Home Blog Page 1130

DYSP રૂહી પાયલાએ ધર્યું રાજીનામું, બે મહિનામાં ત્રણ અધિકારીએ નોકરી છોડી

ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માટે 11 હજાર યુવક યુવતીઓ તલ પાપડ થઈ રહ્યા છે. એ સામી બાજું એ રાજ્યના ઉચ્ચે પોલીસ અધિકારીઓ એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકારને રાજીનામું સોપ્યું છે, જેના કારણે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા છે.

2017માં GPSC મારફત પસંદગી પામેલી ડીવાયએસપી રૂહી પાયલાએ છ મહિના પહેલા રાજીનામું આપ્યું હતું, જે રાજ્ય સરકારે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ સ્વીકારી લીધું. ગાંધીનગર પોલીસ ભવનમાં પોસ્ટેડ રહેલા રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો અને સમાજસેવા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ અગાઉ 6 જાન્યુઆરી, 2025ના રોજ, જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી ચકચાર મચાવી. હર્ષદ મહેતા (IPS)એ જણાવ્યું કે તેઓ 50 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની પહેલેથી જ યોજના બનાવી હતી અને હવે પરિવાર સાથે સમય વિતાવવા તેમજ આધ્યાત્મિક જીવન જીવવા માંગે છે.4 ફેબ્રુઆરી, 2025ના રોજ, 1998 બેચનાIPS અને રાજ્યના એડિશનલ ડીજીપી અભય ચુડાસમાએ પણ અચાનક રાજીનામું આપી દીધું. રાજ્યના પોલીસ વડાને સોંપાયેલા તેમના રાજીનામાથી પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ.

પોલીસ વિભાગની અગત્યની પોસ્ટ અને અગત્યના હોદ્દા પરથી માત્ર 2 જ મહિનાના સમયમાં 3 જેટલા પોલીસ અધિકારીઓના રાજીનામાંએ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દા પરથી થઈ રહેલા રાજીનામા વિષે કોઈ નક્કર કારણ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતું નથી.

ગુજરાતી સાહિત્ય જગતમાં પડી ખોટ, નિબંધકાર અને કવિ અનિલ જોશીનું નિધન

ગુજરાતી સાહિત્ય જગતમાં એક મોટી ખોટ પડી છે. જાણીતા નિબંધકાર અને કવિ અનિલ જોશીનું મુંબઈ ખાતે નિધન થયું છે. અનિલ જોશીના પુત્ર સંકેત જોશીએ ફેસબુક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટી કરી છે.

ગુજરાતી નિબંધકાર અને કવિ અનિલ રમાનાથ જોશીએ માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમના પુત્ર સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ પર આ જાણકારી આપી છે. સંકેતે લખ્યું કે “પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે.” અનિલ જોશી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત બિમારી સામે લડી રહ્યાં હતાં. હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ડિચાર્જ થયાના થોડા દિવસો બાદ જ તેમણે દેહ છોડી દીધો.

અનિલ રમાનાથ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. 1964માં તેમણે એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. અનિલ જોશીની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે થઈ હતી.

અનિલ જોશીએ હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય 1971 થી 1976 સુધી તેઓ ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે.

સાહિત્યકારના સર્જનની વાત કરીએ તો કદાચ અને બરફના પંખી જેવા કાવ્યસંગ્રહો લોકપ્રિયા છે. તેમજ પવનની વ્યાસપીઠે લલિત નિબંધસંગ્રહ અને બોલપેન, બારીને પડદાનું કફન, દિવસનું અંધારું છે જેવા નિબંધસંગ્રહથી તેમની લોકપ્રિયતા છે.

 

મહાશિવરાત્રીનો મહાપર્વ: કાશી વિશ્વનાથમાં નાગા સાધુઓની ભવ્ય શોભાયાત્રા

આજે મહાશિવરાત્રીનો મહા પૂર્વ છે. રાજ્ય સહિત ભારતભરમાં આ તહેરવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દેશના 12 જ્યોતિલિંગ સહિત ખૂણે ખૂણાના શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. કાશીમાં પણ શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. હાથમાં ગદા-ત્રિશૂળ. હાથી-ઘોડાની સવારી. શરીર પર ભસ્મ અને ફૂલોની માળા. હર હર મહાદેવનો નાદ. આ રીતે, 7 શૈવ અખાડાના 10 હજારથી વધુ નાગા સાધુઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી પહોંચી રહ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર જવાનો રસ્તો નાગા સાધુઓ માટે બેરિકેડ કરવામાં આવ્યો છે. નાગા સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે ઉભા છે. સૌ પ્રથમ, જુના અખાડાના નાગા સાધુઓ મંદિર પહોંચ્યા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ પણ તેમની સાથે રહ્યા. નાગા સાધુઓની શોભાયાત્રામાં ગાડીઓ, ઢોલ-નગારા અને શસ્ત્ર-અસ્ત્રની સાથે સ્ટંટ કરતા સાધુઓ સામેલ રહ્યા. મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તો પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે.

મધ્યરાત્રિથી લગભગ 2 લાખ ભક્તો 3 કિમી લાંબી કતારમાં ઉભા છે. સવારથી અત્યાર સુધીમાં 2.37 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. 2:15 વાગ્યે બાબા વિશ્વનાથની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમનો વરરાજાની જેમ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી દરમિયાન પ્રવેશ અટકાવવામાં આવતા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસકર્મીઓ સાથે તેમનો ઝઘડો થયો. ભક્તોને આ બાબત સમજાવીને શાંત કરવામાં આવ્યા. આ પછી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા.

Image

Image

Image

શિકાગો એરપોર્ટ પર ફ્લાઇટ અને જેટ ટક્કરથી બચી ગયા

અમેરિકા: શિકાગો મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. મંગળવારે રનવે પર સાઉથ-વેસ્ટ એરલાઇન્સનું વિમાન એક ખાનગી જેટ સાથે અથડાતા બચી ગયું. જ્યારે સાઉથ-વેસ્ટ એરલાઇન્સ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે બીજી ફ્લાઇટ રનવે પર આવતી જોવા મળી. આ પછી લેન્ડિંગ મુલતવી રાખવામાં આવ્યું અને અકસ્માત માંડ-માંડ ટળી ગયો. આ સમય દરમિયાન, અકસ્માત ટાળવા માટે વિમાને એક પછી એક ચક્કર લગાવ્યા. એરલાઇને પુષ્ટિ આપી કે સાઉથ-વેસ્ટ ફ્લાઇટ 2504 રનવે પર અન્ય વિમાનોને ટાળીને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, બિઝનેસ જેટ પરવાનગી વિના રનવે પર પ્રવેશ્યું હતું.
ફ્લાઇટ ક્યાંથી આવી રહી હતી?

ઓમાહા, યુએસએથી સાઉથવેસ્ટ એરલાઇન્સનું બોઇંગ 737-800 રનવે 31C પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે ફ્લાઇટ ક્રૂએ તે જ રનવે પરથી ચેલેન્જર 350 ખાનગી જેટ પસાર થતું જોયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રૂએ ઝડપથી કાર્યવાહી કરી અને સંભવિત અથડામણ ટાળવામાં સફળ રહ્યા. પાઇલટ્સની તત્પરતાને કારણે બંને વિમાનો મોટા અકસ્માતથી બચી ગયા. FAA એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

લોસ એન્જલસમાં પણ આવી જ ઘટના

આવી જ બીજી એક ઘટનામાં, લોસ એન્જલસમાં રનવે પર અથડામણ ટળી ગઈ જ્યારે વોશિંગ્ટનમાં ગોન્ઝાગા યુનિવર્સિટીની પુરુષોની બાસ્કેટબોલ ટીમને લઈ જતું એક જેટ બીજા વિમાનના માર્ગને પાર કરવાની ખતરનાક રીતે નજીક આવી ગયું. એર ટ્રાફિક કંટ્રોલરના ઝડપી હસ્તક્ષેપથી અથડામણ ટળી ગઈ.

આ ઘટના પ્લેન-સ્પોટિંગ લાઇવસ્ટ્રીમ પર કેદ કરવામાં આવી હતી, જેમાં એર ટ્રાફિક કંટ્રોલર્સ ટીમની કી લાઈમ એર ફ્લાઇટને તાત્કાલિક રોકવાની સૂચના આપતા પણ દેખાતા હતા. જાન્યુઆરી 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે, નાગરિક પરિવહન અકસ્માત તપાસ માટે જવાબદાર યુએસ સરકારની તપાસ એજન્સીએ વ્યવસાયિક અથવા ભાડાની ફ્લાઇટ્સ સાથે સંકળાયેલા 13 રનવે અકસ્માતોની તપાસ કરી.

આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન

મહાકુંભમાં મહાશિવરાત્રિના દિવસે અંતિમ અને 45મા દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા કરશે. અંતિમ શાહી સ્નાનને લઈ પ્રસાશને પણ પૂર્વ તૈયારી પણ આદરી હતી, આ ઉપરાંત એલર્ટ કોઈ અચ્છીનિય ઘટના ન બને તે માટે એલર્ટ પણ હતા. અગાઉ મૌની અમાસે નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા, તેવી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ પર નજર રાખવા માટે વિશેષ વોર રૂમ શરૂ કરાયો છે.

અંતિમ શાહી સ્નાન માટે ઉલ્હાસ
અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોમાં જવાની છૂટ અપાશે. મહાકુંભના પ્રારંભે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓના આગમનની આશા વ્યક્ત કરી હતી, જે 11 ફેબ્રુઆરીએ જ પાર થઇ ગઈ. હાલ આંકડો 65 કરોડને પાર કરી ગયો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાસીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે, જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે. તેથી અંતિમ દિવસે પણ હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી રહ્યા છે. ત્રિવેણી સંગમ પર સતત સ્નાન ચાલી રહ્યું છે અને ઘાટ પર પગ મુકવાની જગ્યા પણ મળી રહી નથી. યુવાનો, વૃદ્ધો, શહેરી અને ગ્રામીણ શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણનો લાભ લઇ રહ્યા છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ
મહાકુંભમાં સફાઇ માટે 15,000 સેનિટેશન વર્કર્સની તૈનાતી કરવામાં આવી હતી. એક જ સ્થળે એકસાથે 15,000 લોકોને સાફસફાઈની જવાબદારી સોંપી એક અનોખો વિક્રમ સ્થાપિત થયો છે, જેની ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ થવાની સંભાવના છે. પરિણામ 27 ફેબ્રુઆરીએ જાહેર થશે. ગિનિસ રેકોર્ડ ટીમના રિશિ નાથે જણાવ્યું કે તમામ વર્કર્સને યુનિક ક્યૂઆર કોડ આપીને તેમની કામગીરીની નોંધ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે દર વર્ષે 1.4 કરોડ લોકો મક્કા-મદિના હજ માટે જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો પહોંચે છે, જ્યારે માત્ર અયોધ્યામાં 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહાકુંભમાં ઉમટેલા શ્રદ્ધાળુઓનો આંકડો કરોડોમાં છે, અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ દર્શન કરી અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

બર્ડ ફ્લૂનો હવે માણસોમાં ફેલાવો થયો, અમેરિકામાં 2 લોકો હોસ્પિટલમાં દાખલ

અમેરિકા: છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં બર્ડ ફ્લૂના સમાચાર સામે આવી રહ્યા છે. યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ નિયમિત ફ્લૂ અપડેટમાં જણાવ્યું હતું કે વ્યોમિંગ અને ઓહિયોમાં બે લોકોને H5N1 બર્ડ ફ્લૂથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓહિયોના દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે વ્યોમિંગના દર્દી હજુ પણ હોસ્પિટલમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી.

રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવાનના રસી અને ચેપી રોગ સંગઠનના વાયરોલોજિસ્ટ એન્જેલા રાસમુસેને જણાવ્યું હતું કે, “આ દર્શાવે છે કે H5N1 ખૂબ ગંભીર હોઈ શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ. મને એવા દર્દીઓમાં H5N1 વિશે ખૂબ ચિંતા થશે જેમની સારવાર હોસ્પિટલોમાં થઈ રહી છે જ્યાં ઘણા ફ્લૂના દર્દીઓ પણ છે.” તમને જણાવી દઈએ કે આ બર્ડ ફ્લૂને 15 વર્ષમાં સૌથી ખરાબ મોસમી ફ્લૂના પ્રકોપમાંથી એક માનવામાં આવી રહ્યો છે.

મરઘાં ઉછેર કરનારાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અહેવાલ મુજબ, વ્યોમિંગના આરોગ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વ્યોમિંગના પ્લેટ કાઉન્ટીની એક વૃદ્ધ મહિલાને બીજા રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને કેટલીક અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે લોકોને આ રોગ માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે.CDC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાને મરઘાં ઉછેરતી વખતે ચેપ લાગ્યો હતો. આ પછી તેમનો H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી તરફ, ઓહિયોના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક વ્યક્તિ H5N1-પોઝિટિવ મરઘાં સંભાળતી વખતે ચેપગ્રસ્ત થયો હતો. અત્યાર સુધીમાં, યુ.એસ.માં અત્યંત રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝાના 70 કેસોની પુષ્ટિ થઈ છે. ગયા વર્ષે ગાયોમાં તે સૌપ્રથમ જોવા મળ્યું હતું.

ભગવાન પદ્મનાભનું આ સ્વરૂપ તમે જોયું છે?

હેરિટેજ સિટી પાટણ રાણ કી વાવથી પ્રસિદ્ધ છે. અહીંના પટોળાં પણ પ્રખ્યાત છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આ ઐતિહાસિક નગરી પાટણમાં રામનગર ખાતે એક અનોખું પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે.

મંદિરમાં બિરાજમાન ભગવાન પદ્મનાભ ચાંદી ,પથ્થર કે કોઈ મૂર્તિ સ્વરૂપે નથી, પણ માટીના ઢગલા સ્વરૂપે, એ પણ નિરાકાર, પૂજાય છે. મંદિરના સંકુલમાં પદ્મનાભના મુખ્ય મંદિરની સાથે અનેક દેવી દેવતાઓના મંદિર છે અને આ તમામના સ્થાનકમાં માટીના આકાર જોવા મળે છે.

પદ્મનાભ ભગવાનનું આ  મંદિર 620 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. કહેવાય છે કે, ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિને ત્યાં થયો હતો. પાટણમાં મોગલોના સામ્રાજ્ય દરમિયાન શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવાયા હતા. પદ્મનાભ ખોદકામ માટે ગયા નહીં એટલે બાદશાહે એમને દરબારમાં બોલાવી સરોવરના ખોદકામ માટે ના આવવાનુ કારણ પૂછતાં પદ્મનાભ ભગવાને સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી. પોતાની  આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું. આ ચમત્કાર બાદ બાદશાહના શરીર ઉપર પડેલા પાઠા મટાડવામાં પદ્મનાભજીએ મદદ કરી. આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કઈ માંગવાનું કહેતાં ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી. બાદશાહે અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી.

એ પછી ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા. ભગવાન પદ્મનાભની આ પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા છપ્પન કોટી યાદવો અને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હોવાની એક લોકવાયકા છે.

આ પવિત્ર ભૂમિ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્તરાત્રી મેળો યોજાય છે. આ મેળામાં લગ્ન થઈ ગયેલ નવદંપતીઓ પુનઃ સાત ફેરા ફરવા મંદિર પરિસરમાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ટ્રમ્પના ‘ગોલ્ડ કાર્ડ’ યોજના: 5 મિલિયન ડોલર આપો અમેરિકાના નાગરિક બનો

અમેરિકા: ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એક પછી એક મોટી જાહેરાતો કરી રહ્યા છે. જો કે આ વખતે તેમણે અમેરિકન નાગરિક બનવા ઇચ્છતા લોકો માટે એક મોટા સમાચાર આપ્યા છે. જેમાં નાગરિકતા મેળવવા માટે તમારે મોટી રકમ પણ ચૂકવવી પડશે.

ગોલ્ડ કાર્ડ યોજના જાહેર કરી  

ટ્રમ્પની યોજના અનુસાર જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે 50 લાખ ડોલર (લગભગ 43 કરોડ 55 લાખ રૂપિયા) ખર્ચવા પડશે. તેને ‘ગોલ્ડ કાર્ડ’ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો તો મળશે જ, તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે. ભવિષ્યમાં આ રીતે  10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનીક સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું કે આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે, જેનાથી દેશમાં નોકરીની તકો વધશે. ટ્રમ્પે કહ્યું કે “અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર રાખીશું. હાલમાં તમારી પાસે ગ્રીન કાર્ડ છે અને આ એક ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર જેટલી હશે અને તે તમને ગ્રીન કાર્ડ જેવા જ વિશેષાધિકારો આપશે. ટ્રમ્પે કહ્યું કે , “આનાથી નાગરિકતાનો નવો માર્ગ ખુલશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને અમેરિકા આવશે, અહીં રોકાણ કરશે અને ઘણી નોકરીઓનું સર્જન કરશે.”

ઇશ્વર સ્ત્રી છે કે પુરૂષ?

જ્યારે પણ આપણે ઇશ્વરનું નામ સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં એક ચોક્કસ પુરૂષની છબી ઉભરી આવે છે. આખી દુનિયામાં ઇશ્વરને પુરૂષ તરીકે જ માનવામાં આવ્યા છે, કારણ કે મનુષ્ય દ્વારા તેમને જે જવાબદારી આપી રાખી છે તે પ્રચંડ છે. દુનિયાને બનાવવુ, પછી ચલાવવુ અને પછી તેનો વિનાશ પણ કરવાનો છે. આટલા મોટા કારોબારને એક સ્ત્રી ચલાવે એની અપેક્ષા રાખવી મુશ્કેલ લાગે છે. ઘણા સમય પહેલા, કેટલીક સ્ત્રી-પ્રધાન સંસ્કૃતિઓ હતી જે ઇશ્વરને સ્ત્રી માનતી હતી. હવે, નારી મુક્તિના યુગમાં સ્ત્રીઓ એ વાતનો વિરોધ કરી રહી છે કે શા માટે ફક્ત પુરૂષ જ ઇશ્વર છે તેવુ માનીયે, સ્ત્રી ને કેમ ના માનીયે?પરંતુ આ વિવાદની કોઈ જરૂર જ નથી. ભારતના ઋષિઓએ ઇશ્વરને પુરુષ અને સ્ત્રી બંનેને એક જ માન્યા છે. ભગવાન શિવની અંદર તેઓ બન્ને વસે છે. આ કલ્પના માત્ર એક દાર્શનિક વિચાર નથી પરંતુ એક વૈજ્ઞાનિક તથ્ય છે; તે ઊર્જાસભર અને મનોવૈજ્ઞાનિક પણ છે. શિવ એકમાત્ર એવું પ્રતીક છે જેમાં પુરુષ અને સ્ત્રી એક થઇ ગયા છે. એટલા માટે તેમને અર્ધનારીશ્વર કહેવામાં આવ્યા. સમગ્ર વિશ્વમાં આ પ્રતિમા બેજોડ છે. સમગ્ર ઇતિહાસમાં ક્યાંય પણ એવી કોઇ પ્રતિમા નથી, જ્યાં સ્ત્રી અને પુરુષને અડધા-અડધા અંગ તરીકે દર્શાવવામાં આવ્યા હોય. ઇશ્વરને પુરુષ કે સ્ત્રી માનવું એ એક સામાજિક દુર્ઘટના છે. આની સાથે ઇશ્વરનો કોઈ સંબંધ નથી. વસ્તુત: ઇશ્વરને એક મનુષ્ય જેવું શરીર માનવું જ ખોટું છે; એનાથી જ બધી સમસ્યાઓ શરૂ થાય છે.ઓશોએ આના ઉપર ચર્ચા કરી છે. તેઓ કહે છે કે જો અડધું અંગ સ્ત્રીનું અને અડધું અંગ પુરુષનું હોય, તો પછી બંનેનું સંતુલન બધાં તફાવતોને મટાડી દે છે અને વ્યક્તિત્વ બંનેથી પાર થઇ જાય છે. આ વૈજ્ઞાનિક ગણિત છે કે જ્યાં પણ બે વિરોધી વસ્તુઓ સમ થઇ જાય છે, તો વ્યક્તિત્વ તત્કાલ અલગ થઇ જાય છે. બંને વિરોધ ભેગા થઇને એક થઇ જાય છે. આ ઘટના જીવવિજ્ઞાન મુજબ સંપૂર્ણપણે સાચી છે. જીવવિજ્ઞાનીઓ કહે છે કે દરેક વ્યક્તિ બંને છે, બાય-સેક્સ્યુઅલ છે. એવું જ હોવું પણ જોઈએ, કારણ કે તમારો જન્મ એક પુરુષ અને સ્ત્રીના મિલનમાંથી થયો છે. જો તમે ફક્ત માતાથી જનમ્યા હોતે, તો તમે સ્ત્રી હોતે; જો તમે ફક્ત પિતાથી જનમયા હોતે, તો પુરુષ હોતે. પરંતુ તમારામાં પચાસ ટકા તમારા પિતા અને પચાસ ટકા તમારી માતા હાજર છે. તમે ન તો પુરુષ થઇ શકો છે, ન તો સ્ત્રી થઇ શકો છો. તમે અર્ધનારીશ્વર છો.જીવવિજ્ઞાને તો હમણા છેલ્લા પચાસ વર્ષોમાં શોધી છે, પરંતુ આપણે અર્ધનારીશ્વરની પ્રતિમામાં, આજથી ઓછામાં ઓછા પચાસ હજાર વર્ષ પહેલા, આ ધારણાને સ્થાપિત કરી દીધી યોગીઓના અનુભવના આધારે. કારણ કે જ્યારે યોગી અંદર લીન થઈ જાય છે, ત્યારે તે અનુભવે છે કે હું બંને છું, પ્રકૃતિ પણ અને પુરૂષ પણ; મારામાં બંને ભળી રહ્યા છે; મારો પુરૂષ મારી પ્રકૃતિમાં લીન થઇ રહ્યો છે; મારી પ્રકૃતિ મારા પુરૂષ સાથે ભળી રહી છે.પણ યાદ રહે, શિવની પૂજા કરવાથી તમને આવો અનુભવ નહીં થાય, શિવત્વને જીવીને તમે આનો અનુભવ કરી શકશો.

(અમૃત સાધના)

(અમૃત સાધના લાંબા સમયથી ઓશોના શિષ્ય છે અને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની મેનેજમેન્ટ ટીમના સભ્ય છે. ઓશો પ્રેસ અને મીડિયાનું ધ્યાન રાખે છે. તે ભારતના ઘણા અગ્રણી પ્રકાશનોમાં લખે છે. સમગ્ર વિશ્વમાં ઓશો ધ્યાન અને સ્વ-વિકાસ કાર્યશાળાઓનું સંચાલન કરે છે.)

VIDEO: 614 વર્ષ પછી નગરદેવી નગરચર્યાએ નીકળ્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ: આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઇ રહી છે. સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાવીને રથ નગરયાત્રાએ નીકળ્યો છે. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે.

અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટી પડ્યા છે.યાત્રાના રૂટમાં માણેકચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.

રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

કર્ણાવતી નગરને વસાવનાર રાજા કર્ણદેવ હતા અને તેમનાં કુળદેવી ભદ્રકાળી માતાજી હતાં. રાજા કર્ણદેવે માતા ભદ્રકાળીની સ્થાપના કરી હતી, જેથી તેને નગરદેવી કહેવામાં આવ્યાં છે. લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલાં કર્ણાવતી નગર હતું, ત્યારે માતાજીની નગરયાત્રા નીકળતી હતી. જે સમયથી મોગલકાળ શાસન શરૂ થયું, ત્યારથી આ નગરયાત્રા બંધ થઈ ગઈ હતી.