Home Blog Page 736

થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચેના સંઘર્ષમાં ૩૨ લોકોનાં મોત

સુરિન: થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ જારી છે. અત્યાર સુધીમાં બંને દેશોની વચ્ચે ચાલી રહેલા જંગમાં ૩૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે સરહદી વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. સ્થળાંતર કરેલા લોકોને તાત્કાલિક આશ્રય સ્થળોમાં રાખવામાં આવ્યા છે. બંને દેશોની વચ્ચે સંઘર્ષ હજુ વધુ ઉગ્ર થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગઈ રાત્રે ન્યુ યોર્કમાં આ મુદ્દે તાત્કાલિક બેઠક યોજી. હાલ S બેઠક બાદ કોઈ ઔપચારિક નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું, પરંતુ પરિષદના એક રાજદૂતે જણાવ્યું હતું કે તમામ ૧૫ સભ્ય દેશોએ થાઈલેન્ડ અને કમ્બોડિયાને સંયમ રાખવાની, તણાવ ઘટાડવાની અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપીલ કરી છે. એ સાથે જ દક્ષિણ-પૂર્વ એશિયન દેશોના સંગઠન આસિયાનને પણ મધ્યસ્થતા કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

આસિયાનના અધ્યક્ષની પણ શાંતિ માટે અપીલ

હાલમાં આસિયાનના અધ્યક્ષપદે રહેલા મલેશિયાએ બંને દેશોને તાત્કાલિક સંઘર્ષ બંધ કરવા માટે આહવાન કર્યું છે અને મધ્યસ્થતાની રજૂઆત કરી છે. યુએનમાં કમ્બોડિયાના રાજદૂત છિયા કેઓએ જણાવ્યું હતું કે આ તાત્કાલિક બેઠકની માગણી કમ્બોડિયાએ કરી હતી. તેમણે શરત વિના સંઘર્ષવિરામ કરવાની અને વિવાદનું શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માગ દોહરાવી હતી.. થાઈલેન્ડ પર હુમલાના આરોપોની સામે તેમણે કહ્યું હતું કે અમે નાનો દેશ છીએ, અમારું વાયુસેનાનું તંત્ર પણ નથી. અમે ત્રણ ગણા મોટી સેનાવાળા દેશ પર કેમ હુમલો કરી શકીએ?

શું સરકારે પ્રતિબંધ કરેલી ALTT એપ સાથે એકતા કપૂરનો કોઈ સંબંધ ખરો?

સરકારે અશ્લીલ સામગ્રીને કારણે ALTT, ULLU અને 23 અન્ય OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે બાદ હવે એકતા કપૂરે એક નિવેદન બહાર પાડ્યું છે. એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે તેણી કે તેની માતા શોભા કપૂરનો ALTT સાથે કોઈ લેવાદેવા નથી.

એકતા કપૂરે આગળ કહ્યું,’તેણીએ જૂન 2021 માં જ ALTT સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા.’ પુખ્ત સામગ્રી પર કડક કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે કુલ 25 ડિજિટલ પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં Alt Balaji તેમજ Ullu, Big Shots, Desflix, Boomx, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App અને Jalwa Appનો સમાવેશ થાય છે.

એકતા કપૂરે નિવેદનમાં કહ્યું,’અમે 2021 માં જ ALTT થી અલગ થઈ ગયા છીએ.’ તેણીએ મીડિયાને અપીલ કરી છે કે તે લોકોને સાચી માહિતી પહોંચાડે. આ નિવેદન બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ દ્વારા પણ આપવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે એકતા અને શોભા કપૂરનો Alt બાલાજી સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ આ હકીકત વિરુદ્ધ કંઈ કહે છે, તો તે સંપૂર્ણપણે ખોટું છે.

તેમજ એકતાએ સ્પષ્ટ કર્યું છે કે તેણી અથવા તેની માતા શોભાનો ALT સાથે કોઈ સંબંધ નથી. તેણીએ કહ્યું,’મીડિયામાં એવા અહેવાલો છે કે ALT ને અધિકારીઓ દ્વારા બંધ કરવામાં આવ્યું છે. જો કે, એકતા કપૂર અને શોભા કપૂરનો ALT સાથે કોઈ સંબંધ નથી અને તેઓએ જૂન 2021 માં જ ALT સાથેના તેમના સંબંધો તોડી નાખ્યા હતા. ઉપરોક્ત તથ્યોથી વિપરીત કોઈપણ આરોપને સખત રીતે નકારી કાઢવામાં આવે છે અને મીડિયાને વિનંતી કરવામાં આવે છે કે તે દરેકને સાચી માહિતી આપે.’ નિવેદનમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો, ‘બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ તમામ લાગુ કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરે છે અને કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચતમ ધોરણો સાથે તેનો વ્યવસાય ચાલુ રાખે છે.’

અગાઉ, મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ઉલ્લુએ મે મહિનામાં ‘હાઉસ અરેસ્ટ’ શો દૂર કર્યો હતો. તમને જણાવી દઈએ કે માર્ચ 2024 માં બ્લોક કરાયેલા પાંચ પ્લેટફોર્મ. તેમણે નવા વેબસાઇટ ડોમેન પર પોર્નોગ્રાફિક સામગ્રી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. સરકારે અશ્લીલ સામગ્રીને કારણે ઉલ્લુ, ALTT અને Desiflix સહિત 25 OTT પ્લેટફોર્મની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કરતી એપ્લિકેશન્સમાં ALTT, Ullu, Big Shots App, Desiflix, Boomx, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalwa App, Shohit, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Soul Talkies, Adda TV, HotX VIP, Halchal App, MoodX, NeonX VIP, Fugi, Mozflix અને Triflixનો સમાવેશ થાય છે.

રેલવેમાં બેસ્વાદ અને ખરાબ ખાવાની 19,000 ફરિયાદ મળીઃ રેલ મંત્રી

નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી કરતી લાખો યાત્રીઓ માટે ટ્રેનમાં મળતું ખાવાનું હવે ચિંતા અને સમસ્યાનો વિષય બન્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં રેલવેને બેસ્વાદ અને ખરાબ ખોરાક અંગે કુલ 19,427 ફરિયાદો મળી છે. આ ચોંકાવનારો આંકડો શુક્રવારે રાજ્યસભામાં રજૂ થયો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે રેલવેના ભોજનના વહીવટમાં ગંભીર ખામીઓ છે.

રાજ્યસભામાં CPM સાંસદ જોન બ્રિટાસના સવાલના જવાબમાં રેલ મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2023-24માં ખોરાક અંગે 7026 ફરિયાદો, જ્યારે 2024-25ના અત્યાર સુધીના આંકડાઓમાં 6645 ફરિયાદો આવી છે. જોકે આ થોડી ઘટતી સંખ્યા છે, પરંતુ 2020-21ની તુલનાએ તો આ ખૂબ જ વધુ છે, કારણ કે તે વર્ષે માત્ર 253 ફરિયાદો આવી હતી.રેલવેનો દાવો છે કે ફરિયાદોને ઝડપથી ઉકેલવામાં આવી છે. કુલ 3137 કેસોમાં દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 9627 વખત વેચાણકર્તાઓને ચેતવણી આપવામાં આવી હતી. 4467 કેસોમાં દુકાનદારોને સમજાવવામાં આવ્યા અને યોગ્ય રીતે સેવા આપવા માટે સૂચના આપવામાં આવી. માત્ર એક જ કેસમાં (2021માં) કોઈ સેવા આપનારાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું. જ્યારે 2195 ફરિયાદો આવી હતી, જેને સ્થળ પર જ ઉકેલી દેવામાં આવી.

રેલવેના ભોજન વ્યવસ્થાપનનું સંચાલન કરતી IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા વિવિધ ટ્રેનોમાં સેવા આપવા માટે 20 સર્વિસ કોન્ટ્રેક્ટરોને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. તેમાં વંદે ભારત અને અન્ય લાંબા અંતરની ટ્રેનો સામેલ છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખોરાકની ગુણવત્તા સુધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે – જેમ કે બેઝ કિચનમાં CCTV કેમેરા લગાવ્યા, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની નિમણૂક, ટ્રેનમાં સુપરવાઇઝરો, અચાનક નિરીક્ષણો અને નિયમિત ભોજન પરીક્ષણો વગેરે.

રુદ્રપ્રયાગની કેદાર ખીણમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદાર ઘાટીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ છે. કેદાર ઘાટીમાં વાદળ ફાટવાને કારણે અનેક ઘરો કાટમાળ હેઠળ દટાઈ ગયાં છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં પણ વાદળ ફાટ્યું છે. આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પર્વતોમાંથી કાટમાળ નીચે પડતો જોવા મળે છે અને ઘણાં વાહનો તેમાં દટાઈ ગયા છે. વિડિયોમાં ઘણાં ઘરોને પણ નુકસાન થતું જોવા મળ્યું છે. હાલ તો એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કેટલું નુકસાન થયું છે, પરંતુ લોકો ભયભીત છે અને હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

રૂદ્રપ્રયાગ જિલ્લામાં ગઈ રાતથી મુસળધાર વરસાદ ચાલુ છે, જેને કારણે મોટા પાયે નુકસાન થયું છે. રાત્રે રૂમસી ગામના ઉપર વાદળ ફાટ્યું હતું, જેને કારણે બેડુબગડ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. અનેક રહેણાક મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે અને અડધા ડઝનથી વધુ વાહનો તેની નીચે દટાઈ ગયાં છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે સવારે 8 વાગ્યા સુધી પણ કોઈ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી નહોતી, જેને કારણે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો. જોકે માનવજાનિની કોઈ માહિતી મળી નથી, પણ અનેક પરિવારોએ પોતાનું ઘર છોડી સુરક્ષિત સ્થળો તરફ જવું પડ્યું છે. વહીવટી તંત્રએ નુકસાનનો અંદાજ લગાવવાનો શરૂ કર્યો છે.

કેદારનાથ યાત્રા પર અસર

ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રામાર્ગ પણ અસરગ્રસ્ત થયો છે. ગૌરીકુંડ નજીક રાત્રે પર્વત ખસી ગયો અને મોટા પથ્થરો પદયાત્રાના રસ્તા પર પડ્યા, જેના કારણે યાત્રાનો માર્ગ સંપૂર્ણ બંધ થયો છે. પોલીસ અને વહીવટી તંત્રે તમામ યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે અટકાવી દીધા છે અને યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. માર્ગમાંથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

 

 

Heavy destruction due to cloudburst in kedar valley of rudraprayag

 

 

 

 

ભૌતિક વસ્તુઓની લાલસા થી માત્ર અસંતોષ જન્મે

મારા બે મિત્રોએ ભેગા મળીને મારા જન્મદિવસે મને ભગવદ્ ગીતા ભેટમાં આપી. મેં એમને પોતાની સહી સાથે એ પ્રત આપવાનું કહ્યું ત્યારે તેમણે ના પાડતાં કહ્યું, “ભગવાન કૃષ્ણે પોતે લેખક તરીકે પોતાનું નામ લખાવ્યું નથી તો અમે એના પર સહી કરવાવાળા કોણ?”

આ જ વાત કુરાને શરીફ અને બાઇબલને પણ લાગુ પડે છે. આ શાસ્ત્રો કોણે લખ્યાં એની સ્પષ્ટતા ક્યાંય નથી. ખરું પૂછો તો, તમામ શાસ્ત્રો અપુરુષેય કહેવાય (અહીં ‘પુરુષ’ શબ્દનો અર્થ આત્મા થાય છે). કોઈ આત્માએ પોતાનું નામ શાસ્ત્રો પર લખ્યું નથી કે લખાવ્યું નથી. પ્રાચીન જમાનામાં શાસ્ત્રની રચનાના માનમાં ગુરુનું નામ લખવાની પ્રથા હતી.

આપણે જાણીએ છીએ કે આ શાસ્ત્રો અમૂલ્ય છે. આ કટારમાં હું અગાઉ લખી ગયો છું કે કિંમતની દૃષ્ટિએ આઇફોન મોંઘો છે, પણ મૂલ્યની દૃષ્ટિએ ભગવદ્ ગીતા વધારે છે. આપણા સંતોએ આપણને કિંમત અને મૂલ્ય વચ્ચેનો ભેદ શીખવ્યો છે એ આપણું સૌભાગ્ય કહેવાય.

કોઈ પણ ચીજવસ્તુની કિંમત આપણો અહમ્ સંતોષતી હોય છે. તેનું મૂલ્ય કેટલું છે એ આપણા વલણ પર નિર્ભર છે. કિંમત બાહ્ય પરિબળ છે, મૂલ્ય આંતરિક છે. જ્યારે કિંમતને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે સંબંધિત વસ્તુમાંથી મળતો લાભ હંગામી હોય છે. મૂલ્ય કાયમી હોય છે. કિંમત ધરાવતી વસ્તુઓ વિનાશી છે, કાળબાહ્ય થઈ જતી હોય છે અને સરખામણી કરવા પ્રવૃત્ત કરતી હોય છે, જ્યારે મૂલ્ય અવિનાશી છે.

આઇફોન અને ભગવદ્ ગીતાનું જ ઉદાહરણ લઈએ. આઇફોન કેટલો ચાલશે અને ભગવદ્ ગીતા કેટલી ચાલશે? આઇફોન ભૌતિક સંપત્તિ છે, ભગવદ્ ગીતા યોગિક સંપત્તિ છે.

ગયા રવિવારે હું ‘ચાલ મન જીતવા જઈએ’ ફિલ્મ જોઈ રહ્યો હતો. આ ફિલ્મ 2017માં આવી હતી. ભૌતિક ચીજવસ્તુઓ ટકાવી રાખવી કે પારિવારિક મૂલ્યો ટકાવી રાખવા એ મુદ્દે થતી ખેંચતાણ તેમાં દર્શાવવામાં આવી હતી.

આપણે ભૌતિક ચીજવસ્તુઓની પાછળ દોડતાં રહીએ ત્યાં સુધી મનમાં અસંતોષ રહે છે. મૂલ્ય પાછળ દોડવાનું હોતું નથી. મૂલ્યોથી આપણને શાશ્વત પ્રસન્નતા અને મનની શીતળતા મળે છે. ઉક્ત ફિલ્મ ખરેખર જોવા જેવી છે. એમાં બધી ભૌતિક સંપત્તિ ગુમાવ્યા પછી પણ પરિવારના સભ્યોના ચહેરા પર શીતળતા અને શાંતિ દેખાય છે. એમનામાં આત્મવિશ્વાસ છલકાતો દેખાય છે, કારણ કે તેમણે ભૌતિકવાદ કરતાં મૂલ્યોની જાળવણી પર ભાર મૂક્યો હતો.

આપણા અંતરમન અને બાહ્ય કર્મો વચ્ચે જ્યારે સુમેળ હોય ત્યારે એક અજબ પ્રકારની શાંતિનો અનુભવ થતો હોય છે. એનું વર્ણન શબ્દોમાં કરી શકાતું નથી. જો સુમેળને બદલે ટકરાવ હશે તો તેનાથી આપણે ખિન્ન રહીશું. ભૌતિકવાદ હંમેશાં આપણા અંતરમનનો બાહ્ય ચીજવસ્તુઓ સાથેનો સંઘર્ષ જન્માવે છે. આથી જ લોકો સરખામણી કરવા પ્રેરાય છે અને તેને કારણે ઈર્ષ્યા, નિરાશા અને વ્યગ્રતા જન્મે છે.

તમારે જો કોઈ વસ્તુને મહત્ત્વ આપવું હોય તો મૂલ્યને આપો. તેનાથી તમને શાંતિ, પ્રસન્નતા મળશે, જે કાયમી કે શાશ્વત છે. અહીં આપણે એ નથી કહેતા કે ભૌતિક વસ્તુઓનો ઉપભોગ કરવો નહીં. આપણે સમાજમાં રહીએ છીએ અને પરિવારનું પાલનપોષણ કરવાનું હોય છે. આમ છતાં અંતરમન અને બાહ્ય ભૌતિકતા વચ્ચે ટકરાવ જેટલો ઓછો થાય એટલું વધારે સારું. દા.ત. જો તમારા માટે કાર પ્રતિષ્ઠા માટે નહીં, પણ પરિવહનની જરૂરિયાત માત્ર હશે તો તમે મોટી કાર લેવાનું કદાચ નહીં વિચારો. બીજા લોકો જન્મદિવસે બહાર જમવા જાય છે તેથી તમારે પણ જવું એવી તમારી ભાવના ન હોય તો તમે બહાર જવાનું ટાળી શકો છો. આવી બધી વસ્તુઓ દરેકની પસંદ-નાપસંદ પર આધારિત હોય છે તેથી તેના વિશે ટિપ્પણી કરવાનું અનુચિત કહેવાય. જોકે, એટલું તો કહેવું રહ્યું કે જીવનમાં આંતરિક શાંતિ હોવી જરૂરી છે અને એ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે કિંમતને બદલે મૂલ્યને વધુ મહત્ત્વ આપો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ગુડ્ડુ ધનોઆએ ‘દિવાના’ બનાવી ‘એલાન’ થી નિર્દેશન કર્યું      

ધર્મેન્દ્રના પરિવારના ગુડ્ડુ ધનોઆએ ફિલ્મોમાં શરૂઆત કરતાં પહેલાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ગૂડ્ડુના ફોઈના પુત્ર ધર્મેન્દ્ર ફિલ્મોમાં હોવા છતાં એમણે પહેલાં ઘર પરિવાર માટે નાના કામો કર્યા હતા. પિતા નિવૃત્ત થયા પછી ઘર ચલાવવાની જવાબદારી ગુડ્ડુ પર આવી હતી. ગુડ્ડુએ સાયકલ પર ફરી જ્યુસ વેચ્યો હતો અને એક કંપનીમાં નોકરી પણ કરી હતી. એ દિલ્હીમાં રહેતા હતા. પિતાને સરકારી આવાસ મળ્યું હતું એટલે નિવૃત્તિ પછી એ છોડી દેવું પડ્યું ત્યારે એમણે મુંબઇ જઈને વસવાનો નિર્ણય કર્યો હતો. ગુડ્ડુના મિત્રો દિલ્હીમાં હોવાથી એની ઈચ્છા ન હતી. પણ પિતા મુંબઇ લઈ આવ્યા એ કારણે  જ એ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બની શક્યા હતા.

બે વર્ષ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે ગુડ્ડુની બહેને એમના પતિ વિક્રમસિંહની ફિલ્મ નિર્માણ કંપનીમાં જોડાવા કહ્યું હતું. ગુડ્ડુએ એમને ત્યાં કામ કરીને ફિલ્મ બનાવવાની આખી પ્રક્રિયા વિશે જાણકારી અને અનુભવ મેળવ્યો હતો. ફિલ્મ ‘સિતમગર’ માં પ્રોડકશન મેનેજરથી શરૂઆત કરી હતી. પછી ‘બેતાબ’ (1983) માં કામ સાંભળ્યું હતું. એ રજૂ થયા પછી ગુડ્ડુએ સની દેઓલને કહીને ‘અર્જુન’ નું કામ સંભાળ્યું હતું. દરમ્યાનમાં નિર્માતા બંટી સૂરમાએ ગુડ્ડુને કહ્યું કે મારો મિત્ર ભાર્ગવ ભટ્ટ એક ગુજરાતી ફિલ્મ બનાવવા માગે છે એને બજેટ તૈયાર કરી આપવાનું છે.

ગુડ્ડુએ ફિલ્મનું બજેટ બનાવી આપ્યું એ લઈને ભાર્ગવ જતો રહ્યો હતો. એ વાતને છ મહિના થઈ ગયા હશે ત્યારે પાછો મળ્યો એટલે પૂછ્યું કે ગુજરાતી ફિલ્મનું શું થયું? એણે કહ્યું કે ફિલ્મ બની શકી નહીં પણ આપણે સાથે મળીને એક ફિલ્મ બનાવીએ. ગુડ્ડુ પ્રોડકશનમાં કામ કરતો હતો પણ નિર્માતા બનવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો. કેમકે એની પાસે એટલું ભંડોળ હતું જ નહીં એટલે કહ્યું કે મારી પાસે પૈસા નથી. ભાર્ગવે કહ્યું કે હું પૈસા રોકીશ અને તારે તકનીકી અને અન્ય બાબતો સંભાળવાની છે.

એમણે પહેલી ફિલ્મ ‘મેરા લહુ’ ગોવિંદા સાથે બનાવી. એ પછી શત્રુધ્ન સિંહા સાથે ફિલ્મ ‘ગોલા બારૂદ’ બનાવી. એ સફળ ના થઈ. તેથી બે વર્ષ સુધી ખાસ કોઈ કામ ના મળ્યું. ત્યારે ગુડ્ડુ ભાડાના ઘરમાં રહેતા હતા અને જમવાના પણ ફાંફા પડ્યા હતા. દરમ્યાનમાં નિર્માત્રી શબનમ કપૂર સાથે ઓળખાણ હોવાથી એ મદ્રાસ લઈ ગયા અને દક્ષિણની ત્રણ-ચાર ફિલ્મો જોઈ. થોડા મહિના પછી એમાંની એક ફિલ્મની વાર્તા પર શબનમે ગુડ્ડુ સાથે ફિલ્મ ‘દિવાના’ (૧૯૯૨) બનાવવાની વાત કરી. ગુડ્ડુ તૈયાર થઈ ગયા. રાજ કંવરના નિર્દેશનમાં બનેલી શાહરૂખ ખાન સાથેની આ ફિલ્મ સફળ રહી હતી.

 

ગુડ્ડુએ રાજ સાથે બે ફિલ્મનો કરાર કર્યો હતો. બીજી ફિલ્મ ‘એલાન’ (૧૯૯૨) નું નિર્દેશન પણ રાજે કરવાનું હતું. રાજે ‘દિવાના’ ની સફળતા પછી અગાઉ નક્કી કર્યા કરતાં વધુ ફી માંગી એટલે ગુડ્ડુ ધનોઆએ જાતે જ તેનું નિર્દેશન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. અક્ષયકુમાર સાથેની ‘એલાન’ (૧૯૯૨)  પછી અજય દેવગન સાથે ‘ગુંડારાજ’ (૧૯૯૫) બનાવી હતી. અક્ષયકુમાર -સૈફ અલી ખાન સાથેની ‘તૂ ચોર મેં સિપાહી’ વધુ હિટ રહી હતી. પરંતુ નિર્દેશક તરીકે ભાઈ ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ સાથેની પહેલી ફિલ્મ ‘જિદ્દી’ (૧૯૯૭) એ ભારે સફળતા મેળવી હતી. ગુડ્ડુએ નવા અભિનેતાઓ સાથે ફિલ્મો બનાવી હતી. સની સ્ટાર હોવાથી કામ કરશે કે નહીં એની ખબર ન હતી. પણ સનીએ અડધી વાર્તા સાંભળીને ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. એ પછી સાની સાથે ‘સલાખેં’, ‘જાલ’ અને ‘બિગ બ્રધર’ કરી હતી.

ચૂંટણી પહેલાં CM નીતીશકુમારે પત્રકારોનું પેન્શન વધાર્યું

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં CM નીતીશકુમારે પત્રકારોની પેન્શન વધારવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. CMએ X  હેન્ડલ દ્વારા માહિતી આપી કે બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના હેઠળ હવે તમામ પાત્ર પત્રકારોને દર મહિને રૂ. 6000ની જગ્યાએ રૂ. 15,000 પેન્શન આપવામાં આવશે. આ અંગે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના પણ આપી દેવામાં આવી છે.

બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં મતદાર યાદી સુધારણા એટલે કે SIRને મુદ્દે રાજકીય ગરમાટો છે. CMએ જણાવ્યું હતું કે પેન્શન લઈ રહેલા પત્રકારોના અવસાન બાદ તેમના આધારભૂત પતિ/પત્નીને જીવનભર દર મહિને રૂ. 3000ની જગ્યાએ રૂ. 10,000 પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીતીશકુમારે X પર લખ્યું હતું કે પ્રજાસત્તાકમાં પત્રકારોનું ખૂબ જ મહત્વ છે. તેઓ લોકતંત્રનો ચોથો સ્તંભ છે અને સમાજના વિકાસમાં પણ તેમની મહત્વની ભૂમિકા છે. આપણે શરૂઆતથી જ પત્રકારોની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે, જેથી તેઓ નિષ્પક્ષ રીતે પત્રકારત્વ કરી શકે અને નિવૃત્તિ પછી સન્માનપૂર્વક જીવન જીવી શકે.

બિહાર વિધાનસભાની ચુંટણીઓમાં મહાગઠબંધન અને NDA ગઠબંધન વચ્ચે તીવ્ર મુકાબલો છે. મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, CPI, CPM અને CPI (ML) સામેલ છે, જ્યારે NDAમાં ભાજપ, JDU, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), હિંદુસ્તાની અવામ મોર્ચા અને રાષ્ટ્રીય લોક મોરચા સામેલ છે.

ચૂંટણી પૂર્વે નીતીશકુમાર દ્વારા સતત મોટા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ તેમણે જાહેર કર્યું હતું કે 1 ઓગસ્ટથી બિહારના નાગરિકોને દર મહિને 125 યુનિટ વીજળી મફતમાં મળશે.

ગુલકંદ – ૨૬ જુલાઈ ૨૦૨૫

સાબુદાણા અપ્પે

ઓછા તેલમાં બનતા ફરાળી સાબુદાણા અપ્પે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શ્રાવણ મહિના માટેનો આ ફરાળ પૌષ્ટિક રહેશે!

સામગ્રીઃ

  • સાબુદાણા 1 કપ
  • દહીં ½ કપ
  • લીલા મરચાં 2
  • આદુનો ટુકડો 1 ઈંચ કોથમીર ½ કપ
  • શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન
  • બાફેલાં બટેટાં 2
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 2 ટે.સ્પૂન

ચટણીઃ

  • કાકડી 2
  • લીલા મરચાં 2
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • કોથમીર 1 કપ
  • શીંગદાણા 1 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન

રીતઃ સાબુદાણાને એક પાણીએથી ધોઈને દહીં મેળવીને 1 કપ પાણી પણ મેળવી દો એને ઢાંકીને 3-4 કલાક માટે પલાળી રાખો.

તે દરમ્યાન ચટણી તૈયાર કરી લો. કાકાડીને ધોઈને છોલીને તેના ટુકડા કરીને મિક્સીમાં નાખો. ત્યારબાદ તેમાં શેકેલા શીંગદાણા છોલીને ઉમેરો. લીલા મરચાં તેમજ આદુના ટુકડા ઉમેરી, સમારેલી કોથમીર મેળવી દો. સિંધવ મીઠું સ્વાદ મુજબ તેમજ લીંબુનો રસ મેળવીને ચટણી બારીક પીસી લો.

સાબુદાણા પલળી જાય એટલે તેમાં શીંગદાણાનો અધકચરો ભૂકો કરીને મેળવો. કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, લીલા મરચાં, ખમણેલું આદુ તેમજ બટેટાને ખમણીને અથવા છૂંદો કરીને ઉમેરીને લીંબુનો રસ મેળવી લીધા બાદ આ મિશ્રણના નાના ગોળા કરી લો.

ગોળા તૈયાર થઈ જાય એટલે અપ્પે પેનના દરેક ખાનામાં તેલ લગાડીને ગેસ પર ગરમ કરવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. 1-2 મિનિટ બાદ પેન ગરમ થઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. પેનના દરેક ખાનામાં સાબુદાણાના વાળેલા ગોળા મૂકીને પેન ઢાંકીને 2 મિનિટ બાદ સાબુદાણાના દરેક ગોળા ફેરવીને ઉપર થોડું થોડું તેલ ચમચી વડે લગાડીને ફરીથી પેન ઢાંકીને 2 મિનિટ માટે થવા દો. સાબુદાણા અપ્પે સોનેરી રંગના શેકાય એટલે પેનમાંથી એક થાળીમાં અપ્પે કાઢી લો.

ગરમાગરમ અપ્પે ફરાળી લીલી ચટણી સાથે પીરસો.

૨૬ જુલાઈ ૨૦૨૫