Home Blog Page 2668

પંચાંગ 25/07/2023

જૂનાગઢ: જર્જરિત મકાન ધરાશાયી થતા 4 લોકોના મોત, સરકારે કરી સહાયની જાહેરાત

જૂનાગઢ શહેરમાં દાતાર રોડ ઉપર આવેલ કડીયાવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઇ હતી. જોત જોતામાં આ સ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. આ જર્જરિત મકાન પડતાં 10 લોકો તેમાં દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે, હવે તેમાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, અત્યાર સુધી તે દૂર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે.  આ ધરાશયી થયેલી બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા લોકોને સ્થાનિકો તેમજ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે જર્જરિત મકાન ધરાશાયી થયાની દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કરી તાત્કાલીક સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય સરકાર દ્વારા ચુકવવામા આવશે.

 

બનાવ બનતાની સાથે ફાયર વિભાગ ઘટનાસ્થળે:

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથધરી, કાટમાળ હટાવવાની તજવીજ શરૂ કરી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને બચાવ કાર્યમાં જોડાયા હતા.


પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે:

આ ઘટના અંગે દાતાર પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતાં કાટમાળ નીચે દટાયેલા લોકોને કાઢવા કવાયત હાથ ધરનામાં આવી હતી. આ કાટમાળ નીચે હાલ અનેક લોકો દટાયા હોવાનો અહેવાલ મળી રહ્યા છે.


નગરપાલિકાની નોટિસ અવગણતાં 4 લોકોએ ગુમાવી જિંદગી:

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન ઘણુ જૂનું હતું. મહાનગરપાલિકાએ મકાનમાં રહેતા લોકોને નોટિસ પણ ફટકારી હતી. શનિવારે શહેરમાં આવેલા પૂરને કારણે તેનો પાયો નબળો પડી ગયો હતો, જેને કારણે આજે મકાન ધરાશાયી થયુ હતુ.

સંસદમાં હંગામો, સરકારે હવે ગૃહ ચલાવવા માટે તૈયાર કર્યો નવો પ્લાન, વિપક્ષે પણ બોલાવી બેઠક

મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ ચાલુ છે. હંગામાને કારણે કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ સંસદની કાર્યવાહી દરરોજ સ્થગિત થઈ જાય છે. હંગામાનું કારણ મણિપુરનો મુદ્દો છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં કહ્યું કે સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે. આ મામલાને લઈને બંને પક્ષોનો એકબીજા પર એક જ આરોપ છે કે તેઓ ગૃહની કાર્યવાહી આગળ વધવા દેતા નથી. આવી સ્થિતિમાં હવે બંને પક્ષ પોતપોતાની રણનીતિ પર કામ કરી રહ્યા છે.

 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંધોપાધ્યાય અને ડીએમકેના ટીઆર બાલુ સાથે ટોચના વિપક્ષી નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી. તે જ સમયે, પીએમ મોદીએ આ મુદ્દાને લઈને કેટલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક પણ કરી છે.

‘પીએમ નહીં, ગૃહમંત્રી જ જવાબ આપશે’

અમિત શાહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સાથે મળીને સ્પષ્ટ કર્યું કે સરકાર મણિપુરની ઘટના પર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ આ મામલે પીએમના નિવેદન પર અડગ છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાને પહેલા આ મુદ્દે નિવેદન આપવું જોઈએ, પછી ચર્ચા શરૂ કરીશું. તો આના પર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મણિપુર પર માત્ર ગૃહમંત્રી અમિત શાહ જ બોલશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં અગાઉ પણ ભયાનક હિંસા થઈ ચૂકી છે. વર્ષ 1993 અને 1997માં થયેલી હિંસા પર સંસદમાં એકવાર પણ ચર્ચા થઈ ન હતી અને એક વખત પણ ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.

વિપક્ષની ચૂંટણી મજબૂરી

 

સરકારનું માનવું છે કે તે સમયે કોઈ ગૃહમંત્રીએ રાજ્યની મુલાકાત પણ લીધી ન હતી અને સંસદમાં ચર્ચા દરમિયાન વડાપ્રધાને હસ્તક્ષેપ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર સંસદમાં તેના જવાબને માત્ર મણિપુર સુધી મર્યાદિત રાખશે, વિપક્ષી રાજ્યોમાં હિંસાનો કોઈ ઉલ્લેખ નહીં હોય. સરકારને એવું પણ લાગે છે કે વિપક્ષ તેની માંગથી પાછળ નહીં હટે. તેની પાછળ વિપક્ષની ચૂંટણી મજબૂરી છે.

 

ચોમાસુ સત્ર ખાલી નહીં જાય

આ હંગામાની વચ્ચે સરકાર પણ માને છે કે તેઓ આ ચોમાસુ સત્ર હંગામાને કારણે ખાલી નહીં જવા દે. સરકાર હવે તેના કાયદાકીય કામકાજ પતાવવાનો આગ્રહ રાખશે. સૂત્રોનું માનીએ તો હોબાળા વચ્ચે જો બિલ પાસ કરવું પડશે તો તે પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મણિપુરમાં સ્થિતિ હજુ પણ કાબુમાં છે. છેલ્લા પંદર દિવસમાં હિંસામાં કોઈનું મોત થયું નથી.

આ સિવાય વિપક્ષે પણ આ મુદ્દે રણનીતિ બનાવી છે. મંગળવારે સંસદમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા ભારત ગઠબંધન સાથે જોડાયેલા સાંસદ મલ્લિકાર્જુન ખડગેને મળશે. આ દરમિયાન વિપક્ષી નેતાઓ તેમની આગામી રણનીતિ પર ચર્ચા કરશે. વિપક્ષ પીએમ મોદીના નિવેદનની માંગ પર સતત અડીખમ છે. આવી સ્થિતિમાં હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે પીએમ નિવેદન નહીં આપે. તો હવે વિપક્ષી પાર્ટીઓ આગળ શું પગલું ભરે છે તે જોવું રસપ્રદ રહેશે. મંગળવારે મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજાનારી આ બેઠકમાં AAP સાંસદ સંજય સિંહના સસ્પેન્શન પર પણ ચર્ચા થવાની છે.

સંજય સિંહને સસ્પેન્ડ કર્યા છે

સોમવારે રાજ્યસભામાં મણિપુરના મુદ્દા પર ભારે હોબાળો થયો હતો અને AAP સાંસદ સંજય સિંહને સમગ્ર સત્ર માટે ગૃહમાંથી સ્થગિત કરવામાં આવ્યા હતા. આ પછી સંજય સિંહ સંસદમાં ગાંધી પ્રતિમા સામે ધરણા પર બેસી ગયા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ટ્વિટર પર સંજય સિંહના સસ્પેન્શનનો સખત વિરોધ વ્યક્ત કરતા લખ્યું. તેણે કહ્યું, હું જાણવા માંગુ છું કે તેણે કયો ગુનો કર્યો છે જેના માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શું ચર્ચાની માંગ કરવી ગુનો છે, શું મણિપુરના લોકોનો અવાજ ઉઠાવવો ગુનો છે. જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાન સુધી મણિપુરની દીકરીઓની બૂમો પહોંચાડવી ગુનો છે તો માત્ર સંજય સિંહને જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષને સસ્પેન્ડ કરો. જણાવી દઈએ કે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ​​ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી છે.

અમિત શાહે આજે પણ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું

મહત્વપૂર્ણ છે કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આજે લોકસભામાં કહ્યું હતું કે અમે મણિપુર મુદ્દા પર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેઓ લોકસભામાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા આતુર છે અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શા માટે વિપક્ષ તેના માટે તૈયાર નથી. લોકસભામાં સંક્ષિપ્તમાં બોલતા તેમણે વિપક્ષી નેતાઓને ચર્ચાની મંજૂરી આપવા વિનંતી કરી અને કહ્યું કે મણિપુર મુદ્દે દેશ સમક્ષ સત્ય લાવવું જરૂરી છે.

આંખ આવવાની બિમારીએ હાહાકાર મચાવ્યો, જાણો કેમ આટલી જલ્દી ફેલાઈ રહી છે આ બિમારી

સમગ્ર રાજ્યમાં આંખ આવવાની બિમારીએ ઉપાડો લીધો છે, હવે તો જ્યાં જોવો ત્યાં આંખના જ દર્દીઓ દેખાઈ રહ્યાં છે. છેલ્લા પંદર દિવસથી આંખ આવવાની બિમારી એટલે કે કન્જકટીવાઈટિસના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તમને એમ થતું હશે કે કેમ આમ અચાનક આ બિમારી આવી ચડી છે, તો ચાલો તેના વિશે જાણીએ.

આંખના વધતા જતા કેસોએ લોકોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ત્યારે આંખ આવવાનું કારણ ડૉક્ટરોના જણાવ્યા મુજબ ભેજ જ છે. તેમનું કહેવું છે કે વધારે પડતા ભેજના કારણે જ આ ચેપ અત્યારે વધારે ફેલાઈ રહ્યો છે. આ ચેપ આમતો દર વર્ષે ચોમાસાની ઋતુમાં આવતો જ હોય છે, પરંતુ આ વર્ષે હવામાં વધારે પડતા ભેજના કારણે ચેપ જલ્દી ફેલાઈ રહ્યો છે. બેક્ટરિયા અને વાયરસ આ ભેજમાં સરળતાથી ફેલાતો હોવાથી કેસો વધી રહ્યા છે.

શું સાવચેતી રાખી શકાય?

  • સ્વચ્છતા જાળવો, જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે ચશ્મા પહેરો.
  • તમારો ટુવાલ અને કપડાં કોઈની સાથે શેર કરશો નહીં.
  • ચેપગ્રસ્ત લોકોને શાળા, કોલેજ કે ઓફિસમાંથી રજા લેવા વિનંતી કરો.

આંખ આવે ત્યારે શું કરવું?

  • આંખોને દિવસમાં બે વાર ઠંડા પાણીથી ધોઈ લો.
  • આંખોના નિષ્ણાત દ્વારા કહેવામાં આવેલાં જ ટીપા નાખો.
  • મેડિકલ સ્ટોર્સ દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ ન લેશો.
  • કારણ કે મોટા ભાગની દુકાનોમાં સ્ટેરોઈડ વાળી દવાઓ આપવામાં આવી રહી છે, જેના કારણે સમસ્યા વધશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

આંખોનો ચેપ કેટલા દિવસ સુધી રહે છે?

  • આંખનો ચેપ અત્યારે ખાસ કરીને 3 થી 5 દિવસ સુધી રહે છે. જો કે, ચેપ બીજી આંખમાં પણ થાય તો સાજા થવામાં વધુ દિવસો લાગી શકે છે.
  • જ્યારે આંખનો ચેપ તમને લાગે છે ત્યારે તમારુ આખુ ઘર આ ચેપથી સંક્રમિક થઈ જતુ હોય છે, ત્યારે તમારે ખાસ ટુવાલ, ઓંશીકા, વોશ બેસિન વગેરે સ્વચ્છ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

ગુજરાતી માધ્યમની લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલે ઉજવ્યો ૯૦મો સ્થાપનાદિન

મુંબઈઃ અહીં દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલી લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ અને કોલેજ ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં તેના ૯૦મા “સ્થાપના દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા માટે આ સ્થાપના દિવસ મોટા ઉત્સવનો પ્રસંગ હતો. કારણકે સંસ્થાએ આ વર્ષે ગૌરવપૂર્ણ  ૯૦ વર્ષ પૂર્ણ કર્યા છે.

દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારની લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ અને કોલેજ ઓફ કોમર્સ

સંસ્થાનો પ્રારંભ ઈ.સ. ૧૯૩૩માં શેઠ લાલજી દયાળના પુત્રી લીલાવતીબાઈની સ્મૃતિમાં કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં કબુબાઈનાં નામે ઓળખાતી આ સંસ્થાએ પછીથી લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલનાં નામે સમગ્ર મુંબઈમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પ્રાઈમરીથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ડિગ્રી કૉલેજ સુધીનો કોમર્સ વિભાગ સફળ રીતે ચાલે છે. ૧૫૦૦ યુવાશક્તિ આજે આ સંસ્થાની તાકાત છે.

ઉજવણીનાં પ્રારંભે અધ્યક્ષ કિર્તીકુમાર કે. દયાળ, એડમિનિસ્ટ્રેશન હેડ પ્રિયંકા પંચાલ, પ્રિન્સીપાલ જયપ્રકાશ મૌર્ય દ્વારા  ગાયત્રી હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાનાં તમામ વિભાગો દ્વારા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાઓને માનનીય અતિથિ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સામાજિક પ્રવૃત્તિનાં ભાગરૂપે જુનિયર કૉલેજ અને ડિગ્રી કૉલેજના વિદ્યાર્થીઓએ નજીકના વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.

સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, યોગ, ધ્યાન સત્ર, ઈનામ વિતરણ અને ભેટરૂપે અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉજવણી નિમિત્તે હવનઃ કીર્તિકુમાર કે. દયાલ (ચેરમેન) અને એમના પત્ની વીણા કીર્તિકુમાર, ધીરેન એસ. સંપત (ટ્રસ્ટી) અને એમના પત્ની નિધિ ધીરેન સંપત, પ્રિયંકા પંચાલ (એડમિનિસ્ટ્રેટર) અને એમનાં પતિ પ્રકાશ પંચાલ)

આજે આ સંસ્થા ગુજરાતી માધ્યમ માટે મફત શિક્ષણ સેવાયજ્ઞ ચલાવે છે. ધોરણ ૫ થી ૧૦નાં વિદ્યાર્થીઓને ગણવેશ, મધ્યાહન ભોજન અને અભ્યાસની સામગ્રી પૂરી પાડીને તેમના શિક્ષણની સંપૂર્ણ કાળજી લે છે.

લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ એન્ડ કોલેજ ઓફ કોમર્સને ગુજરાતી માઈનોરિટીનો દરજ્જો

દક્ષિણ મુંબઈમાં આવેલી ગુજરાતીભાષી 90 વર્ષ જૂની લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ એન્ડ કોલેજ ઓફ કોમર્સને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા ગુજરાતી માઈનોરીટી સ્ટેટસ આપવામાં આવ્યું છે. દક્ષિણ મુંબઈમાં વસતા ગુજરાતી સમાજના વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન લેવું સરળ બનશે. દક્ષિણ મુંબઈમાં આ એક જ ગુજરાતી માઈનોરીટી કોલેજ બનશે. આ સંસ્થામાં 1500થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે એ ગૌરવ લેવા જેવી વાત છે ગુજરાતીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે.

આનંદદાયક સમાચાર

ગુજરાતી સમાજ માટે ગૌરવ લેવા જેવા ખુશખબર છે કે લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ એન્ડ કોલેજ ઓફ કોમર્સને ગુજરાતી ભાષાની માઈનોરીટીનું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સંસ્થા જૂની અને પ્રખ્યાત છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતાના શિખર સર કર્યા છે. આ માટે શિક્ષકો, ટ્રસ્ટીસાહેબો, અને અન્યોનો અમૂલ્ય ફાળો છે.

સમાજના બાળકોને અમારી મહાવિદ્યાલયમાં દાખલો લેવાનો સરળ બને એવી આ સૌપ્રથમ સંસ્થા બની છે. બીકોમ, બી.એ.એફ. (BAF) અને બી.એમ.એસ.(BMS) જેવી શાખા પણ ધરાવે છે. આ સંસ્થામાં 1500થી વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. પણ ગુજરાતી ભાષી વિદ્યાર્થીઓ માટે 50% જગ્યા આરક્ષિત છે તેનો લાભ લેવા ‘વહેલા તે પહેલા’ ધોરણે આ મહાવિદ્યાલયનો સંપર્ક કરે, આ સંસ્થા એ પરિવાર રૂપ છે તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.

આઇસી15 ઇન્ડેક્સમાં 788 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિશન આ સપ્તાહે વ્યાજદર સંબંધિત નિર્ણય લેવાનું હોવાથી સાવચેતીની સ્થિતિમાં અને વેચવાલીના દબાણને લીઘે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટક કોઇનમાંથી ડોઝકોઇનને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન એક્સઆરપી, ચેઇનલિંક, સોલાના અને પોલકાડોટ હતા, જેમાં ચારથી છ ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ રિઝર્વે સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) સંબંધે કામકાજ શરૂ કર્યું છે. સીબીડીસી વિકસાવવા માટે ક્રીપ્ટો આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ સેન્ટ્રલ બેન્ક ઓફ નાઇજિરિયા સીબીડીસી મોબાઇલ એપમાં સુધારણા કરવાની દિશામાં આગળ વધી છે. સ્થાનિક સીબીડીસી – ઈનાઇરાથી પેમેન્ટ કરવાનું સરળ બને એ માટે એપને નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.99 ટકા (788 પોઇન્ટ) ઘટીને 38,735 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,523 ખૂલીને 40,079 પોઇન્ટની ઉપલી અને 38,310 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

ઇસ્કોન અકસ્માત: તથ્ય પટેલને મોકલાયો જેલમાં, પોલીસે ગણતરીના દિવસોમાં બાપ બેટાને જેલ હવાલે કર્યા

અમદાવાદ: સાબરમતી જેલે તથ્ય પટેલને કેદી નંબર – 8683 નંબરની તેની નવી ઓળખ આપી દીધી છે. તો બીજી બાજુ તથ્યના બળાત્કારી પિતાને પણ 8626 નંબર આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે અકસ્માત બાદ તથ્યના બળાત્કારી પિતા પ્રજ્ઞેશે પુત્રને બચાવવા માટે અનેક કોશિશો કરી હતી. જોકે પોલીસે ગણતરીના દિવસોમાં બાપ બેટાને જેલ હવાલે કર્યા છે.

આજે એટલે કે 24 જૂલાઇએ તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ મામલે પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે. આ સાથે જ આજે FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. જેમાં તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું હતુ. આજે આ કેસમાં તથ્યના રિમાન્ડ પુરા થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

હવે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બંને સાબરમતી જેલના સળીયા ગણતા રહેશે. આ જેલમાં તથ્ય પટેલ કેદી નંબર 8683ના નામથી ઓળખાશે. પિતા-પુત્રને અલગ-અલગ રાખવામાં આવ્યા છે કે, એક જ સેલમાં રાખવામાં આવ્યા છે, તે અંગેની માહિતી સામે આવી નથી. જોકે, સુત્રોના હવાલાથી મળી રહેલી જાણકારી અનુસાર, બંને બાપ-બેટાને અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, તથ્ય પટેલે બેફામ ડ્રાઇવિંગ કરીને સર્જેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે.

ભારતીયોની સાથે રૂ. 700 કરોડ કરતાં વધુની ચાઇનીઝ છેતરપિંડી

હૈદરાબાદઃ શહેર પોલીસે ચીની હેન્ડલર્સથી જોડાયેલા એક કૌભાંડને બહાર પાડ્યું છે. એમાં એક વર્ષથી ઓછા સમયમાં 15,000 ભારતીયોથી રૂ. 700 કરોડથી વધુ છેતરપિંડી કરવામાં આવી છે. શહેર પોલીસે કહ્યું હતું કે આ રકમ દુબઈના રસ્તે ચીન મોકલવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ છેતરપિંડીની જોડાયેલા કેટલાક ક્રિપ્ટો વોલેટ વ્યવહારો લેબનાન સ્થિત આતંકવાદી સંગઠન હિજબુલ્લ વોલેટની સાથે પણ લિન્ક મળી છે. આ વોલેટ ટેરર ફાઇનાન્સ મોડ્યુલથી પણ જોડાયેલું છે.

પોલીસના જણાવ્યા મુજબ લોકોને રિવ્યુ કરવાને બહાને કમાણીની લાલચ આપીને છેતરવામાં આવતા હતા. આ મામલે દેશભરમાંથી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ચાર લોકોની હૈદરાબાદમાંથી, ત્રણ લોકોની મુંબઈમાંથી અને બે લોકોની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા ચાઇનીઝ હેન્ડલર્સને ઇશારે કામ કરતા હતા. પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે અમે આ વખતે કેન્દ્રીય એજન્સીઓને સચેત કરી રહ્યા છીએ. ગૃહ મંત્રાલયની સાઇબર યુનિટને વિગતવાર માહિતી આપવામાં આવી છે. પોલીસે આ મામલે છ વધુ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

સાઇબર પોલીસે હૈદરાબાદની એક વ્યક્તિની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. એની તપાસ દરમ્યાન આખો કેસ બહાર આવ્યો હતો. એ વ્યક્તિને ટેલિગ્રામ પર રિવ્યુ કરવા માટે પાર્ટ ટાઇમ જોબ ઓફર થઈ હતી. તેણે વિશ્વાસ કરીને એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યુ હતું. પ્રારંભમાં તેની પાસે રૂ. 1000નું મૂડીરોકાણ કરાવવામાં આવ્યું હતું. એ સાથે એને કામના બદલામાં રૂ. 800નો લાભ થયો. ત્યાર બાદ તે વ્યક્તિએ રૂ. 25,000નું મૂડીરોકાણ કર્યું. એમાં તેને રૂ. 20,000નો નફો કર્યો. જોકે તેને એ રૂપિયા કાઢવાની મંજૂરી નહોતી મળી. ત્યાર બાદ તેને લાલચ આપીને વધુ રૂપિયા મૂડીરોકાણ કરાવવામાં આવ્યા. આ પ્રકારે તે વ્યક્તિ સાથે રૂ. 28 લાખની છેતરપિંડી થઈ હતી. આ ગેન્ગ આ પ્રકારના લોકોને છેતરતી હતી. છેતરપિંડી કરવા માટે તેને યુટ્યુબ વિડિયો લાઇક કરવો અથવા ગૂગલ પર રિવ્યુ લખવો વગેરે સરળ કામ આપવામાં આવતા હતા.

 

 

લાપરવાહ ડ્રાઈવરો પર ઈ-ચલણનો સકંજો; ટ્રાફિક પોલીસની કાર્યવાહી

મુંબઈઃ દેશના આ આર્થિક પાટનગરમાં વધુ ને વધુ વાહનચાલકો લાપરવાહ બની રહ્યા છે. તેઓ ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. આને કારણે મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગે વધારે કડક બનવાનું નક્કી કર્યું છે. બેફામ સ્પીડમાં વાહન ચલાવનારાઓને પકડવામાં અને એમની સામે કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસને સોશિયલ મિડિયાનો મોટો સહારો મળ્યો છે. ઘણા લોકો સોશિયલ મિડિયા મારફત પોલીસને ફરિયાદ કરતા હોય છે. ફરિયાદનો ધોધ વધી જતા પોલીસે ગુનેગારો માટે ઈ-ચલણ પ્રક્રિયા શરૂ કરી છે. શરાબ પીને કાર-વાહન હંકારનાર લોકોને, વિરુદ્ધ દિશામાં કાર હંકારનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આને લીધે ગયા વર્ષના પહેલા છ મહિનાની સરખામણીમાં આ વર્ષના જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં ઈ-ચલણનું ઈસ્યૂ કરવાનું પ્રમાણ વધારે રહ્યું છે.

પેસેન્જરોને નજીકના અંતરે લઈ જવાની ના પાડનાર ટેક્સી અને ઓટો-રિક્ષા ડ્રાઈવરો, વૃદ્ધજન અને બીમાર લોકો હાથ બતાવે તે છતાં ટેક્સી કે રિક્ષા ઊભી ન રાખનાર ડ્રાઈવરો સામે પણ ટ્રાફિક પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. એમને પણ ઈ-ચલણ ફટકારીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

આ વર્ષે પહેલા સાડા છ મહિનામાં, ભાડું નકારનાર રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો સામે લગભગ 2 લાખ 29 હજાર ચલણ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ આંકડો ઘણો ઓછો હતો. ખોટી દિશામાં વાહન હંકારનાર 25,724 જણ, સીટબેલ્ટ ન પહેરનાર 1 લાખ 31 હજાર લોકો સામે ગુનો નોંધી એમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મણિપુર પર સંસદમાં હંગામો… વિપક્ષે કહ્યું- PM મોદીએ નિવેદન આપવું જોઈએ, અમિત શાહે કહ્યું- ચર્ચાથી કેમ ભાગી રહ્યા છો?

મણિપુરની ઘટના બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ હોબાળો ચાલુ રહ્યો હતો. વિપક્ષના સાંસદો આ મામલે ગૃહમાં પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. જ્યારે શાસક પક્ષનો આરોપ છે કે વિરોધ પક્ષો આ મુદ્દે ચર્ચાથી ભાગી રહ્યા છે. જાણો આ બાબત સાથે જોડાયેલી મોટી વાતો

 

  1. વિપક્ષી પક્ષોના ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (ભારત) ના ઘટકોએ સોમવારે (24 જુલાઈ) મણિપુરના મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં પીએમ મોદીના નિવેદન અને ચર્ચાની માંગ કરવાનું ચાલુ રાખ્યું. આ માંગને લઈને આ પક્ષોના સભ્યોએ સંસદ ભવન પરિસરમાં પ્રદર્શન કર્યું.
  2. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, જનતા દળ (યુનાઈટેડ)ના રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, ડીએમકેના ટીઆર બાલુ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા અને અન્ય પક્ષોના સાંસદોએ સંસદમાં વિપક્ષી સાંસદોના વિરોધમાં ભાગ લીધો હતો. તેઓએ ‘વડાપ્રધાન ગૃહમાં આવો’ના નારા પણ લગાવ્યા હતા.
  3. સોમવારે સંસદના મોનસૂન સત્રની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુરના મુદ્દે પીએમ મોદીના નિવેદનની માંગ કરતા રાજ્યસભા અને લોકસભામાં હંગામો શરૂ કર્યો. વિપક્ષના વિરોધ દરમિયાન, રાજ્યસભાના અધ્યક્ષે AAP સાંસદ સંજય સિંહને ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
  4. લોકસભામાં હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેઓ ગૃહમાં તેના પર ચર્ચા કરવા તૈયાર છે. હું વિપક્ષને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દે ચર્ચા કરવા દે. મહત્વનું છે કે દેશ આ સંવેદનશીલ મામલામાં સત્ય જાણે છે. જો કે, આ પછી પણ હોબાળો ચાલુ રહ્યો, ત્યારબાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.
  5. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો વડાપ્રધાન આવીને મણિપુરના મુદ્દા પર ચર્ચા કરે તો શું આકાશ ફૂટશે? સમગ્ર વિશ્વમાં આ મુદ્દાની ચર્ચા થઈ રહી છે. અમારી એક જ નાની માંગ છે કે વડાપ્રધાને આજે મણિપુરમાં પ્રવર્તી રહેલી ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આવવું જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં મણિપુર મુદ્દે નિવેદન આપવું જોઈએ. આવા સંવેદનશીલ મુદ્દા પર તેમનું મૌન શું દર્શાવે છે.
  6. રાજ્યસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ AAP સાંસદ સંજય સિંહ પાર્ટીના અન્ય સાંસદો અને અન્ય પક્ષોના કેટલાક સાંસદો સાથે ગૃહમાં ધરણા પર બેઠા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય સિંહ અહીં વિરોધ કરતા રહેશે અને વિવિધ પાર્ટીઓના સાંસદો તેમની સાથે જોડાતા રહેશે.
  7. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ સંસદનું કામકાજ થઈ શક્યું નથી. આવું એટલા માટે થયું કારણ કે સરકાર 3 મે પછીની મણિપુરની સ્થિતિ પર વડા પ્રધાનના વિગતવાર નિવેદન માટે ભારતીય પક્ષોની માંગને સ્વીકારી રહી નથી. ભારતની સ્પષ્ટ માંગ છે કે પહેલા વડાપ્રધાને ગૃહમાં નિવેદન આપવું જોઈએ, ત્યારબાદ તેના પર ચર્ચા થવી જોઈએ. તમામ પક્ષો માત્ર મણિપુરની જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતાની ભાવનાઓ રજૂ કરી રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં નિવેદન આપવાથી કેમ ભાગી રહ્યા છે?
  8. શિવસેના (UBT) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે વિરોધ પક્ષોની માંગ છે કે PMએ સંસદમાં નિવેદન આપવું જોઈએ, મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મણિપુર મોકલવું જોઈએ. બીજી તરફ સપાના સાંસદ જયા બચ્ચને કહ્યું કે મણિપુરના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે, પરંતુ આપણા દેશમાં એવું થઈ રહ્યું નથી. શરમની વાત છે. તેઓ મણિપુર પર ચર્ચા કરવા માંગતા નથી. તેના બદલે, તેઓ વિપક્ષ શાસિત રાજ્યોની વાત કરે છે. અમને કહો કે તમારા રાજ્યોમાં શું થઈ રહ્યું છે.
  9. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે આખો દેશ આ બાબત પર નારાજગી વ્યક્ત કરી રહ્યો છે (મણિપુર વાયરલ વીડિયો). અમે હાથ જોડીને કહીએ છીએ કે તમે (વિપક્ષ) આ મુદ્દા પર ચર્ચા કરો અને અમે તેમાંથી કેટલાક તારણો કાઢીશું. અમે સમજી શકતા નથી કે તેઓ (વિપક્ષ) ચર્ચાથી કેમ ભાગી રહ્યા છે. તેમની વિચારસરણી શું છે, તે સમજાતું નથી. આજે પણ અમારી માંગ છે કે તમે આ અંગે ચર્ચા કરો. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.
  10. દરમિયાન, મણિપુર પોલીસે બે મહિલાઓના જાતીય સતામણીના વીડિયોના સંબંધમાં વધુ 14 લોકોની ઓળખ કરી છે અને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 4 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં બનેલી ઘટનાના વાયરલ વીડિયોના સંબંધમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. આ બંને મહિલાઓનું કથિત રીતે જાતીય શોષણ થયું હતું અને આ ઘટનાનો વીડિયો 19 જુલાઈએ સામે આવ્યો હતો.