Home Blog Page 1876

૦૨ મે, ૨૦૨૪

મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જન્મશે…

અમેરિકાના કોઈ દૂરસુદૂર ગામડે રહેતો એક ખેડૂતપુત્ર પિતા સાથે ન્યૂ યૉર્ક ફરવા આવ્યો. ૧૪ વર્ષની ઉંમરના એ કિશોરે ન્યૂ યૉર્કની એક આલીશાન હોટેલ સામે જોઈ પિતાને પૂછ્યું: ‘ચાલોને, આ હોટેલમાં એક રાત એક દિવસ રહીએ…’

પિતાએ કહ્યું, ‘માય સન, એટલા પૈસા આપણી પાસે ક્યાં છે?’

થોડું વિચારીને પુત્રએ કહ્યું: ‘ડૅડ, જો એ હોટેલ જ આપણી હોય તો… તો ગમે તેટલા દિવસ રહેવાય.’

પિતા કહે, ‘કેવી ઊંચી ઊંચી વાત કરે છે.’

-પણ ૧૪ વર્ષની ઉંમરના એ ટીનએજરે સપનું મનમાં રાખ્યું. એણે પોતાનાં દિલદિમાગમાં ભવિષ્યનો એક નકશો બનાવ્યોઃ ‘મારે ન્યૂ યૉર્કમાં એક હોટેલ બનાવવી છે.’

પછી અપાર સંઘર્ષ કરીને એ ભણ્યો. ભણતર પૂરું કરીને આમતેમથી પૈસા ભેગા કરીને એક નાનકડો બિઝનેસ શરૂ કર્યો. એક હાટડી માંડી, ક્રમે ક્રમે વેપાર વધતો ગયો. સારીએવી મૂડી ભેગી થતાં એણે 1925માં ટેક્સાસના ડલ્લાસમાં પહેલી ફાઈવ સ્ટાર હોટેલ ખોલી. થોડાં વર્ષ બાદ એણે જે શહેરમાં પિતાને પોતાની હોટેલ શરૂ કરવાની વાત કરેલી તે ન્યૂ યૉર્ક સિટીમાં એક નહીં, બે હોટેલ ખરીદીને એને હિલ્ટનની માલિકીની બનાવી. કોનરાડ હિલ્ટન નામના એ કિશોરના નામની આજે દુનિયાભરમાં હોટેલોની હારમાળા ખડી થઈ ગઈ છે. આ છે દઢ નિશ્ચયનું, મનમાં કંડારેલા ભાવિના ચિત્રનું પરિણામ.

કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ સંકલ્પનું બીજ હૃદયમાં વવાવું જોઈએ અને તે સંકલ્પ અંગેનું ચિત્ર (visualization) સ્પષ્ટ કરીને નિયત સમયમર્યાદામાં શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ આદરવામાં આવે તો સિદ્ધિનાં શિખરો સર કરી શકાય.

ભવિષ્યમાં અમુક સમયે તમે શું બનવા માંગો છો? અથવા શું પામવા માંગો છો? તેનું સ્પષ્ટ ચિત્ર એ જ વિઝ્યુલાઈજેશન છે. વિઝ્યુલાઇજેશન એ આત્મવિશ્વાસથી સક્ષમ લોકોનો ગુણ છે. તે ધ્રુવના તારાસમાન છે. તે આપણને સતત માર્ગદર્શન આપી આપણો માર્ગ પ્રશસ્ત કરે છે. આપણી સર્જનાત્મક રીતે વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતાનો ઉપયોગ દરરોજ થોડો સમય કાઢીને કરવાથી આશ્ચર્યભર્યાં પરિણામો લાવી શકાય છે. વિઝ્યુલાઈઝેશનથી જ વિઝન સાકાર થાય છે.

તમારી પાસે કશુંક સારું છે, અને તેના આધારે કોઈ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિનું સ્વપ્ન ન જુઓ તો તમે એને ક્યારેય પ્રાપ્ત કરી શકશો નહીં. જે કંઈ અવરોધો છે તે તમારા મનના છે. માટે મનમાં સફ્ળતાનું ચિત્ર જોવાનું શરૂ કરી દો. પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતોઃ ‘દિલ્હીમાં યમુનાના કાંઠે મંદિર કરવું છે.’ સાઠ-સિત્તેર વર્ષ પહેલાં સૌને આ કઠિન લાગતું હતું, પરંતુ પ્રમુખસ્વામીના મનમાં મહારાજના અક્ષરધામ સાકાર જ હતું. પરિણામે ૩૫ વર્ષના સંઘર્ષ પછી દિલ્હીમાં મળેલી જમીન પર માત્ર ૫ વર્ષમાં ભવ્ય અક્ષરધામનું સર્જન કર્યું. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી મોટા હિંદુ મંદિર’ તરીકે સ્થાન પામેલા આ બેનમૂન પરિસ, ભારતીય મંદિર પરંપરાની જાણે વ્યાખ્યા જ બદલી નાંખી.

અહીં સ્વામી વિવેકાનંદનું વિધાન યાદ આવે છે કે ‘એક વિચાર, એક આદર્શ પકડો. એને જ તમારું જીવન જ બનાવી દો. એના જ વિચાર કરો, એનાં જ સપનાં જુઓ. એને તમારો શ્વાસપ્રાણ બનાવો. તમારું મસ્તિષ્ક, સ્નાયુઓ, જ્ઞાનતંતુઓ શરીરનું પ્રત્યેક અંગ તરૂપ કરી નાખો.’

તો, આજના આ દિવસે કોઈ ઉચ્ચ સંકલ્પ કરીએ. આપણાં મન અને મસ્તિષ્કને તે શ્રેષ્ઠ વિચારથી સમૃદ્ધ કરીએ. એને આપણું સપનું બનાવીએ. એક એવા સુખમય સંસારની કલ્પના કરીએ, જ્યાં સૌ કોઈ પ્રેમ અને શાંતિથી જીવી શકે.

કહે છેને કે, પરાગ જો અંતરમાં હશે, તો તે પાંગરીને કદી પુષ્પ ખીલશે; મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જન્મશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 02/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

પંચાંગ 02/05/2024

બાળકોને હિટ સ્ટ્રોકથી બચાવવા “વોટર બેલ”નો અનોખો પ્રયાસ

અમદાવાદઃ ઉનાળો આકરો બન્યો છે અને કાળઝાળ ગરમીના કારણે હિટ સ્ટ્રોકના કેસ વધી રહ્યાં છે. માત્ર એપ્રિલ મહિનામાં જ હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કેસ સામે આવ્યા છે. ત્યારે કેલોરેક્સ ગ્રૂપ દ્વારા વિદ્યાર્થીઓમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે તે માટે “વોટર બેલ” સિસ્ટમ શરૂ કરાઇ છે. કેલોરેક્સ ગ્રૂપ એક અગ્રણી શૈક્ષણિક ગ્રૂપ છે. જે વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ અને સુખાકારી માટે કટિબદ્ધ છે. જેમના દ્વારા K-12 શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે તે માટે “વોટર બેલ” સિસ્ટમ શરૂ કરાઇ છે. શાળાના સમય દરમિયાન ત્રણ વખત વોટર બેલ વાગે છે. જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમયાંતરે પાણી પીવાનું યાદ અપાવે છે.

કેલોરેક્સ ગ્રૂપના MD અને CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે કહ્યું કે આ પ્રયાસ નિયમિત હાઇડ્રેશન બ્રેક્સને પ્રોત્સાહિત કરે છે અને એક તંદુરસ્ત આદત કેળવાય છે. જે આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓને લાભદાયી રહેશે. વધુમાં ડૉ શ્રોફે કહ્યું કે વોટર બેલના પ્રયાસ દ્વારા અમે શાળાના સમયમાં યોગ્ય હાઇડ્રેશનની ખાતરી સાથે અમારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીએ છીએ. જે શિક્ષણ પ્રત્યેના અમારા અભિગમ સાથે સુસંગત છે. જે વિદ્યાર્થીઓની સર્વાગી સુખાકારી પર ભાર મૂકે છે.

વોટર બેલ સિસ્ટમ દિલ્હી પબ્લિક સ્કૂલ, ભોપાલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ઇસ્ટ અમદાવાદ, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ, મુદ્રા, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ, ઘાટલોડિયા, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ભરૂચ અને સૌરભ ઇંગ્લિશ સ્કૂલ સહિત તમામ K-12 સ્કૂલમાં શરૂ કરવામાં આવી છે. સંસ્થાના શેલ્ટર હોમ વિસામો કિડ્સમાં પણ “વોટર બેલ” સિસ્ટમ લગાવવામાં આવી છે. હાઇડ્રેશનને પ્રોત્સાહન આપવા ઉપરાંત વોટર બેલ ખાસ ગરમીના દિવસોમાં નિયમિત પાણી પીવાના મહત્વને પણ યાદ અપાવવાનું કામ કરે છે. કેલેરોક્સ ગ્રૂપ નવીન પ્રયાસો માટે સમર્પિત છે. જે સમગ્ર શિક્ષણના અનુભવને વધારે છે અને વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસમાં યોગદાન આપે છે.

ઝારખંડ કોંગ્રેસનું X એકાઉન્ટ સસ્પેન્ડ, જાણો કેમ ?

ઝારખંડ કોંગ્રેસનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી અનુસાર આ હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયો કેસની તપાસના સંબંધમાં 2 મેના રોજ સમન્સ પાઠવ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 28 એપ્રિલે આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે.

રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, મને મંગળવારે દિલ્હી પોલીસ તરફથી નોટિસ મળી છે. પરંતુ મને શા માટે નોટિસ આપવામાં આવી તે મારી સમજની બહાર છે. આ અરાજકતા સિવાય બીજું કંઈ નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો કોઈ ફરિયાદ હોય તો તેણે પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મારા એકાઉન્ટમાં ઉપલબ્ધ સામગ્રીની ચકાસણી કરવી જોઈતી હતી. ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે અને ચૂંટણી પ્રચારમાં મારી વ્યસ્તતા સમજી શકાય તેવી છે. આ સ્થિતિમાં, તેઓએ મારા લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગણી કરી છે. બાબતોની ચકાસણી કર્યા વિના સમન્સ જારી કરવું યોગ્ય નથી.

તેલંગાણાના પૂર્વ CM KCR સામે ચૂંટણી પંચની કાર્યવાહી

ચૂંટણી પંચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે ચંદ્રશેખર રાવ સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. જેમાં કેસીઆરને લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કેસીઆરે કોંગ્રેસ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ આરોપોની તપાસ કરી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. પંચે 16 એપ્રિલે KCRને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

જો કે, કેસીઆરે આ આરોપોને ફગાવી દીધા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે તેમના તેલુગુ ભાષણના અંગ્રેજી અનુવાદને વિકૃત કર્યો છે. BRS વડાએ નોટિસના જવાબમાં ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેલંગાણા અને સરસિલ્લામાં ચૂંટણીના પ્રભારી અધિકારીઓ તેલુગુ લોકો નથી અને તેઓ ભાગ્યે જ તેલુગુની સ્થાનિક બોલી સમજે છે. તેમની પ્રેસ કોન્ફરન્સમાંથી કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે વાક્યોનો અંગ્રેજી અનુવાદ સાચો નથી અને વિકૃત કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે, દસ્તાવેજો અને ભાષણ ટ્રાન્સક્રિપ્ટ્સનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું કે કેસીઆરએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને બુધવારે તેમને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

બનાસકાંઠામાં PM મોદીનો હુંકાર, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરતા પ્રવાસે છે.PM મોદીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચા વાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી. આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી.. તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમનામાં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.

અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો

ગુજરાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

પ્રધાનમંત્રીનો આવતીકાલનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી આવતીકાલે 2જી મેના મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદીર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેરસભા સંબોધશે. તેમના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે.

 

ગુજરાત સ્થાપના દિવસે 385 વિદ્યાર્થીઓનું સન્માન

 મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્ર બંધ થતી ગુજરાતી શાળાને કેન્દ્રમાં રાખી શાળાના ઉત્કર્ષ અને સમાજમાં માતૃભાષામાં ભણતર માટેના વિવિધ જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થાનું તીર્થ નગરી ઉત્તરાખંડ હરિદ્વારમાં વસતા ગુજરાતી સમુદાય દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સંસ્થાના અગ્રણી ભાવેશભાઈને શાલ અને વિશેષ ભેટ પ્રતિનિધિ અલ્પાબહેન દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. આજના સમયમાં મુંબઈ જેવી નગરીમાં ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ આ સંસ્થા વિશ્વભરના ગુજરાતી માટે પ્રેરણા સ્વરૂપ છે. આ વાત હરિદ્વાર ગુજરાતી પરિવારના પ્રમુખ રાજેશભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમના જણાવ્યાનુસાર આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસ બુધવારના હોવાથી આયોજન હરિદ્વારના રાખી પ્રતિનિધિરૂપે અલ્પાબહેન આ સન્માન પાઠવવા મુંબઈ ખાતે આવ્યાં છે. સમસ્ત હરિદ્વાર ગુજ્જુ પરિવાર દ્વારા માતૃભાષા સન્માન પાઠવતા સન્માન અનુભવે છે હરિદ્વારના ગુજરાતી પરિવાર દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ દ્વારા થતા ગુજરાતી સંસ્કૃતિ ભાષા માટે શ્રેષ્ઠ કાર્યને બિરદાવવાનું કાર્ય 2015થી ચાલી રહ્યું છે. આ પ્રસંગે રાજેશભાઈ પાઠક, રાજેશભાઈ પ્રજાપતિ, કીર્તનભાઈ દેસાઈ, રમેશભાઈ ઠાકર, અલ્પાબહેન ગાધેર, ચંદ્રકાંતભાઈ ગાધેર તો મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતા,અલ્પાબેન મહેતા,પાર્થ લખાણી, શુભાંગ મહેતા, મયૂર મકવાણા, ગૌતમ રાજાણી,  નિધિ કાચા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનું મુંબઈમાં સમાપન થયું હતું

આ સાથે હરિદ્વાર ગુજરાતી પરિવાર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે લેવાયેલી વિવિધ સ્પર્ધા 385 વિદ્યાર્થીઓનું સન્માન દેશભરની 45 શાળામાં ગુજરાત સ્થાપના દિવસે કરવામાં આવ્યું હતું.

 

 

 

 

“માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી” એક અનોખો પ્રોજેક્ટ!

અમદાવાદ: નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટને બે વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે અમદાવાદ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટને અમદાવાદ યુનિવર્સિટી અને પ્રો. અંકુર સરીન અને તેમની ટીમ તથા આઈ. આઈ. એમ.નો સહયોગ છે. વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલા MGUA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગુજરાતી અને પ્રાદેશિક માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્તમ અંગ્રેજી વિવિધ એક્ટિવિટી દ્વારા ભણે તેવો છે.માતૃભાષાના પ્રભુત્વને યથાતથ રાખી અંગ્રેજી ભાષાને પણ આવકારવાના અભિગમ સાથે કાર્યરત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાના કારણે કોઈ બાળક ભવિષ્યમાં રોજગારની તકોથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખે છે. UN દ્વારા આપવામાં આવેલા Sustainable Development Goals અને NEP 2020 બંને સાથે તાલમેલ જાળવીને આ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, ૧૨ શાળાઓ અને આશરે ૧૨૦૦ વિદ્યાર્થીઓ પહેલેથી જ કાર્યક્રમની અભિનવ પદ્ધતિથી અભ્યાસ કરી રહ્યા છે. હવે, વધતી જતી માન્યતા અને સમર્થન સાથે, MGUA પ્રોજેક્ટ રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ કરી રહ્યો છે. જેમાં ‘સેવા’ જેવી સંસ્થાઓ સહયોગ આપી રહી છે. હાલમાં દેશના ચાર રાજ્યોમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે. 

MGUAના દ્વિતીય વાર્ષિક પુરસ્કાર અને સન્માન સમારોહમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલી શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. જે શાળા, શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવી હતી, તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના આદરણીય વ્યક્તિત્વો પ્રફુલ અનુભાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, ડો. રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ પારેખ અને ડો. મિથુન ખાંડવાલાએ ઉપસ્થિત રહી સૌને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેની અસર ગુજરાતથી શરૂ થઈને સમગ્ર ભારતમાં વિસ્તરે તેવું જાણીતા શિક્ષણવિદો માને છે.