Home Blog Page 2008

કેન્દ્ર સરકારે 18 OTT એપ્સ સહિત 19 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફરી એક વાર ડિજિટલ સ્ટ્રાઇક કરતાં 18 OTT એપ્સ, 19 વેબસાઇટ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મિડિયા હેંડલ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને કેટલીય વાર ચેતવણી જારી કરી હતી. આ પ્લેટફોર્મ્સ IT એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે આ OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યાં હતાં. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી દૂર કરવામાં આવી છે. આ 18 OTT પ્લેટફોર્મ્સને ગંદા કન્ટેન્ટ દૂર કરવા માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેટલીય વાર ચેતવણી જારી કરવામાં આવી હતી.

જે 18 OTT એપ્સને દૂર કરવામાં આવી છે, એમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix  અને PrimePlay સામેલ છે.

સરકારનું કહેવું છે કે આ એપ્સ અને પ્લેટફોર્મ્સ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA (Indecent Representation of Women Prohibition Act) 1986ની કલમ ચાર હેઠળ લગાવવામાં આવ્યો છે.આ પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સમાં એકના ગૂગલ પ્લે સ્ટોર પર એક કરોડથી વધુ ડાઉનલોડ્સ હતા. જ્યારે બે એપ્સને 50 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X અને યુટ્યુબ પર ગંદા કન્ટેન્ટસવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહ્યા હતા. આવી 57 સોશિયલ મિડિયા હેન્ડલને પણ બ્લોક કરવામાં આવ્યા છે. આવા કન્ટેન્ટવાળા ફેસબુકથી 12, ઇન્સ્ટાગ્રામથી 17, Xથી 16 અને યુટ્યુબથી 12 ચેનલ્સને બ્લોક કરવામાં આવી છે.

 

 

 

પંજાબ : કેપ્ટન અમરિંદર સિંહના પત્ની ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણીના ઉત્સાહ વચ્ચે પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહની પત્ની અને સાંસદ પ્રનીત કૌર ભાજપમાં જોડાઈ ગઈ છે. આ પહેલા પટિયાલાના સાંસદ પ્રનીત કૌરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.

 

તમને જણાવી દઈએ કે પ્રનીત કૌર કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. તે પંજાબની ‘શાહી બેઠક’ પટિયાલાથી ચાર વખત કોંગ્રેસની સાંસદ રહી ચુકી છે. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ તેણીએ કહ્યું કે હું આજે ભાજપમાં જોડાઈ રહી છું. મેં છેલ્લા 25 વર્ષથી લોકશાહી માટે કામ કર્યું છે. આજનો સમય એવો છે જે આપણા બાળકોની આવતીકાલને વધુ સારી બનાવી શકે છે.

તેણીએ વધુમાં કહ્યું કે, ‘હું મોદીજીના કામ અને નીતિઓ જોઈને અને વિકસિત ભારતના કાર્યક્રમથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ રહી છું. મોદીજીના નેતૃત્વમાં જ આપણે આપણા બાળકો અને દેશને સુરક્ષિત રાખી શકીશું. હું પીએમ મોદી, જેપી નડ્ડા અને ભાજપનો આભાર માનું છું.જાણવામાં આવે છે કે પ્રનીત કૌર છેલ્લા 25 વર્ષથી પટિયાલા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે.

માનવામાં આવે છે કે ભાજપ તેમને પટિયાલા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. નોંધનીય છે કે પ્રનીત કૌરના ભાજપમાં જોડાવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. દરમિયાન તાજેતરમાં તેમની પુત્રી જયેન્દ્ર કૌરે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમની માતા પ્રનીત ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી, પ્રનીત કૌર તેમના પુત્ર રણિન્દર સિંહ અને પુત્રી જયઈન્દર કૌર સાથે સપ્ટેમ્બર 2022માં ભાજપમાં જોડાયા. પ્રનીત કૌર છેલ્લા 25 વર્ષથી પટિયાલા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. કેપ્ટને પણ પોતાની પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી છે.

ગુજરાતમાં CAAના અમલ માટે સરકાર કટિબદ્ધઃ હર્ષ સંઘવી

કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-CAAનો કાયદો અમલી બનાવ્યો છે તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પારાવાર યાતનાઓનો ભોગ બનેલા અને ત્યાંથી ભારતમાં શરણ લેવા માટે આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આમાં હાલમાં ભારતમાં નિવાસ કરતાં કોઈપણ ધર્મના નાગરિકની નાગરિકતા લઇ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં CAAના લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.

કોઈપણ કામ 100 ટકા પૂર્ણ કરવાની ગેરંટી

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, અકલ્પનીય યાતનાઓ સહન કરીને પાડોશી દેશોમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે, આજે તેમના ઘરે દિવાળી આવી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈપણ કામ 100 ટકા પૂર્ણ કરવાની ગેરંટી છે.તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત-સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું. CAA અંતગર્ત ભારતની નાગરિકતા સંદર્ભે નાના-મોટા પ્રશ્નોના ઝડપી-હકારાત્મક નિકાલ લાવવા યોગ્ય કક્ષાએ સંકલન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરીને અમલી બનાવાયેલા CAA કાયદાના ગુજરાતમાં ઝડપી અમલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના માટે હાલમાં પોલીસ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

New Delhi: Union Home Minister Amit Shah addresses the inauguration programme of National Urban Cooperative Finance and Development Corporation Limited (NUCFDC) in New Delhi on Saturday, March 02, 2024. (Photo: IANS)

પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યાં

આ અભિવાદન સમારોહમાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા, કચ્છ તેમજ પાટણના રાધનપુરમાં સ્થાયી થયેલા પરિવારોમાંથી 107 જેટલા ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષ બાદ આ કાયદાના અમલ માટે નેતૃત્વ લેનાર વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો. પાકિસ્તાનના કરાંચીથી વર્ષ 1990 માં અમદાવાદમાં આવેલા પીડિત ડિમ્પલબેન વાઘવાણી, રાજકોટમાં સ્થાયી થયેલા નાનુબાઈ તેમજ થરપારકર- મીઠીમાંથી આવેલા અને કચ્છના નખત્રાણામાં રહેતા મહેતાબસિંહ સોઢાએ પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની બહેન-દિકરીઓ તેમજ હિન્દુઓ પર કરવામાં આવતા અત્યાચારો અંગે પોતાના દુઃખદ અનુભવો વર્ણવતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

શું અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ લાગશે?

ન્યુ યોર્કઃ ભારતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ પછી હવે અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે 13 માર્ચે 352 મતની સાથે ટિકટોક પર પ્રતિબંધ  લગાવનારા બિલને ટેકો આપ્યો હતો. આ બિલને US સેનેટ મોકલવામાં આવશે, જ્યાં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિના એના પર હસ્તાક્ષર થશે.

વોશિંગ્ટનમાં ટિક ટોક એક મોટો મુદ્દો બની ગયો છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન સાંસદોએ કહ્યું હતું કે તેમની ઓફિસે આ કાયદાનો વિરોધ કરવાવાળા ટિકટોક યુઝર્સે મોટી સંખ્યામાં કોલ કર્યા છે. આ બધી ફરિયાદો ગાઝામાં ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સીઝફાયરની માગ કરવાવાળી કોલ્સની સંખ્યાથી અનેક ગણી અધિક છે. આ પગલું અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા માટે  વોશિંગ્ટનમાં લેવામાં આવેલાં પગલાંમાંનું એક છે. AI ચિપથી કનેક્ટેડ વાહનોથી માંડીને અમેરિકી પોર્ટો પર ક્રેન સુધી અમેરિકાએ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પગલાં વધાર્યા છે. પાછલા મહિને રાષ્ટ્રપતિ જો બાઇડને ચૂંટણી ઝુંબેશમાં પણ ટિકટોકને સામેલ કરી હતી, જેનાથી ટિકટોકના અધિકારી એ વાતને લઈને વિશ્વાસ ધરાવતા હતા કે આ વર્ષે કાયદો નહીં બની શકે. જોકે હાઉસ એનર્જી એન્ડ કોમર્સ કમિટીએ ગયા સપ્તાહે બિલના પક્ષમાં 50—0 મતદાન કર્યું છે, જેથી એને પૂરી પાર્લમેન્ટની સામે મતદાન માટે રાખવામાં આવશે.

ટિકટોકના CEO શોઉજી ચ્યુએ બુઝવારે સિનેટરોથી વાત કરવા માટે કેપિટલ હિલ જશે. કંપને કહ્યું હતું કે સરકાર 17 કરોડ અમેરિકીઓથી તેમની સ્વતંત્ર અભિવ્યક્તિના બંધારણના અધિકાર છીનવી લેવાના પ્રયાસ કરી રહી છે. બાઇડેને ગયા સપ્તાહે કહ્યું હતું કે તેઓ બિલ પર હસ્તાક્ષર કરશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને મંગળવારે કહ્યું હતું કે લક્ષ્ય ચીનની ઓનરશિપને ખતમ કરવાનું છે.

 

 

 

 

 

રશિયામાં આ ગુજરાતી યુવાન ગ્લોબલ હીરો તરીકે ઓળખાયા

અમદાવાદ: ફેડરલ એજન્સી ફોર યુથ અફેર્સ, રશિયન ફેડરેશન દ્વારા આયોજીત વિશ્વનો સૌથી મોટો યુવા કાર્યક્રમ વર્લ્ડ યુથ ફેસ્ટિવલ છે. જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વ હેઠળ ગત 1થી 7મી માર્ચ દરમિયાન રશિયાના સોચીમાં યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં 20,000થી વધુ વૈશ્વિક યુવાનોએ ભાગ લીધો હતો. રમત-ગમત, સંસ્કૃતિ, વિજ્ઞાન, શિક્ષણ, નિષ્ણાત પેનલ, રાઉન્ડ ટેબલ, નેટવર્કિંગ સત્રો અને બીજા ઘણા બધા કાર્યક્રમો દ્વારા યુવાનોને જોડાવવાની તક મળી હતી. આ ઈવેન્ટમાં ભારતીય પ્રતિનિધીમંડળમાં રાષ્ટ્રીય તૈયારી સમિતિના નેતૃત્વમાં 360 યુવાનોએ ભાગ લીધો હતો. યુવા નેતૃત્વ અને વિકાસમાં અગ્રણી માધીશ પરીખ પણ ભાગ લેનારા પ્રતિનિધીઓમાં સામેલ હતા. આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં ઈરાન, ચીન, આર્જેન્ટિના, તાંઝાનિયા, ઈટાલી અને રશિયાના યુવાઓ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા વૈશ્વિક સાત હીરોમાંથી એક માધિશ પરીખ હતા. ભારતના સૌથી મોટા યુવા સ્વંયસેવી પ્લેટફોર્મમાંના એક એલિક્સિર ફાઈન્ડેશનની સ્થાપના તેમણે કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલા વૈશ્વિક યુવા પ્રેક્ષકોને તેમના સંબોધનમાં માધીશે પોતાની સફરની આંતરદ્રષ્ટિ વિશે વાત કરી હતી.

માધિશ પરીખે ભવિષ્યને ઘડવા માટે યુવાનોને સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો અને વૈશ્વિક યુવાનોને સકારાત્મક પરિવર્તન લાવવાની તેમની ક્ષમતા પર ભાર મૂકીન વધુ સારી દુનિયા માટે પ્રયાસો કરવા માટે એક થવા વિનંતી કરી.

 

ફેસ્ટિવલ દરમિયાન માધીશ પરીખે વિવિધ ઉચ્ચ-સ્તરીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ‘We are toghethar’ એપ્લિકેશન ઝુંબેશની શરૂઆત માટે એમ્બેસડર તરીકે સંબોધન કર્યુ. તેમણે ‘કલા ઐશ્વર્ય’ નામનું ગુજરાતી પુસ્તક સિરિયસ લાઇબ્રેરીને દાનમાં આપ્યું હતું. અમદાવાદમાં શૂટ થયેલી સામાજિક રીતે પ્રભાવશાળી શોર્ટ ફિલ્મનું પ્રીમિયર પણ વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં કર્યું હતું.

માધીશ પરીખની વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં હાજરી અને યોગદાન વૈશ્વિક સ્તરે યુવા નેતૃત્વને બળ આપવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.

CM કેજરીવાલે નીચલી કોર્ટના સમન્સને સેશન કોર્ટમાં પડકાર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ લિકર કૌભાંડથી સંબંધિત EDના સમન્સ પર મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને પડકાર્યો છે. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલે હવે સેશન કોર્ટમાં ધા નાખી છે. EDએ કેજરીવાલને કુલ આઠ વખત સમન્સ મોકલ્યા હતા, જેને તેમણે નજર અંદાજ કર્યા છે. EDએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી આપી તો કોર્ટે પણ સમન્સ મોકલી દીધા છે. હવે એ આદેશની વિરુદ્ધ CM કેજરીવાલ રાઉઝ એવન્યુ કોર્ટમાં સેશન્સ કોર્ટ પહોંચ્યા છે.

New Delhi: Delhi Chief Minister Arvind Kejriwal addresses a press confrence via video conference, in New Delhi, Friday, Feb 09, 2024.(IANS/Video Grab)કેજરીવાલ ACMM દિવ્યા મલ્હોત્રાના આદેશોની વિરુદ્ધ સેશન કોર્ટમાં ગયા છે. તેમની કોર્ટે કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ કર્યો હતો. EDએ મેજિસ્ટ્રેટ કોર્ટની સમક્ષ બે ફરિયાદ દખલ કરી હતી. કેજરીવાલને જારી કરવામાં આવેલા સમન્સને તેમણે નજરઅંદાજ કરવા માટે તેમની વિરુદ્ધ કેસ ચલાવવાની માગ કરી હતી.

EDએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરીને કેજરીવાલ પર કેસ ચલાવવાની માગ કરી હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે EDના આઠમા સમન્સનો જવાબ આપતાં કહ્યું હતું કે EDનું સમન્સ ગેરકાયદે છે, પરંતુ તેમ છતાં હું જવાબ આપવા તૈયાર છું. તેમણે 12 માર્ચ પછીની તારીખ માગી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે તે એજન્સીના સવાલોના જવાબ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોર્ટ આ અંગે આદેશ આપશે તો જ તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. કોર્ટે કેજરીવલને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

 

 

 

 

CAA કાયદો પરત લેવામાં નહીં આવેઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે સિટિજન્સ એમેડમેન્ટ એક્ટ (CAA)નું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. CAA લાગુ થયા બાદ બંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ત્યારે આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.

તેમણે કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.CAA નોટિફિકેશન અને તેની જોગવાઈઓ પર શાહે કહ્યું હતું  કે મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે. માર્ગ કોઈના માટે બંધ નથી. આ વિશેષ અધિનિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે તેઓ કોઈ પણ દસ્તાવેજો વગર શા માટે આવ્યા છે. અમે એવા લોકો માટે કોઈ રસ્તો શોધીશું જેમની પાસે દસ્તાવેજ નથી, પરંતુ જેમની પાસે દસ્તાવેજો છે તેઓ સામાન્ય રીતે 85 ટકા કરતાં વધારે છે. કોઈ સમયમર્યાદા નથી.

તમે તમારી અનુકૂળતા મુજબ અરજી કરી શકો છો, તમારા ઉપલબ્ધ સમય મુજબ ભારત સરકાર તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે.  સરકાર તમને ડોક્યુમેન્ટ ઓડિટ અને રૂબરૂ મુલાકાત માટે બોલાવશે. 15 ઓગસ્ટ 1947 અને 31 ડિસેમ્બર 2014 વચ્ચે ભારતમાં પ્રવેશેલા તમામ લોકોનું અહીં સ્વાગત છે.

કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના પ્રશ્ન પર કે તેઓ તેમનાં રાજ્યોમાં CAA લાગુ નહીં કરે, કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું  કે આપણા બંધારણના અનુચ્છેદ 11માં સંસદે નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર માત્ર અને માત્ર આપ્યો છે ભારતની સંસદને આપ્યો છે. આ કેન્દ્રનો વિષય છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સામાન્ય વિષય નથી. મને લાગે છે કે ચૂંટણી પછી બધા સહકાર આપશે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે.

 

 

 

 

કોરાનાના 167 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,31,897 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,513 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,97,546 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 213 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1037 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,15,016 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2614 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

સુવિચાર – ૧૪ માર્ચ, ૨૦૨૪

સુવિચાર – ૧૪ માર્ચ, ૨૦૨૪

૧૪ માર્ચ, ૨૦૨૪