Home Blog Page 2881

કર્ણાટક ચૂંટણીનાં પરિણામો આવતાં બ્રિજભૂષણ નથી રહ્યા WFIના અધ્યક્ષ

 નવી દિલ્હીઃ બ્રિજભૂષણ શરણ સિંહ 13 મે, 2023થી ટેક્નિકલ રૂપે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નથી રહ્યા. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને (IOA) 13એ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના બધા હાલના પદાધિકારીઓને તત્કાળ અસરથી ફેડરેશનના કોઈ પણ વહીવટી સમારોહમાં ભાગ લેવા અને આર્થિક કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. IOAના તાજા નિર્ણય જંતર-મંતર પર દેશના ટોચના રેસલરોના ધરણાંને ધ્યાનમાં રાખતાં મહત્ત્વનો માનવામાં આવે છે.

IOAએ આ સંબંધે એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં સ્પોર્ટ્સ મંત્રાલય 24 એપ્રિલ, 2023એ આદેશનો હવાલો આપવામાં આવ્યો હતો. IOAએ WFIથી બધા દસ્તાવેજ, ખાતાઓ અને વિદેશમાં થનારી અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે મોકલવામાં આવતી એન્ટ્રીનું લોગ ઇન, વેબસાઇટ સંચાલન તત્કાળ સોંપવા માટે કહ્યું હતું. સ્પોર્ટ્સ મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NULL And Void (કાયદાથી ગેરકાયદે) ઘોષિત કરી દીધું હતું.

સ્પોર્ટ્સ મંત્રાલયે IOAની હંગામી સમિતિએ ફેડરેશનની ચૂંટણી કરાવવા અને એના વહીવટની જવાબદારી પણ સોંપી હતી. IOAનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જે દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મળી, જ્યારે ભાજપની સત્તા ગઈ છે. આ પહેલાં 12 મેએ બ્રિજભૂષણ શરણ સિંહે દિલ્હી પોલીસની પાસે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેમણે ખુદને નિર્દોષ બતાવ્યા હતા. તેમની પર એક સગીર સહિત સાત પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.

 

 

 

 

 

UP નગર નિગમમાં ભાજપનો ડંકો, 17 નગર નિગમ, 166 નગર પંચાયતોમાં આગળ

લખનઉઃ ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમા ભાજપનો ડંકો વાગ્યો છે. નગર નિગમની 17 બેઠકોની સાથે નગરપાલિકા અને નગર પંચાયતની મોટા ભાગની બેઠકો ભાજપે જીતી લીધી છે અથવા તો આગળ ચાલી રહી છે. રાજ્યના 75 જિલ્લાઓમાં 760 નગર નિગમો માટે બે તબક્કામાં મતદાન થયું હતું, એમાં 17 નગર નિગમ, 199 નગરપાલિકા અને 544 નગર પંચાયત છે.

પહેલા તબક્કામાં રાજ્યના 37 જિલ્લાઓમાં અને બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં મતદાન થયું હતું. UP નગર નિગમ ચૂંટણીના પહેલા તબક્કામાં 37 જિલ્લાઓમાં 52 ટકા તો બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં 53 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ સહિત બધી રાજકીય પાર્ટીઓની શાખ દાવ પર લાગી હતી. UPની 17 નગર નિગમોમાં ભાજપની જીત થઈ છે. આ સિવાય નગર પાલિકાની 87 અને નગર પંચાયતની 166 બેઠકો પર આગળ છે. એમાં પણ કેટલીય સીટો જીતી ગઈ છે.

UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યએ નગર નિગમની ચૂંટણીમાં ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશ નગર નિગમ ચૂંટણી પરિણામમાં EVM દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. UPની બધી 17 નગર નિગમોમાં ચૂંટણી પરિણામ સાંજે ચાર કલાક સુધી આવવાની શક્યતા છે.અહેવાલ મુજબ નગર નિગમ ચૂંટણીની મત ગણતરી પહેલાં ચૂંટણી પંચે 44 નગર નિગમનાં ચૂંટણી પરિણામો જાહેર કર્યાં હતાં. આ સીટો પર એકલા ઉમેદવારોને કોઈ પણ વિરોધી તરફથી ટક્કર નહોતી મળી.

 

 

 

 

BSEમાં બિઝનેસ વધારવાનું, એકસચેંજને વધુ વાઇબ્રન્ટ બનાવવાનું લક્ષ્ય

મુંબઈઃ BSE ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં તેના ઘટી રહેલા બજાર હિસ્સાને રોકવા અને તેમાં વધારો કરવા આ ૧૫ મેથી સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સને નવા સ્વરૂપે લોન્ચ કરશે. સેન્સેક્સ અને બેન્ક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની લોટ સાઇઝ ઘટાડીને વધુ બજાર હિસ્સો અંકે કરવાનો વ્યૂહ BSEએ જાહેર કર્યો છે. આ અંગેની માહિતી આપતાં BSEના મેનેજિંગ ડિરેક્ટર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે આ કવાયતના ભાગરૂપે સેન્સેક્સ કોન્ટ્રેક્ટ્સની લોટ સાઇઝ પંદરથી ઘટાડીને દસની અને બેન્કેક્સની વીસથી ઘટાડીને પંદરની કરવામાં આવશે.

આ ફેરફારનો હેતુ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. આને પગલે સેન્સેક્સની કોન્ટ્રેક્ટ સાઇઝ રૂ. છ લાખની રહેશે, જ્યારે નિફ્ટીનો લોટ સાઇઝ અત્યારે રૂ. નવ લાખ છે. BSE પર ઈક્વિટી ફ્યુચર્સમાં કામકાજ કરવા માટેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસ NSEની તુલનાએ શૂન્ય છે, જ્યારે ઈક્વિટી ઓપ્શન્સમાં ચાર્જીસ 90 ટકા ઓછા છે.

એકસપાયરી દિવસમાં મહત્ત્વનો ફેરફાર

હેજિંગ અને ટ્રેડિંગની વિશેષ આવશ્યકતા ધરાવતા ટ્રેડર્સને આકર્શે એવી BSEની અન્ય એક વિશેષતા એ છે કે કોન્ટ્રેક્ટસની સમાપ્તિ ગુરુવારને બદલે શુક્રવારે થશે.  આ ઉપરાંત BSE કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. બદામ, સ્ટીલ અને અન્ય અનોખી કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ટેકનોલોજીની વિશેષતાનો લાભ

સુંદરરમણ રામમૂર્તિ (MD-CEO)

BSE પાસે મજબૂત, સ્થિર અને અતિ ઝડપી ટેકનોલોજી છે. તેની સિસ્ટમ એવી મજબૂત છે કે તે ગમે તેટલા મોટા વોલ્યુમને હેન્ડલ કરી શકે છે. પરિણામે તે નવાં પ્રોડક્ટ્સ ઝડપથી ઓફર કરી શકે છે, પ્રોડક્ટ્સમાં ઈનોવેશન કરી શકે છે અને તેને અનન્ય બનાવી શકે છે. એક્સચેન્જ એવાં એક્સક્લુઝિવ પ્રોડક્ટસ લોન્ચ કરશે, જેના થકી તે અન્ય અગ્રણી એક્સચેન્જથી આગળ વધી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.

ટીકસાઇઝ એક પૈસો

BSEએ પહેલી માર્ચથી રૂ.100થી ઓછી કિંમતની સ્ક્રિપ્સની ટિક સાઈઝ ઘટાડીને એક પૈસા કરી છે. આ અગાઉ રૂ.15થી ઓછો ભાવ હોય એવી સ્ક્રિપ્સ માટેની ટીક સાઈઝ એક પૈસો રાખવામાં આવી હતી. આ ફેરફારની અસર એ થઈ છે કે રૂ.100થી ઓછો ભાવ ધરાવતી સ્ક્રિપ્સનું ટર્નઓવર વધીને 14 ટકા થયું છે.

કરન્સી ઓપ્શન્સનો ખર્ચ ઓછો

કરન્સી ઓપ્શન સેગમેન્ટમાં BSEનો બજાર હિસ્સો ઘટી રહ્યો છે. કરન્સી ઓપ્શન સેગમેન્ટમાં આથી છઠ્ઠી માર્ચથી અમે કરન્સી ઓપ્શન્સ સેગમેન્ટમાં સ્ટ્રાઈક પ્રાઇસ વચ્ચેના ગાળાને ઘટાડીને 10 પૈસા કર્યો છે. આની ધારી અસર પણ થઈ છે. અમે સ્ટ્રાઈક પ્રાઈસ વચ્ચેના ફરકને ઘટાડીને 10 પૈસા કર્યો એટલે માર્ચ મહિનામાં યુએસ ડોલર અને રૂપી વચ્ચેના કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર 64 ટકા થયું છે. BSE પર કરન્સી સેગમેન્ટમાં કામકાજ કરવાનો ખર્ચ NSE કરતાં ઓછો આવે છે, એવું પણ તેમણે ઉમેર્યુ હતું.

 

 

 

 

 

કર્ણાટકમાં ભાજપના હારનાં છ મુખ્ય કારણો આ રહ્યાં…

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 224 વિધાનસભાનની મતગણતરી જારી છે. કોંગ્રેસ સત્તાધારી ભાજપને માત આપીને પૂર્ણ બહુમતની સાથે સત્તા મેળવતી નજરે ચઢી રહી છે.  જે પછી હાર અને જીતનાં કારણોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં ભાજપની હાર પાછળ મજબૂત ચહેરો ન હોવાનું રાજકીય સમીકરણ સાધવામાં નિષ્ફળતા જેવાં મોટાં કારણો જવાબદાર છે. કર્ણાટકમાં ભાજપની હાર માટે છ મુખ્ય કારણો જવાબદાર છે.

કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ મજબૂત ચહેરો ન હોવાનું પહેલું કારણ છે. મુખ્ય પ્રધાન  બોમ્મઈ કોઈ ખાસ અસર નહીં પાડી શક્યા, જ્યારે કોંગ્રેસની પાસે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્મઈને આગળ ચૂંટણી મેદાનમાં ઉતારવા ભાજપને મોંઘું પડ્યું હતું.

ભાજપની હાર પાછળ મહત્ત્વનું કારણ ભ્રષ્ટાચારનો મુદ્દો રહ્યો હતો. કોંગ્રેસે ભાજપની સામે પ્રારંભથી 40 ટકા પે-CM કરપ્શનનો એજન્ડા સેટ કર્યો હતો અને એ ધીમે-ધીમે મોટો મુદ્દો બની ગયો હતો. કરપ્શનને મુદ્દે એસ ઇશ્વરપ્પાને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એક ભાજપના વિધાનસભ્યને જેલ પણ જવું પડ્યું હતું.

 ભાજપ તેની મત બેન્ક લિંગાયત સમુદાયને ના જોડે રાખી શકી અને ના દલિત, આદિવાસી, ઓબીસી અને વોક્કાલિંગા સમુદાયનું દિલ જીતી શકી, જ્યારે કોંગ્રેસે મુસ્લિમોથી માંડીને દલિત અને ઓબીસીને મજબૂતી જોડ્યા હતા. કર્ણાટકમાં એક વર્ષથી ભાજપના નેતા હલાલા, હિજાબથી માંડીને અજાન સુધીના મુદ્દા ઉઠાવતા રહ્યા. એવામાં ચૂંટણીમાં બજરંગ બલીનો પ્રવેશ થયો, પણ ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસ ભાજપને કામ ના આવ્યો.કર્ણાટકમાં ભાજપને ઊભો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાને આ વખતે ચૂંટણીમાં સાઇડ લાઇન રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટાર અને ભૂતપૂર્વ ડેપ્યુટી CM લક્ષ્મણ સાવદીની ભાજપે ટિકિટ કાપી હતી. જેને નજર અંદાજ કરવું ભાજપને મોંઘું પડ્યું હતું.

આ સાથે કર્ણાટકમાં ભાજપની હારનું મોટું કારણ સત્તાવિરોધી લહેર પણ છે, જેને ખાળવામાં ભાજપ નિષ્ફળ રહી હતી.

 

 

 

કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મુકાશેઃ કોંગ્રેસના સાંસદ

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી જારી છે. કોંગ્રેસ બહુમત આગળ છે, જેમાં કોંગ્રેસ 119, ભાજપ 72 અને જેડીએસ 26 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું હતું કે અમે ચૂંટણી જીત્યા છે તો બજંરગ દળ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ અસર કોંગ્રેસની ભારત જોડો યાત્રાની છે.કર્ણાટકની જનતાએ નફરતના રાજકારણને નકારી કાઢ્યું છે. બજરંગ બલીના આશીર્વાદ અમને મળ્યા છે. બધા સૂફી સંતોના આશીર્વાદ અમને મળ્યા છે.

કર્ણાટક કોંગ્રેસે બેંગલુરુની ફાઇવસ્ટાર હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરી દીધા છે. જીતેલા તમામ વિધાનસભ્યોને રાત્રે આઠ કલાક સુધીમાં હોટેલમાં પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. આવતી કાલે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક થશે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પછી છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં વડા પ્રધાન મોદીને આગળ રાખીને મત માગ્યા હતા. આ મોદીની હાર છે. બજરંગ બલીની ગદા ભ્રષ્ટાચારીઓના શિરે પડી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમ્યાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો, આજે એ કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

UPA ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓએ શાનદાર કેમ્પેન કર્યું. કર્ણાટકે સાંપ્રદાયિક રાજકારણને નકારીને વિકાસનું રાજકારણ પસંદ કર્યું છે. આવનારી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ એનું પુનરાવૃત્તિ થશે.

 

 

 

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસને બજરંગબલીના આશીર્વાદ, ભાજપ 80થી નીચે

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બાજી કયો રાજકીય પક્ષ મારશે એ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જોકે મતગણતરી જારી છે બધી 22 સીટો પર વલણોમાં કોંગ્રેસને બહુમત  મળી ગયું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ 117, ભાજપ 71 અને JDS 30 સીટો પર આગળ ચાલી રહી છે. દિલ્હી ને કર્ણાટક સહિત દેશભરની કોંગ્રેસ ઓફિસોમાં ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની 224 સીટો પર 10 મેએ મતદાન થયું છે. આ વખતે 73.19 ટકા મતદાન થયું છે, જે 2018ની ચૂંટણીથી એક ટકા ઓછું છે. એક્ઝિટ પોલની વાત કરીએ તો ચારમાં કોંગ્રેસને બહુમત આપ્યો હતો. એક સર્વેમાં ભાજપને બહુમત દર્શાવ્યો હતો અને છ સર્વેએ ત્રિશુંકુ વિધાનસભાનો દાવો કર્યો હતો. જોકે વલણોમાં કોંગ્રેસને કર્ણાટકની કિંગ બનતી દેખાઈ રહી છે. ભાજપ અને JDS ઘણા પાછળ ચાલી રહ્યા છે.  

શિગ્ગાંવ વિધાનસભા સીટ પર મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ આગળ ચાલી રહ્યા છે. બોમ્મબઈને અત્યાર સુધી 31સ,445 મત મળી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 15,379 મત હાંસલ થયા છે. જ્યારે કોંગ્રેસના નેડા ડીકે શિવકુમાર કનકપુરાથી જીત મળી છે. આ ઉપરાંત સિદ્ધારમૈયા પણ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે ચિત્તાપુર બેઠક પરથી આગળ છે.

કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડ સેન્ટ્રલ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોએ ઉજવણી કરી હતી.

 

 

 

૧૩ મે, ૨૦૨૩

૧૩ મે, ૨૦૨૩

ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા શું કરવું?

કાતે કાન્તા ધનગતચિન્તા

વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા ।

ત્રિજગતિ સજ્જનસંગતિરેકા

ભવતિ ભવાર્ણવતરણે નૌકા ।।13।।

(રે મૂર્ખ માણસ! સ્ત્રી અને ધન (કંચન અને કામિની)ના જ વિચારોમાં શું કામ ખોવાયેલો રહે છે? શું તને માર્ગ ચીંધવાવાળું કોઈ નથી? ત્રણે લોકમાં સત્સંગ જ એક એવી વસ્તુ છે જે સંસારસાગરમાંથી તને પાર ઉતારી શકે છે. જલદીથી સત્સંગની નૌકામાં બેસી જા.)

ભજ ગોવિંદમનો 13મો શ્લોક સારા માણસોનો સંગાથ કરવાનો અને સારા વિચારો કરવાનો બોધ આપે છે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની મારી કારકિર્દીમાં મેં ઘણાય લોકો જોયા છે, જેઓ સતત સંપત્તિના વિચારો કર્યે રાખે છે અને તેની ચિંતા તેમને કોરી ખાતી હોય છે. તેથી તેમનો સ્વભાવ ચિડિયો થઈ ગયો હોય છે અને તેમને વિષાદનો અનુભવ થતો હોય છે.

અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રેન્કલિને સાચું જ કહ્યું છેઃ પૈસા જ બધું કરશે એવું માનનાર વ્યક્તિ પૈસા મેળવવા માટે બધું કરી છૂટશે એવું માની શકાય.

શાસ્ત્રોમાં વારંવાર એવું વાંચવામાં આવ્યું છે કે ધન કમાવામાં કંઈ ખોટું નથી, પરંતુ સતત તેના જ વિચારો કર્યે રાખવાથી સમસ્યા સર્જાય છે.

રામકૃષ્ણ મિશનના એક સાધુએ પણ સાચું જ કહ્યું હતું: પૈસા ખિસામાં હોય ત્યાં સુધી કોઈ તકલીફ હોતી નથી, મગજમાં હોય ત્યારે જ સમસ્યા સર્જાય છે.

જો શાસ્ત્રોએ ધનને ખરાબ માન્યું હોત તો તેમણે ક્યારેય તેને દેવી લક્ષ્મીની ઉપમા આપી ન હોત. તેને રાક્ષસ સાથે સરખાવ્યું હોત. આપણાં શાસ્ત્રોમાં ધનસંપત્તિને લક્ષ્મી દેવી ગણવા ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ઉમદા માણસોએ ધન એકઠું કરવું અને તેનો ઉપયોગ મનુષ્યજાતિના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કરવો, અન્યથા દુષ્ટો એ ધન પર કબજો કરીને તેનો ઉપયોગ મનુષ્યજાતિના વિધ્વંસ માટે કરશે.

આપણે પૈસાના જ વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ એ કેવી રીતે ખબર પડે? જ્યારે આપણે સતત સંપત્તિની ગણતરી કરતાં રહીએ અને અન્યોની સંપત્તિ સાથે તુલના કરતાં રહીએ ત્યારે જ સમજવું કે અતિરેક થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિ જાણતા કે અજાણતા થતી હોય એ શક્ય છે.

ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા માટે સત્સંગ કરવો જરૂરી છે. ભજગોવિંદમમાં આ વાત કરવામાં આવી છે. આપણે ‘સત્સંગ’ શબ્દનો ભાવાર્થ સમજવો પણ જરૂરી છે.

સત્સંગ એટલે ફક્ત પ્રવચનોમાં જવું એ નહીં. સત્સંગ એટલે સારા માણસોનો સંગાથ. જે વ્યક્તિઓ ધીર-ગંભીર હોય, ચિંતામુક્ત રહેતી હોય, ઈર્ષ્યાળુ ન હોય, ઘમંડી ન હોય તથા અસલામતીની લાગણીથી પિડાતી ન હોય એ વ્યક્તિનો સંગ કરવો. ફક્ત ધાર્મિક કે આધ્યાત્મિક વ્યાખ્યાનોનાં વિડિયો અને ઑડિયો સાંભળવામાત્રથી સત્સંગ થઈ જતો નથી. આપણે જેમનો સંગાથ કર્યો હોય એ લોકો સારાં કર્મો કરતા હોય ત્યારે સત્સંગ થયો કહેવાય. તેઓ મન, વચન, કર્મથી પવિત્ર હોય છે.

મેં એક દિવસ બહુ જ સરસ વાર્તા વાંચી હતી.

એક વૃદ્ધ માણસ ઘણો જ ભૂખ્યો હતો. આખા દિવસમાં તેને કંઈ ખાવાનું મળ્યું ન હતું. મોડી સાંજે તેને નબળાઈ લાગવા માંડી. આથી એ મંદિરે ગયો અને અન્ન માટે ભીખ માગવા લાગ્યો, પણ કોઈએ એને કંઈ આપ્યું નહીં. ત્યાર પછી એ ધાર્મિક પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં ગયો. ઘણા ધનિકો એ જગ્યાએ પ્રવચન સાંભળવા જઈ રહ્યા હતા, પરંતુ કોઈએ આ ઘરડા માણસ પર ધ્યાન આપ્યું નહીં. થાકેલા, કંટાળેલા અને ભૂખ્યા વૃદ્ધે ફરી ઝૂંપડી તરફ જવા માંડ્યું. ભૂખ્યો હોવાથી એ માણસ ચાલી શકતો ન હતો. ત્યાં જ એક ક્લબમાંથી યુવાન યુગલ બહાર આવી રહ્યું હતું. તેઓ પાર્ટીમાં મહાલીને બહાર આવી રહ્યાં હતાં. તેમાંની મહિલાએ તેના મિત્રને આ વૃદ્ધ તરફ આંગળી ચીંધી. તેમણે નજીકની દુકાનમાંથી બ્રેડ લાવીને આપ્યા. એ માણસે ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું, હે પ્રભુ, તું તારું સાચું સરનામું કેમ આપતો નથી?

ચિંતા, ઈર્ષ્યા, ઘમંડ અને નકારાત્મકતાથી મુક્ત હોય એવા સારા માણસોની સાથે રહીને આપણને પણ સારું લાગતું હોય છે. આપણે મનથી સલામતી અનુભવતા હોઈએ તો અંતરાત્મા પર એકચિત્ત રહી શકીએ છીએ અને તેનાથી પ્રસન્નતા અનુભવાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તમામ ઉમેદવારોના ખર્ચનું ADRનું વિશ્લેષણ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ADR દ્વારા તમામ ઉમેદવારોના ખર્ચનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એ આધારે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કયા ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો છે તેની માહિતી આપવામાં આવી છે. આવો જોઈએ ચૂંટેલા ઉમેદવારે ચૂંટણી પાછળ કેટલા નાણાંનો ખર્ચ કર્યો છે?

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ADRએ વિશ્લેષણ કરતો એક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં  ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ MLA એ ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે. નિઝર બેઠકના જયરામ ગામીતે ચૂંટણી જીતવા માટે 38 લાખ ખર્ચ્યા છે જ્યારે કલોલ બેઠકના લક્ષ્મણજી પુંજાજી ઠાકોરે 37 લાખનો ખર્ચ કર્યો જ્યારે ધોળકા બેઠકના MLA કિરીટસિંહ ડાભીએ 36 લાખનો ખર્ચ કર્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા રૂ. છ લાખ, કોંગ્રેસના અમિત ચાવડાએ રૂ. નવ લાખ અને AAPના MLA  ઉમેશભાઈ મકવાણાએ ચૂંટણી જીતવા બોટાદની બેઠકમાં રૂ. નવ લાખ ઓછો ખર્ચ કર્યો હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું છે.

લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 78 પ્રમાણે ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના એક મહિનામાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવાની હોય છે. નિયમો અનુસાર ગુજરાતમા વિધાનસભાના ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકે છે. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર એટલે કે વર્તમાન ધારાસભ્યો દ્વારા કરાયેલી ચૂંટણી ખર્ચનું વિશ્લેષણ એસોસિયેએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યની વિધાનસભાની કુલ 182 ધારાસભ્યોમાંથી 174 ટકા ધારાસભ્યોએ ચૂંટણીમાં ખર્ચ કર્યો હતો. આઠ ધારાસભ્યોએ કહ્યું હતું કે તેમણે પોતાના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. કુલ 182 ધારાસભ્યોમાંથી 23 ટકા ધારાસભ્યોએ 50 ટકાથી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે. રાજ્યના ધારાસભ્યોનો ચૂંટણીનો સરેરાશ ખર્ચ રૂ. 27.10 લાખ થાય છે, એમાં ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ રૂ. 27.94 લાખ થયો હતો, જ્યારે કોંગ્રેસે સરેરાશ રૂ. 24.92 લાખ, આપ પક્ષે રૂ. 15.63 લાખ, SPના ધારાસભ્યનો સરેરાશ ખર્ચ રૂ. 6.87 લાખનો ખર્ચ, જ્યારે ત્રણ અપક્ષનો ચૂંટણી ખર્ચ રૂ. 21.59 લાખ દર્શાવ્યો છે.

ADRએ નોંધ્યું છે કે ચૂંટણી વખતે થતી રેલીઓ, સભાઓ, પ્રચાર-પ્રસાર અને અન્ય રીતે જે ખર્ચ કરવામાં આવે છે, તે અને ધારાસભ્યોએ દર્શાવેલા ખર્ચમાં મોટો તફાવત છે. પરંતુ ચૂંટણીમાં ઉમેદવારોના પક્ષ દ્વારા થતી જનરલ ખર્ચની વિગત આપવાની થતી ન હોવાથી સાચો ખર્ચ જાણી શકાતો નથી.

 

 

 

 

શું ઘરનો દરવાજો દક્ષિણમાં હોય તો ખરાબ પરિણામ આવે?

માણસ જયારે અકુદરતી જીવન કે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની વાત કરે ત્યારે તે હાસ્યાસ્પદ લાગે છે. માણસનું જીવન જ અકુદરતી છે. અને એ ઘણું બધું એવું કરે છે જે સૃષ્ટી વિરુદ્ધ નું છે. વિશ્વના કેટલા જીવ કપડા પહેરે છે? કેટલા જીવ રાંધેલું ખાય છે? કેટલા જીવ બહુમાળી મકાનોમાં રહે છે? કેટલા જીવ વાહનો વાપરે છે? કેટલા જીવ પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપે છે? કેટલા જીવ મશીન વાપરે છે? કેટલા જીવ હથિયાર વાપરે છે? આવા અસંખ્ય સવાલો નો જવાબ માત્ર એકજ આવે અને તે છે માત્ર માણસ. એટલે કે પૃથ્વી પરના અન્ય જીવો કરતા માણસ અલગ જીવન જીવે છે. અન્ય જીવો સૃષ્ટી સાથે સંતુલન સાધીને જીવે છે. અને માણસ તો શાંતિની વાટાઘાટ કરવામાં પણ યુદ્ધ સુધી પહોંચી શકે છે. ટૂંકમાં માણસનું જીવન સૃષ્ટી સાથે સંતુલન ધરાવવાની માનસિકતા સાથે જોડાયેલું નથી. ભારતના વૈદિક સમયમાં માણસ આવું જીવન જીવતો હતો. શું એ પરમ્પરા ને ફરી જાગૃત ન કરી શકાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સ: મારા ઘરનો દરવાજો દક્ષિણમાં છે. અમને કોઈએ કહ્યું કે એના બહુ ખરાબ પરિણામો આવે. પછી ખુબ ડર લાગે છે. ઉપાય જણાવશો.

જ: તમે કોઈના કહેવાથી ડરવા લાગ્યા એ તો ખુબ ખરાબ કહેવાય. વળી જેમણે એ સુચન આપ્યું એ વ્યક્તિને વાસ્તુની સાચી જાણકારી હતી? તમે બીમાર પડો તો કોઈ પણ વ્યક્તિ પાસે ઓપરેશન કરાવશો? કે સાચા નિષ્ણાત પાસે જશો? જે વિષય જીવનના બધાજ સુખ સાથે જોડાયેલો હોય એમાં કોઈ પણ વ્યક્તિની સલાહ કેવી રીતે માની લેવાય?

દક્ષિણ દિશા વિષે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. અને જેમને વસ્તુ વિષે સાચી સમજણ નથી એ લોકો ડરાવવાનું કામ કરે છે. આ અત્યંત દુખદ બાબત છે. ભારતીય શાસ્ત્રોની રચના પાછળ હજારો વરસો લાગ્યા. અને ચાર પાંચ નિયમોથી એને સમજવાની વાત એ અજ્ઞાન અને અંધશ્રદ્ધા છે. ભારતીય વાસ્તુમાં ગણિતનું ખુબ જ મહત્વ છે. અને જો સાચા નિયમોને સમજીએ તો દરેક મુખ્ય દિશા, એટલે કે ઉત્તર, દક્ષીણ, પૂર્વ, પશ્ચિમ માં એક એક દ્વાર તો સારું છે જ. એટલે કે કોઈ પણ દિશા સંપૂર્ણ ખરાબ નથી. અને કોઈ પણ દિશા સંપૂર્ણ સારી પણ નથી.

બની શકે કે તમારા ઘરનું દ્વાર એ દક્ષિણનું સારું દ્વાર હોય. કોઈ નિષ્ણાત ની સલાહ વિના આવી વાતો પર વિશ્વાસ ન કરવાની સલાહ છે. તમે આ સવાલ પૂછી અને તમાર જેવા ઘણા બધાને પણ મદદ કરી છે. એ લોકો પણ ખોટા ભય માંથી બહાર આવી જશે.

સ: મને અલગ અલગ રીલ જોઇને બધું શીખવાનો શોખ છે. મેં એમાંથી ઘણું જ્ઞાન મેળવ્યું છે. પણ વાસ્તુની રીલ્સ જોઇને મુન્જવણ થાય છે. એક રીલમાં કહે છે કે ચંપાનું ઝાડ વાવવું જોઈએ. તો બીજીમાં કહે છે કે ચંપાના ઝાડ થી તકલીફો આવે. ત્રીજામાં કહે છે કે ચંપો ન જ વવાય. તો ચોથામાં એને શુભ કહે છે. આનો અર્થ તો એવો જ થાય ને કે હાથે કરીને દુખી થાવ? કશું જ સમજાતું નથી. તમે જ્ઞાનના ભંડાર છો. સાચી સલાહ આપો.

જ: રીલ્સ મનોરંજન માટે જુઓ તે બરાબર છે. પણ જ્ઞાન માટે એ ન ચાલે. વરસોની સાધના એક બે મીનીટમાં સમજાવી શકાય? તમારા અનુભવ પછી તમને સમજાયું હશે કે રીલ્સ બનાવવા માટે કોઈ અભ્યાસ કે રિસર્ચની જરૂર નથી પડતી. બસ સામે વાળાને મજા આવે એવું બોલી શકાય.

ચંપાનું ઝાડ આંગણામાં ન વવાય. સોસાયટીમાં પણ ન વવાય. પણ પબ્લિક ગાર્ડનમાં વાવી શકાય.

સુચન: સપ્તપરણી નું ઝાડ ઘરથી નજીક ન વવાય. એનાથી શ્વાસના રોગ થવાની સંભાવના વધે છે.

આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com