Home Blog Page 144

યુદ્ધ વચ્ચે જહાજોને મળ્યો ‘સેફ પેસેજ’: હવે ઈરાન શું કરશે?

નવી દિલ્હીઃ વૈશ્વિક સમુદ્રી વેપાર માટે રાહતભર્યા સમાચાર છે. હોર્મુઝ જળમાર્ગમાં એક નવો સમુદ્રી માર્ગ ખૂલ્યો છે, જેના દ્વારા વેપારી જહાજો પસાર થઈ રહ્યા છે. આ માર્ગ પરંપરાગત રૂટ અને ઈરાન દ્વારા તાજેતરમાં બનાવાયેલા માર્ગથી અલગ છે.

AIS (ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ) અને રિમોટ સેન્સિંગ ડેટાના વિશ્લેષણ મુજબ ઓછામાં ઓછા ચાર મોટા જહાજ તેલ, એલએનજી અને સામાન્ય માલ લઈને આ નવા માર્ગથી પસાર થઈ ચૂક્યાં છે. આ નવો માર્ગ આંતરરાષ્ટ્રીય જળસીમાને ટાળીને ઓમાનની સમુદ્રી સીમામાં રહે છે, જેને કારણે જહાજો તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે.

ઓમાનની સીમામાં રહીને મુસાફરી

માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ ધરાવતાં બે મોટા ક્રૂડ ઓઇલ ટેન્કર “હાબ્રુત” અને “ધલકુત” તેમ જ પનામાના ધ્વજવાળું “સોહાર” એલએનજી કેરિયર સંયુક્ત આરબ અમીરાતના રસ અલ ખૈમાહ નજીક ઓમાનની સમુદ્રી સીમામાં પ્રવેશ્યા હતા. આ જહાજોએ મુસંદમ પ્રાયદ્વીપ નજીક પોતાના ટ્રાન્સપોન્ડર (લોકેશન સિગ્નલ) બંધ કરી દીધાં હતાં. 3 એપ્રિલે તેમને મસ્કતથી લગભગ 350 કિલોમીટર દૂર સમુદ્રમાં જોવામાં આવ્યાં હતાં.

લાખો બેરલ તેલથી ભરેલાં હતાં ટેન્કર

સમુદ્રી વિશ્લેષણ મુજબ “હાબ્રુત” અને “ધલકુત” ટેન્કર સાઉદી અરેબિયા અને યુએઈનું મળીને અંદાજે 20 લાખ બેરલ કાચું તેલ લઈને જઈ રહ્યા હતા. જ્યારે “સોહાર” એલએનજી કેરિયર 21 માર્ચે યુએઈના અલ હમરિયા પોર્ટ પરથી નીકળ્યું હતું, જોકે તે સંપૂર્ણ રીતે ભરાયેલું હતું કે નહીં તે સ્પષ્ટ નથી.

ભારતીય જહાજ પણ આ જ માર્ગેથી પસાર થયું

આ જહાજોના પાછળ એક ભારતીય ધ્વજવાળું કાર્ગો જહાજ “એમએસવી ક્યુબા એમએનવી 2183” પણ આ જ માર્ગથી પસાર થતું જોવા મળ્યું. આ જહાજ 31 માર્ચે દુબઈમાંથી નીકળ્યું હતું અને ઓમાનના ડિબ્બા પોર્ટથી લગભગ 40 કિલોમીટર દૂર ખુલ્લા સમુદ્રમાં તેનું છેલ્લું લોકેશન નોંધાયું હતું.

ઈરાને બનાવ્યો હતો નિયંત્રણવાળો નવો માર્ગ

તણાવ વધ્યા બાદ ઈરાને જહાજોની અવરજવર નિયંત્રિત કરવા માટે એક નવો અને લાંબો સમુદ્રી માર્ગ બનાવ્યો હતો. આ માર્ગ ઈરાનની સમુદ્રી સીમામાંથી પસાર થાય છે અને કેશ્મ તથા લારક દ્વીપો વચ્ચેના સંકુચિત માર્ગમાંથી બહાર આવે છે.

ઈરાન યુદ્ધથી પાકિસ્તાનમાં ગેસ, ઊર્જાનું સંકટઃ સરકારે જાહેર પરિવહન કર્યું મફત

ઇસાલામાબાદઃ ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના કારણે પાકિસ્તાનની સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે અધિકારીઓએ જાહેરાત કરી કે ઇસ્લામાબાદ અને દેશના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકારી જાહેર પરિવહન આગામી એક મહિના સુધી મફત રહેશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવોને કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થયા અને પેટ્રોલ પંપ પર મોટરસાઇકલની લાંબી લાઇનો જોવા મળી. ભારે વિરોધ બાદ પાકિસ્તાન સરકારે તાત્કાલિક યુ-ટર્ન લઈને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 80 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી. હાલમાં પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સામાન્ય જનતાને થોડી રાહત મળવાની શક્યતા છે.

 ભાવમાં ઉછાળો અને સપ્લાયમાં ઘટાડો

યુદ્ધને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ 109 ડોલરથી ઉપર પહોંચી ગયા, જ્યારે યુરોપમાં ગેસના ભાવ પણ ઝડપથી વધ્યા. પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર બની કારણ કે તે પોતાની મોટા ભાગની LNG જરૂરિયાત કતાર અને યુએઈ પાસેથી પૂરી કરે છે.

માર્ચમાં પાકિસ્તાનને માત્ર બે LNG શિપમેન્ટ મળ્યા, જ્યારે સામાન્ય રીતે દર મહિને 8થી 12 શિપમેન્ટ આવે છે. પરિણામે ગેસનો ભાવ ફેબ્રુઆરીમાં $ 10.47 પ્રતિ MMBtuથી વધીને માર્ચમાં $ 12.49 થઈ ગયો છે.

 આયાત પર આધારિત વ્યવસ્થા

પાકિસ્તાન પોતાની ગેસ જરૂરિયાત માટે ત્રણ સ્ત્રોત પર આધારિત છે — સ્થાનિક ઉત્પાદન, આયાતીત LNG અને LPG. સ્થાનિક ગેસ ઉત્પાદન ધીમે-ધીમે ઘટી રહ્યું છે, જ્યારે LNGથી દેશની લગભગ 25 ટકા વીજળી ઉત્પન્ન થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતી LPGનું 60 ટકાથી વધુ આયાત ઈરાનથી થાય છે, જે હવે અસરગ્રસ્ત છે.

વધતું દેવું અને ખોટી યોજના

ગેસનો વધુ સપ્લાય અને ઓછી માગને કારણે પાકિસ્તાન પર ભારે આર્થિક બોજ પડ્યો. ગેસ ક્ષેત્રનું દેવું વધીને 3.3 ટ્રિલિયન રૂપિયા (લગભગ 11 અબજ ડોલર) થઈ ગયું. સરકારે 2031 સુધી નક્કી કરાયેલા 177 ગેસ શિપમેન્ટ ઘટાડવાના પ્રયાસો કર્યા.

 ઉનાળામાં મુશ્કેલી વધશે

હાલમાં હળવી ઠંડી અને સોલર ઊર્જાના કારણે થોડી રાહત છે, પરંતુ ઉનાળામાં સ્થિતિ ગંભીર બની શકે છે. ગયા વર્ષે વીજળીની માંગ 33,000 મેગાવોટ સુધી પહોંચી હતી. આવનારા સમયમાં રોજ 2-3 કલાક લોડશેડિંગ કરવાની શક્યતા છે.

TMC, BJP આમનેસામને: ઉર્દૂ મુદ્દે રાજકીય ગરમાવો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાટો આવતાં ઉર્દૂ ભાષાને લઈને રાજકીય તણાવ વધ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઉર્દૂમાં જાહેર કરાયેલા ચૂંટણી ઘોષણાપત્રને ભાજપે એક ખાસ સમુદાયને ખુશ કરવા માટેનું રાજકારણ ગણાવ્યું છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે ભાજપના આક્ષેપોને સાંસ્કૃતિક ઓળખને કમજોર કરવાની કોશિશ તરીકે ગણાવ્યા છે.

સ્થાનિક નેતાઓનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ ભારતનાં એવાં રાજ્યોમાંનું એક છે જ્યાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે. રાજકીય પક્ષોના અંદાજ મુજબ રાજ્યમાં લગભગ 27 ટકા વસ્તી મુસ્લિમ સમુદાયની છે. જેમાં મુર્શિદાબાદ રાજ્યનો સૌથી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો માનવામાં આવે છે.

એ ઉપરાંત માલદા, ઉત્તર દિનાજપુર, દક્ષિણ 24 પરગણા, બિરભૂમ તેમ જ શહેરી વિસ્તારોમાં કોલકાતાના પાર્ક સર્કસ, મેટિયાબ્રુઝ, ગાર્ડન રીચ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી મોટા પ્રમાણમાં રહે છે. અહીં રોજિંદી બોલચાલ, શિક્ષણ અને દૈનિક કાર્યોમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ થાય છે. આ કારણે આ સમુદાય સુધી પહોંચવા માટે ઉર્દૂ લાંબા સમયથી રાજકારણનું કેન્દ્ર રહી છે.

મુઘલ કાળથી ઉર્દૂનો પ્રભાવ

બંગાળમાં મુઘલ કાળ દરમિયાન પ્રશાસન અને સેનામાં ફારસી અને ઉર્દૂ ભાષાનો પ્રભાવ રહ્યો હતો. ભારતના વિભાજન બાદ પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) અને અન્ય વિસ્તારોમાંથી આવેલા મુસ્લિમ સમુદાયને કારણે વિસ્તારમાં ઉર્દૂનો ઉપયોગ ચાલુ રહ્યો છે.

હાલમાં પશ્ચિમ બંગાળ સરકારે ઉર્દૂને રાજ્યની માન્ય ભાષાઓમાં સામેલ કરી છે. કેટલાક જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં શિક્ષણ તથા મર્યાદિત પ્રશાસનિક કાર્યોમાં ઉર્દૂનો ઉપયોગ થાય છે. જોકે રાજકીય પક્ષો પોતાના રાજકીય હિત મુજબ આ મુદ્દાનો ઉપયોગ કરતા આવ્યા છે.

BJPનો ‘ઉર્દૂસ્તાન’ બનાવવાનો આક્ષેપ

આ મુદ્દે પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ જગન્નાથ સરકારે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી ચૂંટણીલાભ માટે એક ખાસ સમુદાયને ટાર્ગેટ કરી રહી છે. તેમના મુજબ તેઓ લાંબા સમયથી વોટબેંકનું રાજકારણ કરે છે અને દેશના આ ભાગને ‘ઉર્દૂસ્તાન’ બનાવવાની કોશિશ કરી રહી છે.

અમેરિકન ફાઇટર જેટ પડ્યા બાદ ટ્રમ્પે કહ્યું, “અમે યુદ્ધમાં છીએ”

વોશિંગ્ટનઃ મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્ય વિમાનો સાથે જોડાયેલી બે ઘટનાઓ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એક અમેરિકન ફાઇટર જેટને મારવામાં આવ્યા છતાં ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર નહીં પડે. આ ઘટનાથી ચર્ચાઓમાં અવરોધ આવશે તેવી આશંકાને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે ના, બિલકુલ નહીં. નહીં, આ યુદ્ધ છે. અમે યુદ્ધમાં છીએ. યુદ્ધ દરમિયાન અમેરિકન વિમાન નષ્ટ થવાની ઘટનાને લઈને રાષ્ટ્રપતિની આ પ્રથમ જાહેર પ્રતિક્રિયા છે, ત્યારે સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.

ટ્રમ્પે મામલાની સંવેદનશીલતા બતાવતાં “સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન” અંગે વિગતવાર માહિતી આપવા ઈનકાર કર્યો અને જટિલ અને સક્રિય સૈન્ય અભિયાન અંગે મિડિયા રિપોર્ટિંગ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ઈરાનનો દાવો — અમેરિકન વિમાનને માર્યું

આ રાજદ્વારી તણાવ વચ્ચે તહેરાને પોતાના સૈન્ય દાવાઓ વધુ તેજ કર્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ જલડમરુમધ્ય નજીક એક અમેરિકન A-10 વિમાનને પાડી દીધું છે. રિપોર્ટ મુજબ વિમાનને વ્યૂહાત્મક જળમાર્ગના દક્ષિણ અને આસપાસના જળક્ષેત્રમાં નિશાન બનાવવામાં આવ્યું હતું, જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. A-10 અમેરિકાનું ગ્રાઉન્ડ-એટેક વિમાન છે, જે જમીન પર લડી રહેલા દુશ્મન સામે ક્લોઝ એર સપોર્ટ મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

અન્ય ઘટના — ક્રૂ સભ્યને બચાવવામાં આવ્યો

આ સાથે, ઈરાન ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયેલા અમેરિકન ફાઇટર જેટમાંથી એક ક્રૂ સભ્યને અમેરિકન સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધો છે. જણાવવામાં આવે છે કે તે વ્યક્તિ જીવિત છે, અમેરિકન કસ્ટડીમાં છે અને તેની તબીબી સારવાર ચાલી રહી છે.

એક ક્રૂ સભ્યને બચાવવામાં આવ્યો હોવા છતાં, બીજા સભ્યનું શું થયું તે હજી સ્પષ્ટ નથી, કારણ કે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. ટેક્નિકલ માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઇટર જેટ હતું, જેને સામાન્ય રીતે બે લોકોની ટીમ ચલાવે છે.

પંચાંગ 04/04/2026

કોબી મંચુરીયન વડી

કોબી શાકમાં તો નથી ભાવતી. પણ તેમાંથી મંચુરીયનના સ્વાદવાળી વડી બનાવવામાં આવે તો બાળકો તેમજ મોટેરાંને પણ તે ભાવશે. વળી તે ઝટપટ બની જાય છે!

સામગ્રીઃ કોબી 400 ગ્રામ, આદુ 1 ઈંચ, લસણ 7-8 કળી, લીલા મરચાં 2-3, સ્વાદ મુજબ મીઠું, જીરૂ 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, સફેદ તલ 4 ટે.સ્પૂન, હીંગ 2-3 ચપટી, કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન, ચોખાનો લોટ ½ કપ, ચણાનો લોટ 1 કપ, ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન, લીંબુનો રસ 1 ટે.સ્પૂન, તેલ વડી તળવા માટે, કોથમીર ધોઈને સમારેલી 1 કપ,

રીતઃ કોબીને ખમણી લો. તેમાં ½ ચમચી જેટલું મીઠું મેળવીને 10 મિનિટ માટે રાખી મૂકો.

મિક્સીમાં આદુના ટુકડા, મરચાં, લસણ તેમજ જીરૂ મેળવીને અધકચરું પીસી લો.

કોબીમાં વાટેલો મસાલો તેમજ હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, અજમો, કાળા મરી પાઉડર, સફેદ તલ, હીંગ, સમારેલી કોથમીર મેળવી દો. કોબીમાં મીઠું મેળવેલું  હોવાથી મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું. આ મિશ્રણ સરખું મિક્સ કરીને તેમાં ચોખાનો તેમજ ચણાનો લોટ મેળવો. ત્યારબાદ ખાવાનો સોડા મેળવી ઉપરથી લીંબુનો રસ ઉમેરીને મિશ્રણ સરખું મિક્સ કરી લો. હાથમાં તેલ લગાડી તેમાંથી લીંબુની સાઈઝના ગોળા વાળીને તેને ચપટો આકાર આપી દો. ગોળાની ઉપર સફેદ તલ લગાડી લો..

ઈડલી બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલીના મોલ્ડમાં તેલ લગાડીને તૈયાર કરેલા ગોળા ગોઠવીને 10-15 મિનિટ માટે બાફવા મૂકો. ત્યારબાદ તે  ઠંડા થાય એટલે ચપ્પૂ વડે તેના લાંબા ત્રણ પીસ કરી લો. ઈડલીના સ્ટેન્ડમાં જો આ ગોળા બાફવા હોય તો થાળી તેલવાળી કરીને તેમાં મિશ્રણ પાથરીને ઢોકળાની જેમ બાફી શકાય છે. તેમજ તેના ચોરસ કે લંબચોરસ પીસ કરી શકાય છે.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી, તેલ ગરમ થાય એટલે ગેસની મધ્યમ આંચે મંચુરીયન વડી સોનેરી રંગની તળી લો.

કોબી મંચુરીયન વડી ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.

૦૪ એપ્રિલ ૨૦૨૬

મોદી સરકાર દ્વારા રૂ. બે લાખ કરોડના રાહત પેકેજની શક્યતા

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલુ યુદ્ધના આર્થિક પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર મોટા પગલાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલય લગભગ રૂ. બે લાખ કરોડની ક્રેડિટ સપોર્ટ યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનાનો હેતુ મિડલ ઈસ્ટ સંકટથી પ્રભાવિત સેક્ટરોને રાહત આપવાનો છે. આ પ્રસ્તાવિત યોજના કોરોના કાળ દરમિયાન અમલમાં આવેલી ‘ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)’ની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નાણાં મંત્રાલય હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિઝ આ સ્કીમને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે અને આગામી 15 દિવસમાં તેને અમલમાં મૂકવામાં આવી શકે છે.

MSME સેક્ટર પર ખાસ ધ્યાન

રિપોર્ટમાં જણાવાયું છે કે આ યોજનાનું મુખ્ય ફોકસ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) સેક્ટર પર રહેશે, જે વૈશ્વિક અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનની અડચણોથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

આ સ્કીમ હેઠળ ગેરંટી વગરની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેને સરકારની ગેરંટીનો આધાર મળશે. આથી નાના વ્યવસાયોને સરળતાથી ફંડિંગ મળશે અને લિક્વિડિટી સંબંધિત સમસ્યામાં રાહત મળશે.

હાલ સિસ્ટમ પર મોટું દબાણ નહીં

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ અર્થતંત્રમાં કોઈ તાત્કાલિક સિસ્ટમેટિક દબાણ નથી. પરંતુ પરિસ્થિતિ બગડવાની શક્યતા ધ્યાનમાં રાખીને સરકાર પહેલેથી તૈયારી કરી રહી છે. આ પગલાને “પ્રિકોશનરી કુશન” તરીકે જોવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડે ત્યારે પ્રભાવિત સેક્ટરોને તરત સહારો આપી શકાય.

યુદ્ધ ખતમ થયા પછી પણ અસર રહેશે

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ભલે આવનારા સમયમાં ભૂ-રાજકીય તણાવ ઓછો થઈ જાય, તેમ છતાં પ્રભાવિત સેક્ટરોમાં સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ થવામાં સમય લાગી શકે છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને માગમાં અનિશ્ચિતતા તેનાં મુખ્ય કારણો રહેશે.

 કોરોના મોડલ પર વિશ્વાસ

કોરોના-19 મહામારી દરમિયાન અમલમાં આવેલી ECLGS યોજનાએ લાખો વ્યવસાયોને રાહત આપી હતી અને MSME સેક્ટરને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે સરકાર એ જ મોડલ અપનાવી વર્તમાન સંકટનો સામનો કરવાની વ્યૂહરચના બનાવી રહી છે, જેથી આર્થિક પ્રવૃત્તિઓ પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.

અમદાવાદમાં IPLની મેચ: કયા રસ્તા બંધ રહેશે અને કયા છે વૈકલ્પિક માર્ગ?

અમદાવાદ: મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. મેચ જોવા આવતા હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ વાહનવ્યવહારની સરળતા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે.

કઈ તારીખોએ નિયમો લાગુ પડશે?

અમદાવાદમાં રમાનારી કુલ 7 મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે. જેમાં એપ્રિલ દરમિયાન તારીખ 4, 17, 20, 26 અને 30 તારીખ અને મે દરમિયાન 3 અને 12 તારીખે આ જાહેરનામું લાગું પડશે.

પ્રતિબંધિત માર્ગો

મેચના દિવસે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગો

ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.

(1) તપોવન સર્કલથી: વાહનચાલકો ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટીથી જનપથ ટી તરફ જઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે.

(2) કૃપા રેસીડેન્સીથી: કૃપા રેસીડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

આ જાહેરનામું મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સેવાઓના વાહનો અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. રહીશોએ પોતાની ઓળખ સાબિત કરવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરે જેથી મેચના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના કે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય.

અમેરિકા, ઇરાન યુદ્ધને પગલે બાંગ્લાદેશમાં ઘેરાયું ઊર્જા સંકટ

ઢાકાઃ પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધનો પ્રભાવ હવે બાંગ્લાદેશ પર પણ દેખાવા લાગ્યો છે. દેશમાં ઊર્જા અને ઇંધણ સંકટ ગંભીર બનતાં નવી તારિક રહમાન સરકારે નિયંત્રણાત્મક પગલાં જાહેર કર્યાં છે. ઇંધણ બચાવવા અને ઊર્જા વપરાશ ઘટાડવા માટે ઓફિસોથી લઈને શોપિંગ મોલ સુધીના સમય મર્યાદિત કરવામાં આવ્યા છે.

 બાંગ્લાદેશમાં ઓફિસનો નવો સમય શું?

સરકારે ઓફિસનાં કામકાજના કલાકો ઘટાડવાનો અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી વીજળી અને ઇંધણની માગ નિયંત્રિત કરી શકાય. નવા નિયમ મુજબ બાંગ્લાદેશમાં તમામ ઓફિસો હવે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. ઊર્જા બચતના પગલાંરૂપે દેશભરની તમામ દુકાનો, રિટેલ આઉટલેટ અને શોપિંગ મોલ દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવશે.

 ઇંધણ બચાવવા બાંગ્લાદેશ શું પગલાં લઈ રહ્યું છે?

  • શિક્ષણ મંત્રાલય રવિવારથી શાળાઓ માટે નવા માર્ગદર્શિકો જાહેર કરશે, જેમાં સમયપત્રકમાં ફેરફાર અને જરૂર પડે તો ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની વ્યવસ્થા હશે.
  • શાળાઓ માટે ઇલેક્ટ્રિક બસોના ડ્યૂટી-ફ્રી આયાતની મંજૂરી આપવાનો વિચાર ચાલી રહ્યો છે અને આ પહેલમાં જોડાનારને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ઇંધણની અછતને પહોંચી વળવા પેટ્રોલ અને ડીઝલ પર રેશનિંગ લાગુ કરવામાં આવ્યું છે.
  • ગભરાટમાં ખરીદી અને જથ્થાબંધ સંગ્રહ અટકાવવા વાહનોના વેચાણ પર મર્યાદા મૂકવામાં આવી છે.
  • લાંબી લાઈનો અને વધતી માગને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ પંપોના ખુલ્લા રહેવાના સમયને પણ ઘટાડવામાં આવ્યો છે.
  • અધિકારીઓએ ચેતવણી આપી છે કે મુખ્ય તહેવારો દરમિયાન થોડી રાહત મળવા છતાં ઇંધણ પુરવઠો હજુ મર્યાદિત રહેશે.

 બાંગ્લાદેશમાં વધતું ઇંધણ અને ઊર્જા સંકટ

બાંગ્લાદેશ પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ભાવમાં ઉતાર-ચઢાવ અને સપ્લાય અનિશ્ચિતતા વધી છે, જેની સીધી અસર દેશ પર પડી છે. અંદાજે 17.5 કરોડ લોકોની ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા સરકારી એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે.