Home Blog Page 1151

VIDEO: ઉજ્જવળ ભવિષ્યની આશાએ આવેલા લોકો સાથે આતંકી જેવું વર્તન

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે.

મસ્કની મશ્કરી કોમેન્ટ

જો કે બીજી તરફ વ્હાઈટ હાઉસે હવે બેશરમ થઈને ડિપોર્ટ કરવાની આખી પ્રોસેસનો વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં ઈલિગલ ઈમિગ્રન્ટસને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ખુંખાર અપરાધીઓની જેમ જ તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે.  વીડિયોમાં ઈમિગ્રન્ટ્સને અમેરિકાના અધિકારીઓ એક આતંકી કે અપરાધી તરીકે સાંકળમાં જકડતાં દેખાય છે. ઈલોન મસ્ક જાણે આ આખી પ્રોસેસની મજા લઈ રહ્યા હોય તેમ, આ વિડીયોને રિટ્વટ કરતા લખે છે, “Ha Ha Wow….” અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પકડીને ત્રણ સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે.

શું છે વિડીયોમાં?

વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક પોલીસ અધિકારી એક સ્થળાંતર કરનારને દેશનિકાલ માટે તૈયાર કરતા જોઈ શકાય છે. વીડિયોમાં, અધિકારી સ્થળાંતર કરનાર વ્યક્તિને હાથકડી પહેરાવતા જોઈ શકાય છે. એરપોર્ટ પર હાથકડી અને સાંકળો રાખવામાં આવી છે.

યુએસ ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો દેશનિકાલ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ, ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગયા અઠવાડિયે, બ્લૂમબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાએ 18,000 ભારતીયોની ઓળખ કરી છે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે.

કતાર ભારતમાં $10 બિલિયનનું રોકાણ કરશે

નવી દિલ્હી: કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ-થાની નવી દિલ્હીની મુલાકાત બાદ મંગળવારે એક સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ જણાવ્યું હતું કે, કતારે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં $10 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કતારના અમીર સાથે તેમની “ખૂબ જ ફળદાયી મુલાકાત” રહી.

PM મોદીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમારી વાટાઘાટોમાં વેપાર મુખ્ય હતો. અમે ભારત-કતાર વેપાર સંબંધોને વધારવા અને વૈવિધ્યસભર બનાવવા માંગીએ છીએ.”

10 વર્ષમાં કોઈ કતારી અમીર દ્વારા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રની આ પહેલી મુલાકાત હતી. કતાર ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, લોજિસ્ટિક્સ, હોસ્પિટાલિટી અને અન્ય ક્ષેત્રોમાં $10 બિલિયનનું રોકાણ કરશે.

ભારતીય વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે, બંને દેશો આગામી પાંચ વર્ષમાં તેમના વાર્ષિક વેપારને બમણો કરીને $28 બિલિયન કરવાનો લક્ષ્યાંક રાખશે અને મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. માર્ચ 2023 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $18.77 બિલિયન હતો, જેમાં મુખ્યત્વે કતારમાંથી લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાતનો સમાવેશ થાય છે. તે વર્ષે ભારતની LNG આયાતમાં કતારનો હિસ્સો 48% થી વધુ હતો.

બંને પક્ષોએ જણાવ્યું હતું કે તેઓ દ્વિપક્ષીય ઊર્જા સહયોગ વધારવા માટે કામ કરશે, જેમાં ઊર્જા માળખાગત સુવિધાઓમાં પરસ્પર રોકાણોનો સમાવેશ થાય છે, તેમજ તેમના સંબંધિત ચલણોમાં દ્વિપક્ષીય વેપારના સમાધાન પર પણ ધ્યાન આપવામાં આવશે.

ઝારખંડમાં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ

ઝારખંડ: સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી હેમંત સોરેનના સ્વસ્થ ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી, પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ભરડામાંથી બચાવવા માટે એક ક્રાંતિકારી પહેલ છે.”

શું કહ્યું સ્વાસ્થ્યમંત્રીએ? 

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. અન્સારીએ કહ્યું, “આરોગ્ય સાથે રમત કોઈ પણ કિંમતે સહન નહીં કરવામાં આવશે નહીં. ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવાં જીવલેણ રોગો ઝડપથી વધી રહ્યા છે. આપણા યુવાનો ધીમે-ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે અને હું તેમને મારી નજર સામે મરતા ન જોઈ શકું. એક ડૉક્ટર હોવાને કારણે હું જાણું છું કે, આ ઝેર શરીરને કેટલી હદ સુધી નષ્ટ કરી શકે છે. જ્યારે જનતાએ મને આરોગ્ય મંત્રી બનાવ્યો છે, ત્યારે મારી પહેલી ફરજ તેમના જીવનનું રક્ષણ કરવાની છે.”

શું સજા થશે? 

મંત્રીએ સ્પષ્ટતા કરી કે ગુટખાનું વેચાણ, સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો કોઈ દુકાન, ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી તો કરવામાં આવશે જ, સાથે ગોડાઉનને સીલ પણ કરવામાં આવશે. આ આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

મહિલાઓની અપીલ પર નિર્ણય 

ડૉ. અન્સારીએ કહ્યું, “માતાઓ અને બહેનો સતત મને વિનંતી કરી રહી હતી કે તેમના બાળકો અને ભાઈઓ નશા-વ્યસનના ચુંગાલમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. મેં તેમનું દુઃખ સમજીને આ મક્કમ નિર્ણય લીધો. આ ફક્ત પ્રતિબંધ નથી, પરંતુ કેન્સરને કારણે પોતાના બાળકો ગુમાવનારા પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ છે.”

ટ્રમ્પે ફરી ઉઠાવ્યો ટેરિફ મુદ્દો: ભારત પાસે પૂરતા નાણાં, તો 2 કરોડ ડૉલર કેમ આપીએ?

અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 20 મિલિયન ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે? 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે 20 મિલિયન ડોલર શા માટે ચૂકવવા?

ઈલોન મસ્કે લીધો હતો નિર્ણય… 

ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરીએ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી. જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGE એ કહ્યું હતું કે, અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 20 મિલિયન ડૉલર પર કાતર ફેરવી નાખવાનો નિર્ણય કર્યો છે. 

DOGE શું છે?
હવે ચાલો સમજીએ કે DOGE શું છે? અને ટ્રમ્પના આ નવા વિભાગનું નામ ક્યાંથી આવ્યું? વાસ્તવમાં ડોગેકોઈન એક લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે અને તે 2013માં બનાવવામાં આવી હતી. તેને બિલી માર્કસ અને જેક્સન પામર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તેમાં શિબા ઇનુ કૂતરાનો ફોટો છે.

રસપ્રદ વાત એ છે કે ડોગેકોઈન એ બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ આ ક્રિપ્ટોકરન્સી વર્ષ 2021માં ચર્ચામાં આવી. તેના ચર્ચામાં આવવાનું કારણ પણ એલોન મસ્ક હતા.

તેમણે આ ચલણ વિશે ટ્વિટ કરવાનું શરૂ કર્યું અને લોકોએ તેના પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ડોગેકોઈનના લોગોને ડોગે કહેવામાં આવે છે. તેના મીમ્સ વાયરલ થયા પછી, ક્રિપ્ટોકરન્સી સમુદાયમાં લોકોનો રસ તેના પ્રત્યે વધ્યો.

ભારતને ટેરિફ કિંગ માને છે ટ્રમ્પ 

ખરેખર તો અમેરિકા ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને બે કરોડ ડોલર આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારતના આકરા  ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે.

આલૂ ભૂના મસાલા સબ્જી

બટેટાની સબ્જી ઘણી બધી વેરાયટીવાળી બની શકે છે. તેમાં જો ધાબા સ્ટાઈલ આલૂ ભૂના મસાલા સબ્જી બનાવો તો આ સબ્જી ઘરમાં બધાને માટે ઘણી જ સ્પેશિયલ બની શકે છે!

સામગ્રીઃ

  • કાંદા 2
  • ટામેટાં 3-4
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • તીખું લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • તેલ વઘાર માટે
  • દહીં 1 કપ
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • લસણની કળી 6-7
  • આદુ 2 ઈંચ
  • લીલા મરચાં 2-3

બટેટાના વઘાર માટેઃ

  • બાફેલા બટેટા 4-5
  • સિમલા મરચું 1
  • કાંદા 2
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • લીલા મરચાં 2
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન

રીતઃ  કાંદાને ઝીણાં સમારી લો. ટામેટાંની પ્યૂરી બનાવી લો.

એક બાઉલમાં દહીં વલોવી, તેમાં કાશ્મીરી મરચાં પાઉડર, તીખું લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર, જીરૂ પાઉડર મેળવીને એકબાજુએ રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવો. સમારેલાં કાંદાને ગેસની મધ્યમ આંચે સોનેરી રંગના સાંતળી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરો સાથે આદુ-લસણ પણ ઝીણાં સમારીને ઉમેરો. થોડું સાંતળી લીધા બાદ મસાલા મેળવેલું દહીં ઉમેરીને ગેસની મધ્યમ આંચે તેલ છૂટું પડે ત્યાં સુધી 15-20 મિનિટ સુધી મસાલા શેકાવા દો. ત્યારબાદ ટામેટાંની પ્યુરી ઉમેરીને ફરીથી 15 મિનિટ જેટલું સાંતળી લો. હવે તેમાં ગરમ મસાલો તેમજ કસૂરી મેથી મેળવી દો. જો ગ્રેવી ઘટ્ટ થાય તો 1 કપ જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ધીમી આંચે થવા દો.

બટેટાના વઘાર માટેઃ બીજા ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરીને તેમાં કાંદાને લાંબી ચીરીમાં સમારીને ઉમેરો તે જ રીતે સિમલા મરચાં પણ લાંબા ચીરીમાં સમારીને ઉમેરીને ગેસની તેજ આંચે 2-3 સાંતળો. હવે તેમાં બાફેલા બટેટાને ચોરસ ટુકડામાં સમારીને ઉમેરી દો. ત્યારબાદ ગરમ મસાલો, ચાટ મસાલો કસૂરી મેથી ઉમેરી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણ ટામેટાં મસાલાવાળી ગ્રેવીમાં ઉમેરી દો. જો શાક બહુ જ ઘટ્ટ હોય તો 1 કપ પાણી ઉમેરીને 2-3 મિનિટ ધીમી આંચે થવા દો.

સમારેલી કોથમીર ભભરાવીને આ શાક ગરમાગરમ ફુલકા રોટલી કે પરાઠા સાથે પીરસો. સાથે કાંદાનું સલાડ, તીખી લીલી ચટણી અને ચીલી ગાર્લિક સોસ હોય તો સ્વાદ વધી જશે.

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫

પંચાંગ 19/02/2025

મહાકુંભ માટે ઈમરજન્સી પ્લાન લાગૂ

જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેએ તેમના કટોકટી યોજનામાં ગંગા પથનો પણ સમાવેશ કર્યો છે. ગંગા કિનારે નાગવાસુકી ઢલથી તેલીયારગંજ સુધીના આ માર્ગનો ઉપયોગ ભીડને ફાફામાઉ તરફ વાળવા માટે શરૂ કરવામાં આવ્યો છે. મંગળવારે, હજારો શ્રદ્ધાળુઓને ગંગા પથ દ્વારા તેલીયારગંજ અને ત્યાંથી પોન્ટૂન બ્રિજ દ્વારા ફાફામાઉ લઈ જવામાં આવ્યા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ અહીંથી ચંદ્રશેખર આઝાદ પુલ ઉપર પણ ચઢ્યા હતા. આ વિસ્તારમાં પહેલેથી જ ભીડ હતી, છતાં સ્નાન કરીને પાછા ફરતા ભક્તોની ભીડ સતત આવવા લાગી, અને અહીં ટ્રાફિક જામ ખૂબ જ વધી ગયો.

આ પછી, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સુધી પહોંચવાની દોડ પાછળ રહી ગઈ અને મુસાફરોને પહેલા ટ્રાફિક જામમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરવો પડ્યો. ફાફામાઉના બેલા કચરમાં એક કામચલાઉ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. લખનૌ અને અયોધ્યા રૂટ માટે બસો અહીંથી ચલાવવામાં આવે છે. બહારથી આવતી રોડવેઝ બસો અહીં પાર્ક કરવામાં આવે છે અને અહીંથી શહેરમાં આવતા ભક્તોને શટલ બસો મળે છે. પરંતુ ભીડને કારણે પાર્કિંગ સુધીનો આખો વિસ્તાર ગીચ થઈ ગયો હતો. પાર્કિંગ એરિયા અને કામચલાઉ બસ સ્ટેન્ડ પર અઘોષિત બ્લોક જેવી પરિસ્થિતિ હતી.

 

સવારથી મોડી રાત સુધી વાહનો જામમાં અટવાયેલા રહ્યા. 12 કિલોમીટર ચાલવામાં મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ માર્ગ પર વાહનો ન હોવાને કારણે, વૃદ્ધો અને મહિલાઓ મદદ માંગતી રહી. અન્ય કોઈ પરિવહન વિકલ્પ ન હોવાથી, બાઇક પર સવાર યુવાનો 500 થી 1,000 રૂપિયામાં મુસાફરોને એક બાજુથી બીજી બાજુ લઈ જતા હતા.

પીપા પુલ ઓવરલોડ થતો જોવા મળ્યો

ફાફમાઉમાં ભીડ વધતી જતાં, પોન્ટૂન બ્રિજ પર ભારે દબાણ જોવા મળ્યું. હજારો લોકોનું ટોળું, કતારમાં ઉભા રહેવા ઉપરાંત, એકબીજાથી આગળ નીકળી જવાના પ્રયાસમાં આગળ વધતું રહ્યું. આના કારણે પુલ પર ઓવરલોડ જેવી સ્થિતિ સર્જાઈ. ભીડને વારંવાર રોકવામાં આવી અને પુલ પર મોકલવામાં આવી. જ્યારે ફોર વ્હીલર વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો.

ફાફામાઉ સ્ટેશન પહોંચવું પણ એક મુશ્કેલ

ફાફામાઉ રેલ્વે સ્ટેશનથી વધુ સંખ્યામાં વિશેષ ટ્રેનો ચલાવવા માટે મંગળવારથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. હવે લખનૌ, જૌનપુર, અયોધ્યા રૂટની 14 ટ્રેનો અહીંથી ખસેડવામાં આવી છે. આમાં, આલમનગર, અયોધ્યા કેન્ટ, જૌનપુર, કાનપુર સેન્ટ્રલ, બસ્તી, માનકાપુર, બરેલી, કાનપુર અનવરગંજ, લખનૌ, ગાઝીપુર શહેર, અયોધ્યા ધામ જંકશન વગેરે ટ્રેનો અહીંથી ઉપલબ્ધ થશે. તેઓ અહીંથી 28 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. જ્યારે ફાફામાઉ રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેનો અને દૈનિક ટ્રેનોનું વધારાનું સંચાલન ચાલુ રહેશે. આનાથી શહેરની અંદર ટ્રાફિક જામ ઓછો થવાની શક્યતા છે.

‘હું પરત આવીશ…’, શેખ હસીનાએ કરી મોટી જાહેરાત

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર દેશને આતંકવાદ અને અરાજકતાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ મૂક્યો છે. બાંગ્લાદેશ પાછા ફરવાનું વચન આપવા ઉપરાંત, તેમણે પીડિત પરિવારોને મદદ કરવા અને તેમને ન્યાય અપાવવાનું પણ વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને તેમની સરકાર વિરુદ્ધ હિંસક વિદ્યાર્થી આંદોલન થયું હતું.

યુનુસ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પરિણામે, હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકાર 5 ઓગસ્ટના રોજ પડી ભાંગી. તેમને દેશ છોડવો પડ્યો અને ત્યારથી તેઓ ભારતમાં છે. સોમવારે હસીનાએ ભારતમાંથી બાંગ્લાદેશમાં તેમના પક્ષ અવામી લીગના સમર્થકોને ઓનલાઈન સંબોધન કર્યું. તેમણે કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે કહ્યું છે કે તેમને દેશ ચલાવવાનો કોઈ અનુભવ નથી, તેથી તેમણે આ મોટી જવાબદારી ટાળવી જોઈતી હતી. ગયા વર્ષે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન ડઝનબંધ પોલીસ અધિકારીઓની હત્યા છતાં, તેમણે તેમના પર મૌન રહેવા અને અરાજકતા વધવા દેવાનો આરોપ મૂક્યો.

શેખ હસીનાએ ગંભીર આરોપો લગાવ્યા

હસીનાએ કહ્યું, ‘યુનુસને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. તેમણે બધી તપાસ સમિતિઓ વિખેરી નાખી અને આતંકવાદીઓને લોકોને મારવા માટે મુક્ત છોડી દીધા. તેઓ બાંગ્લાદેશનો નાશ કરી રહ્યા છે. અમે આ આતંકવાદી સરકારને ઉથલાવી નાખીશું. તેણીએ કહ્યું, ‘હું પાછી આવીશ.’ ત્યારાઓને બાંગ્લાદેશમાં ન્યાયનો સામનો કરવો પડશે. તેમનો હિસાબ ફક્ત બાંગ્લાદેશની ધરતી પર જ થશે. કદાચ એટલે જ અલ્લાહે મને જીવતો રાખ્યો છે.

હસીના ભારતમાં રહે છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હસીનાની સરકાર હાંકી કાઢવામાં આવી ત્યારથી તેઓ ભારતમાં રહે છે. તે લાંબા સમયથી રાજકીય રીતે સક્રિય નહોતી, પરંતુ હવે તે પોતાના સરનામાં અને સંદેશાઓ દ્વારા પોતાના સમર્થકો સાથે જોડાઈ રહી છે. બીજી તરફ, વચગાળાની સરકારે ભારતને હસીનાના પ્રત્યાર્પણની માંગ કરવા વિનંતી કરી છે. તેમના પર માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ગુજરાત: પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11000થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા 8 જાન્યુઆરી 2025થી ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોની યાદી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો પોલીસ વિભાગે જાહેર કરી

રાજ્યમાં 8 જાન્યુઆરી 2025થી ગુજરાત રાજયના 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શારીરિક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો પોલીસ વિભાગે જાહેર કરી છે. શારીરિક કસોટીની ઓફિસિયલ યાદી માટે ઉમેદાવોર lrdgujarat2021.in પર અહીં ક્લિક કરીને માહિતી મેળવી શકશે.

હાઇકોર્ટના ચૂકાદા તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે

ભરતી પ્રક્રિયા દરમિયાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરિકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવ્યા હશે કે ૫સંદ કરવામાં આવ્યા હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે. આ સાથે સરકાર, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઇકોર્ટના ચૂકાદા તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

22 ફેબ્રુઆરી 2025 બાદ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં

જો કોઇ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર- ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર-382007 ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર કરી શકે છે. જ્યારે 22 ફેબ્રુઆરી 2025 બાદ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.