Home Blog Page 1951

કોંગ્રેસના ન્યાયપત્રમાં મહિલાઓને એક લાખ, ખેડૂતોનાં દેવાં માફનું એલાન

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેનાં ચૂંટણીવચનો જારી કરી દીધાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદંબરમ અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. પાર્ટીએ દેશની જનતાને પાંચ ન્યાયનું વચન આપ્યું છે. આ સાથે પાર્ટીએ 25 ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે.  

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગાના ગરીબ મજૂરોને રૂ. 400ની મજૂરી આપવામાં આવશે. 40 લાખ સરકારી નોકરીઓ અને શહેરી રોજગાર ગેરંટી લાવવાનાં વચનો આપ્યાં હતાં. રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના તર્ક પર દેશમાં રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર કેશલેસ વીમા યોજના લાગુ કરવામાં આવશે. તેમણે ખેડૂતો માટે પણ મોટું એલાન કર્યું હતું. સરકાર પર પર દેશમાં ખેડૂત ન્યાય હેઠળ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવશે. આ ઘોષણાપત્ર ન્યાયનો દસ્તાવેજ છે, એમ તેમણે કહ્યું હતું.

સરકાર બનવા પર દેશમાં જાતીય જનગણતરી કરાવવામાં આવશે. મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજનાનું એલાન કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ગરીબ મહિલાઓને રૂ. એક લાખની મદદ કરવામાં આવશે. યુવાઓને પણ નોકરીની ગેરંટી આપવામાં આવશે.

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યક્ષમતા અને મતપત્રની પારદર્શિતા માટે ચૂંટણી કાયદાઓમાં સંશોધન કરવામાં આવશે. મતદાન EVMના માધ્યમથી થશે, પણ મતદાતા મશીનથી પ્રાપ્ત મતદાન રસીદનેને VVPATમાં રાખવામાં અને જમા કરવામાં સક્ષમ હશે. અમે વચન આપીએ છીએ કે અમે ભોજન અને પરિધાન, પ્રેમ અને લગ્ન અને દેશના કોઈ પણ ભાગમાં યાત્રા અને રહેઠાણમાં વ્યક્તિગત પસંદમાં હસ્તક્ષેપ નહીં કરીએ.

 

 

જ્યાં સાદગી છે ત્યાં સંતોષ તથા સન્માન છે

પોતાના કીમતી શ્વાસોને ગુમાવીને પાપનો ભાર લઈને મનુષ્ય સંસારમાંથી વિદાય લે છે. દેવતાઓના સુંદર શરીર પૂરા કપડા થી ઢંકાયેલા રહે છે. આ કળિયુગી દુનિયામાં રોગી શરીરનો લોકો પ્રદર્શનીની જેમ ઉપયોગ કરે છે. દેવતાઓના પ્રસન્ન તથા પવિત્રતા યુક્ત ચેહરા તથા કરુણા ભરેલ આંખો તેમના શણગારને ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આ સંસારમાં ક્રોધ તથા વાસના યુક્ત ભાવ, નિંદા બદલો લેવાની ભાવના થી ભરેલ ચહેરાને બનાવટી શણગાર ક્યાં સુધી ઢાંકી શકે છે? બનાવટી ચહેરાને જોઈને કોઈને સુખ કે શાંતિ મળતા નથી. ઘણીવાર તો તેઓ હાસ્યને પાત્ર પણ બને છે.

જ્યાં સાદગી છે ત્યાં સંતોષ તથા સન્માન છે. સાદગી યુક્ત વ્યક્તિની દ્રષ્ટિ પોતાના શરીરથી દૂર થઈને બીજાના સુખ-દુઃખની ભાગીદાર બને છે. આવી વ્યક્તિઓ વસ્તુઓથી વધુ મૂલ્યોની કદર કરે છે. અને તે નાશવંત શરીરના સ્થાને આત્માને મૂલ્યોથી શણગારે છે. તે પરિવાર તથા સમાજની ભલાઈ માટે અગ્રેસર રહે છે. પોતાના સમય-ધન-શક્તિના ખજાનાને નિસ્વાર્થ ભાવથી સમાજ સેવામાં લુટાવે છે. જે દુઆઓ મળે છે તેનાથી તેનું શરીર તથા આત્મા સ્વસ્થ તથા સુંદર બની જાય છે. તે સાદા હોવા છતાં પણ સાત્વિક આકર્ષણથી ભરપૂર હોય છે, તે આકર્ષણમાં સંસારના દુઃખી-અશાંત લોકો સુખ-શાંતિનો અનુભવ કરે છે. આથી સાદગી જ કિંમતી છે. એ મનુષ્યને સત્ય તથા અહિંસાની એકદમ નજીક લાવી દે છે. આવી વ્યક્તિના માથા ઉપર ઈમાનદારીનો મુકુટ, આંખોમાં અનાશક્તિની ચમક તથા મુખમાં પોતાપણાનો મધુર અવાજ, હાથોમાં આપવાની ભાવના તથા કર્મમાં કુશળતા ભરેલી રહે છે. આમ ભગવાનના કહેવા પર ફેશનનો ત્યાગ કરી સાદગીનો હાર સ્વીકાર કરો.

સંગ્રહ શબ્દનો અર્થ ભેગું કરવું એવો થાય છે, પરંતુ જ્યારે આપણે તેની સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે કંઈક બીજો જ અર્થ સામે આવે છે. સંગ્રહ = સમ+ગ્રહ. સમનો અર્થ છે સમાન-એકરસ. આપણે સંસારના પદાર્થોને એ રીતે અપનાવીએ કે જેનાથી મનની સ્થિતિ એકરસ રહે. પરંતુ આજની દુનિયામાં સંગ્રહ શબ્દનો અર્થ ફક્ત ભેગું કરવું એમ થાય છે.

આજની દુનિયામાં લોકો કોઈપણ રીતે સંગ્રહ કરવાની વૃત્તિ ધરાવે છે. લોભના કારણે જે બિનજરૂરી ચીજોનો સંગ્રહ કરવામાં આવે છે તેના કારણે સદગુણો જીવનમાંથી લુપ્ત થતા જાય છે. સંગ્રહ કરવામાં આવે છે સોના ચાંદીનો, કપડાનો, ખાધ્ય પદાર્થોનો, ચંપલોનો. આજે મનુષ્ય ઈંટ-પથ્થરનો પણ સંગ્રહ કરે છે કારણ કે કળિયુગમાં વધતી જતી મોંઘવારીના કારણે ઈંટ- પથ્થરોના પણ ખૂબ ભાવ ઉપજે છે. આજનો મનુષ્ય કાળા બજાર કરવા માટે તથા પોતાનો સ્વાર્થ સાધવા માટે પ્રેરાઇ રહ્યો છે. સફેદ ગાદી ઉપર સફેદ કપડાં પહેરીને સફેદ વાળ તથા સફેદ દાઢી રાખવા છતાં સંગ્રહની વૃત્તિના કારણે મનુષ્ય અંદરથી બિલકુલ કાળો બની ગયો છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

ચૈત્ર મહિનો આવતા જ ગુણકારી લીમડાનો મોર માર્કેટમાં

અમદાવાદ: ચૈત્ર મહિનો આવતાની સાથે જ શહેરના માર્ગો પર લીમડાનો મોર એટલે કે એની ફૂલ મંજરીનું ઠેર-ઠેર વેચાણ થતું જોવા મળે છે. જે વિસ્તારમાં માર્ગ પર, બગીચામાં લીમડાના વૃક્ષ હોય ત્યાંથી આરોગ્ય માટે સભાન લોકો મોર અને પાન તોડી ઔષધીય ઉપયોગ કરી લે છે. જ્યારે એકદમ રેડીમેડ વસ્તુઓના જ ઈચ્છુક લોકોને રોડ પર જ લીમડાનો મોર અને રસ મળી જાય છે.આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લીમડાના મોરને પાણી સાથે પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. ઉત્સવો, તહેવારોમાં માર્ગો પર ચીજવસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુને માફક આવતી વસ્તુઓનું વેચાણ કરવા માંડ્યા છે. કુદરતી રીતે આંબળા, લીમડા, કુંવારપાઠુ જેવી અનેક ઔષધિ સ્વરૂપે આપણી આસપાસ ઉગતી વસ્તુઓ પહેલાં લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા. હવે આયુર્વેદિક સ્ટોર, આયુર્વેદાચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે ‘પેકિંગ’ કરીને વેચી રહ્યા છે.મોસમ પ્રમાણે વેપાર કરતાં લોકો પણ માર્કેટમાં અને લોકોની જરૂરિયાતોને બરાબર જાણી ગયા છે. શહેર, ગામડાની આસપાસમાં થતાં લીમડાના પાન, ડાળીઓ અને ફૂલ-માંજરો-મોર તોડી મુખ્ય માર્ગો બજારમાં વેપાર કરી પેટિયું રળી રહ્યા છે.આયુર્વેદના ડોક્ટર હેલી ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે આપણી આસપાસના ઘણાં વૃક્ષ, છોડ, વેલાનો ઉપયોગ  માનવ શરીર માટે ગુણકારી છે. એમાંય લીમડાના પાન, છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી-જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને નિયંત્રિત રાખવા નિષ્ણાત તબીબની સલાહ સાથે જ શરીરની અંદર કે બહાર ઔષધના ઉપયોગો હિતાવહ છે. જ્યારે લીમડાના પાન મોરનો ઉપયોગ વહેલી સવારે રસ તરીકે લેવાથી ભવિષ્યમાં તાવથી માંડી અસાધ્ય રોગથી શરીરને દુર રાખી શકાય છે. પણ આ સાથે ખોરાક અને દિનચર્યામાં પણ એટલી જ  કાળજી રાખવી પડે.શરીરના અંદરના રોગો, બાહ્ય ચામડીના રોગોમાં અસરકારક એવો લીમડો, જ્યારે બાળવામાં આવે છે ત્યારે આસપાસના મચ્છર જેવા અનેક જંતુઓનો નાશક તરીકે કામ કરે છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)

રિઝર્વ બેન્કે સાતમી વાર રેપો રેટ યથાવત્ રાખ્યા

નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ પ્રથમ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. આ સતત સાતમી વાર છે, જેમાં RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોર મોંઘવારી ઘટી છે. તેમનું માનવું છે કે ખાદ્ય ફુગાવો દરમાં સતત ઉતારચઢાવ રહે એવી શક્યતા છે. FY25માં રિટેલ મોંઘવારી અંદાજ 4.5 ટકા પર યથાવત્ છે. FY25નો Q1 મોંઘવારી દરનો અંદાજ પાંચ ટકાથી ઘટીને 4.9 ટકા થયો હતો. FY 25નો Q2 મોંધવારી દરનો અંદાજ ચાર ટકાથી ઘટીને 3.8 ટકા અને FY25 Q3નો મોંઘવારી અંદાજ 4.6 ટકા અંદાજ્યો છે.

આ સાથે RBIએ રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને SDF રેટ 6.25 ટકા પર છે. MPCના છ સભ્યોએ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. બેન્કે FY25માં રિયલ GDP ગ્રોથ અંદાજ સાત ટકા પર રાખ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 5.1 ટકા છે. માર્ચમાં મોંઘવારી દર 5.2 ટકા રહેવાનો અંદાજ છે. 2024ના પહેલા ત્રણ મહિનામાં એ 5.2 ટકા રહેવાનો અંદાજ છે.

RBI ગવર્નરે કહ્યું હતું કે UPI દ્વારા રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા લાવવામાં આવશે. ATM મશીનમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા મળશે અને નાણાકીય સ્થિરતા પર ફોકસ રહેશે.

RBI MPCના તમામ સભ્યોએ એકમોડેશન ઑફ વિડ્રોલ તરીકે આર્થિક વલણ રાખ્યું છે. RBI દેશની આર્થિક મજબૂતીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલરમાં વધઘટ ચાલુ છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે છે.

 

 

 

કોરાનાના 114 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,723 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,563 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,529 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 739 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,370 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

૦૫ એપ્રિલ, ૨૦૨૪

૦૫ એપ્રિલ, ૨૦૨૪

Chitralekha Gujarati – 15 April, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વાસ્તુ: શું ઈશાનના બધા દ્વારા સકારાત્મક હોય છે?

કાળઝાળ ગરમી અને અછત વચ્ચે જીવતો માણસ ક્યારેક અંતિમ નિર્ણય લેવાનો વિચાર કરે છે. પણ અંતિમ એટલે શું? દરેક વ્યક્તિ માટે તેની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. કોઈને બધુજ છોડી દેવાનો વિચાર આવે તો કોઈને લડી લેવાનો. રામાયણ તરફ નજર કરીએ તો સમજાય છે કે સહજતા, સન્માન અને કર્તવ્યનિષ્ઠ હોવું એ વ્યક્તિત્વ નિખારવામાં મદદરૂપ થાય છે. પિતાના સન્માન માટે રામ વનમાં ગયા પણ એમણે વનવાસ દરમિયાન અન્યનું ભલું ચાહ્યું. ભરતને ગાદી મળી હોવા છતાં એણે એને રામની અમાનત સમજી, જટાયુએ સીતાજીનું રક્ષણ કરવા પ્રાણ ત્યાગી દીધા, રાવણ  બ્રાહ્મણ ધર્મ નિભાવવા પોતાના પ્રતિસ્પર્ધીને પણ વિજય માટેની પૂજા કરાવે, સુષેણ વૈદ્ય રાવણનો વૈદ્ય હોવા છતાં લક્ષ્મણની સારવાર માટે આવે, વિગેરે પ્રસંગો આપણી સાચી સંસ્કૃતિ છે. આ બધા જ નિર્ણય અંતિમ હોઈ શકે, પણ સકારાત્મક હતા. એવા સકારાત્મક નિયમોનું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂરથી નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા વડવાઓ ભારતીય હતા. મધ્યકાળમાં મારા દાદા વિદેશ ગયા અને પછી અમારા વિચારો બદલાયા. હું ભારત પાછી આવી મને ભારતીય રીતે રહેવાનું ગમ્યું. પણ મારા કેટલાક મિત્રો મને એ કરવાની ના પાડે છે. તમારા એક લેખમાં મેં વાસ્તુ વિષે વાંચ્યું હતું. હવે મને કહેવામાં આવ્યું છે કે વાસ્તુના નિયમો માત્ર ભારતમાં રહેતા લોકો માટે જ છે. મારે શું કરવું જોઈએ? મને વાસ્તુ આધારિત ફેરફાર કરવાથી લાભ તો થયો જ છે. પણ એવું કરવાથી કોઈ પાપ તો ન લાગે ને? મહેરબાની કરીને સમજાવો ને.

જવાબ: ભારતીય શાસ્ત્રો માનવ જાતિને મદદ કરવા માટે રચાયેલા છે. જો તમે માનવ છો તો વાસ્તુના નિયમો તમારા માટે છે જ. આ કામ આ જ વ્યક્તિ કરી શકે એવું ક્યારેય નિશ્ચિત નથી હોતું. હા. જે તે વ્યક્તિની આવડત, ઈચ્છા અને સુઝ જોવી પડે. પણ એ વિદેશી છે એટલે ભારતીય શાસ્ત્રોનું પાલન ન કરી શકે એવું ન હોય. સૂર્ય કોનો છે? એના પ્રકાશ વિષે વાસ્તુશાસ્ત્રમાં સમજણ આપી છે. જો તમે સૂર્યની હાજરીને નહિ સમજો તો શું અંધારામાં કામ કરશો? જો કે ઘણી બધી બંધિયાર જગ્યાઓમાં લોકો માત્ર ઇલેક્ટ્રિક પ્રકાશમાં કામ કરે છે. પણ એ એમની મજબૂરી છે. ચંદ્ર કોનો છે? ભારતીય પંચાંગનો આધાર એ જ છે ને? જો સૂર્ય અને ચંદ્ર બંનેની ગેરહાજરીમાં કામ કરવાનું હોય તો માત્ર અમાસની રાત્રી જ બચે. પણ ત્યારે અન્ય પરિબળો તો કાર્યરત હશે જ. હવે વાત રહી ઘરની અંદરના નિયમોની.

જો ભારતમાં રહેતી વ્યક્તિઓ ભારતીય છે તો એમના સારા સ્વાસ્થ્ય અને સુખના નિયમો પણ સમાન જ હોય ને? જ્યાં સુધી આપણે સભાનપણે કોઈનું નુકશાન નથી કરતા ત્યાં ડરવાની જરૂર નથી. વળી આપ પોતે જ કહો છો કે વાસ્તુના નિયમોથી આપને લાભ થયો છે. તો બસ, આપના અનુભવ પર વિશ્વાસ કરો.

સવાલ: મારા ઘરનો દરવાજો ઈશાનમાં ઉત્તર તરફ છે. મેં જયારે ફ્લેટ લીધો ત્યારે બિલ્ડરે કહ્યું હતું કે આ દ્વાર વાસ્તુ આધારિત છે. પણ આ ઘરમાં આવ્યા પછી કોઈને કોઈ સમસ્યા આવ્યા કરે છે. થાકીને મેં ઘર વેંચવા કાઢ્યું છે પણ એમાં પણ મારા અંગત લોકોજ વચ્ચે આવે છે. મારે એ જાણવું છે કે મારું દ્વાર સકારાત્મક ગણાય કે નહિ?

જવાબ: જી. નહિ. ઈશાનમાં ઉત્તર તરફનું દ્વાર આપના અનુભવ મુજબનું જ ગણાય છે. પોતાની અંગત વ્યક્તિ પીઠ પાછળ બદલાઈ જાય એવું બને. જો કે ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં એનો ઉપાય છે.

સુચન: એક એવી ગેર માન્યતા છે કે ઈશાનના બધા દ્વાર સકારાત્મક છે. બરાબર ઇશાન ખૂણામાં આવેલ દ્વાર માટે આ વાત સાચી નથી.

આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com

રાશિ ભવિષ્ય 05/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે,  વેપારમાં લાભ થઈ શકે છે.

પરશોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનના કોણ છે મુખ્ય ચહેરા?

રાજકોટ: લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા છે. જેમણે વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીનો વિવાદ હવે રાજકોટ કે ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો. આ આંદોલનની આગ હવે રાજસ્થાન સુધી પણ પહોંચી છે. છેલ્લા દસ દિવસથી ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન શમવાનું નામ નથી લેતું. ત્યારે જાણીએ કે ક્ષત્રિય સમાજના આ આંદોલનના કોણ છે ચર્ચિત ચહેરાઓ. રાજકોટમાંથી આંદોલન શરૂ થયું છે ત્યારે રાજકોટ – સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ આગેવાનો આ આંદોલનમાં સક્રિય અને ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરથી આંદોલનની કમાન તૃપ્તીબા રાઓલે સંભાળી છે.પી. ટી. જાડેજા: રાજકોટના ક્ષત્રિય સમાજ માટે પી. ટી. જાડેજાનું નામ અજાણ્યું નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ માટે એક મોટી છાત્રાલય ચાલે છે તેઓ તે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી છે. આ ઉપરાંત ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. નવરાત્રી કે શરદ પૂનમના રાસોત્સવના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે. પી. ટી. જાડેજા ગોંડલમાં પોલીસમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાંથી સ્વેચ્છાએ તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલી સાઈનગર સોસાયટીમાં રહે છે.પદ્મિનીબા વાળા: ક્ષત્રિય સમાજના આંદોલનને ઉગ્ર બનાવવામાં રાજકોટના પદ્મિનીબા વાળાની સક્રિય ભૂમિકા રહી છે. તેઓ ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ છે. આ ઉપરાંત રાજકોટમાં રાજશક્તિ મહિલા મંડળના પ્રમુખની છેલ્લા દસ વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે. મૂળ તેઓ જાડેજા પરિવારના દીકરી છે. સંતાનમાં બે પુત્રો છે. તેમના પતિ ગિરિરાજસિંહ વાળા ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે. મૂળ વતન ઉપલેટા પાસે આવેલા ગધેથડ નજીક તંણસવા ગામ છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ ભાજપમાં જોડાયા હતા.નયનાબા જાડેજા: રાજકોટમાં રૂપાલાના બૉયકોટના પોસ્ટર લગાવનાર અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં સક્રિય નયનાબા જાડેજા જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન છે. અગાઉ તેઓ જામનગર રહેતા હતા. પરંતુ હાલ તેઓ રાજકોટ રહે છે. તેઓ તેમના માતાની સ્મૃતિમાં રચેલા શ્રી લતાબા એ. જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ મારફત તેઓ સમાજ સેવાના કર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રાજકોટ જિલ્લા મહિલા સેવાદળના પ્રમુખ છે. અગાઉ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં પણ મહત્વના હોદા ઉપર રહી ચૂક્યા છે.તૃપ્તિબા રાઓલ: મૂળ માણસાના રહેવાસી તૃપ્તિબા રાઓલ હાલ ગાંધીનગર રહે છે. ભાવનગર સ્થિત નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યા બાદ મનોવિજ્ઞાન વિષયમાં તેઓ સ્નાતક થયા છે. આ ઉપરાંત તૃપ્તિબા રાઓલ ‘નારીશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ’ના પ્રમુખ છે. દર વર્ષે તેઓ 100 ક્ષત્રિય નારી રત્નોની પસંદગી સમગ્ર ગુજરાતમાંથી કરીને તેઓની પ્રતિભા અને પ્રશંસનીય કાર્યોને પુસ્તકના માધ્યમથી પ્રકાશિત કરે છે. આગામી 7મી એપ્રિલના રોજ તૃપ્તિબાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. તેઓને આ એવોર્ડ હેરિટેજ સંવર્ધક તરીકે આપવામાં આવશે.

હાલ તો આ તમામ લોકોની બસ એક જ માંગ છે કે રાજકોટથી પરશોત્તમ રૂપાલાને આપવામાં આવેલી ચૂંટણીની ટિકિટ કેન્સલ કરો.

દેવેન્દ્ર જાની (રાજકોટ)

તસવીરો: નિશુ કાચા