડો થયો છે. ઉપરાંત, ડોલરની મજબૂતાઈએ પણ સોનાના ભાવ પર દબાણ બનાવ્યું છે. આને કારણે, ભારતના વાયદા બજાર (MCX) માં જૂન કોન્ટ્રેક્ટનો દર ₹ 658 ઘટીને ₹ 94,620 પ્રતિ 10 ગ્રામ થયો છે.
લગ્નમાં મળ્યાં છે સોનાનાં ઘરેણાં? તો હવે ભરવો પડશે ટેક્સ
નવી દિલ્હીઃ જો તમને લગ્ન, તહેવાર કે કોઈ ખાસ પ્રસંગે સોનાનાં ઘરેણાં, સિક્કા, બુલિયન કે ડિજિટલ ગોલ્ડ ગિફ્ટ મળે છે તો સાવધાન થઈ જજો. જો સોનાની કિંમત રૂ. 50,000થી વધુ હશે તો એ અન્ય સ્ત્રોતોમાંની આવક એટલે કે આવક અન્ય સ્રોતોમાં સામેલ થાય છે. તો એના પર ટેક્સ ચૂકવવાનો રહેશે.
ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લગ્ન દરમિયાન મળેલી ગિફ્ટ્સ (જેમ કે સોનું, રોકડ વગેરે) પર કોઈ ટેક્સ લાગતો નથી. લગ્નના પ્રસંગે મળેલા ગિફ્ટ્સને ટેક્સ ફ્રી માનવામાં આવે છે, પરંતુ જો કોઈ અન્ય પ્રસંગે તમને ગિફ્ટ મળ્યું હોય અને તેનું મૂલ્ય રૂ. 50,000 કરતાં વધુ હોય, તો તેના પર ટેક્સ લાગશે. ખાસ વાત એ છે કે લગ્નના ગિફ્ટ માટે કોઈ મૂલ્ય મર્યાદા નથી — તે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.
ટેક્સના નિયમો કહે છે કે ભલે લગ્નમાં મળેલા સોના પર તરત તો ટેક્સ ન લાગતો હોય, પરંતુ જ્યારે તમે આ સોનું વેચશો, ત્યારે વેચાણથી મળેલા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. આ સંદર્ભે, જે દિવસ તે સોનું ગિફ્ટ મળ્યું હોય એ દિવસે બજાર ભાવને ખરીદીની કિંમત માનવામાં આવશે.
કેપિટલ ગેઇન ટેક્સ: શોર્ટ ટર્મ અને લૉંગ ટર્મ
- જો તમે સોનું 36 મહિનાની અંદર વેચો છો, તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG)માં આવે છે. આ નફો તમારી સામાન્ય આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે છે.
- જો તમે સોનું 36 મહિનાથી વધુ સમય બાદ વેચો છો, તો તે લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણાય છે. આવા નફા પર 20 ટકા રેટે ટેક્સ લાગશે અને સાથે ઇન્ફ્લેશનના ધોરણે ઇન્ડેક્સેશનનો લાભ પણ મળશે.

ભલે, લગ્નમાં મળેલા સોના પર સીધો ટેક્સ લાગતો નથી, પણ જ્યારે તેને વેચવામાં આવે, ત્યારે એ વર્ષની ઇન્કમ ટેક્સ રિટર્નમાં કેપિટલ ગેઇનનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમે આ ગિફ્ટને તમારા Exempt Income વિભાગમાં દર્શાવી શકો છો, જેથી ટેક્સ અધિકારીઓ સમજી શકે કે આ લગ્નમાં મળેલી ગિફ્ટ છે.
પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં જાહેરમાં જોવા મળ્યો
પહલગામ આતંકવાદી હુમલાનો કથિત માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર સૈફુલ્લાહ કસૂરીને બુધવારે પાકિસ્તાનમાં જાહેરમાં જોવા મળ્યો. તેણે એક રાજકીય રેલીમાં રાજકારણીઓ અને અન્ય વોન્ટેડ આતંકવાદીઓ સાથે સ્ટેજ શેર કર્યો.

પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણોના વાર્ષિક સ્મૃતિ દિવસ, યુમ-એ-તકબીર નિમિત્તે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) દ્વારા આયોજિત રેલીમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના પુત્ર અને ભારત દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી તલ્હા સઈદ પણ રેલીમાં હાજર હતા.
મને પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ કહેવામાં આવતો હતો, હવે મારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે,” કસુરીએ પાકિસ્તાનના કબજા હેઠળના પંજાબ પ્રાંતના કસૂરમાં એક રેલીમાં કહ્યું.
માનવામાં આવે છે કે કસુરીએ પહેલગામના બૈસરનમાં થયેલા ક્રૂર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓ દ્વારા 26 લોકો, જેમાં મોટાભાગે હિન્દુ પુરુષો હતા, તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગુજરાતમાં CM ના હસ્તે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આણંદ કૃષિ યિનિવર્સિટીથી શરૂ કરવામાં આવેલા પ્રારંભ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે.
ખરીફ સીઝનના પ્રારંભ પહેલા ખેડૂતો તમામ જરૂરી આયોજન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે તારીખ 29 મે થી 12 જૂન સુધી રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કર્યું છે.
આજે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગુજરાતમાં આ અભિયાનનો શુભારંભ કરાવ્યો.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં કુલ… pic.twitter.com/FLsENuF35t
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 29, 2025
ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમ જ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરાશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 01 લાખ 2 હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામોના 80 હજાર ખેડૂતો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂત અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લામાં 760 ગામોના 71 હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.

