Home Blog Page 1465

આ અભિનેતા સાથે ગંભીર કાર અકસ્માત, હોસ્પિટલમાં ICUમાં દાખલ

મુંબઈ: ‘ખોસલા કા ઘોસલા’, ‘દિલ્લગી’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘યે હૈ જિંદગી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા પ્રવીણ ડબાસની કાર શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં પ્રવીણ ડબાસ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રવીણ ડબાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ પ્રવીણ ડબાસની હાલત નાજુક હોવાનું કહેવાય છે અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રવીણ ડબાસ બોલિવૂડ એક્ટર છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ વર્ષ 2011માં પ્રવીણ ડબાસે એક ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. પ્રવીણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 54 થી વધુ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે.

પ્રવીણ ડબાસની પત્નીએ શું કહ્યું?
અભિનેતા પ્રવીણ ડબાસે વર્ષ 2008માં અભિનેત્રી પ્રીતિ સાથે લગ્ન કર્યા હતા. આ અકસ્માત અંગે પ્રીતિએ જણાવ્યું કે પ્રવીણ કાર અકસ્માતનો શિકાર બન્યા છે. જે બાદ તેને બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. પ્રવીણ ડબાસના અકસ્માતના સમાચાર બાદ તેના મિત્રો પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. પ્રવીણનો પરિવાર પહેલેથી જ હોસ્પિટલ પહોંચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શનિવારે સવારે થઈ હતી. જો કે આ અંગે હજુ વધુ વિગતો બહાર આવી નથી.

50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે!
પ્રવીણ ડબાસ બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા છે અને તેમણે 50 થી વધુ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. પ્રવીણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1995માં ટીવીથી કરી હતી. આ પછી તેણે ટીવી પર કામ કર્યું અને ફિલ્મોમાં એન્ટ્રી લીધી. પ્રવીણ લગભગ 2 દાયકાથી ફિલ્મોમાં વિવિધ પાત્રોમાં જીવ રેડી દે છે. હવે પ્રવીણના અકસ્માતના સમાચાર સાંભળીને મિત્રોમાં ચિંતાનો માહોલ છે. પ્રવીણના સ્વાસ્થ્ય અંગે ટૂંક સમયમાં અપડેટ બહાર આવી શકે છે.

મહારાષ્ટ્ર: સીએમ એકનાથ શિંદે મુંબઈના જુહુ બીચ પર ચલાવ્યુ ટ્રેક્ટર

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના જુહુ બીચ પર સફાઈ અભિયાન દરમિયાન ટ્રેક્ટર ચલાવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આ કાર્યક્રમનો વીડિયો પણ સામે આવ્યો છે.

સીએમ શિંદેએ શું કહ્યું?

સીએમ શિંદેએ કહ્યું, ‘મહારાષ્ટ્ર પાસે 720 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને આપણે તેને સ્વચ્છ રાખવાનો છે. અમે સ્વચ્છતા સેવા દ્વારા આની શરૂઆત કરી છે. સ્વચ્છ ભારત અભિયાનનું નામ પડતાં જ વડાપ્રધાનનું નામ સામે આવે છે. હું મંત્રીને યાદ કરું છું અને તેમની પ્રેરણાથી આ અભિયાનને સમગ્ર દેશમાં આગળ ધપાવ્યું, આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ, અમે તેના પર પ્રતિબંધ મૂક્યો છે અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન દ્વારા પણ અમે આગળ વધી રહ્યા છીએ. મોટા પાયે વૃક્ષો વાવવા છે.’

શિંદેએ તાજેતરમાં કહ્યું હતું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. સીએમ શિંદેએ એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. મુખ્યમંત્રી શિંદેએ શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેના ચાંદીવલી મતવિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને આ સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે, તેથી અમારે દિલીપ લાંડેની સાથે મજબૂત રીતે ઊભા રહેવું પડશે. પ્રચંડ બહુમતીથી જીતવા માટે આપણે તેને સમર્થન આપવું જોઈએ.

સીએમ શિંદેએ વધુમાં કહ્યું હતું કે, “તેઓ શિવસેના અને મહાયુતિ ગઠબંધનની જીત માટે સખત મહેનત કરશે.” આ પહેલીવાર છે જ્યારે મહાયુતિ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા સીએમ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીની સંભવિત તારીખ પર વાત કરી છે. અગાઉ, NCP (SP)ના વડા શરદ પવારે કહ્યું હતું કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 સપ્ટેમ્બર 2024 છે, પરંતુ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા નવેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં સમાપ્ત થઈ શકે છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાજેતરમાં પાર્ટીના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજ્ય સરકારની વિકાસ યોજનાઓને લોકો સુધી લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન અજિત પવારની આગેવાની હેઠળની NCP ચૂંટણી પહેલા લાડલી બ્રાહ્મણ સહિતની અન્ય યોજનાઓ સાથે રાજ્યમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં વર્તમાન સરકારમાં ત્રણ પક્ષો છે, જે ભાજપ, શિવસેના અને એનસીપી છે.

મસ્જિદનો ગેરકાયદે હિસ્સો તોડવા BMCની ટીમ પહોંચતાં તંગદિલી

મુંબઈઃ ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે તંગદિલી ઊભી થઈ હતી. BMCની એક ટીમ આ ગેરકાયદે હિસ્સો તોડવા પહોંચી હતી, પરંતુ લોકોની ભીડે હંગામો મચાવ્યો અને રસ્તા પર ઊતરી આંદોલન કરવા લાગ્યા હતા. કાર્યવાહી કરવા આવેલી નગરપાલિકાની ગાડીઓમાં લોકોની ભીડે તોડફોડ મચાવી હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે હાલ તો ભારે પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી છે.

મુંબઈના ધારાવીના 90 ફૂટ રોડ પર 25 વર્ષ જૂની સુબાનિયા મસ્જિદને BMCએ ગેરકાયદે ગણાવી હતી અને તેને આજે તોડી પાડવાની હતી. BMCના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ મુસ્લિમ સમાજના લોકો ગઇ કાલ રાતથી જ માર્ગો પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી હતી. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ વર્ષો જૂની છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલનાં સાંસદ પ્રો.વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે CM એકનાથ શિંદે સાથે અમે મુલાકાત કરી હતી અને તેમને ધારાવીની આ મસ્જિદને બીએમસી દ્વારા મળેલી ડિમોલિશનની નોટિસની જાણકારી આપી હતી. CMએ અમને સકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી તે અધિકારીઓ સાથે વાતચીત કરશે અને મસ્જિદને તોડી પાડવાની કાર્યવાહી પણ અટકાવશે.

 

 

સુજાતા મહેતાના કપાળમાં ‘મિ. આઝાદ’ લખાઈ ન હતી

‘પ્રતિઘાત’ (૧૯૮૭) થી ફિલ્મોમાં શરૂઆત કરનાર નાટ્ય અભિનેત્રી સુજાતા મહેતાએ પહેલી ફિલ્મ નિર્દેશક જે.પી. દત્તાની ‘યતીમ’ (૧૯૮૮) મેળવી હતી. પરંતુ એ ફિલ્મ મોડી રજૂ થઈ અને એના કારણે જ કારકિર્દી મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગઈ હતી. સુજાતાએ ૧૧ વર્ષની ઉંમરથી નાટકમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. કોલેજમાં આવી ત્યારે પણ અનેક નાટકોમાં કામ કરતી હતી. ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. લૈલા મજનૂ વગેરે ઘણી ફિલ્મો માટે એને ઓફર મળી હતી. પરંતુ પરિવારની મનાઈને કારણે એ કોઈ ફિલ્મ સ્વીકારી શકતી ન હતી. એનો પરિવાર માનતો હતો કે ફિલ્મનું ક્ષેત્ર સારું નથી.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે સુજાતાનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું અને દુ:ખી હતી. જીવનમાં શું કરવું એની સૂઝ પડતી ન હતી. લગ્ન કરવા માગતી ન હતી. એ નાટકોમાં કામ કરવા સાથે મોડેલિંગ કરી રહી હતી. દરમ્યાનમાં સુજાતાને દૂરદર્શનના એક નાટકમાં કામ કરતી જોઈ નિર્દેશક જે.પી. દત્તાએ ફિલ્મ ‘યતીમ’ માટે ઓફર આપી. દત્તાએ જ્યારે ફિલ્મની નકારાત્મક ભૂમિકા માટે વાત કરી ત્યારે સુજાતાને નવાઈ લાગી. આ ફિલ્મ કરી શકાય કે નહીં એ માટે સુજાતાએ નાટકમાં સાથે કામ કરતા શફી ઈમાનદાર વગેરે વરિષ્ઠ અભિનેતાઓની સલાહ લીધી. શફીએ કહ્યું કે દત્તાની ફિલ્મ કરવી જોઈએ. એમની ‘ગુલામી’ જોઈ લે. સુજાતાએ દત્તાની ‘ગુલામી’ જોઈ અને ગમી ગઈ. પણ ઘણા લોકોએ એને સલાહ આપી કે ફિલ્મોમાં શરૂઆત નકારાત્મક ભૂમિકાથી કરતી નહીં. તને મુશ્કેલીઓ ઊભી થશે.

અગાઉ સુજાતા ઘણી ફિલ્મો ઠુકરાવી ચૂકી હતી. પણ જીદ કરીને ‘યતીમ’ માટે એણે પરિવારને સમજાવ્યો અને સાઇન કરી લીધી. બીજી ફિલ્મ ‘પ્રતિઘાત’ મળી એ પહેલાં તૈયાર થઈ ગઈ. નિયમ પ્રમાણે સુજાતાની પહેલી ફિલ્મ ‘યતીમ’ રજૂ થવા દેવાની હતી. જે.પી. દત્તાએ એનું કામ જોઈને ‘પ્રતિઘાત’ પહેલી રજૂ કરવા મંજૂરી આપી દીધી. ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ થઈ ગઈ. સુજાતાના અભિનયની બોલબાલા વધી ગઈ. પણ પછી ‘યતીમ’ રજૂ થઈ અને એની કારકિર્દી માટે મુશ્કેલી શરૂ થઈ ગઈ. ત્યારે કોઈપણ કલાકારને એની ઇમેજ મુજબ જ કામ મળતું હતું.

‘યતીમ’ માં સુજાતાએ વેમ્પની ભૂમિકા નિભાવી હતી એટલે એને એવી જ ભૂમિકાઓ ઓફર થવા લાગી. સુજાતાએ મોહનકુમારની અનિલ- મીનાક્ષીની ‘અંબા’ (૧૯૯૦) જેવી કેટલીક ફિલ્મો એ કારણથી શરૂઆતમાં ઠુકરાવી પણ હતી. ‘પ્રતિઘાત’ ને કારણે એને મુખ્ય ભૂમિકાવાળી કે મહિલાપ્રધાન ફિલ્મો મળવાની શકયતા વધુ હતી. નિર્દેશક ટી. રામારાવની ફિલ્મ ‘મિ. આઝાદ’ (૧૯૯૪) માં પહેલાં અનિલ કપૂર સાથે હીરોઈન તરીકે સુજાતાને સાઇન કરવામાં આવનાર હતી. અનિલ પહેલો એવો હીરો હતો જે સુજાતા સાથે કામ કરવા તૈયાર થયો હતો. પરંતુ ફિલ્મ સુજાતાના નસીબમાં લખાઈ ન હતી.

સુજાતાનું કપાળ દક્ષિણની હીરોઈનોથી મોટું હોવાથી ટી. રામારાવે વીગ પહેરવા કહ્યું હતું. એ વાત સુજાતાને યોગ્ય લાગી ના હોવાથી ફિલ્મ છોડી દીધી હતી. સુજાતાને કારકિર્દીમાં ઘણી ફિલ્મો મળી પણ એ મલ્ટીસ્ટારર હતી અને મોટાભાગની ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા મળતી રહી. ફિલ્મોમાં બની રહેવા સુજાતાએ એવી ભૂમિકાઓ કરવી પડી હતી. જો મલ્ટીસ્ટારર અને નકારાત્મક ભૂમિકા માટે ના પાડે તો કોઈ કામ મળે એમ ન હતું. સુજાતાએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘યતીમ’ ની નકારાત્મક ભૂમિકાને કારણે એની કારકિર્દીની વાટ લાગી ગઈ હતી.

સેવઈ ઉપમા

વર્મિસેલી સેવ જે કોઈપણ કરિયાણાની દુકાનમાં મળી રહે છે. ઘઉંના લોટની આ સેવ વેજીટેબલ્સ ઉમેરવાથી પૌષ્ટિક બને છે! વળી, તેમાં મેગી જેવો સ્વાદ મળે તો બાળકો પણ હોંશે હોંશે ટિફીનમાં લઈ જશે!

સામગ્રીઃ

  • વર્મિસેલી સેવ 2 કપ (આ સેવ ઘઉંના લોટની આવે છે.)
  • ઘી 2, 3 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • 1 કાંદો
  • કાજુના ટુકડા 8-10
  • શીંગદાણા 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સુધારેલું સિમલા મરચું ¼ કપ
  • સમારેલું ગાજર ¼ કપ
  • વટાણા ¼ કપ
  • સમારેલી કોથમીર ½ કપ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 8-10
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં વર્મિસેલી સેવ 3-4 મિનિટ શેકી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી.

એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણીમાં લીંબુનો રસ તેમજ થોડું મીઠું નાખી દો. પાણી ઉકળે એટલે વર્મિસેલી સેવ તેમાં નાખી ચમચા વડે હલાવતા રહી 3-4 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ સેવને સ્ટીલની મોટી ચાળણીમાં નાખીને પાણી ગાળી લો. પાણી નિતરે એટલે તેની ઉપર સાદુ ઠંડું પાણી રેડીને ફરીથી ગાળી લો.

કઢાઈમાં ઘી ગરમ કરી જીરૂ તતડાવો. ત્યારબાદ તેમાં અળદ તેમજ ચણાની દાળ લાલ શેકીને લીમડો તેમજ લીલા મરચાંને બે ફાડમાં સુધારીને ઉમેરો. ત્યારબાદ તેમાં શીંગદાણા તેમજ કાજુને 2 મિનિટ જેવું સાંતળો. હવે સમારેલો કાંદો નાખીને સાંતળો. 2 મિનિટ બાદ તેમાં વટાણા, સમારેલાં ગાજર તેમજ સિમલા મરચાં ઉમેરીને 4-5 મિનિટ ગેસની મધ્યમ આંચે સાંતળી લો. તેમાં કાળા મરી પાઉડર ઉમેરો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખીને બાફેલી સેવ પણ મેળવી દો. ચમચા વડે હળવે હળવે મિક્સ કરી લીધા બાદ 2-3 મિનિટ કઢાઈ ઢાંકીને સેવને થવા દો.

ગેસ બંધ કરીને તૈયાર સેવનો ઉપમા ગરમાગરમ પીરસો અથવા બાળકોને ટિફીનમાં આપો. સાથે કોપરાની ચટણી હોય તો સ્વાદ વધી જશે.

 

૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 21/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિક કે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરી કે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

પંચાંગ 21/09/2024

સવારે કોંગ્રેસમાં જોડાયા અને સાંજે આ નેતાની થઈ ગઈ ઘર વાપસી

હરિયાણા: અહીં વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર આજે(શુક્રવારે) સવારે કોંગ્રેસમાં જોડાયા હતા. રમિત ખટ્ટર મનોહરલાલ ખટ્ટરના ભાઈ જગદીશ ખટ્ટરના પુત્ર છે. જો કે થોડાંક જ કલાકોમાં તેઓ પાછા ભાજપમાં જતા રહ્યા છે. આમ તેમણે ‘આયા રામ ગયા રામ’ની જેમ એક જ દિવસમાં બે પક્ષોની સદસ્યતા લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હરિયાણાના દિગ્ગજ નેતા કહેવાતા રમિત ખટ્ટર શુક્રવારે ધારાસભ્ય ભારત ભૂષણ બન્નાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જો કે થોડાંક જ કલાકોની અંદર રમિત ભાજપમાં પરત ફર્યા છે. તેઓ ભાજપ ઉમેદવાર મનીષ ગ્રોવરની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં જોડાયા છે. રમિતે એક જ દિવસમાં બે વખત પક્ષ બદલવાનું કોઈ કારણ આપ્યું નથી. એવું કહેવાય છે કે, ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરાયો હતો અને કોઈક રીતે તેઓ પાછા ફરવા માટે રાજી થયા હતા.મનોહર લાલ ખટ્ટર હજુ પણ રાજ્યમાં મોટા નેતા છે અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તેમની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના ભત્રીજાનું કોંગ્રેસમાં જોડાવું એ ભાજપ માટે મોટા ફટકા સમાન હતું. તેથી જ રમિત કોંગ્રેસમાં જતા ભાજપના નેતાઓ એક્ટીવ થયા હતા અને છેવટે તેઓ થોડાંક જ કલાકોમાં ભાજપમાં પરત આવી ગયા છે.

તરણેતરના મેળામાં ડાન્સને લઈ થયો વિવાદ, તપાસના અપાયા આદેશ

તરણેતરના મેળામાં મહિલાના એક ગીત પર ડાન્સને લઈ વિવાદના વંટોળ ઊભા થયા છે. વાત એમ છે કે મેળામાં ભોજપુરી અશ્લિલ ગીત પર મહિલાઓના ઠુમકા લેતો વીડિયો વાયરલ થયો છે. લોકો પુછી રહ્યાં છે કે, જ્યાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ રજૂ થતી હોય છે, ત્યાં આવા અશ્વિલ ડાન્સ કેમ થઈ રહ્યાં છે? આ ડાન્સની મંજૂરી કોણે આપી?  ત્યારે હવે આ વાયરલ વિડીયોને લઈ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એક્શન મોડમાં આવ્યા છે. વીડિયો વાયરલ થતાં અને વિવાદ બાદ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તપાસના આદેશ આપ્યાં છે.

મુળુભાઈ બેરાએ તરણેતરના અશ્લિલ ડાન્સ વિશે જવાબ આપતા કહ્યું કે, કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જોકે, મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં જે કોઈપણ આરોપી હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે ખાતરી આપી છે.  તરણેતરના મેળામાંથી સામે આવેલી અશ્લિલ ડાન્સના વીડિયો વિશે જવાબ આપતાં અધિક કલેક્ટર  આર. એમ. ઓઝાએ કહ્યું કે, તરણેતરના મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીં હરાજી દ્વારા જે-તે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે અમે તપાસ કરી રહ્યાં છીએ કે, હરાજી દરમિયાન જ્યાં આ પ્રકારનો અશ્લિલ ડાન્સ થયો હતો, તે પ્લોટ કઈ એજન્સીને ફાળવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જે કોઈપણ પ્લોટ ધારક એજન્સી દોષિત સાબિત થશે તેની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું.

આ વીડિયો મામલે કલેક્ટરે જણાવ્યું કે, 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા તરણેતરના મેળામાં અશ્લિલ ડાન્સ થયો હોવાની જાણકારી અમને વિવિધ પ્લેટફોર્મ દ્વારા મળી છે. અમે આ વીડિયોની ખરાઈ કરી રહ્યાં છીએ. ચોટીલા પ્રાંત અધિકારીને આ વિષયે તપાસ સોંપવામાં આવી છે. વીડિયોની ખરાઈ કરાયા બાદ જેના દ્વારા પણ આ કૃત્ય કરવામાં આવ્યું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.