Home Blog Page 1277

નિર્દેશક જયભારતીનું 77 વર્ષની વયે નિધન

મુંબઈ: તમિલ નિર્દેશક અને લેખક કુડીસાઈ જયભારથીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શુક્રવારે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કુડીસાઈ ફિલ્મ ‘ધ હટ’ માટે જાણીતી છે. જયભારતીના નિધનથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

કૉમેડિયન એસવી શેખરે આ વાત કહી હતી
77 વર્ષીય જયભારતી માટે, હાસ્ય કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય એસ.વી. શેખરે કહ્યું, તેઓ એવા માણસ હતા જે માત્ર સિનેમા માટે જ જીવ્યા હતા. જ્યારે તેને તેના કામ માટે 10,000 રૂપિયા મળ્યા ત્યારે તે સિનેમા સિવાય અન્ય કામ પણ કરી શકતા હતા.

ફિલ્મ ‘કુડીસાઈ’ વર્ષ 1979માં રિલીઝ થઈ હતી
કુડીસાઈ ફિલ્મ 30 માર્ચ 1979ના રોજ રીલિઝ થઈ હતી અને તે નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયામાં સચવાયેલી છે. ફિલ્મ રિલીઝ થયાને 43 વર્ષ વીતી ગયા છે. ડાયરેક્ટર જયભારતીએ પોતે ફિલ્મ વિશે કહ્યું હતું કે ક્રાઉડફંડિંગ દ્વારા બનેલી આ પહેલી તમિલ ફિલ્મ છે.

ગરીબીમાં વિતાવેલી છેલ્લી ક્ષણો
શેખરે કહ્યું કે તેણે પોતાનું આખું જીવન વૈકલ્પિક સિનેમા માટે જીવ્યું. તેઓ આંતરરાષ્ટ્રીય ફિલ્મોથી ખૂબ પ્રભાવિત હતા. દિગ્દર્શકે તેમના જીવનની અંતિમ ક્ષણો ગરીબીમાં વિતાવી. ફિલ્મ કુડીસાઈ ઉપરાંત જયભારતી 2010ની ફિલ્મ ‘પુથિરન’ માટે પણ જાણીતી છે.

રાજ્ય સન્માન મળવું જોઈએ
તમને જણાવી દઈએ કે જયભારતીની ફિલ્મ ‘નાનબા નાનબા’, જેમાં શેખરનો ભાઈ લીડ રોલમાં હતો, તેણે નેશનલ એવોર્ડ જીત્યો હતો. શેખરે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને જયભારતીને રાજ્ય સન્માન આપવાની અપીલ પણ કરી છે.

અમદાવાદ મેટ્રો હવે થલતેજ ગામ સુધી લંબાવાઈ, 8 ડિસેમ્બરથી નવી સુવિધા ઉપલબ્ધ

અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હવે અમદાવાદમાં વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેનને થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. 8 ડિસેમ્બરથી મુસાફરોને થલતેજ ગામ જવા માટે પણ મેટ્રોનો ઉપયોગ કરી શકશે. થલતેજ ગામની પહેલી ટ્રેન સવારે 6:20થી શરૂ થશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને બે તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેમાં શહેરી ગતિશીલતા વધારવા માટે બહુવિધ લાઇન અને એક્સ્ટેંશનનો સમાવેશ થાય છે. પહેલો તબક્કો બે કોરિડોર ધરાવે છે અને તેમાં કુલ 32 સ્ટેશન છે, જેમાંથી 28 એલિવેટેડ છે અને 4 ભૂગર્ભ છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર 20.91 કિમી લાંબો છે, જેમાં 14.40 કિમી એલિવેટેડ સેક્શન અને 6.6 કિમી અંડરગ્રાઉન્ડ સેક્શનનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોર 19.12 કિમી લાંબો છે અને તેમાં માત્ર એલિવેટેડ સેક્શનનો સમાવેશ થાય છે. પહેલાં તબક્કામાં માં બ્લુ લાઇન અને રેડ લાઇનનો સમાવેશ થાય છે. બ્લુ લાઇન થલતેજ ગામને વસ્ત્રાલ ગામ સાથે જોડે છે, જ્યારે લાલ લાઇન મોટેરા સ્ટેડિયમ અને APMC વચ્ચે ચાલે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને વિસ્તારે છે. મુખ્ય લાઇન APMC થી મોટેરા સુધી વિસ્તારવામાં આવી છે જે મહાત્મા મંદિર સુધી છે, જ્યારે બ્રાન્ચ લાઇન GNLU થી શરૂ થાય છે અને ગિફ્ટ સિટીએ પૂરી થાય છે. રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિમી છે, જેમાં 22.8 કિમી મુખ્ય લાઇન અને 5.4 કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇન પર 20 સ્ટેશન અને બ્રાન્ચ લાઇન પર 2 સ્ટેશન છે.

પુતિને ‘મેક ઇન ઇન્ડિયા’ના કર્યા વખાણ, પીએમની પણ કરી પ્રશંસા

ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓ જૂની છે અને હવે આ મિત્રતા વધુ ગાઢ થવા જઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની પ્રશંસા કરી છે. એમણે ભારતમાં રોકાણને પણ ફાયદાકારક ગણાવ્યું છે.

‘મેક ઈન ઈન્ડિયા’ પહેલની પ્રશંસા કરતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતની મેક ઈન ઈન્ડિયા નીતિથી ભારતમાં નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગોમાં સ્થિરતા આવી છે . અમે માનીએ છીએ કે ભારતમાં રોકાણ અત્યંત નફાકારક છે”.

રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના વખાણ કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. એમણે પીએમ મોદીની ભારત પ્રથમ નીતિઓની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે “રશિયા સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે.” રશિયાની રાજધાની મોસ્કોમાં એક રોકાણ સમિટને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે ‘વડાપ્રધાન મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ કેવી રીતે મજબૂત કરી રહી છે. એનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત છે.’ પીએમ મોદીની પ્રશંસા કરતા, રશિયન રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે કેવી રીતે વડાપ્રધાન મોદીની નીતિઓએ વિકાસ માટે સ્થિર વાતાવરણ બનાવીને ભારતના વિકાસમાં ફાળો આપ્યો છે.

પુતિને ભારતમાં રોકાણને નફાકારક ગણાવ્યું

મોસ્કોમાં આયોજિત ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પોતાના સંબોધનમાં એમણે કહ્યું, ‘વડાપ્રધાન મોદીનો મેક ઇન ઇન્ડિયા નામનો કાર્યક્રમ છે. અમે ભારતમાં અમારી મેન્યુફેક્ચરિંગ કામગીરી શરૂ કરવા માટે પણ તૈયાર છીએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સરકાર ભારતને પ્રાધાન્ય આપવાની નીતિથી પ્રેરિત થઈને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે. અમે માનીએ છીએ કે ભારતમાં રોકાણ નફાકારક છે.’ જયારે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન કંપની રોઝનેફ્ટે તાજેતરમાં ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

પુતિને અમેરિકાને પાઠ આપ્યો

કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં રશિયન રાષ્ટ્રપતિએ આડકતરી રીતે અમેરિકા પર નિશાન સાધ્યું હતું. પુતિને કહ્યું, ‘નવી રશિયન બ્રાન્ડ્સનો ઉદભવ તે પશ્ચિમી કંપનીઓને બદલવામાં મદદ કરી રહ્યો છે જેણે સ્વેચ્છાએ આપણું બજાર છોડી દીધું છે.’ પુતિનના નિવેદનથી સ્પષ્ટ છે કે ભારત વિશ્વમાં એક મુખ્ય ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ જ કારણ છે કે રશિયા હવે રોકાણ માટે ભારતને પસંદ કરી રહ્યું છે. જો રશિયા ભારતીય બજારમાંથી અમેરિકન સામાનને પાછળ છોડવામાં સફળ થશે તો તે અમેરિકા માટે મોટો ફટકો સાબિત થશે.

‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન છાંટવામાં આવ્યો રહસ્યમય સ્પ્રે, લોકોની તબિયત લથડી

મુંબઈ: મુંબઈના ગેઈટી ગેલેક્સી થિયેટરમાં અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’નું સ્ક્રીનિંગ 5 ડિસેમ્બરે યોજવામાં આવ્યું હતું. પરંતુ એક રહસ્યમય સ્પ્રેને કારણે તેને અટકાવવું પડ્યુ હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી જેઓ હવે આ મામલે તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ઈન્ટરવલ પછી સ્ક્રીનિંગ 15-20 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી.

ભેદી સ્પ્રેને કારણે સમસ્યા વધી
કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ પદાર્થ છાંટ્યો હતો જેના કારણે થિયેટરમાં હાજર લોકોમાં ઉધરસ, ગળામાં બળતરા અને ઉલ્ટી થઈ હતી. આવી ફરિયાદ બાદ શો બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ફરીથી તપાસ શરૂ થઈ. પોલીસ અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે થિયેટરની અંદર કયા સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને શંકા છે કે જે સ્પ્રેનો ઉપયોગ બહાર ખુલ્લી જગ્યામાં કરવાનો હતો, તેનો ઉપયોગ થિયેટરની અંદર કરવામાં આવ્યો હશે.

વિરામ પછી સ્ક્રીનિંગ ફરી શરૂ થયું
પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. તેમજ કડીઓ મેળવવા માટે અંદર રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. થિયેટરની અંદર હાજર એક દર્શકે કહ્યું, ‘અમે ઈન્ટરવલ પછી પાછા ફર્યા કે તરત જ અમને ખાંસી આવવા લાગી. અમે બાથરૂમમાં ગયા અને ઉલટી થઈ. ગંધ 10-15 મિનિટ સુધી ચાલી હતી. દરવાજા ખોલ્યા પછી ગંધ દૂર થઈ ગઈ. એ પછી ફિલ્મ ફરી શરૂ થઈ.

‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર કમાલ કરી
‘પુષ્પા 2’ એ ભારતમાં પ્રથમ દિવસે 175 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. હિન્દી બેલ્ટમાંથી, તેણે ભારતમાં રૂ. 67 કરોડની કમાણી કરીને શાહરૂખ ખાનની ‘જવાન’ને માત આપી.

સુકુમાર દ્વારા દિગ્દર્શિત ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે બધાની નજર ‘પુષ્પા 2’ના વીકએન્ડ કલેક્શન પર ટકેલી છે.

 

કાંકરિયા કાર્નિવલ 2024નું ભવ્ય આયોજન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેને કાંકરિયા કાર્નિવલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે કાર્નિવલમાં નવીનતમ આયોજન કરવામાં  આવ્યું છે જેમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. મ્યુનિસિપલ સ્કુંલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1,000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવશે. 25 ડિસેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રી દ્વારા કાર્નિવલ 2024 ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ પરેડનું પણ સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ચાલુ વર્ષ કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજનમાં લગભગ 3.5 કરોડનો ખર્ચે થશે. જેમાં સાતે દિવસ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઇશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને વિવિધ શો પણ યોજાશે. કાર્નિવલ દરમિયાન સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખૂટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઉભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા, કંટ્રોલ રુમ, જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.

શંભુ બોર્ડરે ખેડૂતોએ દૂર કર્યાં કાંટાળી વાર, બેરિકેડ્સ

અંબાલાઃ વિવિધ માગોને લઈને દેખાવો કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં શંભુ બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યા છે. દેખાવકાર ખેડૂતો દ્વારા પોલીસે લગાવેલી  કાંટાળી વાડ અને બેરિકેડ્સ હટાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોને વેરવિખેર કરવા માટે પોલીસે ટિયરગેસના ગોળા છોડવામાં આવ્યા છે.

શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી છે. ટિયરગેસનો મારો ચલાવવામાં આવ્યો છે.  છેલ્લા આઠ મહિનાથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો ફરી એક વાર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 101 ખેડૂતોનું જૂથ બપોરે એક વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું છે. ખેડૂતોના આંદોલનને જોતા હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર સુરક્ષા કડક કરી દીધી હતી.જોકે શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં જ મામલો બીચક્યો હતો. તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટિયરગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.

ખેડૂતોના દેખાવો પર ટિપ્પણી કરતાં હરિયાણાના મંત્રી અનિલ વિજે સવાલ કર્યો કે શું ખેડૂતોએ મંજૂરી લીધી હતી? તેમને મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? જો મંજૂરી મળશે તો જ તેમને દિલ્હી જવા દેવામાં આવશે.

 

 

 

 

 

 

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા વચ્ચે કપલની સેલ્ફી વાયરલ

મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી જોરશોરમાં હતા. બચ્ચન પરિવારમાં અણબનાવ છે અને ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના સંબંધોમાં તણાવ છે તેવી ચર્ચા બધે જ હતી. અત્યાર સુધી બંને દરેક જગ્યાએ અલગ-અલગ જોવા મળતા હતા. કોઈ પણ ફંક્શન હોય કે ઈવેન્ટ, ઐશ્વર્યા-અભિષેક દરેક જગ્યાએ અલગ-અલગ હાજરી આપતા જોવા મળ્યા હતા. બંનેએ એકસાથે ક્લિક કરેલા ફોટો પણ નથી મળ્યા. પરંતુ, હવે બોલિવૂડ કપલનો એક એવો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને જે લોકો કહે છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે ઓલ ઈઝ વેલ છે.

ઐશ્વર્યા-અભિષેક તાજેતરમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટની બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેનો આ ફોટો સામે આવ્યા બાદ તેમના છૂટાછેડાની અફવાઓ પણ ફગાવી દેવામાં આવી રહી છે. ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં અભિષેક-ઐશ્વર્યા સાથે સેલ્ફી લેતા જોવા મળી શકે છે. આ ફોટો સામે આવ્યા બાદ કપલના ફેન્સ ખૂબ જ ખુશ છે.

ખેડૂતોને વિના ગિરવી મળશે બે લાખની લોનઃ RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિર્ણયો  જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા છે. તેમણે વિના કોઈ ગેરન્ટીએ કૃષિ લોનની મર્યાદા વધારીને રૂ. બે લાખ કરી દીધી છે. એ પહેલાં એ મર્યાદા રૂ. 1.6 લાખ હતી.

તેમણે આ નિર્ણય કૃષિના પડતર ખર્ચાઓ અને મોંઘવારીને ધ્યાનમાં રાખતાં લીધો છે, જેનાથી નાના અને સીમાંત ખેડૂતોને વધુ લોન ઉપલબ્ધ થઈ શકે. જોકે એના માટે જરૂરી દસ્તાવેજ ખેડૂતોએ આપવા પડશે, જેમાં પેન કાર્ડ, આધાર કાર્ડ અને કૃષિથી સંકળાયેલા દસ્તાવેજ છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે RBIએ એગ્રી સ્ટેક યોજના હેઠળ ડિજિટલ બેઝ ખેડૂત નોંધણીપત્રક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂત નોંધણી પત્રક તૈયાર થયા પછી ખેડૂતોને PM કિસાન યોજના, પાક લોન માટે ક્રેડિટ કાર્ડ, એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને કૃષિ વિકાસની સાથે અન્ય લોન પણ ખેડૂતોને બહુ સરળતાથી મળશે.RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કરેલી ધિરાણ નીતિમાં સતત 11મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ રાખ્યો છે. રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (CRR)ને 50 બેઝિસ પોઇન્ટ ઘટાડીને ચાર ટકા કર્યો છે.  પોલિસી પર MPCનું ‘NEUTRAL’ વલણ અકબંધ છે. RBIએ રેપો રેટ 6.50 ટકા, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 6.75 ટકા પર જાળવી રાખ્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે.

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો

ડિસેમ્બર છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થાનોએ હજુ શિયાળો જામતો નથી. ગુરૂવારેના અમદાવાદમાં 19 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.8 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં સળંગ ત્રીજી રાતે 19 ડિગ્રીથી વઘુ લઘુતમ તાપમાન નોંધાયું હતું.  આ ઉપરાંત નલિયામાં 11.5 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી,રાજકોટમાં 16.8 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, ભાવનગરમાં 20.6 ડિગ્રી, અમરેલીમાં 20.8 ડિગ્રી અને સુરતમાં 23 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે.

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ઠંડક સાથે શીત લહેર વ્યાપી જવા પામી હતી. ગુરૂવારે (પાંચમી ડિસેમ્બર) ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં ક્યાંક છાટણા તો ક્યાંક ઝરમરીયા સ્વરૂપેનો વરસાદ પડતા માર્ગો ભીના થયા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ અને સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરુવારે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા. કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શાકભાજી, ધાન્ય સહીત ફળફળાદિ પાકોને જંગી નુકસાનની ભીતિને કારણએ ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ફરી વળ્યાં છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે.  આઠમી ડિસેમ્બર સુધી ત્યાં લઘુતમ તાપમાન પણ નોંધાઈ શકે છે. જોકે, 10મી ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે અને મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.

Opinion: શું હિન્દુઓએ વધારે બાળકો પેદા કરવા જોઇએ?

વિકાસની હરણફાળ ભરી રહેલા ભારતની અર્થવ્યવસ્થા હાલ પાંચમા નંબરે આવી પહોંચી છે. વિકાસ થયો છે તો સાથે લોકોની સંખ્યા પણ વધી છે. 2023માં ભારત આખા વિશ્વને પાછળ છોડી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો.

આપણા દેશમાં ‘અમે બે અમારા બે’ સૂત્ર સાથે પરિવારમાં બે બાળક રાખવાની અપીલ કરવામાં આવી, પરંતુ હમણાં RSSના વડા મોહન ભાગવતનું એ મતલબનું નિવેદન ચર્ચામાં છે કે, હિન્દુઓએ બેથી વધુ બાળકો પેદા કરવા જોઇએ.

એક તરફ દેશ કુપોષણ અને રોજગારીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ એક જ પરિવારમાં બેથી વધુ બાળકો પેદા કરવાની આ વાત પર દેશમાં અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે. કોઇ કહે છે કે, વસ્તી નહીં વધારાય તો હિન્દુઓ ભવિષ્યમાં લઘુમતીમાં આવી જશે અને એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થશે તો એની સામે કોઇ એવી દલીલ કરે છે કે, હિન્દુઓએ વસ્તીની ચિંતા કરવાના બદલે દેશમાં હાલ કુપોષણ, રોજગારી સહિત પાયાની માનવીય સુવિધા તરફ ધ્યાન આપવાની જરૂર છે.

આવો જાણીએ, સમાજના વિવિધ ક્ષેત્રના લોકો શું કહે છે આ બાબતે…

પ્રો. આત્મન શાહ, અર્થશાસ્ત્ર વિભાગ, સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ

“ભારતની વસ્તી હાલની તકે 140 કરોડને પાર પહોંચી ગઈ છે. હવે એમાં પણ જો વસ્તી વધારાની વાત કરો તો, તેની સામે ગુણવત્તાયુક્ત રોજગારી, મેડિકલ સુવિધા, શિક્ષણ સુવિધા ઊભી કરવી પડે. જેના માટે સરકારે ખુબ મોટું મૂડીરોકાણ કરવાની જરૂર પડે. પરંતુ જો આ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વિના બાળકોની સંખ્યા વધી તો શું બાળકોનું ભવિષ્ય સુઘડ બનશે? ભારતમાં ઘણાં લોકો છે જેના માટે એક બાળકનો ખર્ચ પણ મોંઘો પડે છે. વધતા શહેરીકરણ અને મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિક શું ત્રણ બાળકોની જવાબદારી ઉપાડી શકશે? મારા મત પ્રમાણે વસ્તીનીતિને કોઈ ધર્મ કે સમાજને ધ્યાનમાં રાખીને નહિ પરંતુ વસ્તીની સામાજીક અને આર્થિક પરિસ્થિતિ જોઈને જ નક્કી કરી શકાય.”

ડો.સુનિલ શાહ, સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ

“રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા તમામ સ્ટેટમેન્ટ સામાજિક છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈપણ વધુ ફરક પડતો નથી. આમ જોવા જઈએ તો બે બાળક કરો કે ત્રણ, મહિલાઓમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થતો નથી. જ્યારે પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય તો કોઈ ફરક નથી પડતો. પરંતુ આપણે ત્યાં મધ્યમ વર્ગનું પ્રમાણ મોટું છે. ગરીબ કે નીચલા મધ્યમ વર્ગના પરિવારોમાં પોષણ, લોહીની ટકાવારી અને વિટામીન જરૂરિયા કરતા ઓછા પ્રમાણમાં હોય છે. એટલા માટે તંદુરસ્તીને ધ્યાને રાખી ઓછા બાળકો હોય તો વધુ સારું. જો માતા પિતાની સારી તંદુરસ્તી હોય તો બાળકોની સંખ્યાથી ફરક નથી પડતો.”

ડૉ. શીતલ પંજાબી, શાશ્વત ફાઉન્ડેશન, અમદાવાદ

“એ વાત સાચી કે, ભારતની વસ્તી કંટ્રોલમાં રાખવા માટે બે બાળકો જ કરવા જોઈએ છે. પરંતુ વિસરતા સમાજે ધાર્મિક દ્રષ્ટિને ધ્યાને રાખી અને જે લોકો સધ્ધર હોય તેવા લોકો માટે ત્રણ બાળકો આવકાર દાયક છે. મારૂં એવુ માનવુ છે કે આપણે જો વધુ બાળક ન કરીએ તો કોઈક બીજી રીતે ભારતના વિકાસમાં આપણું યોગદાન આપીએ. હાલના સમયમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલા લોકો એક બાળક કરવાનું પસંદ કરે છે, જ્યારે એક બાળકથી વધુ બાળક ન કરવા હોય ત્યારે આપણે સ્ત્રીબીજ અને પુરુષ બીજદાન કરવા જોઈએ, અને ભારતના વિકાસમાં આપણું યોગદાન આપવું જોઈએ.”

તૃપ્તિ બિમલ ગંધા, નાગરિક, અમદાવાદ

“હાલ પરિસ્થિતિ પ્રમાણે ત્રણ બાળકો સામાન્ય નાગરિકને ના પોસાય, હા એ વાત છે કે એક બાળકની કંપની માટે બીજા માટે વિચારી શકાય. પરંતુ અત્યારની મોંઘવારી પ્રમાણે જરૂરિયાતના હોય તો ત્રણ બાળકો ના જ કરવા જોઈએ. જો ત્રણ બાળકો હશે તો માતા અને પિતાના પ્રેમના પણ વધુ ભાગલા પડી જાય. અત્યારના સમયમાં એક બાળકના એજ્યુકેશનનો ખર્ચ ઉઠાવો પણ આકરો પડતો હોય, ત્યારે ત્રણ બાળકોના એજ્યુકેશન ખર્ચને કેમ પહોંચી વળવા? આ ઉપરાંત હવે સંયુક્ત કુટુંબ રહ્યા નથી અને વિભાજીત કુટુંબમાં ત્રણ બાળકોનો ઉછેર કરવો મુશ્કેલ બને. એટલા માટે મારા મત મુજબ એક કે બે બાળક કરવા જોઈએ.”

(તેજસ રાજપરા, અમદાવાદ)