Home Blog Page 1344

કોણ છે રિકી કેજ? જેનું ગ્રેમી એવોર્ડ્સમાં થયું નોમિનેશન

મુંબઈ: ભારતીય સંગીતકાર રિકી કેજને ચોથી વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ પહેલા ત્રણ વખત આ એવોર્ડ જીતનાર રિકી કેજ હવે ચોથી વખત જીતવાની આશા સેવી રહ્યા છે. રિકી કેજને તેના તાજેતરના આલ્બમ ‘બ્રેક ઓફ ડોન’ માટે ફરી એકવાર ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. એએનઆઈ સાથે વાત કરતા દિગ્ગજ સંગીતકારે સ્વીકાર્યું કે તેને ચોથી વખત નસીબદાર બનવાની આશા છે. રિકી આગળ કહે છે, ‘મેં પહેલેથી જ ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે, અને આ મારું ચોથું નોમિનેશન છે. મને આશા છે કે આ મારી ચોથી જીત હશે. હું જીવનભર પર્યાવરણવાદી રહ્યો છું અને હું હંમેશા માનું છું કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ આપણને આ જ શીખવે છે. પર્યાવરણની અશુદ્ધિઓનો સીધો સંબંધ મનની અશુદ્ધિઓ સાથે છે, તેથી એક પ્રજાતિ તરીકે આપણે જે પણ સમસ્યાનો સામનો કરીએ છીએ તેનો ઉકેલ લાવવા માટે આપણે પહેલા આપણા મનને શુદ્ધ કરવું જોઈએ.’

રિકી કેજ કોણ છે?
રિકી કેજ મૂળ ભારતીય છે અને તેનો જન્મ અમેરિકામાં થયો છે. રિકીનો જન્મ 1981માં અમેરિકન શહેર નોર્થ કેરોલિનામાં પંજાબી-મારવાડી પરિવારમાં થયો હતો. રિકી નાનપણથી જ સંગીતના દિવાના હતા. રિકી જ્યારે 8 વર્ષના હતા ત્યારે તે તેના માતા-પિતા સાથે બેંગ્લોર આવ્યા હતા. રિકીએ અહીં બિશપ કોટન નામની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અહીં શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ રિકીએ ઓક્સફોર્ડમાંથી ડેન્ટલની ડિગ્રી મેળવી. કોલેજના અભ્યાસની સાથે રિકી સંગીતની દુનિયામાં પણ વ્યસ્ત રહેવા લાગ્યા હતાં.આ પહેલા રિકી ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. હવે રિકીને ચોથી વખત નોમિનેટ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ricky Kej (@rickykej)

રિકીના નવા આલ્બમ વિશે
રિકી કેજે જણાવ્યું હતું કે પર્યાવરણ આજની અને ભાવિ પેઢી માટે ખૂબ જ જરૂરી છે. રિકી સમજાવે છે, ‘બ્રેક ઓફ ડોન (આલ્બમનું નામ) મારા મનમાં સંગીતની શક્તિ દ્વારા વધુ દયાળુ અને પર્યાવરણ પ્રત્યે સભાન સમાજ બનાવવાની પ્રેરણા આપે છે. તો બ્રેક ઓફ ડોન એ નવા યુગનું આલ્બમ છે. તે ભારતના પ્રાચીન રાગોથી પ્રેરિત છે. બ્રેક ઓફ ડોન પરના નવ ગીતોમાંથી દરેક પ્રાચીન ભારતીય રાગ પર આધારિત છે. તે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કાળજીપૂર્વક રચવામાં આવ્યું છે અને ભારત આધારિત કલ્યાણ સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મારું ચોથું GRAMMY નોમિનેશન પ્રાપ્ત કરવાના આ સન્માન બદલ હું ખૂબ જ આભારી છું. આ આલ્બમને ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

કેનેડામાં ખાલિસ્તાની સમર્થક હાજર હોવાની ટ્રુડોની કબૂલાત

નવી દિલ્હીઃ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ દેશમાં ખાલિસ્તાની સમર્થકો હોવાની વાત સ્વીકારી છે. જોકે તેઓ ખાલિસ્તાની સમર્થક કેનેડામાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતા, એમ તેમણે કહ્યું હતું. ટ્રુડોની કબૂલાતથી ભારતના એ વલણની પુષ્ટિ કરે છે કે કેનેડા સરકાર ખાલિસ્તાની તત્ત્વોને આશરો આપે છે.

ભારત સતત કહેતું આવ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો હાજર છે અને હવે કેનેડા સરકારે પણ આ વાત સ્વીકારી છે. ટ્રુડોએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પણ કેનેડામાં હિન્દુ સમર્થકો છે, પરંતુ તેઓ પણ હિન્દુ સમુદાયનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરતા નથી.

ટ્રુડોએ તેમના દેશમાં ખાલિસ્તાન સમર્થકોની હાજરીનો સ્વીકાર કરવો એ ભારતના વલણની પુષ્ટિ કરે છે કે ત્યાંની સરકાર ખાલિસ્તાન તરફી અરાજકતાવાદીઓ સામે કડક પગલાં લઈ રહી નથી.

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને કેનેડાના સંબંધોમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. કેનેડાનો આરોપ છે કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેટલાક ભારતીય એજન્ટો સામેલ હતા, જ્યારે ભારત સરકારે કેનેડાના આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. કેનેડાના સરે શહેરમાં જૂન 2023માં હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે હરદીપ સિંહ ગુરુદ્વારામાંથી બહાર આવી રહ્યો હતો. જ્યારે નિજ્જરની હત્યા કરવામાં આવી ત્યારે ભારત સરકારે કહ્યું હતું કે નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) સાથે સંકળાયેલા હતા.ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડોની સરકાર ત્યાંના એક રાજકીય પક્ષ પર નિર્ભર છે અને આ પાર્ટીના નેતાએ અલગતાવાદી વિચારધારાને સમર્થન આપ્યું છે.

 

રાજ્યમાં ધોરણ-9, 10નો ડ્રોપઆઉટ રેટ આશ્ચર્યજનક!

ગાંધીનગર: રાજ્યના 7.58 લાખ જેટલા અનટ્રેસ અને ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરી તેમને પુનઃ શાળામાં દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા બાળકોનો સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ માટે 30મી નવેમ્બર સુધીમાં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ ઓક્ટોબર અને એપ્રિલ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1.15 લાખ બાળકોની એન્ટ્રી કરવામાં આવી હતી. આમ, છતાં હજુ મોટી સંખ્યામાં બાળકો અનટ્રેક હોવાથી તેમનો સર્વે કરવા માટે જણાવાયું છે.

માહિતી અનુસાર ધોરણ 9-10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. 21 શાળા પ્રવેશોત્સવ બાદ પણ આટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો એ શિક્ષણને પ્રોત્સાહન મળે એવા નક્કર કામોની ગેરહાજરીનું પરિણામ દર્શાવે છે. રાજ્યમાં અનટ્રેસ-ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ છે. ધો. 1થી 5માં 1.17%, ધો. 6થી 8માં 2.68% ડ્રોપઆઉટ રેટ જ્યારે ધો. 8 પછી છોકરીઓ કરતા છોકરાનો રેટ ઊંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.ધોરણ 9 અને 10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા અને સૌથી ઓછો રાજકોટ જિલ્લામાં 8.53 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ 9થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિની જીતની જવાબદારી RSSના ‘સ્પેશિયલ 65’એ ઉપાડી!

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને મહાયુતિ કોઈ કસર છોડવા માંગતા નથી. આ જોતાં ભાજપ અને મહાયુતિની તરફેણમાં હિંદુ મતોને એકત્ર કરવા માટે નાના-નાના પગલાં લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મદદ માટે આરએસએસ (RSS) પણ આગળ આવ્યું છે.

દરમિયાન, આરએસએસએ મહારાષ્ટ્રમાં 65 થી વધુ મૈત્રીપૂર્ણ સંસ્થાઓ દ્વારા ‘સજગ રહો’ (‘સાવધાન રહો, સાવચેત રહો’) નામનું અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય માત્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનો અને હિન્દુઓને એક કરવાનો નથી.

આ અભિયાન કોઈની વિરુદ્ધ નથી

સંઘના સૂત્રોએ જણાવ્યું કે ‘સજગ રહો’ અને ‘એક હૈ હો સુરક્ષિત હૈ’નો ઉદ્દેશ્ય કોઈની વિરુદ્ધ નથી, પરંતુ હિન્દુઓમાં જાતિભેદને ખતમ કરવાનો છે. ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે આ સંદેશ આપવા માટે આરએસએસ સ્વયંસેવકો અને 65 થી વધુ એનજીઓ દ્વારા સેંકડો બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, એવું માનવામાં આવે છે કે આ બેઠકો તે સ્થળોએ હિન્દુઓને એક કરશે જ્યાં જાતિના આધારે વિભાજનને કારણે ભાજપને નુકસાન સહન કરવું પડ્યું હતું.

મહારાષ્ટ્રના તમામ પ્રાંતોમાં બેઠકો યોજાશે

આ અભિયાનમાં ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ અને રણરાગિણી સેવાભાવી સંસ્થા સામેલ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં સંઘના ચારેય ‘પ્રાંતો’ના કાર્યકરો પણ આ અભિયાનમાં સામેલ છે. અહી શાળા કક્ષાએ મીટીંગો યોજવામાં આવી રહી છે.

આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

આ બેઠકો આરએસએસ-ભાજપ સમર્થકો અને અન્ય મતદારો સાથે થઈ રહી છે. જેમાં હિન્દુઓ પર વોટ બેંકની રાજનીતિની અસર, ચૂંટણી પર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મુસ્લિમોની અસર અને સમાજની બદલાની રાજનીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આરએસએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્વયંસેવકોએ હિન્દુ સમાજને એ કહેવાની જવાબદારી ઉપાડી છે કે તેને જાતિના આધારે વિભાજિત ન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મરાઠા-ઓબીસીનું વિભાજન વધુ ઊંડું બન્યું છે.

ના હોય! AMC 90 વર્ષ જૂની વી.એસ. હોસ્પિટલ બંધ કરશે ?

અમદાવાદની નવ દાયકા જૂની વાડીલાલ સારાભાઈ (વી.એસ)હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ધારા જુદા સ્થળે ખસેડવાની તૈયારી ચાલી રહી છે. એટલે કે અમ્યુકો. હાલ આ ઐતિહાસિક હોસ્પિટલને કમીયુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં રૂપાંતરિત કરવાની તજવીજમાં છે.

નેવું વર્ષ જૂની 13મી ડિસેમ્બર, 1931ના રોજ શરૂ થયેલી આ હોસ્પિટલ હવે તેના મૂળ ધ્યેયથી વિમુખ થતી દેખાય છે, અને એ સંકેતો મળી રહ્યા છે કે તેને શહેરી વિસ્તારથી દૂર ખસેડવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, એસ.વી.પી. હોસ્પિટલ શરૂ થયા બાદ, મોટાભાગની જટિલ સર્જરી હવે ત્યાં કરવામાં આવે છે, અને વી.એસ. હોસ્પિટલમાં માત્ર ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક, અને ઓપીડી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી રહી છે. અત્યારે વી.એસ.માં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાથી, મહત્વની સેવાઓ જેમ કે સિટી સ્કેન અને સોનોગ્રાફી પણ બંધ કરવામાં આવી છે.

નોંધનીય વાત એ છે કે, વી.એસ. હોસ્પિટલના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દર્દીઓની સારવાર માટેના ખર્ચના નાણાં અમ્યુકો આપશે, તેમ છતાં કેટલીક સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ચૂંટેલા પ્રતિનિધિઓ અને અમ્યુકોના સત્તાવાળાઓ હવે તેને કમીયુનિટી હેલ્થ સેન્ટર તરીકે ચલાવવા મથામણ કરી રહ્યા છે, કારણ કે હોસ્પિટલને સંપૂર્ણ રીતે બંધ કરી શકાતી નથી. એક સમય હતો જ્યારે અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ તાલીમ મેળવી સેંકડો ડૉક્ટર્સ તૈયાર થતા હતા, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે દર્દીઓની અછતના કારણે તાલીમ પણ પુરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી.

ઉપરાંત વી.એસ. હોસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટના નિવૃત્ત થયા બાદ નવી નિમણૂક કરવામાં આવી નથી,  279થી વધુ જગ્યા ખાલી પડી છે. સ્ટાફની ખાલી જગ્યાઓમાં ડેપ્યુટી ડાયરેક્ટર, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, આયા, અને વોર્ડ બોયની જગ્યાઓનો સમાવેશ થાય છે, જેમાં કોઈ નવી ભરતી થઈ રહી નથી.

હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા 2014-15માં 6.29 લાખ હતી, જે 2023-24માં ઘટાડીને 2.87 લાખ થઈ ગઈ છે. આ સાથે, ગ્રાન્ટમાં પણ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હોસ્પિટલની કામગીરી પર ગાઢ અસર પડી રહી છે. તો બીજી બાજુ અમ્યુકોના આ નિર્ણયોથી નારાજ થઈને, ટ્રસ્ટી મંડળના સભ્યો અને દાનદાતાના વંશજોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે મેડિકલ કાઉન્સિલમાં હજી પણ વી.એસ.નું જ નામ છે, અને એસવીપી હોસ્પિટલના ડૉક્ટર્સને પગાર પણ વી.એસ.ના ફંડમાંથી જ આપવામાં આવી રહ્યા છે.

આ તમામ મુદ્દાઓથી હોસ્પિટલના ભવિષ્ય પર સવાલ ઉભા થઈ રહ્યા છે, અને લોકોની લાગણી છે કે આ ઐતિહાસિક હોસ્પિટલને બચાવવા તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બધડાકોઃ 21નાં મોત, 46 ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે. આ બ્લાસ્ટને કારણે 46થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. એ સિવાય અહીં લગાવવાદી વિદ્રોહ પણ વધી રહ્યો છે.રેલવે સ્ટેશનમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ અંગે ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક SSP મોહમ્મદ બલૂચે કહ્યું હતું કે આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે અને ઘાયલોની સંખ્યા 50 સુધી પહોંચી શકે છે. પોલીસ અને બચાવ કાર્ય માટે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, એમ તેમણે કહ્યું હતું.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર જ્યારે જાફર એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પહોંચી રહી હતી અને થોડી જ વારમાં રવાના થવાની હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. આવી સ્થિતિમાં ટિકિટ માટે સ્ટેશન કાઉન્ટર પાસે ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે.

આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. લોકોની સારવાર માટે વધારાની ડોક્ટરોની ટીમ તહેનાત કરવામાં આવી હતી.  હજી આ દુર્ઘટનામાં અનેક સ્થિતિ ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે.

AMTSને દિવાળી ફળી, તહેવારો સમયે 80 લાખની આવક થઈ

અમદાવાદ: શહેરમાં BRTS દોડતી થઈ ત્યારથી AMTS બસના વળતા પાણી શરૂ થયા. પરંતુ દિવાળીના તહેવારો સમયે AMTS વિભાગને 80 લાખ રૂપિયાની આવક થઈ છે. 5 દિવસ દરમિયાન 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોવાની માહિતી સામે આવી છે. સૌથી વધુ 4.51 લાખ મુસાફરો ધનતેરસના દિવસે નોંધાયા છે, તો ભાઈબીજના દિવસે 4.02 લાખ લોકોએ મુસાફરી કરી હતી. કોઈપણ તહેવારના સમયે AMTSને સારી આવક થતી હોય છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ એક દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે. જે મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજૂ કરીને સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવે. જો કે આ દરખાસ્ત મંજૂર થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. AMTS દ્વારા એક મનપસંદ પ્રવાસ યોજના તો ચલાવવામાં આવે જ છે. જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂપિયાની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી AMTS દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.

‘આ દર્દને ભૂલવું સહેલું નથી’

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરીને તેમણે તેમના વિશે આખો બ્લોગ લખ્યો છે. પીએમએ લખ્યું, ‘રતન ટાટા જીને અંતિમ વિદાય થયાને લગભગ એક મહિનો વીતી ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે અને તમામ દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે. પીએમે કહ્યું, ‘રતન ટાટા જીના નિધનને એક મહિનો થઈ ગયો છે. ગયા મહિને આ દિવસે, જ્યારે મને તેમના નિધનના સમાચાર મળ્યા, ત્યારે હું આસિયાન સમિટ માટે જવાની તૈયારી કરી રહ્યો હતો. રતન ટાટા જીના અમારાથી દુર થવાનું દુઃખ હજુ પણ મારા મનમાં છે. આ દર્દને ભૂલવું સહેલું નથી. રતન ટાટા જીના રૂપમાં, ભારતે તેનો એક મહાન પુત્ર ગુમાવ્યો છે… એક અમૂલ્ય રત્ન.’

વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ‘તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપ સમગ્ર વિશ્વમાં આદર, ઈમાનદારી અને વિશ્વસનીયતાનું પ્રતિક બનીને નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આ હોવા છતાં, તેમણે સંપૂર્ણ વિનમ્રતા અને સરળતા સાથે તેમની સિદ્ધિઓ સ્વીકારી. બીજાના સપનાઓને ખુલ્લેઆમ સમર્થન આપવું, બીજાઓને તેમના સપના પૂરા કરવામાં મદદ કરવી, આ શ્રી રતન ટાટાના સૌથી અદ્ભુત ગુણોમાંનો એક હતો.

શ્રેષ્ઠ ગુણવત્તા ઉત્પાદનો લાવ્યા
પીએમએ આગળ લખ્યું,’રતન ટાટાજીએ હંમેશા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો પર ભાર મૂક્યો… શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા અને ભારતીય સાહસોને વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરવાનો માર્ગ બતાવ્યો. આજે જ્યારે ભારત 2047 સુધીમાં વિકાસના લક્ષ્‍યાંક તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વૈશ્વિક માપદંડો નક્કી કરીને જ આપણે વિશ્વમાં આપણો ધ્વજ લહેરાવી શકીશું. રતન ટાટા જીનું જીવન એ યાદ અપાવે છે કે નેતૃત્વ માત્ર સિદ્ધિઓ દ્વારા જ માપવામાં આવે છે, પરંતુ સૌથી વધુ સંવેદનશીલ લોકોની સંભાળ રાખવાની તેની ક્ષમતા દ્વારા પણ માપવામાં આવે છે.

અમે ગુજરાતમાં સાથે કામ કર્યું છે
પીએમ મોદીએ આગળ લખ્યું, ‘વ્યક્તિગત રીતે, મને છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમને ખૂબ નજીકથી જાણવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે ગુજરાતમાં સાથે કામ કર્યું છે. તેમની કંપનીઓ દ્વારા ત્યાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હતું. આમાં આવા ઘણા પ્રોજેક્ટ્સ સામેલ હતા જેના વિશે તે ખૂબ જ ઉત્સાહી હતા. જ્યારે હું કેન્દ્ર સરકારમાં જોડાયો ત્યારે અમારી નજીકની વાતચીત ચાલુ રહી અને તે અમારા રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં પ્રતિબદ્ધ ભાગીદાર રહ્યા. શ્રી રતન ટાટાનો સ્વચ્છ ભારત મિશન પ્રત્યેનો ઉત્સાહ ખાસ કરીને મારા હૃદયને સ્પર્શી ગયો. તેઓ આ જન ચળવળના મુખ્યા સમર્થક હતા. ‘

કેન્સર સામે લડવું
પીએમે લખ્યું,’કેન્સર સામેની લડાઈ એ બીજું લક્ષ્ય હતું જે તેમના હૃદયની નજીક હતું. મને બે વર્ષ પહેલાંની આસામની ઘટના યાદ છે, જ્યાં અમે સંયુક્ત રીતે રાજ્યમાં વિવિધ કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું હતું. થોડા અઠવાડિયા પહેલા હું સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે વડોદરામાં હતો અને અમે સંયુક્ત રીતે એક એરક્રાફ્ટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેક્ટરીમાં C-295 એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે. શ્રી રતન ટાટાએ જ આના પર કામ શરૂ કર્યું હતું. તે સમયે મને શ્રી રતન ટાટાની ગેરહાજરી ખૂબ જ અનુભવાતી હતી.’

નોટબંધીને 8 વર્ષ બાદ પણ રોકડ વ્યવહારમાં ઘટાડો થયો નથી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નોટબંધીને આઠ વર્ષ પૂર્ણ થવા પર ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી પછી પણ ભારતમાં આજે રોકડનો ઉપયોગ પહેલા કરતા વધુ છે. ડિમોનેટાઇઝેશનનો ઉદ્દેશ્ય રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ તેની અપેક્ષિત અસર દેખાતી નથી.

રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં લખ્યું છે કે નિષ્ણાતો માને છે કે નોટબંધીથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને અનૌપચારિક ક્ષેત્ર પર ઊંડી અસર પડી છે. તેના કારણે બજારમાં ઘણા મોટા ઉદ્યોગો અને એકાધિકારની સ્થિતિ ઉભી થઈ, જેના કારણે નાના ઉદ્યોગોને નુકસાન થયું છે.આર્થિક નિષ્ણાતોના મતે દેશમાં ખોટી નીતિઓના કારણે વેપારી જગત માટે ભયનું વાતાવરણ ઉભુ થયું છે. જેના કારણે દેશની આર્થિક ક્ષમતા નબળી પડી રહી છે. ભારતની આર્થિક પ્રગતિ માટે નવી નીતિની જરૂર છે જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે અને નાના તેમજ પ્રામાણિક વ્યવસાયોને વિકાસની તક આપે.8 નવેમ્બર 2016ની તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને પરિવર્તનની સાક્ષી છે. તે જ દિવસે મધરાતથી 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ.વર્ષ 2022ના એક રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ દેશમાં કેશ સર્ક્યુલેશન 71.84 ટકા વધ્યું હતું. જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં 17.7 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. જ્યારે 29 ઓક્ટોબર 2021થી તે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે, 2021માં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ 64 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2022માં એટલે કે નોટબંધીના છઠ્ઠા વર્ષે વધીને લગભગ 72 ટકા સુધી પહોંચી ગયો હતો.

CM હેમંત સોરેનના PAના ઘરે IT વિભાગના દરોડા

રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં થોડાક જ દિવસનો સમય બાકી છે, ત્યારે CM હેમંત સોરેનના પર્સનલ સચિવ (PA) સુનીલ શ્રીવાસ્તવના નિવાસસ્થાને તથા તેમની સાથે જોડાયેલા લોકોને આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ સ્થળોએ ચાલી રહ્યા હોવાની માહિતી મળી છે. આ દરોડાને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે  કે હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઈ છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાંચીમાં ITની મોટી કાર્યવાહી થઈ હતી. CM હેમંત સોરેનના પર્સનલ સેક્રેટરી રાંચીના અશોકનગરમાં રહે છે. સુનીલ શ્રીવાસ્તવ CM હેમંત સોરેનના અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચાના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.

આ પહેલા 14 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સરકારના કેબિનેટ મંત્રીના ભાઈના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ જલ જીવન મિશનમાં થયેલા કૌભાંડના સંબંધમાં સોરેન સરકારના કેબિનેટ મંત્રી મિથલેશ ઠાકુરના ભાઈ વિનય ઠાકુર, ખાનગી સચિવ હરેન્દ્ર સિંહ અને વિભાગના અનેક એન્જિનિયરોના ઘર પર દરોડા પાડ્યા હતા.

ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, તે પહેલા આવકવેરા વિભાગે મુખ્યમંત્રીના ખાનગી સચિવના પરિસરમાં દરોડા પાડ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે આવશે.