વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ પાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારોના માર્ગો ઉપરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી વચ્ચે MGVCLના માંડવી સબ ડિવિઝનમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ ચોરી સામે દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ કંપનીએ 625 વીજ કનેક્શન ચકાસણી કરી હતી. જેમાંથી 32 વીજ કનેક્શનોમાંથી રૂપિયા 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. આ ઝુંબેશના પગલે વીજ ચોરોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં વિજ ચોરીના બનાવામાં ઘટાડો થતો હોય છે. પરંતુ વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે, માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડરમાં આવતા અને સંવેદનશીલ વિસ્તારો મનાતા હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકિંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ કંપની દ્વારા કુલ 625 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડર વિસ્તારમાંથી 3.82 લાખ સરસીયા તળાવ ફીડર વિસ્તારમાંથી – 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડર વિસ્તારમાંથી – 11.50 લાખ, ફતેપુરા ફીડર વિસ્તારમાંથી – 6.47 લાખ અને બાજવાડા ફીડર વિસ્તારમાંથી 83 લાખ મળી કુલ્લે રૂપિયા 30 ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબની કાર્યવાહી કરી હતી.
ઢાકાઃ બંગલાદેશમાં હાઇકોર્ટે ઈસ્કોનની કામગીરી પર પર પ્રતિબંધ મૂકવાથી ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટમાં સુનાવણીમાં બંગલાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે અમે ઇસ્કોનની પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે.
વકીલ મોનિરુજ્જમાએ જસ્ટિસ ફરાહ મહબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની ફંડપીઠ સામે ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગની અરજી દાખલ કરી હતી.
ડેપ્યુટી અટોર્ની જનરલ અસદઉદ્દીને સરકાર તરફથી લેવામાં આવેલાં પગલાં આપતાં કહ્યું હતું કે ઈસ્કોન કેસમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈ પણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. વકીલે કહ્યું હતું કે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે. તેના પર કોર્ટે કહ્યું હતું કે આનો નિર્ણય સરકાર કરશે.
ખરેખરમાં ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના કેસમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં ધકેલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ ઉપરાંત, આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ ખટાશ આવી છે.
અરજી કરનાર વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સૈફુલના મોત પાછળ ઈસ્કોનના લોકોનો હાથ છે. આવી સ્થિતિમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ અરજીમાં ચટગાંવમાં ઈમર્જન્સી જાહેર કરવાની પણ માગ કરવામાં આવી હતી. આ અરજી પર બંગલાદેશના એટર્ની જનરલ મુહમ્મદ અસદુઝમાને ઈસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું.
થેક્સ ગિવીંગ- અમેરિકામાં આ દિવસે થેક્સ ગિવીંગ ડીનરનો મહિમા રહેલો છે, જ્યાં આખું ફેમેલી એક સાથે ડીનર ટેબલ ઉપર બેસી પ્રાર્થના કરી સહુ પ્રથમ ગોડનો આભાર માને છે .
એક બીજાને તેમના હેલ્પ અને કાઈન્ડનેશ માટે થેક્યું કહે છે. ઘરમાં અંદર અને બહાર સુંદર સજાવટકરે છે ટુંકમાં આભાર વ્યક્ત કરવાનો આ દિવસ અનોખી રીતે ઉજવાય છે.
થેક્સ ગિવીંગના દિવસે ટર્કી નામના પક્ષીનું માંસ રાંધીને ખાવાની પ્રથા પડી ગઈ છે. દર વર્ષે આશરે 46 મિલિયન ટર્કીનો વધ થાય છે.
આ દિવસ પાછળ ઐતિહાસિક વાત જોડાયેલી છે. 1620માં 100 જેટલા પિલગ્રેમ્સ એટલાન્ટીક ઓશન પાર કરીને મેસેચ્યુસેટ્સ સ્ટેટના કિનારે ઉતર્યા,ત્યારે અહીવિન્ટરની કડકડતી ઠંડી હતી જ્યાં ભૂખ અને ઠંડીના કારણે કેટલાક મૃત્યુ પામ્યા તેવા વખતે અમેરિકામાં રહેતા નેટીવ અમેરિકનો એ તેમને બચાવી લીધા અને તેમને અહીંની ખેતી કરવાની જુદીજુદી રીતો શીખવી, અહીંની ભૌગોલિક સ્થિતિ વિષે જ્ઞાન આપ્યું. પરસ્પર સાથ અને સહકાર થી તેઓ અવનવા પાક મેળવતા થયા.
છેવટે મજબુત સબંધો અને આભાર વ્યક્ત કરવાના ઈરાદા થી એક પાર્ટીનું આયોજન કરાવ્યું જ્યાં નેટીવ અમેરીકન ટર્કી, અને ડીયરનું માંસ અને કોર્ન લાવ્યા સામે પિલગ્રેમ્સ પણ તેમણે પકવેલી ચીજવસ્તુઓ લાવ્યા.
પિલગ્રેમ્સ એટલે યુરોપ તરફથી આવેલા યાત્રાળુઓ જે અહીં અમેરિકામાં રોકાઈ અમેરિકન થઈ અહીંજ વસીને રહી ગયા. જોકે તેઓએ પાછળથી નેટિવ અમેરિકનને છેતરી તેમની જમીનો અને વસાહતો છીનવી લીધા એ અમેરિકાનો એક કાળો ઇતિહાસ પણ છે.
આમ સહુ પ્રથમ થેક્સ ગિવીંગ ડીનરની શરૂઆત થઇ. ત્યાર બાર 1776 માં અમેરિકા આઝાદ થયો અને 1789 માં આ દિવસ નેશનલ હોલીડે જાહેર થયો.
આ દિવસને હાર્વેસ્ટ દિવસ તરીકે પણ ઉજવાય છે. શિયાળાની શરૂવાત થતા પહેલા બધા પાકની લણણી કરી લેવાની હોય છે. તો તેને યાદગાર બનાવવા અહીંના ખેડૂતો આ દિવસને માનભેર ઉજવે છે.
થેક્સ ગિવીંગ ગુરુવારે હોય છે જેના બીજા દિવસને બ્લેક ફ્રાયડે કહેવામાં આવે છે. આ દિવસ શોપિંગ સ્પેશ્યલ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે જુદીજુદી વસ્તુઓ ઉપર આખા વર્ષનો બેસ્ટ સેલ રહેતો હોય છે. “અર્લી બર્ડ ” નામના સેલમાં લોકો બહુ ઉત્સાહ થી શોપિંગ કરવા જતા હોય છે. કેટલાક સ્ટોર્સ વહેલી સવાર ચાર કે પાંચ વાગ્યાથી શરું થઇ જતા હોય છે. વહેલા તે પહેલાના ધોરણે વસ્તુઓ હોવાથી લોકો આગલી રાતથી લાઈન લગાવી ઉભા રહી જાય છે.
કોવિડ પછી ઘણું બદલાઈ ગયું છે. ઘણા સ્ટોર ઓનલાઇન થઈ ગયા છે આથી લોકો હવે ઓનલાઈન શોપિંગ વધુ કરે છે. આ દિવસથી શરુ થઇ છેક ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ રહેતો હોય છે.
પ્રભુએ જે પણ આપ્યું છે તેનો આભાર માનીએ તેટલો ઓછો છે. એમ કહી શકાય કે માનવા માટે આપણે સમર્થ નથી. છતાંય આજે એ દરેકનો આભાર જેમના કારણે જીંદગી ખુબસુરત બની છે.
જમ્મુ કાશ્મીર ભૂકંપઃ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. અહીં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે હિમાલયના વિવિધ ભાગોમાં લગભગ 4.19 વાગ્યે હળવા આંચકા અનુભવાયા હતા. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં આવેલો આ બીજો ભૂકંપ છે. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર 209 કિલોમીટરની ઊંડાઈએ હતું
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર 209 કિલોમીટરની ઉંડાઈએ હતું. જેના કોઓર્ડિનેટ્સ 71.32 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 36.62 ડિગ્રી ઉત્તર અક્ષાંશ હતા. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભૂકંપ શા માટે થાય છે?
તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટ્સ હાજર છે. જ્યારે આ પ્લેટો તેમની જગ્યાએથી ખસી જાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો તેના આંચકા લાંબા અંતર સુધી અનુભવાય છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે. હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતુ. ઉલ્લેખનીય છે કે ચેરમેનની નિમણૂંક થતા ભરતી પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા સેવાય રહી છે. નીરજા ગોટરૂ એ મહિલા આઈપીએસ છે અને આઈપીએસ અધિકારીમાં સારી છબી ધરાવે છે. હસમુખ પટેલ પહેલા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા અને ત્યારબાદ તેમને જીપીએસસી બોર્ડના ચેરમેન બનાવ્યા હતા એટલે હસમુખ પટેલની જગ્યા ખાલી હતી.
ચિંતન શિબિર પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂની પસંદગી કરાઈ છે. ગગનદીપ ગંભીર અને વબાંગ ઝમીરનું નામ પણ અગ્રેસર ચાલી રહ્યું હતુ. વર્ષ 1993ની બેચના નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનરના નામની જયારે ચર્ચા હતી ત્યારે તેઓનું નામ પણ રેસમાં ચાલતુ હતુ. તેમણે અમદાવાદમાં પણ ટ્રાફિક વિભાગમાં તેઓ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે. ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.
ચક્રવાતી વાવાઝોડું ફાંગલ દક્ષિણ ભારતના રાજ્યોમાં ત્રાટકવાનું છે. તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં તેની ગંભીર અસર થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 નવેમ્બરની સવારની આસપાસ ડીપ ડિપ્રેશન તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના ઉત્તરી તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે અથડાશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. આના કારણે, 29 અને 30 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ અને 29 નવેમ્બર, 2024ના રોજ દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ અને રાયલસીમામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડું આજે (28 નવેમ્બર) સવારે 8:30 વાગ્યે ત્રિંકોમાલીના 110 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નાગાપટ્ટિનમથી 310 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 410 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈના 480 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત હતું. તે આગામી 12 કલાક દરમિયાન શ્રીલંકાના કિનારાને સ્પર્શતા ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. 28મી નવેમ્બરની સાંજથી 29મી નવેમ્બર 2024ની સવારથી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી વાવાઝોડાને કારણે, 28 નવેમ્બરે ઉત્તર કોસ્ટલ તમિલનાડુ-પુડુચેરીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 29 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ-પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 29 થી 30 નવેમ્બરના રોજ દક્ષિણ કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
29 નવેમ્બરે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. રાયલસીમામાં 29 અને 30 નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 29 નવેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં, 29 નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય જો કેરળની વાત કરીએ તો 29મી નવેમ્બરે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ અને 30મી નવેમ્બર અને 1લી ડિસેમ્બરે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વિધાનસભામાં કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓના અત્યાચારના મુદ્દે હું કેન્દ્ર સરકારની સાથે છું. મમતા બેનર્જીએ કહ્યું કે મારી સરકારની નીતિ છે કે જ્યારે અન્ય દેશોની વાત આવે ત્યારે અમે કેન્દ્ર સરકારની સાથે ઉભા રહીશું. જો કોઈ ધર્મના લોકો પર અત્યાચાર થાય છે તો અમે તેની સખત નિંદા કરીએ છીએ. જો બાંગ્લાદેશમાં કોઈપણ ધર્મના લોકો પર અત્યાચાર થાય છે તો અમે તેનું સમર્થન કરતા નથી.
કેન્દ્ર સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ- CM મમતા
બાંગ્લાદેશમાં હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ પર મમતાએ કહ્યું કે મેં અહીં ઈસ્કોનના વડા સાથે વાત કરી છે. આ અન્ય દેશનો મામલો હોવાથી કેન્દ્ર સરકારે તેના પર યોગ્ય પગલાં લેવા જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છીએ. બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારમાંથી હિંદુ જૂથ ‘સંલિત સનાતની જોટ’ના નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. તેની સામે બંગાળ સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
અભિષેક બેનર્જીએ પણ હુમલાની નિંદા કરી હતી
આ પહેલા બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી અને વરિષ્ઠ નેતા સૌગાતા રોયે હુમલાની નિંદા કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. અભિષેક બેનર્જીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં જે પણ થયું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્ર સરકારે નિર્ણાયક પગલાં લેવા જોઈએ. બાંગ્લાદેશની વચગાળાની સરકારને “કટ્ટરવાદીઓની ચુંગાલમાં” ગણાવીને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે હિંસાની નિંદા કરી હતી. હિંદુઓ પરના હુમલાઓ અને ધાર્મિક નેતાઓની ધરપકડ અમાનવીય અને અસ્વીકાર્ય છે, તેમણે સંયુક્ત રાષ્ટ્રને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે આ મુદ્દાને અવગણવા બદલ વિપક્ષી નેતાઓની ટીકા કરી અને કોમી હિંસા સાથે વ્યવહાર કરવામાં બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો.
ચિન્મય દાસની ધરપકડ બાદ હિંસા વધી હતી
સોમવારે બાંગ્લાદેશ પોલીસે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. આ ઘટના અને લઘુમતીઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાથી તણાવ વધી ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયે ચિન્મય દાસને જામીન નકારવા પર ચિંતા વ્યક્ત કરી અને બાંગ્લાદેશને તેના લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે આ મામલે સરકાર દ્વારા લેવામાં આવેલા યોગ્ય સ્ટેન્ડ સાથે ઉભા છીએ. જોકે, વિપક્ષી નેતાઓએ સરકારના અભિગમની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજદ્વારી પ્રયાસો પર સવાલો ઉઠાવતા કહ્યું કે, તેના પાડોશમાં ભારતનો પ્રભાવ ઘટી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ અત્યાચારનો સામનો કરી રહ્યા છે, જ્યારે વડાપ્રધાન કેમ ચૂપ છે?
હેમંત સોરેને ગુરુવારે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર રાજ્યનો હવાલો સંભાળ્યો. તેમણે રાંચીમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના 14મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સીએમ તરીકે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) નેતાની આ ચોથી ટર્મ છે.
આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર રહ્યા હતા. આ સાથે JMMના રાષ્ટ્રીય અધ્યક્ષ શિબુ સોરેન અને તેમની પત્ની રૂપી સોરેન પણ શપથ ગ્રહણ દરમિયાન હાજર રહ્યા હતા.
આ સિવાય સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, આરજેડી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, ઝારખંડ કોંગ્રેસના રાજ્ય પ્રભારી ગુલામ અહેમદ મીર, કોંગ્રેસ નેતા તારિક અનવર, અપક્ષ સાંસદ પપ્પુ યાદવ, તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિન, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા.
ઝારખંડમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેને બરહૈત બેઠક પર ભાજપના ગમાલીએલ હેમરામને 39,791 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. જેએમએમની આગેવાની હેઠળના INDIA ગઠબંધને 81 સભ્યોની વિધાનસભામાં 56 બેઠકો જીતીને બહુમતી જાળવી રાખી હતી, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ 24 બેઠકો જીતી હતી.
અમદાવાદઃ નવેમ્બર એક્સપાયરીના દિવસે ઘરેલુ શેરબજારોમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 1.5 ટકા ઘટીને બંધ રહ્યા હતા. IT, ઓટો, બેન્કિંગ, એનર્જી, PSE અને FMCG ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરેમાં પણ ઉપલા સ્તરેથી નફારૂપી વેચવાલી થઈ હતી. રોકાણકારોના આશરે રૂ. 1.08 લાખ કરોડ ડૂબ્યા છે.
વૈશ્વિક મિશ્ર સંકેતોને પગલે ઘરેલુ શેરબજારોમાં IT શેરોની આગેવાની હેઠળ વેચવાલી થઈ હતી. વધુમાં, એશિયાનાં બજારોમાં પણ મિશ્ર પ્રવાહ જોવા મળ્યા હતા. આ ઉપરાંત વ્યાજદર ઘટાડામાં ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે 1190.34 પોઇન્ટ તૂટીને 79,043.74ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 361 પોઇન્ટ તૂટીને 23,914.15ના સ્તરે બંધ થયો હતો.
ઘરેલુ શેરબજારોમાં 38 સેશનની રેકોર્ડ વેચવાલી પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મહારાષ્ટ્રમાં સત્તા પક્ષે ચૂંટણીમાં જીત મેળવતાં 25 નવેમ્બરે રૂ. 10,000 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. જોકે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જીતથી અમેરિકા ફર્સ્ટ બિઝનેસ મામલે ફરીથી ઊંચકાયો છે, જેનાથી ટેક્સ કાપ અને ટેરિફવધારાની અપેક્ષાએ પૈસા અમેરિકા જવાની શક્યતા છે. વળી, ટ્રમ્પની જીતથી ટ્રેડ વોર થવાની સંભાવના છે, જેને કારણે શેરોમાં વેચવાલી થઈ હતી.BSE એક્સચેન્જ પર કુલ 4049 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2236 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1705 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 108 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 203 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
ગયા વર્ષે અમેરિકાના જાણીતા ટીવી ઍક્ટર મેથ્યુ પેરીનું અકસ્માત્ મૃત્યુ થયું. મોત કુદરતી નહોતું એટલે સ્વાભાવિક રીતે જ ઓટોપ્સી થઈ. રિપોર્ટમાં આવ્યું કે કેટામાઈન નામની દવાની આડઅસરના લીધે મેથ્યુનું મૃત્યુ થયું. કેટામાઈનનો ઉપયોગ ડિપ્રેસનનો ઉપચાર કરવા અલ્ટરનેટિવ થેરાપી તરીકે કરવામાં આવે છે. તે પછી જાતજાતની તપાસ થઈ અમુકની ધરપકડ પણ થઈ. મુદ્દો એ કે અપાર લોકપ્રિયતા, સંપત્તિ હોવા છતાં 54 વર્ષી મેથ્યુ ઉદાસ હતા. ગયા જ મહિને 16 ઓક્ટોબરે જાણીતા સિંગર-સોંગરાઈટર લિઆમનું બ્યુએનો એરિસની એક હોટેલના ત્રીજા માળેથી નીચે પટકાઈને મોત થયું. 31 વર્ષી લિઆમ પાયને પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ડ્રગ્સ સાથે ઝઝૂમતા રહ્યા.
થોડા પાછળ જઈએ તો દોમદોમ સાહ્યબીમાં આળોટતા એલ્વિસ પ્રેસ્લીથી લઈને વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર મોહમ્મદ અલી, અને માઈકલ જૅક્સન જેવા પણ જાતજાતના વિવાદમાં સપડાયેલા અને એમનાં અપમૃત્યુ થયેલાં.
સવાલ એ કે એક ઊંચાઈએ પહોંચ્યા પછી પણ શા માટે માણસનું ચારિત્ર્ય આટલું ઝડપથી ઓગળી જાય છે? આનો જવાબ છે, એમને ચારિત્ર્યની મહત્તા સમજાઈ નહીં. તમે સોનું-ચાંદી-ઝવેરાત ખરીદવા જાઓ તો એની શુદ્ધતાની ખાતરી કરો છો. બરાબર છે, કરવી જોઈએ, પણ તમે ક્યારેય એ વિચારો છો કે ચારિત્ર્ય વિશે ચકાસણી કરવી હોય તો એના માપદંડ કયા?
ફ્રાન્સમાં રાજાશાહીના વિરોધીઓએ તત્કાલીન રાજ લુઈને જેલમાં પૂરી દીધો અને એના વારસદાર, લુઈના પુત્રને નૈતિક રીતે પાયમાલ કરવાની યોજના બનાવી. પ્લાન મુજબ કુંવરને એવા લોકોની વચ્ચે રાખવામાં આવ્યો, જે નૈતિકતાની દૃષ્ટિએ અધમ અને ચારિત્ર્યની દૃષ્ટિએ ભ્રષ્ટ હતા. રાજકુમાર એની શ્રદ્ધામાંથી ડગી જાય એવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા. છ મહિના એને આવા વાતાવરણમાં રાખવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિનું પતન થઈ જાય એવા સંજોગમાં પાટવી કુંવરના સ્વભાવમાં જરીકેય ફેર ન પડ્યો.
છોકરાએ જવાબ આપતાં કહ્યું: “આઈ વૉઝ બોર્ન ટુ બી અ કિંગ” અર્થાત્ “મારો જનમ જ રાજા બનવા માટે થયો છે એટલે મારે એ રીતે સજ્જ થવું જ પડે.”
આને કહેવાય ચારિત્ર્ય. આવું દઢ ચારિત્ર્ય એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં સારા સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવતું, એમને શિક્ષણમાં શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શીખવવામાં આવતા હતા. આજના ભૌતિક યુગમાં લોકો ધન અને સમૃદ્ધિને વધુ મહત્ત્વ આપીને તે પ્રમાણે જીવનની દિશા નક્કી કરે છે એ લોકોને યાદ કરાવવાનું કે જીવનમાં સૌથી વધારે મહત્વનું છે ચારિત્ર્ય.
કેવળ માન માટે, જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. ખરેખર તો કોઈ આપણને જોતું ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પરથી આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.
વર્ષો પહેલાં અમેરિકાનું ન્યૂ યૉર્ક શહે૨ એક રાતે અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, વીજપ્રવાહ ખોરવાઈ ગયો હતો. સવારે ખબર પડી કે શહેરના મોટા ભાગના શો-રૂમ લૂંટાયા છે. સુખી ઘરના લોકો પણ અંધકારમાં લૂંટફાટમાં સામેલ થયા હતા. આમ અંધારામાં માણસની અસલિયત પ્રકાશમાં આવી ગઈ.
આપણી ભાષામાં એક ફર્સ્ટ ક્લાસ કહેવત છેઃ કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ પાસે ગંગા જેવું પાવિત્ર્ય અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી. અને એમની મૂડી હતીઃ બે જોડી કપડાં અને એક માળા છતાં તેમના ચારિત્ર્યથી નતમસ્તક બનેલા બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લમેન્ટે તેમનાં અભૂતપૂર્વ સમ્માન કર્યાં હતાં.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)