Home Blog Page 1226

GGના બે કોચ અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાતે

અમદાવાદઃ ગુજરાત જાયન્ટ્સ (GG)ના હેડ કોચ માઇકલ ક્લિન્ગર અને બોલિંગ કોચ પ્રવીણ તામ્બેએ અમદાવાદ શાંતિગ્રામમાં અદાણી સ્પોર્ટ્સલાઈન ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. એકેડમીમાં કોચની આ પ્રથમ મુલાકાત હતી. અદાણી એકેડમીમાં છથી 21 વર્ષની વયના 100 જેટલા ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. પ્રેક્ટિસ કરતા યુવા ખેલાડીઓની પ્રેક્ટિસ જોઈ એમણે ભવિષ્યના ક્રિકેટર સાથે ચર્ચા પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયન કોચ ક્લિન્ગરે આ મુલાકાત અંગે કહ્યું હતું કે અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમીઝમાં સુવિધાઓ શાનદાર છે. યુવા ટેલેન્ટને તૈયાર કરવા માટે તમામ સુવિધાઓને કાળજીપૂર્વક મેઇન્ટેઇન કરવાથી લઈ એડવાન્સ ટ્રેનિંગ સાધનો સુધી તમામ પાસાં પર અહીં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. યુવા ખેલાડીઓ અને એથ્લિટ્સ સાથે વાત કરવાનો આનંદ થયો. આ ખેલાડીઓ આવનારા સમયમાં પ્રદર્શન સાથે મોટા સ્તરે પહોંચશે. આશા છે તેઓ આગામી સમયમાં ગુજરાત જાયન્ટ્સ અને કદાચ ભારતીય ટીમનું પ્રતિનિધિત્ત્વ કરશે.

ક્લિન્ગરના નિવેદનને સમર્થન આપતાં કોચ પ્રવીણ તામ્બેએ કહ્યું હતું કે અદાણી સ્પોર્ટ્સલાઈન એ એકેડમીઝ માટેના માપદંડ ઉચ્ચ સ્તરે પહોંચાડ્યા છે. અહીં રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ ખેલાડીઓના વિકાસ અને પ્રદર્શનને ઉચ્ચ સ્તરે પહોંચવા અનુરુપ માહોલ તૈયાર કરે છે. આ સેન્ટર ઓફ એક્સેલેન્સમાં જોવા મળી રહેલી મહેનત, જુસ્સા અને રમત સંબંધિત બારીકાઈ એ ઘણા માટે પ્રેરણારૂપ છે.

યુવા ખેલાડીઓ માટે બંને કોચની આ મુલાકાત એક અનોખી તક સમાન છે. ખેલાડીના વાલીએ આ અંગે જણાવ્યું હતું કે આ એકેડમીમાં ખેલાડીઓ માટે શાનદાર અનુભવ રહ્યો. તેમની પાસે શાનદાર અનુભવ અને રમતનું જ્ઞાન છે, તેમના થકી રમત અંગેની જે સમજ બાળકોને મળી હશે તે તેમના કરિયરને આગળ વધારવા અને શીખવા માટે ઘણી મદદરૂપ રહેશે.

શાંતિગ્રામની એકેડમી અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા સંચાલિત એકેડમી છે. જેના અમદાવાદમાં બે અન્ય ટ્રેનિંગ સેન્ટર છે. છેલ્લાં અમુક વર્ષોમાં આ વ્યવસ્થા વિવિધ રમતોમાં યુવા એથ્લિટ્સને ટ્રેનિંગ આપવા માટે મજબૂત ટ્રેનિંગ કેન્દ્ર તરીકે ઊભરી આવ્યાં છે. અદાણી એકેડમી એ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જ્યાં અનુભવી પ્રોફેશનલ્સ દ્વારા ખેલાડીઓને સ્કિલ્સને વધુ મજબૂત કરવાની તક મળે છે.

બોલિવૂડના આ અભિનેતાને CM અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પદની મળી હતી ઓફર

મુંબઈ: વર્ષ 2020માં આખી દુનિયાએ દુર્ઘટનાનો સામનો કર્યો. કોવિડ લોકડાઉન દરમિયાન દેશભરના પરપ્રાંતિય મજૂરો અને જરૂરિયાતમંદોને તમામ મૂળભૂત જરૂરિયાતો માટે તડપવું પડ્યું હતું. ત્યારે બોલિવૂડના એક અભિનેતા પણ મસીહા બનીને લોકોની સામે આવ્યા અને મજૂરોની મદદ કરી હતી. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ સોનુ સૂદ છે, જે અભિનેતા ભારત અને વિદેશમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી. ફૂડ પેકેટથી માંડીને બસો દોડાવવા સુધી તે દરેક શક્ય પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. આજે પણ અભિનેતા એ જ રીતે લોકોને મદદ કરતા રહે છે.

એવી ઘણી અટકળો હતી કે સોનુ સૂદ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ અભિનેતાએ હંમેશા આવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને સામાજિક કાર્યમાં વ્યસ્ત રહ્યા. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે અભિનેતાઓ રાજકીય મહત્વાકાંક્ષાઓને કારણે સામાજિક કાર્યો કરે છે, આ દાવાઓ પણ અત્યાર સુધી પોકળ સાબિત થયા છે. હવે ટૂંક સમયમાં સોનુ સૂદ લાંબા સમય બાદ ફિલ્મોમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે તેની નવી ફિલ્મ ‘ફતેહ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે જે ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. તેના પ્રમોશન દરમિયાન અભિનેતાને ફરી એકવાર રાજકારણમાં જોડાવા વિશે પૂછવામાં આવ્યું.

સોનુ સૂદે હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરી અને કહ્યું,’મને પણ સીએમ બનવાની ઓફર મળી છે. જ્યારે મેં ના પાડી તો તેણે કહ્યું, ડેપ્યુટી સીએમ તો બનો. એ બધા બહુ મોટા માણસો હતા. આ સિવાય મને રાજ્યસભાના સભ્ય બનવાની ઓફર પણ મળી હતી. મને રાજ્યસભા લેવાનું કહેવામાં આવ્યું હતું. તમે આવો, તમારે રાજકારણમાં આવવા માટે લડવાની શું જરૂર છે. તે ખૂબ જ રોમાંચક સમય હોય છે જ્યારે મોટા લોકો તમને મળવા માંગે છે અને તમને આ દુનિયામાં કંઈક અલગ કરવા માટે કહે છે.’

આ કડીમાં સોનુ સૂદે આગળ કહ્યું, ‘જુઓ, જ્યારે તમે લોકપ્રિય થવાનું શરૂ કરો છો, ત્યારે તમે ઊંચાઈને સ્પર્શવાનું શરૂ કરો છો. ત્યાં હંમેશા ઓક્સિજનનો અભાવ હોય છે. આપણે ઉપર જવા તો માંગીએ છીએ, પરંતુ ત્યાં હંમેશા ઓક્સિજનની અછત રહે છે. આવી સ્થિતિમાં પણ તમે કેટલા શ્વાસ લઈ શકો છો તે મહત્વનું છે. મને કોઈએ કહ્યું, ‘યાર, આટલા મોટા લોકો તમને ડેપ્યુટી સીએમ, સીએમ ઓફર કરે છે, તમે હા કેમ નથી બોલતા?’ શું તમે જાણો છો કે તમારી ઇન્ડસ્ટ્રીના કેટલા મોટા કલાકારો આ વિશે વિચારી પણ શકતા નથી અને તમે મળેલી ઓફરને નકારી રહ્યા છો?

સોનુ સુદે કારણ સ્પષ્ટ કર્યુ

સોનુ સૂદે પણ રાજકારણમાં ન આવવાના કારણ વિશે વધુ વાત કરતા કહ્યું, ‘હું કહું છું કે લોકો બે બાબતો માટે રાજકારણમાં જાય છે. એક પૈસા કમાવવા માટે, બીજું સત્તા મેળવવા માટે. હું બંને માટે પાગલ નથી. જ્યાં સુધી મદદ કરવાની વાત છે, હું કોઈપણ લોભ વગર કરી રહ્યો છું. મને ખબર નથી કે હું તે દુનિયામાં કેટલો આરામદાયક હોઈશ. કાલે ઉપરથી કોઈ મને કહેશે કે ભાઈ, એ કામ ના કરો, તમે કોઈને મદદ ન કરી શકો તો હું ત્યાં જ રોકાઈ જઈશ. અત્યારે હું કોઈને પૂછતો નથી, હવે જો મારે કોઈને મદદ કરવી હોય તો હું કરું છું, પછી ભલે તે ગમે તે જ્ઞાતિનો હોય, તેની ભાષા કોઈ પણ હોય, તેનો ધર્મ કોઈ પણ હોય, હું પૂછતો પણ નથી, હું મારી યથાશક્તિપ્રમાણે હું મદદ કરું છું. બની શકે કે કાલે કોઈને જવાબ આપવા પડે, તો હું એ વસ્તુથી ડરી જઈશ અને હું મારી સ્વતંત્રતા ગુમાવીશ.’

વધુમાં સોનુ સૂદે ઉમેર્યુ કે,’મારી પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા હશે, મારી પાસે દિલ્હીમાં ઘર હશે, મારી પાસે પોસ્ટ હશે. કોઈએ કહ્યું હતું કે તમને એક લેટર હેડ મળશે જેના પર સરકારી સ્ટેમ્પ છે, તેની અંદર ઘણી શક્તિ છે. મેં કહ્યું કે ભાઈ સારું લાગે છે, સાંભળવું ગમે છે, પણ હું અત્યારે તૈયાર નથી. કદાચ થોડા વર્ષો પછી હું આ માટે સંમત થઈશ, મને ખબર નથી.’

 

મલાઈકા અરોરાએ અર્જુન કપૂર પર નિશાન સાધ્યું

મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરવા લાગી હતી. આ કપલનું નામ તે બોલીવુડ સ્ટાર્સની યાદીમાં સામેલ હતું, જેમની ઉંમરનો તફાવત હંમેશા સમાચારોમાં રહેતો હતો. જો કે, મલાઈકા અને અર્જુનનો સંબંધ વર્ષ 2024માં તૂટી ગયો હતો.

અર્જુન અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેઈનમાં જોવા મળ્યો હતો અને તેણે ફિલ્મના પ્રમોશન દરમિયાન સિંગલ હોવાનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ, મલાઈકા સંબંધો વિશે ખુલીને વાત કરવાનું ટાળે છે. જોકે, હવે અભિનેત્રીએ બ્રેકઅપ બાદ પહેલીવાર અર્જુન કપૂરના નિવેદન વિશે વાત કરી છે.

આગળ વધો અને નવા વર્ષનું સ્વાગત કરો

એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કહ્યું, ‘હું ક્યારેય જાહેર મંચ પર મારા અંગત જીવન વિશે વાત કરવા માંગતી નથી. અર્જુને જે પણ કહ્યું છે તે સંપૂર્ણપણે તેની ઈચ્છા છે અને હું તેના પર કંઈ કહેવા માંગતી નથી. મલાઈકાએ પોતાના નિવેદનના અંતમાં કહ્યું કે, ગત વર્ષના પડકારો બાદ હવે નવા વર્ષ સાથે આગળ વધવાનો સમય આવી ગયો છે. દરેકને આગળ વધવા દો અને નવા વર્ષનું સ્વાગત કરીએ, જે જીવનમાં નવી શરૂઆતનો સંકેત આપે છે.

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરના દિવાળી ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં લોકો મલાઈકા અરોરાનું નામ લેતા જોવા મળ્યા હતા. તેના જવાબમાં અર્જુને કહ્યું, ‘હું સિંગલ છું. તમે બધા આરામ કરો. આ પહેલી વાર હતું જ્યારે બધાએ અર્જુન-મલાઈકાના બ્રેકઅપનો અંદાજ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે હવે બંનેએ અલગ થવાની વાત સ્વીકારી લીધી છે. ઉપરાંત, અર્જુન અને મલાઈકા હવે સાથે જોવા મળતા નથી.

IND vs AUS: મેદાનમાં કોહલીની ફરી બબાલ!, જુઓ વિડીયો

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યું હતું. ઈન્ડિયાની ટીમ સામે ઓસ્ટ્રેલિયાન નવી ઓપનિંગ જોડી સેમ કોન્સ્ટાસને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો. તેની પહેલી જ મેચમાં સેમની ટક્કર ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સાથે થઈ હતી. આ મેચથી ફરી એક વખત વિરાટ કોહલીનું નામ ચર્ચામાં આવ્યું છે. જ્યાં વિરાટ અને સેમ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો છે.

આજે મેલબોર્ન ટેસ્ટનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે સેમ કોન્સ્ટાસે શાનદાર બેટિંગ કરી હતી. સેમે ભારતીય ઝડપી બોલરો સામે ઘણા રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને સેમ વચ્ચે પહેલા દિવસે થોડી બોલાચાલી થઈ હોવાનો વીડિયો ખુબ ઝડપી વાયરલ થયો છે. ખરેખર ઇનિંગની 10મી ઓવર દરમિયાન, જ્યારે વિરાટ કોહલી આ યુવા બેટ્સમેન પાસેથી પસાર થયો, ત્યારે તેમના ખભા અથડાયા, ત્યારબાદ બંને વચ્ચે ટૂંકી બોલાચાલી થઈ અને અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે સેમ કોન્સ્ટાસે ખૂબ જ ઝડપી રન બનાવ્યા હતા. ભારતના ઝડપી બોલરો માટે આ યુવા ખેલાડીને આઉટ કરવો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. ખાસ કરીને જસપ્રીત બુમરાહ સામે તેણે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. સેમે બુમરાહની એક જ ઓવરમાં 18 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ દાવમાં સેમ 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો.

‘કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન નહીં’, અલ્લુ અર્જુનને મળ્યા બાદ CMનું નિવેદન

હૈદરાબાદ: તેલંગણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી અને ટોલીવુડ ઉદ્યોગના નિર્દેશકો, નિર્માતાઓ અને કલાકારો વચ્ચે 26 ડિસેમ્બરે હૈદરાબાદના બંજારા હિલ્સમાં તેલંગણા રાજ્ય પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. સંધ્યા થિયેટર નાસભાગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, સીએમ રેડ્ડીએ ટોલીવુડ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ફિલ્મ નિર્માતા સુરેશ બેબી, કેએલ નારાયણ, દામોધર, બીવીએસએન પ્રસાદ, ચિન્ના બાબુ, સુધાકર રેડ્ડી, ફિલ્મ દિગ્દર્શક કોર્ટલા સિવા, અનિલ રવિપુડી, કે રાઘવેન્દ્ર રાવ, પ્રશાંત વર્મા, નાગાર્જુન, શિવા બાલાજી અને વેંકટેશ તેલંગાણાના મુખ્યમંત્રીને મળવા ICCC પહોંચ્યા હતા.

ટોલીવુડના દિગ્ગજ કલાકારો સીએમ રેવન્ત રેડ્ડીને મળ્યા

‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ બાદ અલ્લુ અર્જુન ચર્ચામાં છે. હવે અલ્લુ અર્જુન સિવાય પણ ઘણા મોટા નામો સીએમ રેવંતને મળ્યા અને આ બાબતે વાત કરી. ટોલીવુડ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (FDC) ના પ્રમુખ દિલ રાજુ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન નાગાર્જુન, વરુણ તેજ, ​​સાંઈ ધરમ તેજ, ​​કલ્યાણ રામ, શિવ બાલાજી, અદાવી શેષ અને નીતિન જેવા સ્ટાર્સ પણ હાજર હતા. કોરાતલા સિવા, અનિલ રવિપુડી, સાઈ રાજેશ સહિતના દિગ્દર્શકો અને સુરેશ બાબુ, દામોધર, અલ્લુ અરવિંદ, બીવીએસએન પ્રસાદ, ચિન્ના બાબુ જેવા નિર્માતાઓએ પણ આ ખાસ બેઠકમાં હાજરી આપી હતી.

સંધ્યા થિયેટર નાસભાગ મામલે સીએમ રેવંતનું નિવેદન

સીએમ રેવન્ત રેડ્ડીએ મીટિંગમાં સ્પષ્ટ કર્યું છે કે બેનિફિટ શોને મંજૂરી આપવામાં આવશે નહીં. બાઉન્સરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાહકોને નિયંત્રિત કરવાની જવાબદારી સ્ટાર્સની છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવું પડશે. ચંદ્ર બાબુ નાયડુના સમયમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. એ જ રીતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવું જોઈએ. આ અંગે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક દિગ્ગજ લોકોએ કહ્યું કે ફિલ્મને ફર્સ્ટ ડે શો અને બેનિફિટ શોથી સૌથી વધુ ફાયદો થાય છે.

સીએમ રેવન્ત રેડ્ડીનું વિઝન

તેલુગુ ફિલ્મોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સારું નામ મેળવવું જોઈએ. આ અંગે પગલાં લેવા જોઈએ. ચાલો આપણે હોલીવુડ ફિલ્મોની જેમ કેવી રીતે કામ કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ડ્રગ્સ સામે ઝુંબેશ કરીએ. પોલીસ તરફથી કેવા પ્રકારના સહકારની જરૂર છે તે અંગે સ્પષ્ટ વાત થવી જોઈએ. બેનિફિટ શો અને ટિકિટના ભાવ ઓછા કરવા જોઈએ

કેનેડાના નવા નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને થશે મુશ્કેલી!

કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારોની જાહેરાત કરી છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ બની શકે છે. જસ્ટિન ટ્રુડો સરકારે તેની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં સુધારો કર્યો છે, જે 2025થી અમલમાં આવશે.  નવા નિયમો હેઠળ, જો ઉમેદવારોને નોકરીની ઓફર કરવામાં આવે તો તેમને વધારાના ગુણ નહીં મળે. કેનેડા સરકારનો દાવો છે કે લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA)ની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે આ ફેરફાર ઈમિગ્રેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને પ્રમાણિક બનાવશે. વધુમાં, તે સુનિશ્ચિત કરશે કે કેનેડાને કુશળ કામદારો મળવાનું ચાલુ રહેશે.

LMIA અને નવા ફેરફારોની અસર

LMIA એક પરમિટ છે જે ઉમેદવારોને કેનેડામાં નોકરી મેળવવામાં મદદ કરે છે. જો કે, નવા નિયમો તમામ અરજદારોને લાગુ પડશે. જે અરજદારોને પહેલાથી જ અરજી કરવા માટે આમંત્રણ મળ્યું છે તેઓને આની અસર થશે નહીં.

એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં શું બદલાવ આવશે?

કાયમી નિવાસ માટે કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ એ મુખ્ય ઇમિગ્રેશન પ્રક્રિયા છે. આ સિસ્ટમ ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, ફેડરલ સ્કિલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ જેવા પ્રોગ્રામનું સંચાલન કરે છે. આ સિસ્ટમ હેઠળ, ઉમેદવારોની પસંદગી ગુણના આધારે કરવામાં આવે છે. અગાઉ, ઉમેદવારોને નોકરીની ઓફર કરવામાં આવે તો તેમને વધારાના ગુણ આપવામાં આવતા હતા. હવે આ સુવિધા હટાવવાથી તે ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે જેઓ કેનેડામાં નોકરી દ્વારા કાયમી નિવાસ મેળવવા માંગે છે.

દેશમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘પુષ્પા 2’

નવી દિલ્હીઃ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’નો 21માં દિવસે પણ બોક્સઓફિસ પર દબદબો છે. આ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લેતી. એની આગળ ‘બેબી જોન’ અને ‘મુફાસા’ જેવી ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ એની કમાણી પર આ ફિલ્મની રિલીઝની કોઈ અસર નથી પડી, પણ આ ફિલ્મોની કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે.

હવે આવામાં ‘પુષ્પા 2’એ બોક્સ ઓફિસ પર એક વધુ ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે દેશમાં રૂ. 1100 કરોડની કમાણી કરનાર પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે.  સૈકનિકના રિપોર્ટ અનુસાર ‘પુષ્પા 2’ ભારતમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. ફિલ્મને ક્રિસમસનો ફાયદો મળ્યો છે અને અત્યાર સુધીમાં ફિલ્મે ભારતમાં કુલ 1109.85 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે હિન્દીમાં રૂ. 716.65 કરોડની કમાણી કરી છે.

‘પુષ્પા 2’એ ઓપનિંગ ડે પર હિન્દીમાં શાહરુખ ખાનની જવાનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 70 કરોડનો બિઝનેસ કરીને રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. આ મુવીએ પહેલી વીકએન્ડ પર રૂ. 500 કરોડથી વધુનું કલેક્શન પણ કરી લીધું હતું. એણે પહેલા જ વીકમાં રૂ. 725.8 કરોડની કમાણી કરી લીધી હતી અને હિન્દીમાં રૂ. 425.1 કરોડનું કલેક્શન પણ કરી લીધું હતું.

‘પુષ્પા 2’ને લઈને વિરોધાભાસ

‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુન પણ એક વિવાદમાં ફસાયેલો છે. અલ્લુ અર્જુનની હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગને કારણે એક મહિલાના મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછી તેને જામીન મળી ગયા. જોકે ઓર્ડર મોડો આવતાં અભિનેતાને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. અલ્લુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘પુષ્પા 2’ની ટીમે પીડિત પરિવારને મદદ તરીકે 2 કરોડ રૂપિયા આપ્યા છે. અલ્લુએ 1 કરોડની સહાય કરી છે, મૈત્રી મૂવી મેકર્સ દ્વારા 50 લાખ અને ફિલ્મના ડિરેક્ટર સુકુમાર દ્વારા 50 લાખ આપવામાં આવ્યા છે.

સુરતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે એક લાખથી વધુ યુવાનો હનુમાન ચાલીસાનાં પાઠ કરશે

સુરત: મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા એક નવીન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રુક્ષ્મણી ચોક પાસે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એક લાખથી વધુ લોકો બેસી શકે એવા વિશાળ પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો ધ્યેય નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોના આર્થિક સહાયનો છે.આ જ સ્થળે 28મી ડિસેમ્બરથી 3જી જાન્યુઆરી એમ સાત દિવસ સુધી દરરોજ રાત્રે 8 થી 11.30 વાગ્યા સુધી સાળંગપુર ધામના અથાણાવાળા હરિપ્રસાદ સ્વામી લાખો ભક્તોને કથાનું રસપાન કરાવશે. આ સિવાય સાતેય દિવસ વિવિધ કાર્યક્રમો પણ યોજવાના છે. ૨૮મી ડિસેમ્બરના રોજ બપોરના ૩:૦૦ વાગ્યે પોથીયાત્રા યોગીચોકથી નીકળશે.31મી ડિસેમ્બરના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી થવાની છે. જેમાં એક લાખથી વધારે યુવાઓ 31’stની પાર્ટીને સાઈડમાં મૂકીને હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ જ દિવસે 151 કિલોની હનુમાન દાદાની ગદાના આકારની કેક બજરંગ બલીને ધરાવવામાં આવશે.ભવ્ય ફ્રૂટ ઉત્સવનું આયોજન તા. 1 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં 11,000 કિલો ફ્રૂટ દાદાને ધરાવાશે.મારુતિ ધુન મંડળ યુવા ગ્રુપ દ્વારા 2025ના નવા વર્ષે 2,000થી વધુ નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ વિનામૂલ્યે મળી શકે તેવા હેતુથી આ કથાનું આયોજન થઈ રહ્યું છે.સાળંગપુર ધામના કષ્ટભંજન દેવ હનુમાનદાદાના સુપ્રસિદ્ધ મંદિરને કથા સ્થળ પર આબેહૂબ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવ્યું છે. સાતેય દિવસ કષ્ટભંજન ભક્તો સાળંગપુર જઈ શકતા નથી. એ ભક્તો કથા સ્થળ પર સાળંગપુરના મંદિરે દાદાના દર્શન કરીને હનુમાન ચાલીસા યુવા કથાનો લાભ લઈ શકશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

પાટણ યુનિવર્સિટીમાં પોલીસ ઘર્ષણ કેસમાં MLA કિરીટ પટેલ સહિત 21ની અટકાયત

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂકાંડ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ કોંગ્રેસ અને NSUIના આગેવાનો દ્વારા ભૂખ હડતાલ, ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આયોજન માટે કોઇપણ જાતની પરવાનગી લીધી ન હતી. જેથી પોલીસ જાહેરનામાનો ભંગ કરવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 14 આગેવાનોની અટકાયત કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કેસમાં આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન હાજર થયા હતા, ત્યારે પોલીસ 21 લોકોની અટકાયત કરી વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોર્ટ તરફથી જામીન મળવામાં વિલંબ થતાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પોલીસ સમક્ષ હાજર થયા હતા. હાલ જ્યુડિશલ કોર્ટમાં જામીન અરજીનો મામલો ચાલી રહ્યો છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બાસ્કેટ બોલના ખેલાડીઓએ રાતના સમયે હોસ્ટેલમાં દારૂ પાર્ટી કરી હતી. આ દરમિયાન હોસ્ટેલના રેક્ટરે ચેકિંગ કરતાં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હતા અને ખેલાડીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ, કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનોએ  ભૂખ હડતાલ, ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. જો કે આ કાર્યક્રમનું આયોજન કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કરવામાં આવ્યું હતું. જેથી પોલીસે તેમના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો. તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. એવામાં એક કાર્યકરે ધારાસભ્યની કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો ઝીંકી દીધો હતો. જેને કારણે આ મામલાએ મોટું સ્વરુપ ધારણ કર્યુ હતું.  આ મામલે 14ના નામ જોગ તેમજ 200 લોકોના ટોળા સામે પોલીસ કર્મચારીઓ પર હુમલા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ‘કાંકરિયા કાર્નિવલ-24’નો પ્રારંભ કરાવ્યો

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૪’ ના પ્રારંભ કરાવ્યો હતો. આ ખાસ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘વિરાસત ભી વિકાસ ભી’ ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે.

અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ. ૮૬૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે, શ્રધ્ધેય અટલજીના ૧૦૦માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.

રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણાં શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનની નેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રૂ.૮૬૮ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.