Home Blog Page 1877

તેલંગાણાના પૂર્વ CM KCR સામે ચૂંટણી પંચની કાર્યવાહી

ચૂંટણી પંચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે ચંદ્રશેખર રાવ સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. જેમાં કેસીઆરને લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કેસીઆરે કોંગ્રેસ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ આરોપોની તપાસ કરી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. પંચે 16 એપ્રિલે KCRને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

જો કે, કેસીઆરે આ આરોપોને ફગાવી દીધા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે તેમના તેલુગુ ભાષણના અંગ્રેજી અનુવાદને વિકૃત કર્યો છે. BRS વડાએ નોટિસના જવાબમાં ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેલંગાણા અને સરસિલ્લામાં ચૂંટણીના પ્રભારી અધિકારીઓ તેલુગુ લોકો નથી અને તેઓ ભાગ્યે જ તેલુગુની સ્થાનિક બોલી સમજે છે. તેમની પ્રેસ કોન્ફરન્સમાંથી કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે વાક્યોનો અંગ્રેજી અનુવાદ સાચો નથી અને વિકૃત કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે, દસ્તાવેજો અને ભાષણ ટ્રાન્સક્રિપ્ટ્સનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું કે કેસીઆરએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને બુધવારે તેમને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

બનાસકાંઠામાં PM મોદીનો હુંકાર, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરતા પ્રવાસે છે.PM મોદીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચા વાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી. આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી.. તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમનામાં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.

અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો

ગુજરાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

પ્રધાનમંત્રીનો આવતીકાલનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી આવતીકાલે 2જી મેના મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદીર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેરસભા સંબોધશે. તેમના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે.

 

ગુજરાત સ્થાપના દિવસે 385 વિદ્યાર્થીઓનું સન્માન

 મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્ર બંધ થતી ગુજરાતી શાળાને કેન્દ્રમાં રાખી શાળાના ઉત્કર્ષ અને સમાજમાં માતૃભાષામાં ભણતર માટેના વિવિધ જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થાનું તીર્થ નગરી ઉત્તરાખંડ હરિદ્વારમાં વસતા ગુજરાતી સમુદાય દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સંસ્થાના અગ્રણી ભાવેશભાઈને શાલ અને વિશેષ ભેટ પ્રતિનિધિ અલ્પાબહેન દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. આજના સમયમાં મુંબઈ જેવી નગરીમાં ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ આ સંસ્થા વિશ્વભરના ગુજરાતી માટે પ્રેરણા સ્વરૂપ છે. આ વાત હરિદ્વાર ગુજરાતી પરિવારના પ્રમુખ રાજેશભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમના જણાવ્યાનુસાર આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસ બુધવારના હોવાથી આયોજન હરિદ્વારના રાખી પ્રતિનિધિરૂપે અલ્પાબહેન આ સન્માન પાઠવવા મુંબઈ ખાતે આવ્યાં છે. સમસ્ત હરિદ્વાર ગુજ્જુ પરિવાર દ્વારા માતૃભાષા સન્માન પાઠવતા સન્માન અનુભવે છે હરિદ્વારના ગુજરાતી પરિવાર દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ દ્વારા થતા ગુજરાતી સંસ્કૃતિ ભાષા માટે શ્રેષ્ઠ કાર્યને બિરદાવવાનું કાર્ય 2015થી ચાલી રહ્યું છે. આ પ્રસંગે રાજેશભાઈ પાઠક, રાજેશભાઈ પ્રજાપતિ, કીર્તનભાઈ દેસાઈ, રમેશભાઈ ઠાકર, અલ્પાબહેન ગાધેર, ચંદ્રકાંતભાઈ ગાધેર તો મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતા,અલ્પાબેન મહેતા,પાર્થ લખાણી, શુભાંગ મહેતા, મયૂર મકવાણા, ગૌતમ રાજાણી,  નિધિ કાચા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનું મુંબઈમાં સમાપન થયું હતું

આ સાથે હરિદ્વાર ગુજરાતી પરિવાર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે લેવાયેલી વિવિધ સ્પર્ધા 385 વિદ્યાર્થીઓનું સન્માન દેશભરની 45 શાળામાં ગુજરાત સ્થાપના દિવસે કરવામાં આવ્યું હતું.

 

 

 

 

“માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી” એક અનોખો પ્રોજેક્ટ!

અમદાવાદ: નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટને બે વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે અમદાવાદ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટને અમદાવાદ યુનિવર્સિટી અને પ્રો. અંકુર સરીન અને તેમની ટીમ તથા આઈ. આઈ. એમ.નો સહયોગ છે. વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલા MGUA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુજરાતી અને પ્રાદેશિક માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્તમ અંગ્રેજી વિવિધ એક્ટિવિટી દ્વારા ભણે તેવો છે.માતૃભાષાના પ્રભુત્વને યથાતથ રાખી અંગ્રેજી ભાષાને પણ આવકારવાના અભિગમ સાથે કાર્યરત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાના કારણે કોઈ બાળક ભવિષ્યમાં રોજગારની તકોથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખે છે. UN દ્વારા આપવામાં આવેલા Sustainable Development Goals અને NEP 2020 બંને સાથે તાલમેલ જાળવીને આ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, ૧૨ શાળાઓ અને આશરે ૧૨૦૦ વિદ્યાર્થીઓ પહેલેથી જ કાર્યક્રમની અભિનવ પદ્ધતિથી અભ્યાસ કરી રહ્યા છે. હવે, વધતી જતી માન્યતા અને સમર્થન સાથે, MGUA પ્રોજેક્ટ રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ કરી રહ્યો છે. જેમાં ‘સેવા’ જેવી સંસ્થાઓ સહયોગ આપી રહી છે. હાલમાં દેશના ચાર રાજ્યોમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે. 

MGUAના દ્વિતીય વાર્ષિક પુરસ્કાર અને સન્માન સમારોહમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલી શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. જે શાળા, શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવી હતી, તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના આદરણીય વ્યક્તિત્વો પ્રફુલ અનુભાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, ડો. રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ પારેખ અને ડો. મિથુન ખાંડવાલાએ ઉપસ્થિત રહી સૌને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેની અસર ગુજરાતથી શરૂ થઈને સમગ્ર ભારતમાં વિસ્તરે તેવું જાણીતા શિક્ષણવિદો માને છે.

દુનિયાનું એકમાત્ર એરપોર્ટ જ્યાં રનવે પર શોભાયાત્રા નીકળે છે!

તિરુવનંતપુરમ: શું તમે કોઈ એવું એરપોર્ટ જોયું છે, જેના રનવે પરથી હાથી-ઘોડા અંબાડી અને ઢોલનગારા સાથે વિવિધ પ્રતિકૃતિઓ સાથે શોભાયાત્રા નીકળતી હોય? તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું એકમાત્ર એરપોર્ટ છે, જેનો રનવે શોભાયાત્રાની સુવિધા માટે કલાકો સુધી બંધ રાખવામાં આવે છે. એટલું જ નહીં, તમામ ફ્લાઈટ્સ રિશેડ્યૂલ કરવામાં આવે છે. સદીઓ-જૂની શોભાયાત્રાની પરંપરાને જાળવી રાખવા વર્ષમાં બે વાર આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.આ શોભાયાત્રા પાછળ એક ઐતિહાસિક તથ્ય છે. ઇતિહાસકારો અનુસાર જ્યારે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરા થિરુનાલે વર્ષમાં 363 દિવસ લોકો માટે આ જગ્યા ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની તહેવાર દરમિયાન રનવે બંધ થાય તે પહેલાં એરપોર્ટ દર વર્ષે બે વાર એરમેનને (નોટમ) નોટિસ જારી કરે છે.

અદાણી ગ્રુપે એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ આજદિન સુધી રાજવી યુગની પરંપરાગત વિધિ યથાવત્ રહી છે. સદીઓ-જૂની ઔપચારિક શોભાયાત્રા રનવે પરથી પસાર થઈ શકે તે માટે એરપોર્ટ દાયકાઓથી દર વર્ષે બે વાર ફ્લાઈટ્સ ઓપરેશનની કામગીરીને થોભાવે છે અને ફ્લાઈટ્સનું પુનઃનિર્ધારણ કરે છે. એકવાર શોભાયાત્રા સમાપ્ત થયા બાદ એરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફ-સફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટસની સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.

 

આ પ્રકારની શોભાયાત્રાથી મુસાફરોની અવરજવર કે એરટ્રાફિકમાં કોઈ ઘટાડો થતો નથી. વર્ષ 2023 -24 દરમિયાન તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સંખ્યા અને એર ટ્રાફિકની હિલચાલ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022-23માં 3.46 મિલિયન મુસાફરોની સરખામણીએ એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં કુલ 4.4 મિલિયન મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. જે એરપોર્ટના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા પૈકી એક છે.

TMCને બદલે ભાજપનો મત આપવો સારોઃ અધીર રંજનનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ TMC સાંસદ સુષ્મિતા દેવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે પશ્ચિમ બંગાળમાં TMCને બદલે ભાજપને મત આપવો સારો છે. આ વિડિયોમાં તેમને સાંભળી શકાય છે કે TMCને મત કેમ આપવો?…ભાજપને મત આપવો યોગ્ય છે. તેમનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ચૌધરી લોકસભામાં વિપક્ષના નેતા પણ છે, જ્યારે સુષ્મિતા દેવ TMCમાં સામેલ થતાં પહેલાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં.

પશ્ચિમ બંગાળના બહારમપુર લોકસભા સીટથી પાંચ વાર લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી મમતા બેનરજીના તીખા ટીકાકારોમાંના એક છે. તેઓ બહેરામપુરમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા સમયે મંચ પર હતા, ત્યારે તેમણે બંગાળીમાં કહ્યું હતું કે TMCને મત કેમ આપવો, ભાજપને મત આપવો સારો છે.

આવામાં ઇન્ડિયા એલાયન્સનું શું થશે? આવામાં ભલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે એકતાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ વાતથી ઘણી દૂર છે, જેના પર વિપક્ષ દેશને વિશ્વાસ આપવા માગે છે, એમ વરિષ્ઠ પત્રકાર પલ્લવી ઘોષે આ વિડિયો X પર શેર કરતાં કહ્યું હતું.

મુખ્ય મંત્રી મમતા બેનરજી પર ચૌધરી દ્વારા સતત વિરોધને કારણે ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી જવાના નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવે છે. એ દરમ્યાન TMC નેતા સુષ્મિતા દેવે અધીર રંજન ચૌધરી પર તીખો હુમલો કર્યો છે.

 

 

 

 

 

 

આણંદ: પાટીદાર vs ક્ષત્રિયનો જંગ

આણંદ: સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટી તરીકે જાણીતું છે. આણંદ લોકસભા બેઠક પર વર્ષ 1947થી અત્યાર સુધી ક્ષત્રિય સમાજ અને પાટિદાર સમાજના ઉમેદવારો વચ્ચે મહત્તમ ચૂંટણી જંગ જામતો આવ્યો છે. આઝાદીથી અત્યાર સુધીમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં 11 વખત ક્ષત્રિય સમાજના ઉમેદવારો આ બેઠક પર જીતતા આવ્યા છે. તેવામાં છેલ્લી 6 ટર્મમાં 3 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીત્યા છે.  કોંગ્રેસ દ્વારા છેલ્લી ચાર ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસમાં પ્રથમ હરોળના નેતાની ગણનામાં આવતા ભરતસિંહ સોલંકીને મેદાને ઉતાર્યા હતા. જેમનો 2019ની ચૂંટણીમાં મિતેષ પટેલ સામે પરાજય થયો હતો.

ઉમેદવાર

ભાજપ: મિતેષ પટેલ

‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખાય છે. જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉદ્યોગપતિ મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવે છે. બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.)માં ડિપ્લોમા કર્યું છે. વર્ષ 2019માં મિતેષ પટેલે લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બન્યા હતા. મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં રહી છે. તેઓ 42 કરતા વધારે ડિબેટમાં સામેલ થયા હતા. વિશ્વસ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ સમગ્ર દેશે લીધી હતી.

કોંગ્રેસ: અમિત ચાવડા

અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. 48 વર્ષીય અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ વખત વર્ષ 2004માં બોરસદથી વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મધ્ય ગુજરાતની આણંદ સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા.

PROFILE

  • આણંદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેષ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,97,718 વોટની લીડથી જીત્યા હતા.
  • મતદારોની સંખ્યા

કુલ મતદારો      17,68,851

પુરુષ મતદાર     9,03,402

સ્ત્રી મતદાર       8,65,317

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા  વોટ લીડ
ખંભાત કોંગ્રેસ ચિરાગ પટેલ 69,069 3,711
બોરસદ ભાજપ રમણ સોલંકી 91,772 11,165
આંકલાવ કોંગ્રેસ અમિત ચાવડા 81,512 2,729
ઉમરેઠ ભાજપ ગોવિંદ પરમાર 95,639 26,717
આણંદ ભાજપ યોગેશ પટેલ 1,11,859 41,623
પેટલાદ ભાજપ કમલેશ પટેલ 89,166 17,954
સોજીત્રા ભાજપ વિપુલકુમાર પટેલ 87,300 29,519

ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપતા ખંભાત બેઠક પર વિધાનસભા ચૂંટણી યોજાશે.  આણંદ બેઠકની વિશેષતા

  • આણંદ સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટી તરીકે પ્રખ્યાતછે
  • ૧૯૫૧ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે બેઠકો હતી.
  • વર્ષ ૧૯૫૭માં બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી.
  • ૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ ચૂંટાયા હતા.
  • આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ હતો પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપની જીત થાય છે.

કેરીની ચટણી

કેરીની સિઝન ચાલુ છે. ચટપટી કેરીની ચટણી બહુ જ જલ્દી બની જાય છે. તેમજ સ્વાદિષ્ટ પણ લાગે છે.

સામગ્રીઃ

  • કાચી કેરી 500 ગ્રામ
  • મેથી દાણા 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • કલૌંજી 1 ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • ગોળ 200 ગ્રામ
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન

રીતઃ કેરીને ધોઈને સૂકવી લીધા બાદ તેની છાલ કાઢી લઈ, કેરીને જાડી સ્લાઈસમાં કટ કરી લેવી.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથી, રાઈ, વરિયાળી, કલૌંજી તેમજ જીરુ ઉમેરીને હીંગ પણ વઘારી લો. રાઈ અને જીરુ તતડવા માંડે એટલે તેમાં સમારેલી કેરીની સ્લાઈસ મેળવી દો.

2 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી ઉમેરી દો. હવે તેમાં ¼ ટી.સ્પૂન મીઠું તેમજ કાળું મીઠું ઉમેરીને મરચાં પાઉડર મેળવીને 6-7 મિનિટ માટે ઢાંકીને થવા દો. જો કેરી નરમ થઈ ગઈ હોય તો તેમાં ગોળ તેમજ ગરમ મસાલો મેળવી દો અને ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

ચટણી ઠંડી થાય એટલે એરટાઈટ જારમાં ભરી દેવી. આ ચટણી ફ્રીજમાં 15 દિવસ સુધી સારી રહેશે.

આ કેરીની ચટણી રોટલી, પરોઠા કે પુરી સાથે પણ સારી લાગે છે. બાળકોના ટિફિનમાં પણ આપી શકાય છે!

વિજ્ઞાનીઓએ બનાવ્યું ખુદ ખતમ થતું પ્લાસ્ટિક

નવી દિલ્હીઃ અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારનું પ્લાસ્ટિક વિકસિત કર્યું છે, જે ખુદ જ ખતમ થઈ જાય છે. તેમણે પોલિયુરિથેન પ્લાસ્ટિકમાં એક બેક્ટેરિયાને ભેળવ્યા છે. એ બેક્ટેરિયા પ્લાસ્ટિક ખાઈ જાય છે અને એ પ્રકારે પ્લાસ્ટિક ખુદ જ ખતમ થઈ જાય છે.

આ પ્લાસ્ટિકમાં ભેળવવામાં આવેલા બેક્ટેરિયા ત્યાં સુધી નિષ્ક્રિય રહે છે, જ્યાં સુધી પ્લાસ્ટિક ઉપયોગમાં રહે છે, પરંતુ જ્યારે એ કચરામાં રહેલા તત્ત્વોના સંપર્કમાં આવે છે તો એ સક્રિય થઈ જાય છે અને પ્લાસ્ટિક ખાવા લાગે છે, એમ સંશોધનકર્તાઓએ પ્રતિષ્ઠિત વિજ્ઞાન પત્રિકા નેચર કોમ્યુનિકેશન્સમાં છપાયેલા એક રિસર્ચમાં પ્લાસ્ટિક વિશે જણાવ્યું છે.

સેન ડિએગો સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાન સોલ કિમ કહે છે કે તેમને અપેક્ષા છે કે આ શોધ પ્રકૃતિમાં પ્લાસ્ટિક-પ્રદૂષણને ઓછું કરવામાં મદદગાર સાબિત થશે. એનો એક લાભ એ પણ હોઈ શકે છે કે બેક્ટેરિયા પ્લાસ્ટિકને વધુ મજબૂત બનાવે. 

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વની એક બહુ મોટી સમસ્યા છે. પ્રતિ વર્ષ 35 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ધરતી પર વધી રહ્યો છે એ કચરો માત્ર હવા જ નહીં, પણ આહાર સુધી એ પહોંચી ચૂક્યું છે અને આરોગ્ય માટે ખતરો બની ચૂક્યું છે.

માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં એ પીવાના પાણી દ્વારા શરીરની અંદર જઈ રહ્યું છે. વર્ષ 2021માં સંશોધનકર્તાઓએ એક અજન્મા બાળકના ગર્ભનાળમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું હતું અને ભ્રૂણના વિકાસ પર સંભવિત પરિણામો પર મોટી ચિંતા વ્યક્ત કરી હતી.