બેંગલુરુઃ પેલેસ્ટિનીયન આતંકવાદી સંગઠન હમાસે ગઈ 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર કરેલા ભયાનક રોકેટ હુમલામાં 1,300થી વધારે ઈઝરાયલી નાગરિકોનાં મરણ અને બીજાં હજારો લોકો ઘાયલ થયા બાદ ભારતમાં ઘણા મુસ્લિમોએ હમાસની તરફેણ કરી છે. કર્ણાટકમાં એવા બે કેસમાં પોલીસે પગલાં લીધા છે. હમાસ અને પેલેસ્ટિનની તરફેણ કરતા સંદેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરનાર બે મુસ્લિમની પોલીસે ધરપકડ કરી છે. આ બે જણના નામ ઝાકીર અને આલમ પાશા હોવાનો અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારત સરકારે સત્તાવાર રીતે ઈઝરાયલની તરફેણ કરી છે.
મેંગલુરુમાં, પોલીસે 58 વર્ષના ઝાકીર ઉર્ફે ઝાકીની ધરપકડ કરી છે. ઝાકીરે હમાસને ટેકો દર્શાવતો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 30-સેકંડના વીડિયોમાં ઝાકીરે લોકોને વિનંતી કરી હતી કે તેઓ હમાસ ‘દેશભક્તો’ માટે નમાઝ પઢે.
આને પગલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદીપ નામના એક સભ્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવાયું છે કે ઝાકીરની ટિપ્પણી રાષ્ટ્રીય સલામતી માટે જોખમી છે, કારણ કે એ લોકોમાં વૈમનસ્ય ફેલાવનારી છે. પોલીસે ત્યારબાદ તરત જ ઝાકીરની ધરપકડ કરી હતી અને એને કોર્ટમાં ઉભો કર્યો હતો. તે હાલ અદાલતી કસ્ટડીમાં છે. પોલીસના ચોપડે એની સામે બીજા સાત આરોપ પણ નોંધાયેલા છે.
આવો જ કેસ, રાજ્યના વિજયનગર જિલ્લાના હોસ્પેટ નગરમાં નોંધાયો છે. ત્યાં 20 વર્ષના આલમ પાશા નામના યુવકે તેના વોટ્સએપ સ્ટેટસમાં હમાસનું સમર્થન કરતા અને દેશ-વિરોધી વીડિયો અપલોડ કર્યા હતા. પાશા સામે દેશદ્રોહી સામગ્રીનો ફેલાવો કરવાનો આરોપ મૂકાયો છે અને તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. હોસ્પેટમાં જ 20 વર્ષના એક અન્ય મુસ્લિમ યુવકે પણ પેલેસ્ટિનની તરફેણ કરતો વીડિયો વોટ્સએપ પર પોસ્ટ કર્યા બાદ પોલીસે એને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
બેંગલુરુઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં પાકિસ્તાનનો હવે પછી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. આ મેચ 20 ઓક્ટોબરના શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ એ પૂર્વે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ વાઈરલ ફીવરનો શિકાર બન્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેના મોટા ભાગના ખેલાડીઓ સાજા થઈ ગયા છે. આમાં કેપ્ટન બાબર આઝમ અને સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન અત્યાર સુધીમાં ત્રણ મેચ રમ્યું છે જેમાં બે જીત્યું છે અને ભારત સામે હાર્યું છે. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયા ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની મેચો હાર્યું છે અને શ્રીલંકા સામે જીત્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા મેનેજર એહસાન ઈફ્તિખાર નેગીએ કહ્યું છે, પાકિસ્તાની ક્રિકેટરો ગયા રવિવારે બેંગલુરુમાં આવી પહોંચ્યા બાદ બીમાર પડી ગયા હતા. એમાંના મોટા ભાગના સાજા થઈ ગયા છે. અમુક હજી ડોક્ટરના નિરીક્ષણ હેઠળ છે. ટીમે ગઈ કાલે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાથી બેંગલુરુમાં વાઈરલ ફીવરના અનેક કેસ નોંધાયા છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે આ તકલીફ ઊભી થઈ હોવાનું મનાય છે.
78 વર્ષે વેદાંત જેવા ગહન વિષયમાં પીએચડી થનાર, ત્રીજા-સ્ટેજના કેન્સરમાંથી ઝઝૂમીને બહાર આવનાર, ૮૩ વર્ષે કેન્સર અને પેરાલીસીસ થયા પછી દ્રઢ મનોબળ અને અતૂટ શ્રદ્ધાથી સ્પેશિયલ-મેરેથોન દોડનાર, હિંમતવાન એકલવીર કોકિલાબહેન શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ રાજપીપળામાં. પિતાજી સ્ટેટમાં વકીલ. ઘરમાં આઠ ભાઈ-બહેન. તેમનો સાતમો નંબર. સાતમી છોકરી શું કરે? તેઓ માનતાં કે છોકરી ધારે તો બધું જ કરી શકે! ચેલેન્જ ઝડપી લેવાની ટેવ બાળપણથી પડી. પિતા ભણેલા અને સ્ત્રી-શિક્ષણમાં માને, એટલે કોકિલાબહેનને ભણતરનો લાભ મળ્યો. એક્સ્ટર્નલ BA કર્યું. જે શાળામાં ભણ્યાં એ શાળામાં શિક્ષક થયાં! લગ્ન પછી મુંબઈ આવ્યાં. પતિ ડૉ. અમૃત શાહ મોટા ગજાના ઈકોનોમિસ્ટ (BOBના ચેરમેન અને મેનેજિંગ-ડાયરેક્ટર). કોકિલાબહેનને આગળ ભણવા માટે પતિનો સંપૂર્ણ સાથ-સહકાર મળ્યો! 40 વર્ષે તેમણે SNDTમાંથી ફર્સ્ટ-ક્લાસ-ફર્સ્ટ સાથે MA કર્યું! લોકો હસતાં પણ તેમણે પોતાનું ધ્યેય સહજતાથી પ્રાપ્ત કર્યું! 55 વર્ષે બીજી વાર એમ.એ(સાયકોલોજી અને અંગ્રેજી) કર્યું. 1993માં મોટો દીકરો અમેરિકામાં એકસીડન્ટમાં અવસાન પામ્યો, એ પછી તેમણે લખવાનું શરૂ કર્યું. નવનીત-સમર્પણ, જન્મભૂમી-પ્રવાસી, ખડાયતા-યુવક જેવાં અનેક સામયિકોમાં રેગ્યુલર લખતાં. અત્યારે ઘણું ઓછું દેખાય છે પણ વાંચન ઘણું કરે છે. તેઓ પ્રમુખ-સ્વામીને બહુ માને. તેમના આશીર્વાદ સાથે, 78 વર્ષે, વલ્લભાચાર્યના અદ્વૈતવાદ(વેદાંત) વિષય પર પીએચડી કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 7:30 વાગે ઊઠે, રૂટિન કામકાજ પતાવી અક્ષર મોટા કરી આઇપેડ પર છાપુ વાંચે! નાહી-ધોઈને માળા ફરે, કલાક મેડીટેશન કરે. ભજનો અને હવેલી-સંગીત સાંભળે. મંદિરની રાજભોગની આરતી ઓનલાઈન કરે પછી જમીને બપોરે 1:00 વાગે આરામ કરે. ઊઠીને ચા-પાણી કરે. નીચે થોડું ફરી આવે. ટીવી જોવું ગમે. KBC તો બહુ જ ગમે! જમીને “બ્લેક-એન્ડ-વાઈટ” ન્યુઝ એનાલિસિસ જોઈને સૂએ.
શોખના વિષયો :
વાંચવું અને લખવું અતિ-પ્રિય! સંગીત બહુ ગમે. જુનાં ફિલ્મી-ગીતો, ભજનો અને હવેલી-સંગીત ગમે. હોમ-Google પર શિવ-મહિમ્ન-સ્તોત્ર અને ભજનો સાંભળે. ફરવાનો ઘણો શોખ હતો. અમેરિકા-યુરોપ સહિત આખી દુનિયા ફર્યાં છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
શારીરિક રીતે તબિયત એકદમ ખરાબ છે. 1996માં ત્રીજા-સ્ટેજના કેન્સરમાંથી ઊભાં થયાં, 2017માં સ્ટ્રોક આવ્યો અને પેરાલીસીસ થઈ ગયો. હાથ-પગ, આંખ-કાન નથી ચાલતાં, પણ મગજ સરસ ચાલે છે! સગાં-વહાલાં કે મિત્રો નજીકમાં નથી, પણ પાડોશીઓ બહુ સારાં છે. હિંમતભેર એકલાં રહે છે. કેર-ટેકર જીમ્મી ચોવીસે કલાક તેમની સાથે હોય અને તેમનું સરસ ધ્યાન રાખે.
યાદગાર પ્રસંગ:
અમેરિકાના ઘણા પ્રસંગો યાદગાર છે, રિવાઇન્ડ કરીને એને સહારે જ તેઓ જીવે છે! એકવાર તેમના દીકરાઓ એકબીજા સાથે વાત કરતા હતા: “આપણે તો માત્ર ભણવાનું છે, મમ્મીએ તો કેટલું બધું કામ કરવાનું છે, ગ્રોસરી અને શાકભાજી લાવવાનાં, મહેમાનો આવે તો એમનું ધ્યાન રાખવાનું અને છતાં પણ તે ભણે છે! આપણે તો ભણ્યા વગર છૂટકો જ નથી!”
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
આઇપેડ અને હોમ-Googleનો પૂરેપૂરો ઉપયોગ કરે છે! કેન્સર થયું તે વખતે દીકરાએ આ બધું શીખવ્યું હતું. તેઓ બ્લોગ પણ લખતાં! ટેકનોલોજીનો ઉપયોગ માફક આવી ગયો છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
સમય પ્રમાણે જમાનો બદલાતો રહે છે,સારું-ખરાબ થયાં કરે છે! કોન્ટેક્ટ રાખો તો યુવાનો સાથે જનરેશન ગેપ રહેતો નથી. આજનાં યુવાનો બહુ સેલ્ફ-સેન્ટર થઈ ગયાં છે તે નથી ગમતું. તેઓ આઠ ભાઈ-બહેનો કેવા ઉમળકાથી સાથે રહેતાં! અત્યારનાં બાળકોમાં તે ઉમળકો નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમના શબ્દોમાં: “પૌત્રી ત્રણ અઠવાડિયા મારી સાથે રહીને ગઈ. મને મારાં પૌત્ર-પૌત્રી સાથે બહુ ફાવે. અમે સેક્સ ઉપર પણ ચર્ચા કરી શકીએ! અમેરિકામાં રહેતાં આપણાં બાળકો આઈડેન્ટિટી-ક્રાઈસીસમાં છે. અમેરિકામાં ભારતીય સ્ટાઇલથી રહે, દાદીની સેવા કરે! પૌત્રને અહીં ગમે, ચોર બજારમાં પણ જાય! ભારતીય વસ્તુઓ ગમે, પણ ફ્રીડમ ત્યાંની ગમે! આજના યુવાનો ફોકસ્ડ છે, સેન્સિબલ છે. મલ્ટીટાસ્કીંગમાં માને છે! પૌત્રી અહીં આવી ત્યારે કાનમાં ઈયર-પ્લગ નાખે, હાથમાં મોબાઈલ હોય, લેપટોપ ઉપર કામ કરતી હોય અને મારી સાથે વાત પણ કરતી હોય! તેમને પ્રોપર માર્ગ-દર્શન મળે તો ઘણા આગળ વધી જાય!”
સંદેશો :
સગવડો વધી છે, પણ દિલ સાંકડા થયાં છે, કરુણા ઘટી છે, ધીરજ રહી નથી. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર નથી. બાળકોને બાળપણથી સહજીવનના સંસ્કાર આપો.
શહેરના ગુજરાત કોલેજ વિસ્તારની નજીક આવેલી ઓરિએન્ટ ક્લબમાં મહિલા પાંખ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા નોરતાની બપોરે ફક્ત મહિલાઓ માટે યોજાયેલા ગરબા મહોત્સવમાં તમામ વય જુથની નારી શક્તિએ ભાગ લીધો હતો.
નાની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓએ જુદા જુદા પહેરવેશ સાથે ગરબાની મજા માણી હતી.
ઓરિએન્ટ કલબના ગરબા 2023માં મહિલાઓએ ચણિયાચોળી, કેડિયા, વિવિધ ગૃપ સાથે સાડીમાં શેરી ગરબા અને મોર્ડન સ્ટાઈલ સાથે ઉત્સવને ઉત્સાહભેર ઉજવ્યો હતો.
ગરબામાં ભાગ લેનાર મહિલા પાંખના સભ્યો અને મહેમાનોના ઉત્સાહ માટે બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પર્ફોમન્સ , બેસ્ટ પર્ફોમન્સ (સ્ટાર્ટ ટુ એન્ડ) , બેસ્ટ પર્ફોમન્સ ( સિનિયર સિટીઝન), બેસ્ટ પર્ફોમન્સ (ચિલ્ડ્રન) જેવા પ્રાઈઝ પણ રાખવામાં આવ્યા હતા.
ઉગ્રવાદી સંગઠન હમાસની સૈન્ય પાંખે કહ્યું છે કે મધ્ય ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેનાના હવાઈ હુમલામાં તેનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. હમાસે કહ્યું કે અયમાન નોફાલ ઉર્ફે અબુ મોહમ્મદ અત્યાર સુધીના બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા સૌથી હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ હતા.
VIDEO | Visuals from #Gaza as the Israel-Hamas conflict entered 10th day today. At least 71 people have been killed and dozens of others injured in fresh Israeli air strikes in Rafah and Khan Yunis, Gaza Strip, Palestinian news agency Wafa reported.
બંધકોના વીડિયોની ફ્રાન્સે કરી નિંદા, કહ્યું- અમારા 11 નાગરિકો ગુમ
એક અહેવાલ મુજબ, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસના હુમલા દરમિયાન માર્યા ગયેલા ફ્રેન્ચ નાગરિકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હજી પણ 11 ફ્રેન્ચ નાગરિકો ગુમ છે, જેમાંથી કેટલાકને કદાચ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે.” ઉલ્લેખનીય છે કે હમાસે હાલમાં જ 21 વર્ષીય ઈઝરાયેલ-ફ્રેન્ચ નાગરિક મિયા શેમનો વીડિયો જાહેર કર્યો છે. ફ્રાન્સે આ વીડિયોને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી છે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ હમાસને ચેતવણી આપી હતી
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે ઉગ્રવાદી સંગઠન હમાસને ચેતવણી આપી છે. તેણે કહ્યું, ‘હમાસના સભ્યો પાસે બે વિકલ્પ છે, બિનશરતી શરણાગતિ આપો અથવા મરી જાઓ.’
ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ફરીવાર સંઘર્ષ શરૂ થયો
એપીના અહેવાલ મુજબ લેબનોન અને ઈઝરાયેલની સરહદ પર મંગળવારે ફરી અથડામણ શરૂ થઈ ગઈ છે. ગાઝામાં ઈઝરાયેલના તાજેતરના હુમલા બાદ લેબનોનમાં ઈઝરાયેલની સેના અને સશસ્ત્ર જૂથો વચ્ચે અથડામણ વધુ તેજ બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે લેબનોનથી છોડવામાં આવેલ એન્ટી ટેન્ક મિસાઈલ ઉત્તરી ઈઝરાયેલના મેટુલા શહેરમાં પડી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2023 સમારોહનું 17 ઓક્ટોબર, મંગળવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે વિજેતા કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’માં ભજવેલી ભૂમિકા માટે અલ્લૂ અર્જુન શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાષ્ટ્રપતિ પાસેથી સ્વીકારે છે. બોલીવુડ અભિનેત્રીઓ – આલિયા ભટ્ટ અને કૃતિ સેનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત કર્યો છે. આલિયાએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ માટે જ્યારે કૃતિએ ‘મિમી’ ફિલ્મ માટે આ એવોર્ડ જીત્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે છેલ્લા બે મહિનામાં શહેરની 137 હોટેલ્સ કે રેસ્ટોરન્ટ્સને ‘સુધાર નોટિસ’ મોકલીને કહ્યું છે કે તેઓ એમની વાનગીઓની ગુણવત્તામાં સુધારો કરે. વિભાગે 15 રેસ્ટોરન્ટ્સને તો એમની ખાનપાન કામગીરીઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. વિભાગના અધિકારીઓ ઓચિંતા ઈન્સ્પેક્શન પર ગયા હતા ત્યારે આ 15 રેસ્ટોરન્ટ્સમાં નિયમ-કાયદાનું મોટા પાયે ઉલ્લંઘન થતું જોયું હતું. એમણે આ રેસ્ટોરન્ટ્સને એમની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા કહ્યું હતું અને વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એમને મોટી રકમનો દંડ પણ ફટકાર્યો હતો.
જે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સને સુધાર નોટિસ આપવામાં આવી છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ એમના ફૂડ (વાનગી-આહાર)ની ગુણવત્તા બે જ અઠવાડિયામાં સુધારી દે નહીં તો એમને ધંધો બંધ કરી દેવાનું જણાવવામાં આવશે.
એફડીએના જોઈન્ટ કમિશનર શૈલેષ આઢવે કહ્યું કે, ઘણી રેસ્ટોરન્ટ કે ભોજનાલયો આહાર સુરક્ષાના નિયમોનું પાલન કરતી ન હોવાનું અમને જાણવા મળ્યા બાદ આખા મુંબઈમાં અમે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. તેને પગલે અમે કેટલીક રેસ્ટોરન્ટ્સને એમની પ્રવૃત્તિઓ બંધ કરવા કહ્યું તો બીજી ઘણીને એમની ફૂડ ક્વાલિટી તાત્કાલિક સુધારવા કહ્યું છે. અમને જણાયું છે કે શહેરમાં મોટા ભાગની રેસ્ટોરન્ટ કે ભોજનાલયોમાં સ્વચ્છતાનો અભાવ હોય છે. એમના રસોડા ગંદા હોય છે, કચરાપેટીઓ ઉઘાડી હોય છે, ખોરાક વાસી હોય છે વગેરે. વળી, કર્મચારીઓ માથા પર કેપ્સ અને હાથમાં ગ્લોવ્સ પહેર્યા વગર કામ કરતા હોય છે. જે હોટેલ્સને બંધ કરી દેવાનો આદેશ અપાયો છે એમાં બીકેસી સ્થિત જિયો વર્લ્ડ ડ્રાઈવ ખાતેની કો કો બાઈ ઓબેરોય, માટુંગાની બનાના લીફ, કાંદિવલી વેસ્ટની ન્યૂયોર્ક બ્યુરિટો અને અંધેરી ઈસ્ટની હોટેલ હાઈવે ઈનનો સમાવેશ થાય છે.
એફડીએના ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટરો (FSO) શહેરમાં સરપ્રાઈઝ વિઝિટ કરવાનું ચાલુ જ રાખશે અને શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, ભોજનાલયો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ના નિયમોનું પાલન કરે છે કે એની ચકાસણી કરશે. શહેરમાં 18,481 રજિસ્ટર્ડ ભોજનાલયો છે, પણ એની સામે માત્ર 13 એફએસઓ જ છે.