રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે જ સમયે, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે ટીમ ઈન્ડિયા પરિવર્તન તરફ જોઈ રહી છે. હિટમેન બાદ હાર્દિક પંડ્યા T20 ટીમની કપ્તાની સંભાળવાનો સૌથી મોટો દાવેદાર છે. જો કે હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે સૂર્યકુમાર યાદવ તેને હરાવી શકે છે.
સૂર્યકુમાર અને હાર્દિક વચ્ચે કેપ્ટનશિપને લઈને સ્પર્ધા
સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2026 સુધી ભારતના T20 કેપ્ટન બનવા માટે સૌથી આગળ છે. તે હાર્દિક પંડ્યાનું પત્તું કાપી શકે છે. પંડ્યા આગામી શ્રીલંકા પ્રવાસ પર ટીમની કમાન સંભાળી શકે છે. જો કે, હવે એક અહેવાલ સૂચવે છે કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની આઠ T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કરનાર સૂર્યા નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરની પ્રથમ પસંદગી છે.
શ્રીલંકા પ્રવાસ માટે ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરવામાં આવશે
ટૂંક સમયમાં જ BCCI ભારતના શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ત્રણ મેચની ટી-20 સીરીઝ માટે કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. જો કે, તે અંગત કારણોસર ODI શ્રેણી દરમિયાન બ્રેક પર રહેશે. પલ્લેકલેમાં 27 થી 30 જુલાઈ દરમિયાન ત્રણ ટી20 મેચોની શ્રેણી રમાશે. આ પછી કોલંબોમાં 2 થી 7 ઓગસ્ટ સુધી એટલી જ ODI મેચો રમાશે.
સૂર્યને મોટી જવાબદારી મળી શકે છે
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “હાર્દિક પંડ્યા રોહિત શર્માના નેતૃત્વમાં ભારતનો ટી20 વાઇસ-કેપ્ટન હતો. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ત્રણ મેચની ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝ માટે ઉપલબ્ધ છે અને તે ટીમનું નેતૃત્વ કરવાનો હતો, પરંતુ તે ત્યાં છે. પ્રબળ સંભાવના છે કે સૂર્ય માત્ર શ્રીલંકા શ્રેણી માટે જ નહીં પરંતુ 2026ના વર્લ્ડ કપ સુધી પણ સંભવિત કેપ્ટન હશે.”
સૂર્યકુમાર યાદવે ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સમાં ટી20 ખેલાડી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. હાર્દિકને રોહિતના ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન તરીકે તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને પસંદગીકારો તેને તેમની પસંદ મુજબ રમવા દેવાના મૂડમાં નથી. કેએલ રાહુલ અને શુભમન ગિલ ODI મેચો માટે નેતૃત્વની ભૂમિકા માટે દાવેદાર છે.
મુંબઈ: ગુજરાતી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર-કવિ ઉમાશંકર જોશીના 114માં જન્મ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમનું આયોજન કરવામાં આવ્યું છે. કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ગુજરાતી ભાષા ભવને ઉમાશંકર જોશીના જન્મ દિવસની ભવ્ય ઉજવણીનું આગામી 20 જુલાઈના શનિવારે સાંજે આયોજન કર્યુ છે. “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી” શીર્ષક અંતર્ગત આ કાર્યક્રમમાં આપણા વિશ્વશાંતિનાં આ ઉદ્ગાતાની સર્જનયાત્રાને આપણે ગુજરાતીઓએ ગૌરવ સાથે અવશ્ય યાદ કરવી જ જોઈએ.
કાંદિવલીમાં જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજ ખાતે આ કાર્યક્રમ નિમિત્તે જાણીતા સાહિત્યકાર ડો. દિનકર જોશી અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉમાશંકર જોશી વિશે રસપ્રદ વાતો કરશે. આ સાથે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર બહેનો ઉમાશંકર જોશીની પ્રતિનિધિ અને પ્રસિદ્ધ કવિતાઓનું ગાન તથા પઠન કરશે તથા એમનાં પ્રસિદ્ધ પદ્યનાટકની વાચિક પ્રસ્તુતિ કરશે અને ગદ્ય કૃતિઓનું પઠન કરશે.
આ કાર્યક્રમના સંચાલક-સુત્રધાર એસએનડીટી, ચર્ચગેટના પ્રોફેસર કવિત પંડયા કરશે. જેમણે આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા ઉપરાંત વિવિધ રચનાઓની પસંદગી કરી છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સર્વ સાહિત્ય રસિકજનોને જાહેર નિમંત્રણ છે.
નવી દિલ્હી: વર્ષ 2024નું COSPAR વિક્રમ સારાભાઈ મેડલ પ્રો. અનિલ ભારદ્વાજને એનાયત કરવામાં આવ્યું. પ્રો. અનિલ ભારદ્વાજ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના ડાયરેક્ટર છે. 15મી જુલાઇ, 2024ના રોજ કોરિયાના બુસાનમાં 45મી COSPAR સાયન્ટિફિક એસેમ્બલીમાં COSPARના પ્રમુખ પ્રો. પાસ્કેલ એહરનફ્રેન્ડ અને વાઇસ પ્રેસિડન્ટ્સ, પ્રોફેસર કેથરિન સેઝાર્સ્કી અને પીટ્રો ઉબર્ટિની દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ પુરસ્કાર અવકાશ સંશોધન સમિતિ, આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુએનકોપસ દ્વારા અને ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંયુક્તપણે આપવામાં આવે છે. જે ડો. વિક્રમ સારાભાઇના માનમાં આપવામાં આવે છે. જેમણે દેશમાં અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને “ભારતીય અવકાશ કાર્યક્રમનો પિતા” તરીકે ઓળખાય છે. પ્રા. સારાભાઈએ 1947માં પી.આર.એલ.ની સ્થાપના કરીને દેશમાં અવકાશ સંશોધનની શરૂઆત કરી હતી. એટલે પીઆરએલને ‘ક્રેડલ ઓફ સ્પેસ રિસર્ચ ઇન ઇન્ડિયા’ તરીકે ઓળખવામાં આવે છે.આ COSPAR વિક્રમ સારાભાઈ મેડલ વિકાસશીલ દેશોમાં અવકાશ સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. પ્રો. અનિલ ભારદ્વાજને પ્લેનેટરી એક્સપ્લોરેશન પ્રોગ્રામ ઓફ ઇન્ડિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. પ્રો. અનિલ ભારદ્વાજે ભારતીય ગ્રહો અને અવકાશ અભિયાનો માટેનાં સાધનોના વિકાસમાં, સૌરમંડળના પદાર્થોના બહુ-રંગલંબાઈના અવલોકનોમાં અને ગ્રહોના વાતાવરણીય આયોનોસ્ફેરિક પ્રક્રિયાઓના સૈદ્ધાંતિક અભ્યાસમાં ફાળો આપ્યો છે. તેમને અને તેમની ટીમના વૈજ્ઞાનિકોનો ફાળો ચંદ્ર પરના તમામ ભારતીય મિશન જેવા કે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 તેમજ મંગળ (મંગળયાન) અને સૌર મિશન આદિત્ય-એલ1 પર મોકલવામાં આવેલા લેન્ડર અને રોવરમાં મહત્વનો છે.આ માત્ર બીજી વખત છે જ્યારે આ પ્રતિષ્ઠિત COSPAR વિક્રમ સારાભાઈ મેડલ ઇસરોના કોઈ વૈજ્ઞાનિકને એનાયત કરવામાં આવ્યો છે. આ પહેલા (સ્વર્ગીય) પ્રોફેસર યુ આર રાવને 1996માં બ્રિટનના બર્મિંઘમમાં કોસ્પર એસેમ્બલીમાં આ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અવકાશ વૈજ્ઞાનિકો માટેના સૌથી મોટા મંચોમાંના એક, અવકાશ સંશોધન પરની સમિતિ (COSPAR)ની સ્થાપના 1957માં તત્કાલીન સોવિયેત યુનિયન દ્વારા સૌપ્રથમ ઉપગ્રહના પ્રક્ષેપણ બાદ તરત જ 1958માં કરવામાં આવી હતી. તે દર બે વર્ષે તેની વૈજ્ઞાનિક એસેમ્બલીનું આયોજન કરે છે, જે વિશ્વભરમાં લગભગ 3,000 વૈજ્ઞાનિકોને એકસાથે ભેગા કરે છે.
અમદાવાદ: મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.
ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇપણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇનો સમર્થક છે, એ હજરત હુસેન અને એમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિન્હ સમજે છે.મોહરમના આ પ્રસંગે અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી જુલુસ નીકળ્યુ હતું. આ વર્ષે 93 તાજીયા, 20 અખાડા, 78 ઢોલ તાસાં પાર્ટીઓ, 20 લાઉડસ્પીકર્સ, 14 અલગ નિશાન પાર્ટીઓ, 10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 ઊંટગાડી સાથે માતમ સમૂહ જોવા મળશે.તાજીયાને ઠંડા કરવા માટે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એલિસબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા છે. શહેરના કાલુપુર, જમાલપુર, દરિયાપુર, ખાનપુર સહિત અનેક વિસ્તારમાંથી નાના મોટા વિવિધ આકારના તાજીયા બનાવી મુસ્લિમ બિરાદરોએ શ્રધ્ધા વ્યક્ત કરી હતી.કાલુપુર ટાવર નજીકના રહેવાસી કાઝિમભાઈ ચિત્રલેખા.કોમને કહે છે અમારો તાજીયો 50 વર્ષ જૂનો છે. આ ચાંદી સાથે બનેલા તાજીયાને માણેકચોકના કેશવ પ્રભુદાસ ચોક્સીએ બનાવ્યો હતો.શહેરમાં જે સ્થળેથી તાજીયા પસાર થયા ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવા તેમજ જુલુસમાં ભાગ લેનાર લોકોને શરબત પાણીની સુવિધાઓ આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને એસ.આર.પીના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટો અકસ્માત થયો છે. એક પોપ્યુલર સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મના સેટ પર એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,’સરદાર 2’નું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એક વ્યક્તિએ ખતરનાક સ્ટંટ કરતા પોતાનો જીવ ગુમાવ્યો. સેટ પર થયેલા આ દર્દનાક અકસ્માતથી દરેક લોકો ચોંકી ગયા છે. તે વ્યક્તિના મૃત્યુથી સેટ પર હાજર દરેક લોકોને આઘાત લાગ્યો છે.
શૂટિંગ શરૂ થતાંની સાથે જ સેટ પર અકસ્માત થયો હતો
નોંધનીય છે કેનિર્દેશક પીએસ મિથરાનની તમિલ ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટંટમેનનું અકસ્માતમાં મોત થયું છે. નવાઈની વાત એ છે કે અભિનેતા કાર્થીની આ ફિલ્મનું શૂટિંગ 15 જુલાઈએ જ ચેન્નાઈના ભવ્ય સેટ પર શરૂ થયું હતું અને હવે સેટ પર શોકનો માહોલ છે. આ સ્ટંટમેન સાથેની આ મોટી દુર્ઘટના બાદ હાલ શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
20 ફૂટની ઊંચાઈએથી પડી જવાથી મોત
કહેવામાં આવી રહ્યું છે કે સેટ પર ફિલ્મની એક એક્શન સિક્વન્સ શૂટ થઈ રહી હતી અને આ સ્ટંટમેન સ્ટંટ કરતા સમયે લગભગ 20 ફૂટની ઊંચાઈથી પડી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિને પડી જવાને કારણે ગંભીર ઈજાઓ થઈ હતી અને એટલું જ નહીં આંતરિક રક્તસ્ત્રાવને કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ ‘સરદાર 2’નું શૂટિંગ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
તમને જણાવી દઈએ કે, ‘સરદાર 2’ 2022ની સુપરહિટ ફિલ્મ ‘સરદાર’ની સિક્વલ છે. આ ફિલ્મમાં કાર્થી, રાશિ ખન્ના, ચંકી પાંડે અને રાજીશા વિજયન જેવા સ્ટાર્સ હતા.આ હિટ ફિલ્મની સિક્વલ પહેલા આવી દુ:ખદ ઘટના બની છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માતમાં સ્ટંટમેનના નિધનથી દરેક જણ દુખી છે. અચાનક આ અકસ્માતે બધું બદલી નાખ્યું. હવે ફિલ્મના મેકર્સ તેના પરિવાર માટે શું કરે છે અને શૂટિંગ ક્યારે શરૂ થશે? આ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
નવી દિલ્હીઃ વૈશ્વિક માર્કેટમાં સોનું નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. સોનાની કિમતો છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં સતત રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકામાં વ્યાજદરોમાં કાપની સંભાવના બળવત્તર બનતાં સોનું નવી ઊંચાઈએ પહોંચ્યું હતું.
વૈશ્વિક માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 2482.29 પ્રતિ ઔંસ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ જ રીતે બેન્ચમાર્ક US ઓગસ્ટ ગોલ્ડ ફ્યુચર્સ પણ ટ્રેડિંગ દરમ્યાન 2487.40 ડોલર પ્રતિ ઔંસના નવા રેકોર્ડ સ્તરે જોવા મળ્યું હતું.
દેશમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 74,030એ પહોંચી છે. બજારને અપેક્ષા છે કે સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં કમસે કમ 0.25 ટકાનો કાપ મૂકશે. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કેન્દ્રીય બેઠકમાં નિવેદન કર્યું હતું કે ફેડ બેન્ક વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે. તેમણે કહ્યું હતું કે મોંઘવારીના હાલના ડેટા બેન્કના લક્ષ્ય તરફ સતત વળી રહ્યા છે.
બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને વિકસિત દેશોમાં વ્યાજદરો નીચા આવશે તો સોનામાં સ્પષ્ટ અને ટકાઉ તેજીની સ્થિતિ બની શકે છે. સોનામાં હવે તેજી થશે તો એમાં પશ્ચિમી દેશોના રોકાણકારોની મોટી ભૂમિકા ભજવશે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના હાલમાં કેન્દ્રીય બેન્ક ગોલ્ડ રિઝર્વના સર્વેમાં પણ એ વાત સામે આવી હતી કે 29 ટકા કેન્દ્રીય બેન્ક આગામી 12 મહિનામાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવા ઇચ્છે છે. જોકે ડેટા કહે છે કે સોનાની વધેલી કિંમતોથી ચીન અને ભારતમાં છેલ્લા બે મહિનામાં ફિઝિકલ માગમાં અસર પડી છે.
આજરોજ રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે “નવા કાંડના વાદળો હજી મંડરાયેલા છે ભાજપ ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે ત્રીપલ એન્જિનની સરકાર કોર્પોરેશનથી લઇ અને સાંસદ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. જે રીતના સરકારી તંત્ર દ્વારા તપાસ ચલાવી રહી છે, તેમાં ખ્યાલ આવે છે કે ગુજરાત સરકાર કોર્પોરેશનના તેના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેવા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી રાજકોટની પ્રજા ઉપર ફરીથી કાંડ થવાની શક્યતાઓ મંડરાયેલી છે.
ગુજરાતમાં બનેલી તમામ ઘટનાઓને છાવરવામાં આવે છે. લોકોની જાગૃતિ જ આમાં કામ કરી શકશે, સરકાર ઉપર પ્રેશર લાવી શકશે, રાજકોટ સફળ બંધને આ સરકારને હલાવી હતી. તમારી સતત જાગૃતિ અને રોજ બે રોજની તમારી અંદરો અંદરની ચર્ચાઓની પણ સરકારે નોંધ લીધી હોય છે. અધિકારીઓને કે પદાધિકારીઓને બચાવવાનું જે ભાજપ કરી રહ્યું છે. લોક જાગૃતિનું કામ અમે મેળામાં સ્ટોલ મેળવી અને કરવા માગીએ છીએ. આ અંગે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લોકમેળામાં અગ્નિકાંડના પીડિતો ન્યાય અંગેના સ્ટોલની લેખિતમાં માગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં જો સરકાર એની ઓછો વિકાસ અને જાહેરાતો જાજી એ મેળામાં કરી શકતા હોય તો લોકજાગૃતિનું કામ મેળામાં શા માટે ન થઈ શકે ? સરકારની અસફળતાઓને દર્શાવવાનું કામ મેળામાં શા માટે ન થઈ શકે.
અમારી જાણકારી મુજબ અધિકારીઓ જેની ધરપકડો કરવામાં આવી છે તેમણે પદાધિકારીઓના નામ પણ દરેક તપાસમાં કબુલાત કરેલ છે. જો સરકાર લોકમેળામાં આ અંગે સ્ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે. ભાજપ સરકાર ફક્ત ગેમ ઝોનમાં ભ્રષ્ટાચાર આચરી છે એવું નથી, પરંતુ રસ્તાના કામમાં અને બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચારો આચરીને કરોડો રૂપિયાની નેતાઓએ લાંચ લીધી છે. જેની તપાસ લાંચ રૂશ્વત બ્યુરો ખાતા દ્વારા તપાસ પણ થવી જોઈએ.
નવી દિલ્હી: રેલ્વે પ્રોટેક્શન ફોર્સ(RPF) છેલ્લા સાત વર્ષથી ‘નાન્હે ફરિશ્તે” નામનું ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ એક મિશન છે, જેમાં ભારતીય રેલ્વેના વિવિધ ઝોનમાં રેલવેમાં મળતા બાળકોને બચાવે છે. મે-2018થી લઈને મે-2024 દરમિયાન, RPFએ સ્ટેશનો તેમજ ટ્રેનોમાં જોખમમાં પડેલા અથવા જોખમમાં પડવા જઈ રહેલા 84,119 બાળકોને બચાવ્યા છે.
‘નન્હે ફરિશ્તે’ એ એક ઓપરેશન કરતાં કંઈક વધારે છે. તે એવાં હજારો બાળકો માટે એક નવજીવન સમાન છે જેઓ અનિશ્ચિત સંજોગોમાં જાણે-અજાણે ધકેલાય જાય છે. 2018 થી 2024 સુધીનો ડેટા RPFના અતૂટ સમર્પણ, અનુકૂલન ક્ષમતા અને સંધર્ષ ક્ષમતાની દર્શાવે છે.વર્ષ 2018માં શરૂ થયેલા “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ, RPFએ છોકરાઓ અને છોકરીઓ બંને મળીને કુલ 17,112 પીડિત બાળકોને બચાવ્યા હતા. બચાવી લેવામાં આવેલા 17,112 બાળકોમાંથી 13,187ની ઓળખ ભાગેડુ બાળકો તરીકે કરવામાં આવી હતી, 2105 ગુમ થયેલા હતા, 1091 છૂટા પડેલા બાળકો હતા. જ્યારે 400 બાળકો નિરાધાર મળી આવ્યા હતા, 87નું અપહરણ થયું હતું, 78 માનસિક રીતે અશક્ત હતા અને 131 બેઘર બાળકો હોવાની માહિતી સામે આવી હતી. વર્ષ 2018માં RPFએ આ પહેલ માટેનો મજબૂત પાયો નાખ્યો હતો.
વર્ષ 2019 દરમિયાન, RPFના પ્રયાસો સતત સફળ રહ્યા અને છોકરાઓ અને છોકરીઓ બંને મળીને કુલ 15,932 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા 15,932 બાળકોમાંથી 12,708 ભાગેડુ, 1454 ગુમ થયેલા, 1036 છૂટા પડેલા બાળકો હતા. જ્યારે 350 નિરાધાર, 56નું અપહરણ થયું હતું, 123 માનસિક રીતે અસ્વસ્થ હતા અને 171 બેઘર બાળકો તરીકે મળી આવ્યા હતા.
કોવિડ રોગચાળાને કારણે વર્ષ 2020 પડકારજનક હતું. જ્યારે સામાન્ય જનજીવન ખોરવાયેલું હતું. તેવા સમયમાં પડકારો છતાં RPF 5,011 બાળકોને બચાવવામાં સફળ રહ્યું.
વર્ષ 2021 દરમિયાન, RPFએ તેની બચાવ કામગીરીમાં 11,907 બાળકોને બચાવ્યા. જેમાં 9601 બાળકો ભાગેડુ હતા, 961 ગુમ થયેલા હતા. જ્યારે 648 છૂટા પડેલા, 370 નિરાધાર અને 78નું અપહરણ થયું હતું. 82 માનસિક વિકલાંગ હતા અને 123 સ્ટ્રીટ ચિલ્ડ્રન તરીકે ઓળખાયા હતા.
2023 દરમિયાન RPF 11,794 બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું. તેમાંથી 8916 બાળકો ભાગેડુ હતા, 986 ગુમ થયા હતા અને 1055 છૂટા પડેલા હતા. જ્યારે 236 નિરાધાર હતા અને 156નું અપહરણ થયું હતું. બીજી તરફ 112 માનસિક વિકલાંગ બાળકો હતા અને 237 બેઘર હતા.
2024ના પ્રથમ પાંચ મહિનામાં RPFએ 4,607 બાળકોને બચાવ્યા છે. જેમાં 3430 ભાગેડુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ભાગેડુ બાળકોને RPF દ્વારા સુરક્ષિત રીતે તેમના માતા-પિતા પાસે પરત મોકલવામાં આવે છે. બાળકો વિશેની સંપૂર્ણ માહિતી ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર ઉપલબ્ધ છે. 135થી વધુ રેલ્વે સ્ટેશનો પર ચાઈલ્ડ હેલ્પડેસ્ક ઉપલબ્ધ છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ બાળકોને તેમના માતા-પિતાને સોંપે છે.
મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી પૂજા ખેડકરનું નામ ખૂબ જ ચર્ચામાં છે. તેના પર નકલી ડૉક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી IASની નોકરી મેળવવાનો આરોપ છે. આ પહેલા પણ તે કેટલીક ગેરવાજબી માંગણીઓને કારણે ચર્ચામાં આવી હતી.
પૂજા ખેડકરે 2021માં UPSC CSE પરીક્ષા પાસ કરી હતી. આમાં તેણીએ 841મો રેન્ક (પૂજા ખેડકર IAS રેન્ક) મેળવ્યો હતો. પછી એલબીએસએનએએમાં તાલીમ લીધા બાદ, તેમને જૂન 2024 માં પૂણે કલેક્ટર ઓફિસમાં તેમની પ્રથમ નિમણૂક મળી. આ નિમણૂક પણ તાલીમનો એક ભાગ હતી. પરંતુ તેમની સામેના આક્ષેપો અને તપાસ વચ્ચે માત્ર એક મહિનામાં જ તેમની વાશીમ બદલી કરવામાં આવી હતી. કોણ છે IAS પૂજા ખેડકર, તેના પર શું આરોપ છે, તેનો પરિવાર આમાં કેવી રીતે ફસાઈ ગયો? બધું જાણીએ.
કોણ છે IAS પૂજા ખેડકર?
પૂજા ખેડકર અન્ડર-ટ્રેની આઈએએસ અધિકારી છે. તેમણે પુણેની શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તેમને એન્ડોક્રિનોલોજિસ્ટ તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે. પૂજા ખેડકર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પાથરડી તાલુકામાંથી અમલદારો અને રાજકારણીઓના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પૂજાના પિતા દિલીપરાવ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. તેમના દાદા જગન્નાથ બુધવંત વણજારી સમુદાયના પ્રથમ IAS અધિકારી હતા. પૂજાની માતા મનોરમા ભાલગાંવની સરપંચ છે.
IAS પૂજા ખેડકરે શું કર્યું?
પૂજા ખેડકરને પ્રોબેશન સમયગાળા દરમિયાન પુણેમાં એડીએમ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તાલીમના આ તબક્કામાં અધિકારીઓને વહીવટની કામગીરી શીખવવામાં આવે છે. આરોપ છે કે ઓફિસમાં જોડાતા પહેલા જ તેણે ગેરવાજબી માંગણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની ફરિયાદો પણ અટકતી ન હતી. આ અંગે કલેકટર કચેરીના અનેક અધિકારીઓએ કલેકટરને લેખિત ફરિયાદ પણ કરી હતી. આ પછી પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવસે તત્કાલીન મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી. એવામાં પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરવામાં આવી છે. પૂજાને 23 જુલાઈ સુધીમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે અહીં રહેશે.
IAS પૂજા ખેડકર પર શું હતા આરોપ?
પૂજાની યુપીએસસીમાં ગેરરીતિના મામલામાં વધુ ખુલાસા થયા છે. તે પ્રકાશમાં આવ્યું છે કે પૂજાએ તેના UPSC પ્રયાસો વધારવા માટે તેનું નામ અને ઉંમર બદલી હતી. 2020 અને 2023 માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)માં પૂજા દ્વારા દાખલ કરાયેલી બે અરજીમાં પૂજાના અલગ-અલગ નામ છે. 2020ની અરજીમાં પૂજાએ પોતાનું નામ ‘ખેડકર પૂજા દિલીપરાવ’ અને તેની ઉંમર 30 વર્ષ દર્શાવી હતી. જ્યારે, 2023 માં તેણીની CAT એપ્લિકેશનમાં તેણીએ તેનું નામ ‘પૂજા મનોરમા દિલીપ ખેડકર’ અને તેની ઉંમર 31 વર્ષ દર્શાવી હતી. સવાલ ઉઠી રહ્યો છે કે ત્રણ વર્ષના ગાળામાં તેમની ઉંમર માત્ર એક વર્ષ કેવી રીતે વધી શકે?
વાસ્તવમાં, UPSCમાં, જનરલ કેટેગરીના ઉમેદવારોને 32 વર્ષની ઉંમર સુધી 6 વખત પરીક્ષા આપવાની છૂટ છે. જ્યારે OBC કેટેગરીના ઉમેદવાર 35 વર્ષની ઉંમર સુધી 9 વખત પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂજાએ કુલ 11 વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપી છે. તો બીજી બાજુ ડોક્ટરે કહ્યું કે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને છે 7 ટકા ડિસેબિલિટી છે. ડિસેબિલિટી ક્વોટામાં 40 ટકા ડિસેબિલિટી ધરાવતા લોકોને માન્ય ગણવામાં આવે છે.
IAS પૂજા ખેડકર પર અનેક પ્રકારના આરોપો લાગ્યા છે. કેટલાક જોડાતા પહેલા પણ છે. એમ કહી શકાય કે તેમના પર લાગેલા એક આરોપની કડી બીજા સાથે જોડાતી રહી અને મામલો વધતો ગયો.
1.પૂજા ખેડકરે ટ્રેનિંગ પીરિયડ દરમિયાન સરકારી આવાસ, સ્ટાફ, વાહન અને ઓફિસમાં અલગ કેબિનની માંગ કરી હતી.
2- તેણે પોતાની અંગત ઓડી કાર પર લાલ-વાદળી લાઇટ અને મહારાષ્ટ્ર સરકારનો લોગો લગાવીને પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો.
3- પૂજા ખેડકરે DCP રેન્કના અધિકારી પર ચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા ટ્રાન્સપોર્ટરને મુક્ત કરવા દબાણ કર્યું હતું.
4- તેના પર IAS બનવા માટે નકલી પ્રમાણપત્રનો ઉપયોગ કરવાનો આરોપ છે. UPSC ફોર્મમાં તેણે દાવો કર્યો હતો કે તે OBC નોન-ક્રિમી લેયરનો છે.
5- તેના પરિવારની સંપત્તિ કરોડોની છે, તે પોતે લગભગ 17 કરોડની માલિક છે. તેમના નામે ઘણી મિલકતો નોંધાયેલી છે. તેની પાસે 17 લાખ રૂપિયાની ઘડિયાળ હોવાનું પણ કહેવાય છે.
6- પૂજા ખેડકરે વિકલાંગતા કેટેગરી હેઠળ UPSC ફોર્મ ભર્યું હતું. તેણીએ દાવો કર્યો હતો કે તેણી 40% દૃષ્ટિહીન હતી અને કેટલીક માનસિક બીમારીથી પણ પીડિત હતી. પરંતુ જ્યારે પણ તેણીને મેડિકલ માટે બોલાવવામાં આવી ત્યારે તે ગાયબ થઈ જતી હતી.
7- પૂજા ખેડકરે પણ MBBS કોલેજમાં એડમિશન સમયે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેણે 2011 કે 2012માં મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. તેમના પિતા ત્યારે સેવામાં હતા.
યુપીએસસીએ તેની બંને આંખોમાં દ્રષ્ટિ ગુમાવવાનું કારણ જાણવા માટે તેને બ્રેઈન એમઆરઆઈ કરાવવાનું કહ્યું હતું. રિપોર્ટ અનુસાર, પૂજાએ એક ખાનગી મેડિકલ સેન્ટરમાં કરવામાં આવેલ એમઆરઆઈ રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેણે તેના અપંગતાના દાવાને સમર્થન આપ્યું હતું. આ UPSC દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ UPSCએ તેમની પસંદગીને CAT (સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ)માં પડકારી હતી. તેમની સામે ચુકાદો 23 ફેબ્રુઆરી 2023ના રોજ સંભળાવવામાં આવ્યો હતો. બાદમાં તેમનું એમઆરઆઈ પ્રમાણપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.
અહીં, વિવાદોમાં ફસાયા પછી, પૂજા ખેડકરે મંગળવારે કહ્યું હતું કે તેની મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેણે ગુનો કબૂલવાનો પણ ઇનકાર કર્યો હતો.
બેંગલુરુઃ કર્ણાટક કેબિનેટે પ્રાઇવેટ ક્ષેત્રના ગ્રુપ C અને D પદો પર કન્નડ લોકો એટલે કે કર્ણાટકના સ્થાનિક લોકોને 100 ટકા અનામત અનિવાર્ય કરવાવાળા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મેનેજમેન્ટ (50 ટકા) અને નોન-મેનેજમેન્ટ (70 ટકા) પદો માટે સ્થાનિક ઉમેદવારોની ભરતીની વાત કરવામાં આવી છે અને એનું પાલન ના કરનારી કંપનીઓને દંડ કરવાની જોગવાઈ પણ આ કાયદામાં છે. આ બિલમાં પ્રસ્તાવિત એવી કડક જોગવાઈઓ પર ઉદ્યોગ નિષ્ણાતો પોતાના વાંધા જણાવ્યા છે.
કર્ણાટકની કોંગ્રેસ સરકાર વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. CM સિદ્ધારમૈયાના નેજા હેઠળની કર્ણાટક કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં કન્નડ લોકો માટે 100 ટકા આરક્ષણ ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી છે.
સિદ્ધારમૈયાએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં ‘C અને D’ ગ્રેડની પોસ્ટ માટે 100 ટકા કન્નડ લોકોની ભરતી ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. અમારી સરકારની ઇચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકો નોકરીઓથી વંચિત ન રહે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક મળે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે.
સિદ્ધારમૈયાએ તેમની સરકારને કન્નડતરફી ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા કન્નડ લોકો છે અને કન્નડ સંસ્કૃતિના કલ્યાણની સંભાળ રાખવાની છે.
VIDEO | “I think it is a very regressive, unnecessary, draconian, unconstitutional, illegal bill. It is illegal because it discriminates under Article 19. The Haryana government tried to do something but the High Court struck down saying that it is not reasonable. Secondly, look… pic.twitter.com/4JHHMwvMcq
ઇન્ફોસિસના ભૂતપૂર્વ CEO મોહનદાસ પાઇએ પણ બિલની આલોચના કરતાં X પર પોસ્ટમાં કહ્યું હતું કે આ બિલને રદ કરવામાં આવવું જોઈએ. એ ભેદભાવપૂર્ણ, રાજ્યને પાછળ ધકેલનારું અને બંધારણની વિરુદ્ધ છે. શું સરકાર એ પ્રમાણિત કરશે કે અમે કોણ છીએ? આ એક ફાસીવાદી બિલ છે, જે એનિમલ ફાર્મની યાદ અપાવે છે.