Home Blog Page 1038

સુવિચાર – ૦૩ એપ્રિલ ૨૦૨૫

મેરેથોન ચર્ચા પછી લોકસભામાં વકફ (સુધારા) બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત

નવી દિલ્હી: મોડી રાત્રે લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો, જ્યારે એન.ડી.એ.ના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરાયું હતું, જેના પર બપોર 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં મોડી રાત્રે લગભગ 2 વાગ્યે પસાર થયું હતું. વક્ફ બિલ સંશોધનના પક્ષમાં 288 મત પડ્યા હતા અને વિરોધમાં 232 મત પડ્યા હતા. હવે ગુરૂવારે રાજ્યસભામાં બિલ રજૂ કરાય તેવી શક્યતા છે.લોકસભા બાદ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ 2025 કાયદો બની જશે.

લોકસભાની કાર્યવાહી રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. ત્યારબાદ વક્ફ સંશોધન બિલ 2025 પસાર ન થાય ત્યાં સુધી કાર્યવાહીનો સમય લંબાવાયો હતો. આમ, 2 એપ્રિલે ત્રણ વખત લોકસભાની કાર્યવાહીનો સમય વધારાયો હતો. બીજી તરફ, રાજ્યસભામાં 3 એપ્રિલ, 2025 બપોરે એક વાગ્યે વક્ફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે.

વક્ફ બિલમાં કયા સુધારા થશે?

1. જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તથા મિલકતોના સંચાલનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવે.

2. વક્ફ બોર્ડના સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવાને બદલે સરકાર દ્વારા નિમણૂક થશે. પ્રત્યેક બોર્ડમાં ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હશે. બિન-મુસ્લિમને પણ બોર્ડના સી.ઈ.ઓ. બનવાની તક મળશે.

3. સામુદાયિક સમાનતા લાવવા માટે વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ અપાશે.

વિપક્ષ અને મુસ્લિમ સમાજ શા માટે વિરોધમાં?

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વક્ફ બિલના સુધારાનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેમણે કેટલાંક મુદ્દા આગળ કર્યા હતા, જે નીચે મુજબ છે.

1. પ્રસ્તાવિત સુધારા લાગુ કરવાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે, જેને લીધે મુસ્લિમોની ધાર્મિક બાબતો પ્રભાવિત થશે.

2. મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને તેમના અધિકારો નબળા પડશે. પોતાની સંપત્તિ સ્વેચ્છાએ વક્ફને દાન કરવાના મુસ્લિમ વ્યક્તિના હક ઉપર પ્રતિકૂળ અસર પડશે.

3. વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જેનાથી લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન થશે.

4. હિન્દુ મંદિરો અને ટ્રસ્ટોના બોર્ડમાં બિન-હિંદુઓને સ્થાન નથી મળતું, તો પછી વક્ફમાં બિન-મુસ્લિમોને પ્રવેશ આપવાનો આગ્રહ કેમ? – એવો પ્રશ્ન મુસ્લિમો કરી રહ્યા છે.

5. વક્ફ પ્રોપર્ટીને સરકારી મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત કરીને સરકાર લાંબે ગાળે અમુકતમુક મિલકતો પોતાને હસ્તક લઈ લેશે.

કયા કારણસર વક્ફ બિલ લાવી સરકાર?

1. 1995ના કાયદામાં વક્ફ પ્રોપર્ટી, ટાઈટલ વિવાદો અને વક્ફ જમીનના ગેરકાયદે કબજાના નિયમન સંબંધિત કેટલીક છટકબારી છે. આ છટકબારી સુધારીને વક્ફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શકતા લાવીને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવું જરૂરી છે.

2. વક્ફ પ્રોપર્ટીની કોઈ ન્યાયિક દેખરેખ નથી, વ્યવસ્થિત મૂલ્યાંકન થતું નથી.

3. વક્ફ બોર્ડના બંધારણમાં મર્યાદિત વિવિધતા છે.

4. બોર્ડના વર્તમાન નિયમો સત્તાનો દુરુપયોગ કરવાની તક આપે છે.

5. વક્ફ બોર્ડ અને સ્થાનિક મહેસૂલ સત્તાવાળાઓ વચ્ચે અસરકારક સંકલનનો અભાવ છે.

6. મિલકત પર દાવો કરવા માટે વક્ફ બોર્ડને વ્યાપક સત્તા અપાઈ છે, જે વિવાદો અને કોર્ટ કેસની સ્થિતિમાં પરિણમે છે.

વિવાદાસ્પદ વક્ફ મિલકતોનો કબજો સરકાર લેશે?

અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે, કોઈ પ્રોપર્ટી અમુક સમયગાળા માટે ધાર્મિક હેતુસર મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય તો વક્ફ તે પ્રોપર્ટીને પોતાને હસ્તક લઈ લેતું હતું. આ રીતે સરકારી જમીનો પણ વક્ફ હસ્તક જતી રહી છે. નવું બિલ આ મુદ્દે તપાસ કરવાની છૂટ આપશે. એના અંતર્ગત કાયદેસર વક્ફ સંપત્તિ તો વક્ફ પાસે જ રહેશે, પણ જે સંપત્તિ ફક્ત વપરાશને કારણે વક્ફ હસ્તક લઈ લેવાઈ છે, એ સરકાર પાછી લઈ શકશે.

સરકારના ઈરાદા સામે શંકા 

વક્ફ બિલ મુદ્દે સરકારના ઈરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે, દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મિડીયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે.

૦૩ એપ્રિલ – ૨૦૨૫

કબીરના મતે જે ધનનો ભૂખ્યો છે તે સાધુ નથી

 

સાધુ ભૂખા ભાવ કા, ઘન કા ભૂખા નાહીં,

ધન કા ભૂખા જો ફિરે, સો તો સાધુ નાહીં.

 

ધન એક એવી આકર્ષક વસ્તુ છે કે તેની પ્રાપ્તિ માટે મનમાં લોભવૃત્તિ હાજર જ હોય છે. આજે ધર્મસ્થાનો અને સંપ્રદાયો વધુ ને વધુ આર્થિક ઉપાર્જન કરી ભવ્ય મંદિરો, મઠો, આશ્રમો અને સંસ્થાઓનું નિર્માણ કરવા તત્પર છે. આના કારણે સંપ્રદાયમાં વિખવાદો થાય છે જે હિંસા સુધી જાય છે.

ધન માટે મઠાધિપતિની કે તેના દ્વારા કરાવવામાં આવતી હત્યાના પ્રસંગો બનતા રહે છે. આવા ભવ્ય મકાનોમાં દિવ્ય પ્રવૃત્તિઓ થાય છે તેવું નથી. દાન, જ્ઞાન અને પરોપકાર માટે નહીં પણ પોતાનાં માન અને શાન વધારવા ધનનું વરવું પ્રદર્શન થાય છે.

કબીરજી તેથી સ્પષ્ટ કરે છે કે, સાચો સાધુ પોતાના અનુયાયીની ભાવના જુએ છે. આ ભાવ જ ભવસાગર તરવાની નાવ છે. જે સાધુ ભાવના કરતાં લક્ષ્મીને વધારે મહત્ત્વ આપે છે તે સાધુ જ નથી. સાધુને ધન સમાજ આપે છે. સાધુમાં વૈરાગ્ય હોવો જરૂરી છે. આથી સમાજમાંથી પ્રાપ્ત થતું તમામ ધન માનવસેવાના કાર્યમાં જ વપરાય તે જોવાનું કર્તવ્ય સાધુનું છે. ધનસંચયથી સાધુતા લાજે છે. ધન જરૂરી છે પણ ધન અનેક અનર્થનું મૂળ ન બને તે જોવું જરૂરી છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

 

પંચાંગ 03/04/2025

ગુજરાત: જામનગરમાં જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલોટ ગુમ

ગુજરાતના જામનગર જિલ્લામાં બુધવારે રાત્રે એક મોટો અકસ્માત થયો. ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન કાલાવડ રોડ પર સુવરદા ગામની સીમમાં ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન ક્રેશ થયા પછી, સમગ્ર વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો હતો. ધુમાડો જોઈને સુવર્દા ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે જગુઆર ફાઇટર પ્લેન બુધવારે રાત્રે ઉડાન ભરી હતી. જ્યારે તે જામનગરમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સુવરદા ગામ નજીક અચાનક ક્રેશ થયું. વિમાન જમીન પર પડતાની સાથે જ તેના ટુકડા થઈ ગયા અને ભીષણ આગ લાગી ગઈ. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. જોરદાર અવાજ અને ધુમાડો જોઈને ગામલોકો ઘટનાસ્થળે પહોંચી ગયા.

અંધારાને કારણે લોકો કંઈ સમજી શક્યા નહીં, તેથી તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને અકસ્માતની જાણ કરી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. જ્યારે પોલીસને ખબર પડી કે તે ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન હતું જે ક્રેશ થયું હતું, ત્યારે પોલીસ સ્ટેશને તાત્કાલિક તેના વરિષ્ઠ અધિકારીઓને ઘટના વિશે જાણ કરી.

માહિતી મળતા જ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપીએ ઘટનાસ્થળનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. હાલમાં ઘટના સ્થળ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામલોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. કોઈને નજીક આવવા દેવામાં આવી રહ્યું નથી. આ ઘટના અંગે ભારતીય વાયુસેનાને પણ જાણ કરવામાં આવી છે. એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે.

જાપાનમાં 6.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ચારેબાજુ અફરાતફરી

મંગળવારે રાત્રે જાપાનના ક્યુશુ ટાપુ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. ભૂકંપ 2 એપ્રિલના રોજ ભારતીય સમય મુજબ સાંજે 7.34 વાગ્યે આવ્યો હતો. આ અચાનક આવેલા ભૂકંપને કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા. જોકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણી પ્રદેશ ક્યુશુમાં હતું, જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા ઘણી સેકન્ડો સુધી ચાલુ રહ્યા, જેનાથી સ્થાનિક રહેવાસીઓ ડરી ગયા. જાપાનમાં ભૂકંપ સામાન્ય છે, પરંતુ 6.0 ની તીવ્રતાનો ભૂકંપ ગંભીર માનવામાં આવે છે. ઘણી જગ્યાએ, લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓમાં આશરો લીધો. સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.

બુલઢાણામાં શેગાંવ-ખામગાંવ હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત, 5નાં મોત, 24 ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શેગાંવ-ખામગાંવ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ દુર્ઘટનામાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી. મળેલી માહિતી મુજબ, એક બોલેરો કાર ઝડપી ગતિએ દોડી રહી હતી, જે એક એસ.ટી. બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર બાદ પાછળથી આવી રહેલી એક ખાનગી બસ પણ આ અકસ્માતનો ભાગ બની ગઈ. આ ત્રણ વાહનોની ટક્કર એટલી ભયંકર હતી કે બોલેરો કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો, જ્યારે બંને બસોને પણ ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ પાંચ લોકોનાં મોત થયાં, જેમાં બોલેરોનો ડ્રાઈવર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત 24 લોકોને તાત્કાલિક ખામગાંવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ખાનગી બસનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે એક કલાકની મહેનત કરવી પડી હતી. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે તબીબી ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ બોલેરોની ઝડપી ગતિ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આગળની વિગતોની રાહ જોવાઈ રહી છે.

રિચા ચઢ્ઢાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, જાણો શું છે મામલો?

બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા પોતાની ફિલ્મો ઉપરાંત ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે પણ જાણીતી છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ એક બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે તેલંગાણામાં 400 એકર વન જમીનના વિનાશ અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ટીકા કરી છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર આ બાબતને લગતો એક વીડિયો ફરીથી શેર કર્યો અને રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા લખ્યું, “રાહુલ ગાંધી, બહુ થઈ ગયું પ્રેમ. પ્રકૃતિ પ્રત્યે પણ થોડો પ્રેમ બતાવો.” રિચા ચઢ્ઢાએ પોતાની પોસ્ટમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો પણ ઉલ્લેખ કર્યો છે.

અભિનેત્રી આ બાબતમાં ખૂબ જ સક્રિય છે.
રિચા આ મુદ્દા પર સતત સક્રિય જોવા મળે છે અને તે આ સમગ્ર મામલા વિશે સતત ટ્વિટ કરી રહી છે અથવા લોકોના ટ્વિટને રીટ્વીટ કરી રહી છે. બીજી પોસ્ટ ફરીથી શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “કાંચા ગચીબોવલીને બચાવો. મુખ્યમંત્રીને ટેગ કરો, નેતૃત્વને ટેગ કરો. જંગલ કોઈની અંગત મિલકત નથી.”

સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે
તમને જણાવી દઈએ કે હૈદરાબાદ યુનિવર્સિટીના કેમ્પસમાં સ્થિત કાંચા ગચીબોવલી જંગલમાં જૈવવિવિધતાથી ભરપૂર જમીનના નિષ્કર્ષણ અને હરાજી સામે તેલંગાણામાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આજે, તેલંગાણા પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિરોધ કરી રહેલા લોકો પર પણ લાઠીચાર્જ કર્યો. કારણ કે તેઓએ પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવી દીધો હતો. તેમાંથી કેટલાકને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા. જોકે, વિરોધ છતાં, તેલંગાણા સરકારે રંગારેડ્ડી જિલ્લાના કાંચા ગચીબોવલીમાં 400 એકર જંગલ જમીન સાફ કરી દીધી છે. સરકાર આ જમીનની હરાજી કરવાની યોજના ધરાવે છે, જેનાથી રૂ. 10,000 થી રૂ. 15,000 કરોડની આવક થવાની ધારણા છે, અને વિશ્વ કક્ષાના આઇટી પાર્ક અને શહેરી જગ્યાઓ વિકસાવવાનો પ્રસ્તાવ છે.

વીજ પડતાં પહેલાં મળશે એલર્ટઃ ઇસરોએ શોધી ટેક્નોલોજી

નવી દિલ્હીઃ દેશભરમાં દર વર્ષે અનેક વખત વીજળી પડવાને કારણે ઘણા લોકોનાં મોત થતાં હોય છે. વીજળી પડવાને કારણે જાનમાલને પણ ઘણું નુકસાન થતું હોય છે, ત્યારે આ સમસ્યા નિવારવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISROએ) એક મહત્ત્વની ટેકનોલોજી શોધી કાઢી છે. ચોમાસામાં વીજળી ક્યાં પડશે, તેની માહિતી પહેલેથી જ મળી જશે. ઈસરોની નવી ટેકનોલોજી મુજબ હવે વીજળી પડે તે પહેલાં જ એલર્ટ મળી જશે.

ઈસરોએ વીજળીની આગાહી કરવાની ક્ષમતા મેળવી લીધી છે. ઈસરોની આ સફળતાએ વિશ્વભરને ચોંકાવી દીધા છે. ઈસરોએ કહ્યું હતું કે ભારતીય જિયોસ્ટેશનરી સેટેલાઇટમાંથી ડેટા એકત્ર કરીને વીજળીની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા હાંસલ કરવામાં આવી છે.

નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વિજ્ઞાનીઓને INSAT-3D સેટેલાઈટથી પ્રાપ્ત થયેલા ‘આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR)’માંથી ખાસ પ્રકારના સંકેત જોવા મળ્યા છે. સંકેત મુજબ વિજ્ઞાનીઓને ઓએલઆરની ગતિમાં ઘટાડો થવાને કારણે વીજળી પડવાની સંભાવના જોવા મળી છે. આ નવી ટેકનોલોજીના કારણે અઢી કલાક પહેલાં વીજળીની આગાહી થઈ શકે છે. ઈસરોની આ ટેક્નોલોજીથી દેશભરના લોકો તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી નીવડશે. ઈસરોની નવી ટેક્નોલોજી મુજબ જ્યાં વીજળી પડવાની સંભાવના હશે, ત્યાંથી લોકોને હટાવી શકાશે. તેનાથી જાનમાલને ઓછું નુકસાન થશે.