Home Blog Page 1348

ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત સામે પાકિસ્તાન ઝૂક્યું

આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેનું સ્થળ નક્કી કર્યું નથી. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારત સામે ઝૂકવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હજુ સુધી ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર મોકલવા માટે સહમત નથી.

પાકિસ્તાન પ્રવાસે નહીં જાય ટીમ ઈન્ડિયા?

અહેવાલ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી હેઠળ ભારત તેની મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) અને શારજાહમાં રમી શકે છે. PCB આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવા માટે પણ સંમત થઈ શકે છે. પીસીબીના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે, પીસીબીને લાગે છે કે જો ભારત સરકાર પાકિસ્તાન પ્રવાસને મંજૂરી ન આપે તો પણ સમયપત્રકમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે કારણ કે ભારત તેની મેચો દુબઈ અથવા શારજાહમાં રમશે તેવી સંભાવના છે.

ભારત સરકાર અંતિમ નિર્ણય લેશે

એ વાત જાણીતી છે કે, જ્યારે પાકિસ્તાને છેલ્લે 2023માં એશિયા કપનું આયોજન કર્યું હતું, ત્યારે તેનું આયોજન પણ હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ભારતે તેની મેચો શ્રીલંકામાં રમી હતી. ભારત સરકારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના પ્રવાસની મંજૂરી આપી ન હતી. ફરી એકવાર એવી સ્થિતિ ઉભી થઈ રહી છે કે ભારત સરકાર ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની પરવાનગી નહીં આપે.

11 નવેમ્બરે કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે

અત્યાર સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેના તરફથી કોઈપણ બોર્ડને તેની સરકારની નીતિ વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકતું નથી. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે આઈસીસીનું એક પ્રતિનિધિમંડળ 10-12 નવેમ્બર સુધી લાહોરની મુલાકાત લેશે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલની જાહેરાત કોઈ ઈવેન્ટમાં થઈ શકે છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ICC 11 નવેમ્બરે જાહેર કરી શકે છે. પીસીબીના એક સૂત્રએ કહ્યું, પીસીબીએ આઈસીસી સાથે સંભવિત શેડ્યૂલ અંગે ચર્ચા કરી છે જે તેમણે થોડા મહિના પહેલા મોકલ્યું હતું અને તેઓ ઈચ્છે છે કે તે જ શેડ્યૂલ 11 નવેમ્બરે જાહેર કરવામાં આવે.

પીસીબીએ આ માંગ કરી છે

આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પીસીબીએ આઈસીસી પાસે માંગ કરી છે કે જો બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પ્રવાસ પર નહીં મોકલે તો તેણે આ વાત લેખિતમાં આપવી પડશે. સૂત્રએ જણાવ્યું કે, PCB ઇચ્છે છે કે BCCI લેખિતમાં જણાવે કે તેમને તેમની સરકાર તરફથી તેમની ટીમ પાકિસ્તાન મોકલવાની મંજૂરી મળી છે કે નહીં.

જયશંકરની PC ટેલિકાસ્ટ કરવા પર કેનેડાએ ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ

કેનેડા: અહીંની સરકારે વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યાના થોડા કલાકો બાદ ઓસ્ટ્રેલિયા ટુડે પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રેસ કોન્ફરન્સ ઓસ્ટ્રેલિયા ટુડે દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. ભારતે આ બાબતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે કેનેડાના પ્રતિબંધ મૂકવાના પગલાથી આશ્ચર્યચકિત છે. સાથે જ ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતી કરે છે. ઓસ્ટ્રેલિયા ટુડેએ કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં જયશંકર અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા ટુડેના સોશિયલ મીડિયા હેન્ડલ (પેજ) બ્લોક કરી દેવામાં આવ્યું છે અને તે હવે કેનેડામાં દર્શકો માટે ઉપલબ્ધ નથી. વિદેશ મંત્રી જયશંકરે સિડનીમાં પોતાના મીડિયા કાર્યક્રમમાં ત્રણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. પહેલી વાત એ છે કે કેનેડાએ આક્ષેપો કર્યા હતા અને કોઈ ચોક્કસ પુરાવા વિના પેટર્ન વિકસાવી હતી. બીજું, તેમણે હાઇલાઇટ કર્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્રીજો મુદ્દો એ હતો કે કેનેડામાં ભારત વિરોધી તત્વોને રાજકીય જગ્યા આપવામાં આવી હતી.ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી, જેને જયશંકરે ખૂબ જ ચિંતાજનક ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેનેડામાં હિન્દુ મંદિર પરના હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓને “ધમકાવવા” માટે “કાયરતાપૂર્ણ પ્રયાસો” કરવામાં આવ્યા હતા. અગાઉ, ભારતે “ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા આચરવામાં આવેલી હિંસાની નિંદા કરી હતી” અને કેનેડાને આહ્વાન કર્યું હતું કે તે સુનિશ્ચિત કરે કે તમામ પૂજા સ્થાનો પર્યાપ્ત રીતે સુરક્ષિત છે.

મહારાષ્ટ્ર, ઝારખંડમાં 2019ની તુલનાએ ત્રણ ગણી વધુ જપ્તી

નવી દિલ્હીઃ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચની એજન્સીએ આ વખતે 2019ની સરખામણીમાં ત્રણ ગણી વધુ રકમ જપ્ત કરી છે. ચૂંટણી પંચની એજન્સીઓએ મહારાષ્ટ્રમાં રૂ. 280 કરોડ અને ઝારખંડમાં રૂ. 158 કરોડ જપ્ત કર્યા છે.

એજન્સીઓ દ્વારા 558 કરોડ રૂપિયાની રોકડ સાથે દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ પણ જપ્ત કરવામાં આવી છે. બન્ને ચૂંટણી રાજ્યોમાં સંયુક્ત જપ્તી 2019ની વિધાનસભા ચૂંટણી કરતા 3.5 ગણી વધારે છે. વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં 103.61 કરોડ રૂપિયા અને ઝારખંડમાં 18.76 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનાં પ્રલોભનો સામે ચેતવણી આપી છે અને ચૂંટણી પંચે અધિકારીઓને આ મામલે ‘ઝીરો ટોલરન્સ’નું પાલન કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે ડ્રગ્સ, ફ્રી સામાન, ગેરકાયદે દારૂ, રોકડની હેરફેરને રોકવા માટે વિવિધ એજન્સીઓની સંયુક્ત ટીમ બનાવી છે. ઝારખંડના ગઢવા જિલ્લામાંથી જપ્ત કરાયેલ દારૂ અને અકોલા જિલ્લા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 1.32 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ એફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું છે.

બન્ને રાજ્યોના 110 વિધાનસભા મતવિસ્તારો, મહારાષ્ટ્ર-91 અને ઝારખંડ-19 પર પણ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, જેને વધુ ધ્યાન કેન્દ્રિત મોનિટરિંગ માટે ખર્ચ સંવેદનશીલ મતવિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યા છે.

મતદારોના પ્રલોભન સામે કડક વલણ અપનાવતા ચૂંટણી પંચે સુનિશ્ચિત કર્યું છે કે રાજકીય પક્ષોની કાયદેસરની વિનંતીઓનો પારદર્શક રીતે પ્રતિસાદ આપવામાં આવે છે જેથી એક સમાન રમતનું ક્ષેત્ર સુનિશ્ચિત થાય. આ સંદર્ભમાં SUVIDHA એપ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ઘણી મદદ કરી છે. 18,045 અભિયાન વિનંતીઓ મંજૂર કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાંથી 8546 અને ઝારખંડમાંથી 6317નો સમાવેશ થાય છે.

 

મુંબઈ: તક્ષશિલા નૃત્યકલા મંદિર દ્વારા નવી પ્રતિભાઓ માટે તરંગ ઉત્સવનું આયોજન

મુંબઈ: કલાત્મક ક્ષેત્રે સક્રિય કલાકારો આપણી કલા અને સંસ્કૃતિની જાળવણીમાં મોટુ યોગદાન આપે છે. દેશભરમાં વિવિધ પ્રકારણના કલાત્મ કાર્યક્રમો અને સન્માન સમારોહ પણ યોજાતા હોય છે. મીરા રોડ ખાતે એક આવા જ કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાશ્મીરા ત્રિવેદી

તક્ષશિલા નૃત્ય કલામંદિર દ્વારા લતા મંગેશકર નાટ્યગૃહ, મીરા રોડ ખાતે 10મી નવેમ્બરે શાસ્ત્રીય નૃત્યનો ‘તરંગ ઉત્સવ ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર કાર્યક્રમમાં નૃત્ય ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ તથા તેમના ગુરુનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમું આયોજન કાશ્મીરા ત્રિવેદી દ્વારા કરાયું છે.

તક્ષશિલા નૃત્ય કલામંદિરની સ્થાપના કાશ્મીરા ત્રિવેદીએ 1988માં કરી હતી. આ સંસ્થાના ઉપક્રમે એમણે વર્ષોથી કેટલીય નવી તથા જાણીતી પ્રતિભાઓને લોકો સમક્ષ રજૂ કરી છે. તેઓ પોતે ભરતનાટ્યમનાં વરિષ્ઠ નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે. એમણે અનેક બેલેનૃત્ય કોરિયોગ્રાફ કર્યા છે અને ભરતનાટ્યમ, કથ્થક તથા ઓડીસી નૃત્યને ‘ત્રિભંગિમા’ એવા નામે એક સાથે મંચ પર રજૂ કર્યા છે.

જાણીતા સિતારવાદક પ્રોફેસર ડોક્ટર રાધાકુમાર, કવિ સંજય પંડ્યા, કુચીપુડી નૃત્યમર્મજ્ઞ વિક્રમકુમાર બથીના તથા સંસ્કારભારતી (ગુજરાત)ના જગદીશ જોશી વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. શાસ્ત્રીય નૃત્યની નવી પ્રતિભાઓનું તરંગ પદ્મ એવોર્ડથી તથા ગુરુનું તરંગ વિદ્વાન એવોર્ડથી વિશેષ અતિથિઓના હસ્તે સન્માન કરવામાં આવશે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલાના વિવિધ રંગોને માણવા તથા નવી પ્રતિભાઓને પોંખવા તક્ષશિલા નૃત્ય અકાદમી દ્વારા રસિકજનને જાહેર આમંત્રણ છે.

સરકારે ખેડૂતો માટે જાહેર કરી ખાસ એડવાઈઝરી

ગ્લોબલ વોર્મિંગના કારણ ગુજરાત સહિત દેશના વાતાવરણમાં મોટો અને અનિશ્ચિત પરિવર્તન નોંધાય રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દિવાળી પછી શરુ થતી રવી સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ રવી પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારની MEGHDOOT મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે. આ ઉપરાંત ખેડૂતોને સૂચન આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરુ, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ. રવી પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવી પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવી પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું જોઈએ. આ અગમચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકસાનને નિવારી શકશે.

નકલી આર્મી કેપ્ટન બનીને છ લોકોથી 10 લાખની છેતરપિંડી

અમદાવાદઃ રાજ્યના જૂનાગઢમાં નકલી આર્મી મેન બનેલા એક યુવકે છ લોકો સાથે રૂ. 10 લાખની છેતરપિંડી કરી છે. આ શખસે આર્મીમાં કેપ્ટન અને હાલ NSA દિલ્હીમાં હોવાની ઓળખ આપી એક યુવકને રેલવેમાં લોકો પાઇલટની નોકરીની લાલચ આપી હતી. આ યુવાનને નોકરી ના મળતાં તેણે  ફરિયાદ કરી હતી. જેથી પોલીસે મૂળ કોડીનાર તાલુકાના બાવા પીપળવાના નકલી કેપ્ટનની ધરપકડ કરી હતી. તેની પાસેથી નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને મોબાઈલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતો અને સ્પોટ્‌ર્સમાં રૂચિ ધરાવતો દિવ્યેશ ભરતભાઈ ભૂતિયાને ટ્રેનમાં આર્મીના કેપ્ટનના યુનિફોર્મમાં રહેલા કોડીનાર તાલુકાના બાવા પીપળવા ગામના પ્રવીણ ધીરુ સોલંકી સાથે પરિચય થયો હતો. પ્રવીણ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની ઓળખ આપી હતી.  પ્રવીણ સોલંકીએ દિવ્યેશનો સંપર્ક કરી રેલવેમાં નોકરી માટે 6 લાખ રૂપિયાની માગ કરી હતી. તેણે અલગ-અલગ સમયે 3.05 લાખ રૂપિયા પ્રવીણ સોલંકીને ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. ચાર-પાંચ માસનો સમય વિતી ગયા બાદ દિવ્યેશ ભૂતિયાને કોઈ નોકરી મળી ન હતી તેમજ પૈસા પણ પરત આવ્યા ન હતા. આખરે દિવ્યેશ ભૂતિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે  દિવ્યેશ ભૂતિયાની ફરિયાદના આધારે નકલી આર્મી કેપ્ટન પ્રવીણ ધીરૂ સોલંકીની બાવા પીપળવાથી ધરપકડ કરવામાં આવી છે.

 

તમે અમારી જમીનમાં કેમ આવ્યા?

શહેરીકરણ કેટલી ઝડપથી વધી રહ્યું છે અને એની અસર જનજીવન પર કેવી રીતે પડી રહી છે એનો ખ્યાલ આ તસવીરમાંથી આવે છે.

ના, આ તસવીર કોઇ ગ્રામ્ય વિસ્તારમાં લીધેલી નથી. આ તસવીર અમદાવાદ જેવા વિશાળ શોપિંગ સેન્ટર,મોલ, મલ્ટિપ્લેક્સ, હાઈરાઈઝ અને હાઈફાઈ રહેણાંક વિસ્તારો અને પોશ કલબો ધરાવતા અમદાવાદ શહેરની છે.

જે રીતે આજકાલ અનેક ગ્રામ્ય વિસ્તારો શહેરમાં ભળવા લાગ્યા છે એમાં સાથે સાથે ગામના ગોચરની જમીન, ખેતરો અને તળાવો પણ ભળતા જાય છે એટલે ખુલ્લા ખેતરોમાં, અને વગડામાં રખડતાં રોઝડા જેવા જીવો પણ શહેરની ગલીઓમાં માનવ વસ્તીની વચ્ચે ફરતા થઈ ગયા છે.‌

જે રીતે માણસોએ વન વગડા અને ખેતરોમાં કોંક્રિટનું જંગલ બનાવી દીધું છે એના કારણે સસલાં, સાપ, જંગલી ડુક્કર, શિયાળ અને નીલગાય, રોઝડાના ઝુંડ પણ ખોરાકની શોધમાં  માનવ વસ્તીમાં રઝળતાં જોવા મળે છે. ગાય કે કૂતરા માટે બનાવેલી ચાટ સુધી આ વગડાના જાનવર પહોંચી જાય છે… જાણે, આ જાનવરો પોતાના ઘરબાર છીનવાઇ જવાથી માણસજાત સામે પોતાનો વિરોધ દર્શાવવા આવ્યા હોય એમ જ.

(પ્રજ્ઞેશ વ્યાસ)

WPL 2025 : રીટેન્શન લિસ્ટ જાહેર

IPL બાદ હવે વુમન્સ પ્રીમિયર લીગની આગામી સિઝન માટે પણ રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે વિમેન્સ પ્રીમિયર લીગમાં મિની હરાજી થશે, તેથી તમામ ટીમોએ કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કુલ 7 ખેલાડીઓને બહાર કર્યા છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોએ પોતાનું કોર ગ્રુપ જાળવી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, WPLમાં દરેક ટીમમાં છ વિદેશી ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓ હોઈ શકે છે. તમામ ટીમોના પર્સમાં 15 કરોડ રૂપિયા છે.

WPL 2025 રીટેન્શન લિસ્ટ જાહેર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રીટેન્શન : સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબીનેની મેઘના, રિચા ઘોષ, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટીલ, આશા શોભના, સોફી ડિવાઇન, રેણુકા સિંઘ, સોફી મોલિનેક્સ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, કનિકા આહુજા, ડેની વ્યાટ.

રિલીઝ: દિશા કસાટ, ઈન્દ્રાણી રોય, નદીન ડી ક્લાર્ક, શુભા સતીશ, શ્રદ્ધા પોકરકર, સિમરન બહાદુર, હીથર નાઈટ.

મુંબઈ ઈન્ડિયન્સ

રીટેન્શન: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, એમેલિયા કેર, ક્લો ટ્રાયઓન, અમનજોત કૌર, સાયકા ઈશાક, જીંતીમાની કલિતા, એસ સજના, કીર્તન બાલક્રિષ્નન, શબનીમ.

રિલીઝ: પ્રિયંકા બાલા, હુમૈરા કાઝી, ફાતિમા જાફર, ઇસી વોંગ.

દિલ્હી કેપિટલ્સ

રીટેન્શન: શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, મિનુ મણિ, તિતાસ સાધુ, મેગ લેનિંગ, એલિસ કેપ્સી, મેરિઝાન કેપ, જેસ જોનાસેન, એનાબેલ સધરલેન્ડ.

રિલીઝ: લૌરા હેરિસ, અશ્વિની કુમારી, પૂનમ યાદવ, અપર્ણા મંડલ.

યુપી વોરિયર્સ

રીટેન્શન: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ચમરી અટાપટ્ટુ, કિરણ નવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી, ઉમા છેત્રી, પૂનમ ખેમનાર, સાકર સુલતાના, વૃંદા દિનેશ.

રિલીઝ: લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, લોરેન બેલ, એસ યશશ્રી.

ગુજરાત જાયન્ટ્સ

રીટેન્શન : હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, સયાલી સથગરે, મેઘના સિંહ, ત્રિશા પૂજાતા, પ્રિયા મિશ્રા, બેથ મૂની, એશ્લે ગાર્ડનર, લૌરા વોલ્વાર્ડ્ટ, લી તાહુહુ, ફોએબ લિચફિલ્ડ, કેથરિન બ્રાઇસ.

રિલીઝ: સ્નેહ રાણા, કેથરીન બ્રાઇસ, ત્રિશા પૂજાતા, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, લી તાહુહુ.

વિશ્વની પ્રથમ મિસ વર્લ્ડનું 95 વર્ષની વયે નિધન, કોણ હતા કિકી હેકન્સન?

મુંબઈ: પ્રથમ મિસ વર્લ્ડ કિકી હેકન્સનનું નિધન થયું છે. કીકી 95 વર્ષનાં હતાં. કીકી હેકન્સને કેલિફોર્નિયામાં તેના ઘરે અંતિમ શ્વાસ લીધા. કિકીના પરિવારે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ જાહેરાત ઓફિશિયલ મિસ વર્લ્ડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી.

કોણ હતા કિકી હેકન્સન?

કિકીએ 73 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આવું કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા હતી. તેણીના મૃત્યુની જાહેરાત સત્તાવાર મિસ વર્લ્ડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરવામાં આવી હતી. સ્વીડનમાં જન્મેલી કિકી હેકાન્સને 1951માં ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેણીએ લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો.

આ સ્પર્ધા 29 જુલાઈ, 1951 ના રોજ લિસિયમ બોલરૂમમાં શરૂ કરવામાં આવી હતી. જો કે, મિસ વર્લ્ડ સ્પર્ધા એક સંસ્થા બની ગઈ અને કિકીની જીત મિસ વર્લ્ડ વારસાની શરૂઆત તરીકે ચિહ્નિત થઈ. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં, મિસ વર્લ્ડ પેજન્ટના સત્તાવાર પૃષ્ઠે તેના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે કિકીના પરિવારના તમામ સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારો પ્રેમ અને પ્રાર્થના મોકલી રહ્યા છીએ.

સફર સરળ રહી નથી

કિકી દરેક સ્ત્રી માટે એક ઉદાહરણ બની ગઈ જેનું સ્વપ્ન તેની સુંદરતા અને બુદ્ધિમત્તાથી વિશ્વને પ્રભાવિત કરવાનું હતું. કિકીએ ઘણી છોકરીઓ માટે એક રસ્તો ખોલ્યો જેના પર ભારતની દીકરીઓ પણ પગ મૂકીને આગળ વધી. કિકીનું અવસાન સૌંદર્ય સ્પર્ધાઓના ઇતિહાસમાં એક યુગનો અંત દર્શાવે છે. સ્વાભાવિક છે કે કિકી માટે આ સફર સરળ ન હતી, પરંતુ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં તેણે આ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો.

PM મોદીએ છઠ્ઠ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદીએ ગુરુવારે મહાન તહેવાર છઠની સાંજે અર્ઘ્ય પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લોકોના સુખ, સમૃદ્ધિ અને સારા નસીબની કામના કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું સાદગી, સંયમ, સંકલ્પ અને સમર્પણનું પ્રતીક આ મહાન તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. જય છઠ્ઠી મૈયા!

છઠ્ઠ પર્વની શરૂઆત થઈ ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપતા X પર લખ્યું હતું કે, આજે મહાન તહેવાર છઠના પવિત્ર અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. ખાસ કરીને તમામ ઉપવાસીઓને મારા અભિનંદન. છઠ્ઠી મૈયાના આશીર્વાદ સાથે, હું ઈચ્છું છું કે તમારી બધી ધાર્મિક વિધિઓ સફળતાપૂર્વક પૂર્ણ થાય.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને છઠ પર્વની શુભેચ્છા પાઠવી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, છઠ પૂજાના પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. આ મહાન તહેવાર પર આપણે ભગવાન સૂર્યની પૂજા કરીએ છીએ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. પ્રકૃતિના દિવ્ય સ્વરૂપની આ ઉપાસના આપણને પર્યાવરણની રક્ષા માટે પણ પ્રેરણા આપે છે. હું પ્રાર્થના કરું છું કે આ પૂજા આપણા દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું, જય છઠ્ઠી મૈયા! છઠ પૂજાની સૌને શુભેચ્છાઓ. દેશના વિવિધ ભાગોમાં અને દેશની બહાર વસતા ભારતીયો છઠ પર્વની ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે. સૂર્ય ઉપાસનાના આ પવિત્ર તહેવાર પર હું દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરું છું. છઠ્ઠી મૈયા દરેક પર તેના આશીર્વાદ વરસાવે.