Home Blog Page 1388

જામનગરમાં મિશ્ર ઋતુથી તહેવારો ટાણે રોગચાળો બેકાબૂ

ગુજરાતભરમાં ભારે વરસાદને પગલે રોગચાળો પણ વકર્યો છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં મોસમે મિજાજ બદલ્યો છે. જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા ત્રણે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને અનુલક્ષીને જી.જી.હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ગઈકાલે તા.21થી શરૂ કરવવામાં આવ્યો છે.

જામનગરના શહેરી વિસ્તારની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. થોડા સમયમાં તંત્રને તાવના 300થી વધુ કેસોમાં મળી આવ્યો છે, જેમના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી હતી. આ જ રીતે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગમાં દૈનિક 300થી વધુ દર્દીઓની ઓપીડી રહેવા પામે છે. જેમાંથી રોજ 106 થી 120 ની સરેરાશમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. જેપૈકી રોજ 30-35 દર્દીઓ ડેન્ગ્યુના અને બાકીના ઋતુજન્ય તાવ અને શરદી-તાવના દર્દીઓ હોય છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.

ઇતિહાસમાં માત્ર બીજી વારઃ IPOથી કંપનીઓએ રૂ. એક લાખ કરોડ એકત્ર કર્યા

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે કંપનીઓએ મેઇન બોર્ડ પર ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) થકી રૂ. એક લાખ કરોડથી વધુ ફન્ડિંગ એકત્ર કર્યું છે. શેરબજારના ઇતિહાસમાં આવું માત્ર બીજી વાર થયું છે. આ વર્ષે અત્યાર સુધી 70 IPO લોન્ચ થયા છે, જે 2007 પછી કોઈ એક વર્ષમાં આવેલા સૌથી વધુ IPO છે.

આ IPOથી એકત્ર કરવામાં આવેલી રકમ રૂ. 1.03 લાખ કરોડથી વધુની છે. વર્ષ 2007માં કુલ 100 IPO લોન્ચ થયા હતા અને ત્યારે કુલ 34,179 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2021માં 63 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.19 લાખ કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. એ કોઈ પણ એક વર્ષમાં IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી સૌથી વધુ રકમ છે. જોકે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ રેકોર્ડ આ વર્ષે તૂટી શકે છે, કેમ કે આ વર્ષને પૂરું થવામાં હજી બે મહિનાનથી વધુ સમય બાકી છે અને એ દરમ્યાન સ્વિગી, NSDL, NTPC ગ્રીન એનર્જી જેવા મોટા IPO લોન્ચ થવાની વકી છે.

નવેમ્બર કે નજીકના ભવિષ્યમાં આવનારા ઇશ્યુઓમાં સ્વિગી (રૂ. 11,000 કરોડ), ACME સોલર હોલ્ડિંગ્સ લિ. (રૂ. 3000 કરોડ) NSDL (રૂ. 4500 કરોડ), અસીરવાડ માઇક્રો ફાઇનાન્સ (રૂ. 1500 કરોડ)  NTPC ગ્રીન એનર્જી (રૂ. 10,000 કરોડ), વન મોબીક્વિક સિસ્ટમ લિ. (રૂ. 700 કરોડ)નો સમાવેશ થાય છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં IPO દ્વારા રૂ. 65,000 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. એમાં સૌથી મોટો IPO હ્યુન્ડાઇ મોટર લિ.નો હતો, જેણે રૂ. 27,000 કરોડથી વધુ એકત્ર કર્યા હતા.

 

 

‘તેણે મારા વિશે ખોટી વાતો કરી’,અનુપમે નસીરુદ્દીન સાથેના ઝઘડા પર પ્રતિક્રિયા આપી

મુંબઈ: અનુપમ ખેરે ઘણીવાર પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે ખુલીને વાત કરી છે. પીઢ અભિનેતા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને ચાહકો સાથે હંમેશા કઈંકને કઈમક શેર કરતા હોય છે. પત્ની કિરન ખેર, પુત્ર સિકંદરથી લઈને માતા સુધી, અનુપમ અવારનવાર તેના પરિવાર સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે. બીજી તરફ, જો કોઈ સમસ્યા હોય, તો અનુપમ ખેર તેને ઉકેલવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે. 2020માં અનુપમ ખેરને નસીરુદ્દીન શાહ સાથે થોડો વિવાદ થયો હતો, જેના પર તેમણે હવે ખુલીને વાત કરી છે. આ સમગ્ર વિવાદ પર અનુપમ ખેરનું કહેવું છે કે નસીરુદ્દીન શાહને જવાબ આપવો જરૂરી હતો, તેથી તેમણે પીઢ અભિનેતાને જવાબ આપ્યો. જો કે, તેણે એ પણ જણાવ્યું કે આ સમગ્ર વિવાદ પછી જ્યારે તે તેને મળ્યો તો બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતાં.

નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે 2020માં દીપિકા પાદુકોણના JNU વિરોધ પ્રદર્શનમાં જોડાયા બાદ વિવાદ શરૂ થયો હતો. હવે શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં વાત કરતી વખતે અનુપમ ખેરે ફરી એકવાર આ વિવાદ વિશે વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘જ્યારે બે મિત્રો અથવા બે વ્યક્તિઓ સાથે કામ કરે છે તેઓ અલગ-અલગ રાજકીય અભિપ્રાય ધરાવે છે ત્યારે શું થાય છે?’ જવાબમાં તેમણે કહ્યું- ‘મેં ક્યારેય અંગત સંબંધો બગાડ્યા નથી. મને નસીર સાહબ માટે ખૂબ માન છે. પરંતુ, જ્યારે તેણે મારા વિશે નકારાત્મક વાત કરી, ત્યારે મને લાગ્યું કે તેને જવાબ આપવો જરૂરી છે. મેં ભગવત ગીતા વાંચી છે. તેમાં, જ્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું – આ તારો પરિવાર નથી, તારે આ કરવું પડશે. તેથી મારે પણ સત્ય કહેવું પડ્યું.

શું હતો મામલો?

વાસ્તવમાં, 2020માં ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન દરમિયાન દીપિકા જેએનયુમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઉભી જોવા મળી હતી. આના પર અનુપમ ખેર દીપિકાના વિરોધમાં દેખાયા તો નસીરુદ્દીન શાહ તેમના પક્ષમાં હતા. દીપિકાનું સમર્થન કરતાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને મનોરોગી અને જોકર પણ કહ્યા હતા. તેણે કહ્યું હતું- ‘તે અનુપમના લોહીમાં છે, તેને ગંભીરતાથી ન લેવો જોઈએ.’

અનુપમ ખેરે પણ વળતો જવાબ આપ્યો

નસીરુદ્દીન શાહના આ નિવેદન પર અનુપમ ખેરે પણ તીખી પ્રતિક્રિયા આપી અને પીઢ અભિનેતાને ફ્રસ્ટ્રેટેડ ગણાવ્યા હતા. તેણે કહ્યું- ‘નસીર સાહેબ, મેં તમને અને તમારી વાતને ક્યારેય ગંભીરતાથી લીધી નથી. આટલી સફળતા હાંસલ કરવા છતાં તમે તમારું આખું જીવન હતાશામાં વિતાવ્યું છે.’તમને જણાવી દઈએ કે, અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ કર્યો છે અને બંનેએ 2008માં રિલીઝ થયેલી ‘અ વેડનસ્ડે’ સહિત કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ભાજપના જ મહિલા નેતાએ પહેલવાનોને આંદોલન કરવા ભડકાવ્યાં: સાક્ષી મલિક

નવી દિલ્હી:પૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ​​ફોગાટને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં સાક્ષી મલિકે કહ્યું છે કે, ‘બબીતા ​​ફોગાટે જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્કેર્યા હતા. કારણ કે તે પોતે બ્રિજભૂષણને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી હટાવીને પ્રમુખ બનવા માગતી હતી.’

સાક્ષી મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ‘બબીતા ​​ફોગાટે ઘણાં પહેલવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે પહેલવાનોને રેસલિંગ ફેડરેશનની અંદર છેડતી સહિતની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.’ભાજપના નેતાઓ પર આરોપ લગાવતા સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, ‘બબીતા ​​ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાવવામાં મદદ કરી. બબીતા ​​ફોગાટે બ્રીજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે તેમનો પોતાનો એજન્ડા હતો. તે ડબ્લ્યુએફઆઇના પ્રમુખ બનવા માંગતી હતી.’બબીતા ​​ફોગાટ વિશે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, ‘અમને લાગ્યું કે તે (બબીતા) વિરોધમાં અમારી સાથે બેસીને સાથી પહેલવાન તરીકે ખોટાં કામો સામે અવાજ ઉઠાવશે. તે અમારા સંઘર્ષને સમજશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમશે.’

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ અવિરત વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં મેઘ મહેર હવે કહેર બની વરસી રહ્યો છે. વરસાદની સિઝન વિધિવત રીતે પૂર્ણ થવા છતા પણ વરસાદ અવિરત યથાવત્ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 2.51 ઈંચ, સુરેન્દ્રનગરમાં 1.85 ઈંચ અને દેવભૂમિ દ્વારકામાં 1.37 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 ઓક્ટોબરના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત આગામી 22મી ઓકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.

ભાયલી ગેંગ રેપ કેસ: 11 દિવસમાં 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ

વડોદરા:બીજા નોરતાની રાત્રે ભાયલી વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ માત્ર 11 દિવસમાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે.

એસ.પી.રોહન આનંદની અધ્યક્ષતામાં રચાયેલ સીટમાં તપાસ અધિકારી તરીકે ડી.વાય.એસ.પી. બળવંતસિંહ ચાવડાએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. જેના પગલે આરોપીઓને ઘટનાના ચાર દિવસમાં જ શોધીને ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. આ સમયે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી જેની સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરીથી રિમાન્ડની અરજી કરતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.6 દિવસની પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓ પાસેથી સીટે તમામ માહિતીઓ મેળવીને આરોપનામું ઘડી કાઢ્યુ છે. કુલ 6,000 પાનાની ચાર્જશીટમાં 100થી વધુ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મેડિકલ અને ફોરેન્સિક પુરાવાઓ સાથે ટેકનિકલ પુરાવાઓને પણ સંલગ્ન કરવામાં આવ્યા છે. પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ગેંગરેપ, પોક્સો, લૂંટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે.

બ્રિક્સ સમિટમાં ભાગ લેવા PM મોદી રશિયા જવા રવાના

નવી દિલ્હીઃ PM મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બે દિવસીય રશિયના પહોંચવાના છે. બ્રિક્સ સંમેલનમાં વિશ્વની નજર PM મોદી પર છે, કેમ કે રશિયામાં કયા દેશોના વડા સાથે તેમની દ્વિપક્ષી બેઠક થવાની છે. રશિયામાં ભારતના એમ્બેસેડર વિનયકુમારે કહ્યું હતું કે PM મોદી કઝાનમાં બ્રિક્સના દેશના સમકક્ષો સાથે દ્વિપક્ષી બેઠકો કરશે.

આજથી 16મા બ્રિકસ શિખર સંમેલનની શરૂઆત થઈ રહી છે. જેની બે દિવસીય કોન્ફરન્સની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું છે. પીએમ મોદી કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરશે. પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હશે.બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને જિનપિંગ સાથે પણ મુલાકાત થઈ શકે છે.

આ પહેલાં જુલાઈ, 2024માં પણ PM મોદીએ પુતિન સાથે ભારત-રશિયાની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બ્રિક્સ સમિટ શું છે?

બ્રિક્સ સમિટ એ બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો એક ગ્રુપ છે. જેનો ઉદ્દેશ વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, સંકલન જાળવી રાખવા, એકબીજા સાથે રાજકીય સંબંધો સુધારવા અને પરસ્પર આર્થિક સહાયતામાં સહકાર આપવાનો છે. આ વખતે રશિયા 16મી બ્રિક્સ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

 

 

Cyclone Dana: 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે વાવાઝોડું!

ઓડિશા: 22મી ઓક્ટોબર મંગળવારની સવારે અથવા આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ‘દાના’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને ધ્યાનમાં લઈને IMDએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. તેમજ  માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગે મંગળવારે દક્ષિણી કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મંગળવાર સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના પગલે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક વાવાઝોડાની શક્યતા છે. બંગાળની ખાડીથી લઈને તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ઓડિશાના 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દાના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકારે 23 થી 25 ઓક્ટોબર સુધી રાજ્યભરના 14 પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ ઓડિશાના પુરીમાં આવેલા ભક્તોને શહેર છોડવા માટે કહેવામાં આવ્યું છે. IMDએ માછીમારોને સોમવારે સાંજ સુધીમાં કિનારા પર પાછા ફરવાની અને 26 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમોને તૈનાત માટે સ્ટેન્ડબાય પર રાખી છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૨ ઓક્ટોબર ૨૦૨૪