Home Blog Page 172

ઇરાનના ગેસ ક્ષેત્રમાં હુમલાને પગલે સેન્સેક્સમાં 2500 પોઇન્ટનો કડાકો

અમદાવાદઃ અમેરિકા અને ઇઝરાયેલના ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર અને આસપાસના માળખા પર હુમલાથી ઘરેલુ શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત કતારમાં વિશ્વમાં સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઇરાનના હુમલાએ રોકાણકારોને વધુ ડરાવી દીધા હતા. એની સીધી અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર પડી હતી. આ સિવાય ઇન્ડેક્સ હેવી વેઇટ HDFC બેન્કના શેરોમાં ઝડપી ઘટાડાએ બજારને નીચે ખેંચ્યું હતું.

બજાર સવારે નબળાઈ સાથે ખુલ્યું હતું, પરંતુ બાદમાં વેચવાલીના દબાણને કારણે ઘટાડો સતત વધતો ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગઈ. બજારમાં આ ભારે ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપી ઉછાળો માનવામાં આવે છે.

BSE સેન્સેક્સ 3.26 ટકા એટલે કે 2496 અંક ઘટીને 74,207 પર બંધ થયો હતો. નિફ્ટી 3.32 ટકા એટલે કે લગભગ 790 અંક તૂટી 22,984 પર પહોંચ્યો હતો. બજારમાં માત્ર 921 શેરોમાં તેજી જોવા મળી, જ્યારે 2923 શેરોમાં ઘટાડો નોંધાયો. 122 શેરોમાં કોઈ ફેરફાર થયો નહીં. નિફ્ટીના તમામ 16 મુખ્ય સેક્ટર ઇન્ડેક્સ નરમ બંધ થયા હતા. ખાસ કરીને ફાઇનાન્સિયલ અને બેન્કિંગ શેરોમાં લગભગ 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ આશરે 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે બજારના તમામ સેક્ટરમાં વેચવાલી જોવા મળી અને દરેક સેક્ટર ઘટાડા સાથે બંધ થયો, જે બજારની વ્યાપક નબળાઈ દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ક્રૂડની કિંમતોમાં તેજી આવીને ભાવ લગભગ 119 ડોલર નજીક પહોંચતાં નકારાત્મક માહોલ વધુ ગાઢ બન્યો. ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વની કડક નીતિ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી, રૂપિયાની નબળાઈ તથા મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ અંગે વધતી ચિંતાઓએ બજારની ભાવનાને વધુ કમજોર બનાવી.

બજારમાં ડર એટલો વધ્યો હતો કે ઇન્ડિયા VIX 21 ટકા ઊછળી ગયો, જે બજારમાં ભારે ગભરાટ દર્શાવે છે. NSEમાં સ્થિતિ એવી હતી કે દર 7 ઘટતા શેર સામે માત્ર 1 શેર જ વધતો જોવા મળ્યો.

આ ભારે ઘટાડા દરમિયાન BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 4,38,63,555.25 કરોડ રૂપિયાથી ઘટીને 4,26,68,434.82 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે માત્ર છ કલાકમાં લગભગ 11.95 લાખ કરોડ રૂપિયાનો રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો હતો. વિદેશી રોકાણકારોએ રૂ. 2700 કરોડથી વધુની વેચવાલી કરી હતી.

ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને માનદ નાઈટહૂડ સન્માન

નવી દિલ્હી: 18 માર્ચે ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને યુકે-ભારત વ્યાપાર સંબંધોમાં સેવાઓ માટે નાઈટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનું ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.ટાટા ગ્રુપ યુકેમાં ઓટોમોટિવ, સ્ટીલ, ટેકનોલોજી અને ગ્રાહક ક્ષેત્રોમાં કામગીરી સાથે લાંબા સમયથી રોકાણકાર છે. તે યુકેમાં નોકરીઓ, અદ્યતન ઉત્પાદન અને સ્વચ્છ ટેકનોલોજીમાં સંક્રમણને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાને તેમના મિત્રો અને પરિવારની હાજરીમાં પ્રેઝન્ટેશન સમારોહ યોજાયો હતો. ટાટા ગ્રુપના ચેરમેન તરીકે, તેમણે ઘણા વર્ષોથી યુકે-ભારત વ્યાપાર સંબંધો અને યુકેમાં રોકાણમાં અસાધારણ યોગદાન આપ્યું છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને કહ્યું, “શ્રી ચંદ્રશેખરન યુકેના અદ્ભુત મિત્ર છે અને ભારતના કોર્પોરેટ જગતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે.

“મને મહામહિમ રાજા વતી ચંદ્રશેખરનને KBE પ્રદાન કરવાનો આનંદ છે. માનદ નાઈટહૂડ વૈશ્વિક વ્યવસાય પર તેમની અસર અને યુકે અને ભારત વચ્ચે વિકાસની તકોને આગળ વધારવામાં તેમના ઘણા યોગદાનનો પુરાવો છે. તેમનું નેતૃત્વ ઉદ્યોગસાહસિક ભાવના, દૂરંદેશી, દ્રષ્ટિ અને આકાંક્ષાને મૂર્ત બનાવે છે, જેણે યુકે-ભારત વ્યાપાર સંબંધોને આગલા સ્તર પર લઈ જવામાં મદદ કરી છે.

“ચંદ્રશેખરન યુકે અને ભારત વચ્ચે મજબૂત વેપાર સંબંધોમાં ઊંડા અને લાંબા સમયથી ચાલતા વિશ્વાસથી પ્રેરિત છે. આજે, ટાટા ગ્રુપ યુકેમાં સૌથી મોટા ભારતીય નોકરીદાતાઓમાંનું એક છે, જેની 19 પેટાકંપનીઓ ત્યાં સ્થિત છે.”

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું, “હું મહામહિમ રાજા ચાર્લ્સ III તરફથી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું. આ સન્માન ફક્ત મારું નથી. તે ટાટા ગ્રુપના બધા સાથીદારો માટે સમાન છે. 70,000થી વધુ કર્મચારીઓ સાથે, ટાટા ગ્રુપે ટેકનોલોજી, ગ્રાહક, આતિથ્ય, સ્ટીલ, રસાયણો અને ઓટોમોટિવ ક્ષેત્રો તેમજ JLR અને Tetley જેવા પ્રતિષ્ઠિત બ્રિટિશ બ્રાન્ડ્સમાં યુનાઇટેડ કિંગડમ સાથે મજબૂત અને સ્થાયી સંબંધો વહેંચ્યા છે. અમારો સંકલ્પ ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે – યુકે, ભારત અને ટાટા ગ્રુપ વચ્ચે સહિયારી સમૃદ્ધિનું ભવિષ્ય બનાવવા, સેવા આપવા અને બનાવવાનો.”

બેંગલુરુમાં કોમર્શિયલ LPGની અછતે હોટેલ-રેસ્ટોરાં બંધ થવાની કગાર પર

બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં કોમર્શિયલ LPGની ભારે અછતને કારણે હડકંપ મચી ગયો છે. રાજ્યના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

50,000ની માગ સામે માત્ર 1000 સિલિન્ડરનો સપ્લાય

મુખ્ય મંત્રીએ પોતાના પત્રમાં રાજ્યની ચિંતાજનક સ્થિતિ દર્શાવી છે. આંકડાઓ મુજબ બેંગલુરુ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરાં, કેટરિંગ સેવા અને પીજી આવાસોને રોજ લગભગ 50,000 કોમર્શિયલ સિલિન્ડરની જરૂર પડે છે, જ્યારે દરરોજ માત્ર 1000 સિલિન્ડરનો જ સપ્લાય થઈ રહી છે. ગેસ ન મળવાને કારણે નાના-મોટા અનેક વ્યાવસાયિક સંસ્થાઓ બંધ થવા લાગી છે, જેને CMએ “દૃશ્યમાન શટડાઉન” ગણાવ્યું છે.

સામાન્ય જનતા અને IT સેક્ટર પર મોટો પ્રભાવ

આ અછત માત્ર વેપારીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગને અસર કરી રહી છે. બેંગલુરુમાં લાખો વિદ્યાર્થી અને IT પ્રોફેશનલ્સ પીજી અને હોટેલના ભોજન પર નિર્ભર છે. ગેસની અછતને કારણે તેમની ભોજન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. CMએ “ઓટો LPG”ની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેને કારણે ઓટો રિક્ષાચાલકોની આવક પર અસર પડી રહી છે અને શહેરની કનેક્ટિવિટી પણ પ્રભાવિત થઈ રહી છે. ખેતી અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા એકમોને પણ ગેસ ન મળવાથી નુકસાન થઈ રહ્યું છે.

સિસ્ટમમાં ખામીને કારણે ગરબડ

સિદ્ધારમૈયાએ કેન્દ્રનું ધ્યાન એક મોટી ટેક્નિકલ ખામી તરફ દોર્યું. તેમણે જણાવ્યું હતું કે ઘરેલુ ગેસ સપ્લાય માટે જેમ પારદર્શક ડિજિટલ સિસ્ટમ છે, તેવી કોમર્શિયલ LPG માટે ઉપલબ્ધ નથી, જેને કારણે વિતરણમાં ગરબડ સર્જાઈ રહી છે. મુખ્ય મંત્રીના જણાવ્યાનુસાર ઘરેલુ સપ્લાયને પ્રાથમિકતા આપવાને કારણે કોમર્શિયલ ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે હવે વેપાર માટે મુશ્કેલી બની રહ્યો છે.

મુખ્ય મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં બે LPG ટેન્કર કર્ણાટક પહોંચવાનાં છે, જેને કારણે સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે બેંગલુરુની ઊંચી નિર્ભરતા ધ્યાનમાં રાખીને કર્ણાટકને પૂરતો એલપીજી ક્વોટો ફાળવવામાં આવે જેથી વેપાર અને જનજીવન ફરી સામાન્ય બની શકે.

ચારૂસેટમાં લિબરલ આર્ટ્સ વર્કશોપ સંપન્ન

ચાંગા: ચારૂસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના નવીનતમ પગલા અને પ્રયોગરૂપે સતત 12મા વર્ષે ચાર દિવસીય લિબરલ આર્ટ્સ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ હ્યુમેનીટીઝ હેઠળના CLASS (ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજીસ, આર્ટસ એન્ડ સોશિયલ સ્ટડીઝ) દ્વારા આયોજિત આ વર્કશોપમાં પ્રોફેશનલ વિદ્યાશાખાઓના પ્રથમ વર્ષના 2322 વિદ્યાર્થીઓએ 30,000થી પણ વધારે મોડેલોનું સર્જન કરી શિક્ષણ જગતમાં નવો ઇતિહાસ સર્જ્યો છે.

આ કોર્સના શૈક્ષણિક કાર્યના ભાગરૂપે 10 માર્ચથી 13 માર્ચ, 2026 સુધી વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, સ્કલ્પટિંગ, ડ્રામા, ડાન્સ અને મ્યુઝિક જેવા 15 જેટલા વિવિધ લિબરલ આર્ટ્સ કોર્સીસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે આ ભવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું, જેની 5,000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે કહ્યું કે, “ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલના ‘વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી’ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા લિબરલ આર્ટ્સ એક અભૂતપૂર્વ પગલું છે.” રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે ઉમેર્યું કે, “NEP 2020નું અમલીકરણ દેશમાં હવે થઈ રહ્યું છે, પરંતુ ચારૂસેટમાં તેની શરૂઆત છેક વર્ષ 2014થી કરવામાં આવી હતી.” CLASSના પ્રિન્સિપાલ ડો. ભાસ્કર પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપમાં 59 તજજ્ઞો, 12 કોર્સ કોર્ડીનેટર, 30 ઇન્સ્ટીટયુટ ફેકલ્ટી કોર્ડીનેટર અને 36 સ્ટુડન્ટ વોલેન્ટીઅરની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સુનીલ આડેસરા, કનુ પટેલ અને પ્રદીપ પટેલ જેવા રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કલાકારોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

અંતમાં ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝના વડા ડો. કૌશિક ત્રિવેદીએ આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, “આ ૧૨ વર્ષના સફળ પ્રવાસ દરમિયાન વિવિધ કળાઓમાં હજારો વિદ્યાર્થીઓએ નિપુણતા મેળવી છે, જેમાં ફોટોગ્રાફીમાં 10,234, મીડિયા એન્ડ ગ્રાફિક ડિઝાઈનમાં 6,161, પેન્ટિંગમાં 1,779, ડાન્સમાં 1,185, ડ્રામામાં 1,063, પોટરીમાં 462, આર્ટ એન્ડ ક્રાફ્ટમાં 386, સ્કલ્પટિંગમાં 343 તેમજ મ્યુઝિક અને ગિટાર જેવા વાદ્યોમાં સેંકડો વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.”

મધ્ય-પૂર્વ યુદ્ધને લીધે ફ્યુઅલ પછી અનાજનું સંકટઃ અહેવાલ

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ યુદ્ધ હવે માત્ર સૈન્ય અથવા રાજકીય સંકટ પૂરતું નથી રહ્યું, પરંતુ તે ઝડપથી વૈશ્વિક ખાદ્ય ઇમર્જન્સીનું સ્વરૂપ લઈ રહ્યું છે. ખાતરની અછત, ઊર્જાની વધતી કિંમતો અને સપ્લાય ચેઇનમાં અવરોધો મળીને દુનિયા સામે રેકોર્ડ સ્તરની મોંઘવારી અને ભૂખમરાનો ખતરો ઊભો કરી રહ્યા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના તાજેતરના વિશ્લેષષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

જો આ સંઘર્ષ જૂન સુધી ચાલુ રહે તો દુનિયામાં 4.5 કરોડ લોકો ગંભીર ભૂખનો ભોગ બની શકે છે. તેનાથી વૈશ્વિક સ્તરે ભૂખ્યા લોકોની કુલ સંખ્યા 31.9 કરોડને પાર પહોંચી શકે છે. 28 ફેબ્રુઆરીથી ચાલુ હુમલાઓને કારણે માનવતાવાદી સહાય પહોંચાડતા સમુદ્રી માર્ગો બંધ થઈ ગયા છે, જેને કારણે જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, એમ WFPનો રિપોર્ટ કહે છે.

ઓઇલ નહીં, ‘ખાતર’ છે અસલી ચિંતા

હોર્મુઝ જલસંધિ બંધ થવાથી માત્ર પેટ્રોલ મોંઘું થયું નથી, પરંતુ ખેતીની પાયાની વ્યવસ્થા હચમચી ગઈ છે. વિશ્વમાં વેપાર થતું કુલ યુરિયાનું લગભગ અડધું ઉત્પાદન ખાડી વિસ્તારથી આવે છે. કતારની ફર્ટિલાઇઝર કંપની દુનિયાના લગભગ 14 ટકા યુરિયાનું ઉત્પાદન કરે છે. ગેસની અછત અને હુમલાઓને કારણે કતાર અને અન્ય ખાડી દેશોએ ખાતરનું ઉત્પાદન બંધ કર્યું છે અથવા ઘટાડ્યું છે. મિડલ ઈસ્ટમાંથી આવતા ખાતરની કિંમતો છેલ્લા થોડા અઠવાડિયામાં લગભગ 40 ટકા સુધી વધી ગઈ છે.

આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર ગોળાર્ધ (જેમાં ભારત પણ આવે છે)માં વાવણીની મુખ્ય સીઝન ચાલી રહી છે. ફેબ્રુઆરીના મધ્યથી મેની શરૂઆત સુધી ખેડૂતોએ પાકમાં સૌથી વધુ ખાતરનો ઉપયોગ કરવો પડે છે. ખાતર મોંઘું થતાં ખેડૂતો તેનો ઓછો ઉપયોગ કરશે, જેને કારણે ચોખા, ઘઉં અને મકાઈ જેવી મૂળભૂત પાકોની ઊપજ ઘટવાની શક્યતા છે.

ભારત અને બ્રાઝિલ જેવા મોટા ઉત્પાદકો ‘ડેન્જર ઝોન’માં

ખાડી દેશો પર ખાતર માટેની નિર્ભરતા વિશ્વના મોટા અન્ન ઉત્પાદક દેશોને સંકટમાં મૂકી રહી છે. ભારત પોતાની જરૂરિયાતના 40 ટકાથી વધુ ખાતર મિડલ ઈસ્ટમાંથી આયાત કરે છે. ગેસની અછતને કારણે ભારતના ઘણા યુરિયા પ્લાન્ટોમાં ઉત્પાદન લગભગ 70 ટકા સુધી ઘટ્યું છે. દુનિયાનું સૌથી મોટું સોયાબીન નિકાસકાર બ્રાઝિલ લગભગ સંપૂર્ણ રીતે વિદેશી ખાતર પર નિર્ભર છે, જેમાંથી મોટો ભાગ હોર્મુઝ માર્ગ દ્વારા આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચીને પોતાના સુરક્ષિત ભંડારમાંથી ખાતર બહાર પાડવાનું શરૂ કર્યું છે.

અદાણી યુનિવર્સિટી-IIT (મંડી) વચ્ચે સંશોધન-શૈક્ષણિક સહયોગ વિસ્તારવા સમજૂતી

અમદાવાદ: અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.આ કરારમાં સંયુક્ત સંશોધન માટેની પહેલ, સહ-લિખિત પ્રકાશનો, શૈક્ષણિક આદાન-પ્રદાન અને ઇન્ટર્નશિપની તકોનો સમાવેશ થાય છે. બંને સંસ્થાઓ સંશોધન માટે સહયોગી ભંડોળ, પરિસંવાદ અને પરિષદોનું સહિયારું-આયોજન અને કારોબારનું શિક્ષણ, સમર સ્કૂલ અને ડિજિટલ અભ્યાસક્રમો સહિતના ટૂંકા ગાળાના અભ્યાસ કાર્યક્રમો વિકસાવવાની બાબતો પણ આ સમજૂતીનો ભાગ છે.

પાંચ વર્ષના આ સમજૂતી કરાર અન્વયે સંશોધન પ્રવૃત્તિને સુદ્રઢ બનાવવા અને વિવિધ શાખાઓમાં શૈક્ષણિક જોડાણને વિસ્તૃત કરવાની દિશામાં એક મહત્વના પગલાં તરીકે અગ્રતા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને વ્યાપક સંસાધનો, વહેંચાયેલ કુશળતા અને આંતર-સંસ્થાકીય શિક્ષણની તકો સુધીની પહોંચ માટે અનુકૂળતા પૂરી પાડવાની તેની અપેક્ષા છે.

અદાણી યુનિવર્સિટીના અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી મારફત સંશોધનોની તેની ઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવાના કેન્દ્રિત પ્રયાસોને આ સહયોગ પ્રતિબિંબિત કરવા સાથે આ સમજૂતિ કરાર શૈક્ષણિક સંશોધનની સાથો સાથ ઉદ્યોગ-પ્રેરીત શિક્ષણને એકીકૃત કરવાના તેના ઉદ્દેશ્યને સમર્થન આપે છે.

ઉચ્ચ શિક્ષણમાં વ્યાપક વલણ સાથે સંરેખિત આ ભાગીદારી મારફત જ્યાં સંસ્થાઓ આંતરશાખાકીય સંશોધન અને વિતરીત શિક્ષણ મોડેલો દ્વારા જટિલ પડકારોનો સામનો કરવા માટે વધુને વધુ સહયોગ કરી રહી છે.

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ

અમદાવાદ: વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે ‘વીરાંજલિ’. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ 2026માં વંદે માતરમ્ ગીતને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે સાણંદમાં વિરાંજલી ગ્રાઉન્ડ, એકલિંગજી રોડ ખાતે રાત્રે ૮-૦૦ કલાકે થી ‘વીરાંજલિ 2.5’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શૌર્યગાથાઓ ડાયરાના માધ્યમથી રજૂ કરશે. જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ જેવા દિગ્ગજ કલાકારો પોતાની કળા દ્વારા શહીદોને અંજલિ આપશે. 23 માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, જેમના બલિદાનથી નવી પેઢીને અવગત કરાવવા માટે આ ભારતનો એકમાત્ર ક્રાંતિવીરો પરનો વિશેષ કાર્યક્રમ છે.

આ વર્ષે કાર્યક્રમમાં ડાયરા ઉપરાંત મેર રાસ, દીકરીઓનો તલવાર રાસ અને સાંઈરામ દવે લિખિત ‘આરતી વીર જવાનો કી’ મુખ્ય આકર્ષણ રહેશે. સાથે જ આકાશમાં એક ભવ્યાતીભવ્ય ડ્રોન શો પણ યોજાશે જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વીરાંજલિ સમિતિ અને GTPL દ્વારા આ આયોજનને જન-જન સુધી પહોંચાડવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.

રાજ્યના અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ

ગાંધીનગર:  19મી માર્ચના રોજ વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો, મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જીઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ અને ગાજવીજની સંભાવના છે.અમદાવાદમાં વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. ઊજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે લાઈટો ગુલ થઈ ગઈ હતી. ઝાડ પડવાના કોલ મળતા જ તાત્કાલિક સ્થળ પરથી ઝાડ હટાવી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હવામાન વિભાગ દ્વારા 19 અને 20 માર્ચ એમ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રોજ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં મહત્તમ તાપમાનની અંદર આગામી 2 દિવસ એટલે કે, 20 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે, એટલે કે ગરમીથી લોકોને રાહત મળશે.

ગુરુગ્રામમાં દેશનું પહેલું LPG ATM શરૂ

નવી દિલ્હીઃ જો તમે ગુરુગ્રામમાં રહેતા હો અને હાલ ચાલી રહેલા LPG (એલપીજી) સપ્લાય સંકટ દરમિયાન સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હો, તો તમે સોહના સેક્ટર-33 સ્થિત સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલી જઈ શકો છો, જ્યાં પ્રથમ વખત “ગેસ ATM” તરીકે ઓળખાતા LPG વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે.

આ વેન્ડિંગ મશીન, જે દિલ્હી-NCR માટે ભારત ગેસ (BPCL)નો પાયલોટ પ્રોજેક્ટ છે, ગ્રાહકોને ખાલી સિલિન્ડર બદલામાં તરત જ ભરેલું સિલિન્ડર આપે છે, એટલે કે તમને માત્ર તમારું ખાલી સિલિન્ડર લાવવું અને તેને ભરેલા સિલિન્ડર સાથે બદલીને ઘરે લઈ જઈ શકાય છે.

આ ઓટોમેટિક અને કોન્ટેક્ટલેસ મશીનમાં ગ્રાહકોએ પોતાનો મોબાઇલ નંબર દાખલ કરવો, QR કોડ સ્કેન કરવો અને પેમેન્ટ કરવું પડે છે. પેમેન્ટ થયા પછી થોડી જ મિનિટોમાં નવું સિલિન્ડર બહાર આવી જાય છે. “ગેસ ATM” ખાસ કોમ્પોઝિટ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવે છે, જે પરંપરાગત લોખંડના સિલિન્ડર કરતાં હલકા અને વાપરવામાં સરળ છે. સામાન્ય સિલિન્ડરનું વજન લગભગ 30 કિલોગ્રામ હોય છે, જ્યારે નવા ફાઇબર સિલિન્ડર લગભગ 15 કિલોગ્રામના હોય છે. તેમની બોડી પારદર્શક હોય છે, જેથી ગ્રાહકો સરળતાથી ગેસનું લેવલ જોઈ શકે છે.

આ ATMમાં એક સમયે અંદાજે 10 સિલિન્ડર રાખી શકાય છે. જ્યારે સ્ટોક ઘટીને બે સિલિન્ડર જેટલો રહે છે, ત્યારે સિસ્ટમ આપમેળે એજન્સીને સ્ટોક ફરી ભરવા માટે સૂચના મોકલે છે. સેવા વધુ સુલભ બને તે માટે આ સુવિધા 24×7 ઉપલબ્ધ રાખવામાં આવી છે.

હાલમાં લોકો આ યોજનાથી સંપૂર્ણ રીતે પરિચિત નથી, તેથી અત્યાર સુધી મશીનમાંથી થોડા જ સિલિન્ડર લેવામાં આવ્યાં છે.

ભારત ગેસના ગ્રાહકો મોબાઇલ નંબર દાખલ કરીને, OTP દ્વારા વેરિફિકેશન કરીને, QR કોડ સ્કેન કરી અને UPI અથવા ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરીને નવું સિલિન્ડર મેળવી શકે છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ સાબિત થાય, તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભી થયેલી LPG સપ્લાયની અછત વચ્ચે દેશનાં અન્ય શહેરોમાં પણ આવી મશીનો સ્થાપિત કરવામાં આવે એવી શક્યતા છે.

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ પર મૌન કાયરતા નહીં, પરંતુ વ્યૂહરચનાઃ શશિ થરુર

નવી દિલ્હીઃ સાંસદ શશિ થરુરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ મુદ્દે મોદી સરકારની નીતિનું સમર્થન કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકારનું મૌન તેની કમજોરી નહીં, પરંતુ જવાબદાર વ્યૂહરચનાનો ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે જે લોકો હાલ પશ્ચિમ એશિયા યુદ્ધ અંગે સરકારની શાંતિને કાયરતા ગણાવી રહ્યા છે, તેઓ કૂટનીતિની જટિલતાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.

આ મુશ્કેલ સમયમાં તમામ શક્તિઓ સાથે સંતુલન જાળવવું અત્યંત જરૂરી બની ગયું છે. તેમનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો કોઈ પણ આ યુદ્ધને યોગ્ય ઠેરવી શકતું નથી. આ અખંડિતતા અને શાંતિપૂર્ણ ઉકેલના સિદ્ધાંતોના વિરુદ્ધ છે, જેમના માટે ભારત દાયકાઓથી ઊભું રહ્યું છે.

વિદેશ નીતિ અંગે થરુરે શું કહ્યું

તેમણે આગળ લખ્યું હતું કે કોઈ પણ દેશની વિદેશ નીતિ કોઈ શૈક્ષણિક સેમિનાર જેવી નથી, જ્યાં માત્ર સિદ્ધાંતો પર ચર્ચા થાય. પોતાના લેખમાં તેમણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ભારતે અગાઉ પણ અનેક વખત રાષ્ટ્રીય હિતને સિદ્ધાંતો કરતાં પ્રાથમિકતા આપી છે. 1956નું હંગેરી સંકટ, 1968માં ચેકોસ્લોવાકિયામાં સોવિયત હસ્તક્ષેપ અને 1979માં અફઘાનિસ્તાન પર સોવિયત સંઘના આક્રમણના સમયમાં ભારતે ખુલ્લી ટીકા કરી નહોતી. કારણ કે તે સમયે સોવિયત સંઘ ભારતનો સૌથી મોટો હથિયાર પુરવઠાકાર અને વ્યૂહાત્મક ભાગીદાર હતો. તેથી જાહેરમાં ન બોલવું પણ એક વ્યૂહરચનાનો ભાગ હતું. તેમણે ઉમેર્યું હતું કે યુક્રેન યુદ્ધ અને ઈરાન સંબંધિત હાલની પરિસ્થિતિમાં પણ ભારત સમાન વ્યૂહરચના અપનાવતું દેખાઈ રહ્યું છે.

સોનિયા ગાંધી શું બોલ્યાં હતાં?

શશિ થરુરની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આ મુદ્દે સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે ભારત સરકારની ખામોશી આશ્ચર્યજનક છે. તેમના મુજબ, જ્યારે કોઈ વિદેશી નેતાની હત્યા જેવા મુદ્દાઓ પર ભારત અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ સમર્થન નથી કરતું અને નિષ્પક્ષતા પરથી પાછળ હટતું દેખાય છે, ત્યારે સરકારની વિદેશ નીતિ પર પ્રશ્નો ઊભા થાય છે.