Home Blog Page 1327

મોરબી ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલના સમ્માનથી વિવાદ

મોરબીમાં ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલનું મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોદક તુલા કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. 135 લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલના સમ્માન વખતે પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમના પટેલ, મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ, ઝુલતા પુલના પીડિત પરિવારોએ નારાજગી વ્યક્ત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી ઝુલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલને ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે. આ દરમિયાન મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા જયસુખ મોદક તુલા કરીને સમ્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ઝુલતા પુલકાંડ કેસના મુખ્ય આરોપી જયસુખ મોરબીમાં એક જાહેર કાર્યક્રમમાં જોવા મળતા વિવાદ ઊભો થયો છે. મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઇ ચકાસ્યા વગર ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.  ઓરેવાના માલિક જયસુખ પટેલની જામીન અરજી અગાઉ નામંજૂર થઇ હતી અને બાદમાં તેને મોરબી જિલ્લામાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજૂર કરાયા હતા. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જયસુખ પટેલ મંચ ઉપર મુખ્ય મહેમાન તરીકે પહેલી હરોળમાં બેઠેલો જોવા મળ્યો હતો.

અનિલ અંબાણી પર લોનની રકમના દુરુપયોગનો આરોપ

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. કેનરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ જાહેર કર્યા છે. કેનેરા બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ ઇસ્યુ કરી છે અને તેના લોન એકાઉન્ટને ફ્રોડ એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કર્યાં છે.

કેનેરા બેંકે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને તેની સહાયક કંપનીઓનાં લોન ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યાં છે. આમ કરનાર આ ચોથી બેંક છે. આ અગાઉ ડિસેમ્બર, 2020માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે કંપનીનાં ખાતાઓને ફ્રોડ એકાઉન્ટ તરીકે જાહેર કર્યાં હતાં.

શું છે મામલો?

કેનેરા બેંકે 28 ઓક્ટોબરે રિલાયન્સ કોમ્યુનિકેશનને નોટિસ જારી કરીને કંપની પાસે વર્ષ 2017માં રૂ.1050 કરોડની લોન આપી હતી, એની ઉઘરાણી કરી છે. બેન્કે હવે એને NPA જારી કરી છે.  આરકોમે માત્ર રિ-પેમેન્ટમાં ડિફોલ્ટ જ નથી કર્યું, પરંતુ મંજૂરીની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ઓડિટ મુજબ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની પેટાકંપનીઓ – રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલે વિવિધ બેંકો પાસેથી સામૂહિક રીતે રૂપિયા 31,580 કરોડની લોન લીધી હતી.

માર્ચ 2017માં કંપનીએ લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરી હતી અને લોનની સાથે ગેરંટી પત્રો પણ સામેલ કર્યા હતા, જે બેંકની લોનની ચુકવણીના નિયમો અને શરતોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. બેંકે આરકોમ અને નકલી દેવાદારોનાં નાણાં માફ કરવા અને વેચાણ ઈનવોઈસ ફંડિંગનો દુરુપયોગ કરવા માટે પણ દોષિત ઠેરવ્યા છે.

લોકપ્રિય અભિનેત્રી રીટા આંચનનું 68 વર્ષની વયે નિધન

મુંબઈ: 70ના દાયકાની સુંદર ફિલ્મ અભિનેત્રી રીટા આંચનનું 68 વર્ષની વયે નિધન થયું છે.બુધવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. પીઢ અભિનેત્રી રીટા આંચન 1972માં FTIIમાંથી પાસ આઉટ થયા હતા અને તેમણે 70ના દાયકામાં કેટલીક હિન્દી અને ઘણી દક્ષિણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં મોટાભાગે કન્નડ હતી.અભિનેત્રીએ દિવંગત અભિનેતા લોંકેશની સામે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના અભિનયને દર્શકોએ ખૂબ વખાણ્યો અને તેને વ્યાપક પ્રેમ મળ્યો. તે સમયે ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.

ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું
રીટા આંચને ‘પરસાંગડા ગેંડે થિમ્મા’માં મારકાનીનો રોલ કર્યો હતો. તેણીએ હિન્દી, પંજાબી અને ગુજરાતી સહિત બહુવિધ ભાષાના ઉદ્યોગોમાં અભિનય કર્યો છે અને ભારે લોકપ્રિયતા મેળવી. અહેવાલો અનુસાર તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેની સારવાર ચાલી રહી હતી. ઘણા જાણીતા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય અભિનેત્રીના દુઃખદ અવસાન વિશે પોસ્ટ કર્યું. ઘણા ચાહકોએ પણ અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

રઘુરામ ડીપીએ દુઃખ વ્યક્ત કર્યું
ડાયરેક્ટર રઘુરામ ડીપીએ નિધન વિશે પોસ્ટ કરતા લખ્યું,’તેમની જીવન કહાણી તમારા બધા સાથે શેર કરવાનું મારું સપનું પૂરું થઈ શક્યું નહીં. શ્રીમતી રીટા આંચન રાધાકૃષ્ણ, પરસંગદા ગેંડે થિમ્મામાં તેમની ભૂમિકા માટે પ્રખ્યાત, ગઈકાલે શારીરિક રૂપે આપણી વચ્ચેથી વિદાય લીધી. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’

આ ફિલ્મોમાં કામ કર્યું
અભિનેત્રીએ કોરા બદન, લડકી જવાન હો ગયી, આપ સે પ્યાર હુઆ, સુંદરભા અને ફર્ઝ ઔર પ્યાર સહિત ઘણી મહાન ફિલ્મોમાં જોવા મળ્યા હતા. જો કે મારકાની તરીકેના તેમના અભિનયએ તેમને સિનેમા પ્રેમીઓમાં લોકપ્રિય બનાવ્યા. આ ફિલ્મમાં તેના પાત્રએ તેણીને ઘણી પ્રશંસા આપી. રાધાકૃષ્ણ મંચીગૈયા સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી બેંગ્લોરમાં રહેતા હતા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે.

દાંત કડકડાવતી ઠંડી માટે રહેજો તૈયાર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરુઆત થઈ રહી છે. ગુજરાતના કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે ઠંડી પડવા લાગી છે. નવેમ્બરના 15 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરુ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 17 ડિગ્રી, નલિયામાં 17.5 ડિગ્રી, મહુવામાં 17.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, કંડલા પૉર્ટમાં 18.2 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 19.4 ડિગ્રી, ભાવનગરમાં 19.8 ડિગ્રી, અમદાવાદમાં 19.9 ડિગ્રી, ભુજમાં 19.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 20 ડિગ્રી, સુરતમાં 23.1 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 23.4 ડિગ્રી અને ઓખામાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીંવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.

આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી : PM મોદી

પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પડકાર ફેંક્યો અને કહ્યું કે ભારત હવે બદલાઈ ગયું છે. આતંકવાદીઓ હવે પોતાના ઘરોમાં પણ સુરક્ષિત રહી શકતા નથી. શનિવારે વડાપ્રધાન મોદીએ આતંકવાદ, વિકાસ અને તેમની સરકારની નીતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં તેમણે કહ્યું કે હવે આતંકવાદીઓ પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી, આ ભારતની સુરક્ષાને મજબૂત કરવાનું પ્રતીક છે.

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના અહેવાલોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મેં એક પ્રદર્શનમાં 26/11 હુમલા સાથે સંબંધિત અહેવાલો જોયા. તે સમયે આતંકવાદ ભારતીયો માટે મોટો ખતરો હતો અને લોકો અસુરક્ષિત અનુભવતા હતા.  તેમણે એમ પણ કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે આતંકવાદીઓ પોતાના ઘરોમાં પણ સુરક્ષિત અનુભવતા નથી.

વોટબેંકના રાજકારણથી દૂર, વિકાસ માટે પ્રતિબદ્ધ

તેમની સરકારની નીતિઓની સ્પષ્ટતા કરતા વડાપ્રધાને કહ્યું કે તેમની સરકારે હંમેશા વિકાસને પ્રાથમિકતા આપી છે અને વોટબેંકની રાજનીતિથી દૂર રહી છે. તેમણે કહ્યું, અમારી સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ્ય ‘લોકો માટે, લોકો દ્વારા વિકાસ’ છે. અમે માત્ર જનહિતની દિશામાં કામ કરી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. તેમણે કહ્યું, અમારું ધ્યેય ભારતને એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. ભારતીયોએ અમને તેમનો વિશ્વાસ આપ્યો છે અને અમે તે વિશ્વાસને પૂરી ઇમાનદારી સાથે પૂર્ણ કરી રહ્યા છીએ. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતી અને અફવાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સરકાર મક્કમ અને અડગ છે.

વડા પ્રધાન મોદીએ સ્વીકાર્યું કે આઝાદી પછી ભારતમાં યુવાનોમાં જોખમ લેવાની ભાવનાનો અભાવ હતો, પરંતુ છેલ્લા 10 વર્ષમાં આ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે ભારતમાં 1.25 લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે અને આપણા યુવાનો દેશને ગૌરવ અપાવવા માટે ઉત્સુક છે.

ISRO એ SpaceX સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા

એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સાથે એક મોટો કરાર કર્યો છે. બંને એકસાથે GSAT-20 કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. SpaceXનું Falcom 9 રોકેટ આવતા અઠવાડિયે લોન્ચ થઈ શકે છે. આ પ્રથમ વખત છે જ્યારે ISRO અને SpaceX પરસ્પર સહયોગથી આ પ્રકારનું પ્રક્ષેપણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ડીલ એટલા માટે પણ ખાસ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એલોન મસ્કના ખાસ મિત્ર છે. તેઓ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ પછી જ આ ડીલને પણ અંતિમ સ્વરૂપ મળ્યું.

GSAT-20 સેટેલાઇટનું વજન 4700 કિલોગ્રામ છે અને ભારતીય રોકેટ માટે તેને વહન કરવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આ લોન્ચિંગ માટે સ્પેસએક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લોન્ચિંગ અમેરિકાના કેપ કેનાવેરલથી થશે. આ સેટેલાઇટ આગામી 14 વર્ષ સુધી કામ કરતું રહેશે.

અગાઉ, સેવા શરૂ કરવા માટે ISRO ફ્રેન્ચ કોમર્શિયલ લોન્ચ કંપનીની મદદ લેતું હતું. ભારે ઉપગ્રહો લોન્ચ કરવા માટે તેની જરૂર હતી. જોકે, કંપની પાસે હવે કોઈ ઓપરેશનલ રોકેટ નથી. યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયા લોન્ચ કરવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં સ્પેસએક્સ પણ ફાયદો ઉઠાવી રહ્યું છે. આ સેટેલાઇટ સમગ્ર ભારતમાં સેવા આપશે. અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ માટે સેટેલાઇટ ઉપલબ્ધ થશે.

ઈસરોના અધ્યક્ષ રાધાકૃષ્ણન દુરાઈરાજે જણાવ્યું કે, આ પ્રક્ષેપણની અંદાજિત કિંમત 60 થી 70 મિલિયન ડોલર છે. તમને જણાવી દઈએ કે ભારત અને સ્પેસએક્સ વચ્ચે ઓછા ખર્ચે લોન્ચ કરવાના મામલે સ્પર્ધા ચાલી રહી છે. તે જ સમયે, એલોન મસ્ક પણ ઇચ્છે છે કે ભારતમાં તેની સ્પેસએક્સ સ્ટારલિંક સેટેલાઇટ સેવાના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવે. હાલમાં, સુરક્ષા કારણોસર ભારતમાં તેને મંજૂરી નથી. ભારતે ISS પર અવકાશયાત્રીઓ મોકલવા માટે SpaceX સાથે પણ કરાર કર્યો છે.

છત્તીસગઢમાં અથડામણમાં પાંચ નકસલવાદીઓ ઠાર કરાયા

નવી દિલ્હીઃ છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોએ પાંચ માઓવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળો અને માઓવાદીઓની વચ્ચે અથડામણ બસ્તર જિલ્લાના અબૂઝમાડનાં જંગલોમાં થઈ હતી. આ વિસ્તાર છત્તીસગઢના બસ્તર સંભાગના કાંકેર-નારાયણપુર જિલ્લાની સરહદની બાજુમાં છે.

આ અથડામણ સ્થળે સુરક્ષા કર્મચારીઓએ પાંચ હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માઓવાદી હુમલામાં બે DRG જવાન પણ ઘાયલ થયા છે. આ ઘાયલ જવાનોને રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બસ્તર રેન્જના પોલીસ અધિકારી પી. સુંદરરાજે જણાવ્યું હતું કે જંગલોમાં અથડામણ જારી છે અને થોડી-થોડી વારે ગોળીબાર થતો રહે છે.

કાંકેરના સરહદી જંગલો અને અબૂઝમાડના ઉત્તરમાં માઓવાદીઓની હાજરી વિશે ખાસ સૂચના મળ્યા પછી જિલ્લા રિઝર્વ ગાર્ડ, વિશેષ કાર્ય બળ અને સીમા સુરક્ષા દળના સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ માઓવાદીવિરોધી ઝુંબેશ પર નીકળી હતી.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કાંકેરના વિસ્તારમાં મંગળવારની બપોરે શંકાસ્પદ માઓવાદીઓ સાથે અથડામણ થઈ. પોલીસનું કહેવું છે કે આ અથડામણ બાદ એ સ્થળેથી પાંચ માઓવાદીઓના મૃતદેહ મળ્યા છે.

છત્તીસગઢમાં સુરક્ષા દળોની કામગીરી વિશે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું  કે છત્તીસગઢમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં નક્સલીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનને સફળ બનાવનારા તમામ સુરક્ષા કર્મચારીઓને શાબાસી આપું છું અને જે વીર પોલીસ જવાનો ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

અમિત શાહે કહ્યું હતું કે  નક્સલવાદ વિકાસ, શાંતિ અને યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે દેશને નક્સલવાદના દંશથી મુક્ત કરવા માટેનો સંકલ્પ કર્યો છે.

 

હવે હોમ લોન અને પર્સનલ લોન લેવી મોંઘી પડશે, વ્યાજદર વધ્યા

દેશની સૌથી મોટી બેંક SBIએ તેના લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે લોનના દરમાં વધારો કર્યો છે. તેના કારણે કાર, હોમ લોન અને પર્સનલ લોન મોંઘી થશે.

SBIએ તાજેતરમાં MCLRમાં બીજી વખત વધારો કર્યો છે. જો કે, બેંકે રાતોરાત, એક મહિના, બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે MCLRમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સમયગાળા દરમિયાન વ્યાજ દરો પહેલા જેવા જ રહેશે.

નવા વ્યાજ દરો

SBIએ 3 સમયગાળા માટે વ્યાજ દરોમાં MCLR માં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેમાં 3 મહિનાની લોન પર વ્યાજ દર 8.50 થી વધારીને 8.55 ટકા અને 6 મહિનાની લોન પર વ્યાજ દર 8.85 થી વધારીને 8.90 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, એક વર્ષની લોન પર વ્યાજ દર 8.95 ટકાથી વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે.

HDFC બેંકે પણ MCLRમાં વધારો કર્યો હતો

એચડીએફસી બેંકે પણ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરમાં વધારો કર્યો હતો. બેંકે MCLRમાં વધારો કર્યો હતો. જે રાતોરાત, એક મહિના અને 3 મહિનાની અવધિની લોન પર લાગુ થાય છે.

MCLR શું છે?

MCLR એ લઘુત્તમ વ્યાજ દર છે જેના પર બેંકો લોન આપે છે. કોઈપણ બેંક આ વ્યાજ દરથી ઓછા દરે કોઈ પણ વ્યક્તિને હોમ લોન, પર્સનલ લોન અથવા કાર લોન આપી શકશે નહીં. વર્ષ 2016માં આરબીઆઈએ બેઝ રેટ સિસ્ટમની જગ્યાએ આ સિસ્ટમ રજૂ કરી હતી. જો કે, જેમણે 2016 પહેલા લોન લીધી હતી તેઓ હજુ પણ BPLRને પાત્ર છે. જો બેંક MCLR દરમાં વધારો કરે છે. તેથી લોનની EMI આપોઆપ વધી જાય છે. આ સિવાય MCLR બેંકોના રેપો રેટ સાથે પણ સંબંધિત છે. તેથી, જો MCLR દરમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની સીધી અસર હોમ લોનના વ્યાજ દર પર પડી શકે છે.

સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને રાજીનામું આપી દીધું છે. બાદલે તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવવા અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પૂરા દિલથી સમર્થન અને સહકાર આપવા બદલ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.

શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, “SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે નવા પ્રમુખની ચૂંટણીનો માર્ગ મોકળો કરવા માટે આજે પાર્ટીની કાર્યકારી સમિતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમના કાર્યકાળ દરમિયાન સેવા કરવાનું ચાલુ રાખશે.” ” પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોને તેમના પૂરા દિલથી સમર્થન અને સહકાર માટે આભાર માન્યો.”

2008માં રાષ્ટ્રપતિ બન્યા

તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળની કમાન સંભાળી હતી. બાદલે 16 વર્ષ અને બે મહિના સુધી SAD પ્રમુખ તરીકે સેવા આપી હતી. સુખબીર સિંહ બાદલ પહેલા તેમના પિતા પ્રકાશ સિંહ બાદલ પાર્ટીની કમાન સંભાળતા હતા.

પેટાચૂંટણી પહેલા લેવાયો નિર્ણય

પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે સુખબીર સિંહ બાદલે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા બાદ હવે જોવાનું એ રહે છે કે શિરોમણી અકાલી દળના નવા પ્રમુખ કોને બનાવવામાં આવશે.

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે, જાણો તમારા વિસ્તારનો AQI

અમદાવાદમાં દિવાળીના કારણે હવામાં પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો હતો. જે બાદ હવે પરિસ્થિતી એવી બની રહી છે કે અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદાના મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક 200ને પાર પહોંચી ગયો છે. જેથી અમદાવાદ શહેરના લોકોમાં માટે હવે ભારે તકલીફો ઉભી થવાની છે.

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ગંભીર છે. ગ્યાસપુરમાં AQI 279 , બોપલમાં AQI 327 નોંધાયું છે. ઘૂમામાં AQI 250, સાઉથ બોપલમાં AQI 283 નોંધાયું છે. રખિયાલમાં AQI 213, નવરંગપુરામાં AQI 238, ગોતામાં AQI 217, બોડકદેવામાં AQI 185, ચાંદખેડામાં AQI 204, મણિનગરમાં AQI 192, દેવદિવાળીએ ફૂટેલા ફટકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદની હવા પ્રદૂષિત બની ગઈ છે. અમદાવાદના વાતાવરણમાં પ્રદૂષણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માહિતી પ્રમાણે દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. મળતા આંકડાઓ પ્રમાણે પ્રદૂષણને કારણે શહેરના AQIમાં વધારો નોંધાયો છે. અમદાવાદનો ઓવરઓલ AQI 200ને પાર નોંધાયો છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શરદી, ખાંસી ઉપરાંત બ્રોન્કાઇટીસના કેસોમાં ય વધારો થયો છે. સાથે સાથે જેમને કોરોના થયો હોય તેવા લોકો માટે હવાનુ વધતુ પ્રદુષણ જોખમી પુરવાર થઇ શકે છે કેમકે, આ દર્દીઓ શ્વાસ સુધ્ધાં લઇ શકતા નથી પરિણામે તેમને આઇસીયુમાં સારવાર આપવી પડે છે.