Home Blog Page 1024

વડોદરામાં હિટ એન્ડ રનમાં એક વિદ્યાર્થીનીએ ગુમાવ્યો જીવ, ટેમ્પો ચાલક ફરાર

વડોદરાના વાઘોડિયા રોડ પર એક દુઃખદ હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. વાઘોડિયા ચોકડી નજીક એક ટેમ્પો ચાલકે બેફામપણે વાહન હંકારીને પારુલ યુનિવર્સિટીની બે વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, જેમાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થઈ. આ ભયાનક અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો, જેના કારણે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના વાઘોડિયા નજીક બની, જ્યાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી. દરમિયાન, પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ તેમને ટક્કર મારી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વિદ્યાર્થિનીઓ દૂર સુધી ફંગોળાઈ ગઈ. એક્ટિવા ચલાવતી વિદ્યાર્થિની રસ્તા પર પટકાતાં તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ, અને તેનું ત્યાં જ મોત થયું. બીજી વિદ્યાર્થિનીને પણ ગંભીર ઈજાઓ પહોંચી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

પ્રાથમિક માહિતી અનુસાર, બંને વિદ્યાર્થિનીઓ સવારે યુનિવર્સિટી જવા નીકળી હતી. વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો ચાલકે બેજવાબદારીપૂર્વક વાહન ચલાવીને એક્ટિવાને ટક્કર મારી. અકસ્માત બાદ ચાલકે ટેમ્પો ત્યાં જ છોડીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. ઘટના બનતાં જ આસપાસના લોકો એકઠા થયા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી. પીડિત વિદ્યાર્થિનીઓના પરિવારને સમાચાર મળતાં તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. કપુરાઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી. ફરાર ટેમ્પો ચાલકને પકડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે ચાલકની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

70ના દાયકાના એ ટોચના ખલનાયક જેમને અમિતાભ બચ્ચન SIR કહેતા હતા

જ્યારે આપણે બોલિવૂડના ખલનાયકો વિશે વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે અમરીશ પુરી, અમજદ ખાન, આશુતોષ રાણા, ડેની ડેન્ઝોંગપા, પ્રાણ અને ગુલશન ગ્રોવર જેવા કલાકારોના નામ ધ્યાનમાં આવે છે. આ કલાકારોએ ખલનાયક તરીકેના અભિનયથી દર્શકોના દિલ પર એવી છાપ છોડી કે તે દિવસોમાં દર્શકો તેમને પડદા પર જોઈને ડરી જતા. પરંતુ બોલિવૂડમાં એક સમયે બીજો એક ભયાનક વિલન હતો, જેણે 70ના દાયકામાં મોટા પડદા પર ઘણા મોટા સ્ટાર્સ સાથે લડાઈ લડી હતી. હવે ભલે આ ખલનાયક આ દુનિયામાં નથી, પરંતુ તેના પુત્રો બોલિવૂડના મોટા સ્ટાર્સને પોતાની આંગળીઓ પર નચાવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ દિગ્દર્શક રોહિત શેટ્ટી અને તેમના પિતા એમબી શેટ્ટીની.

રોહિત શેટ્ટીના પિતા પણ આ ઉદ્યોગનો ભાગ હતા

હા, દિગ્દર્શક રોહિત શેટ્ટીના પિતા પણ બોલિવૂડનો ભાગ રહ્યા છે, પરંતુ એ અલગ વાત છે કે તેમને બહુ ઓછા લોકો જાણે છે. રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટી 70ના દાયકાના જાણીતા વિલન હતા. એમબી શેટ્ટી પહેલા ખલનાયકની ભૂમિકા ભજવતા હતા, પરંતુ તેઓ સ્વભાવે એટલા જ સરળ અને શાંત હતા. દરેક અભિનેતા તેની સાથે આરામદાયક રહેતા, કોઈપણ દ્રશ્ય કરતા પહેલા તે અભિનેતાને પૂછતો કે શું તે સ્ટંટ કરવામાં આરામદાયક છે કે નહીં.

અમિતાભ બચ્ચને એમબી શેટ્ટી સાથે ડોનમાં કામ કર્યું હતું

રોહિત શેટ્ટી એકવાર KBC ના સ્ટેજ પર ગયા હતા, અહીં અમિતાભ બચ્ચને એમબી શેટ્ટી સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. અમિતાભ બચ્ચને એમબી શેટ્ટી સાથે ‘ડોન’ ફિલ્મમાં કામ કર્યું હતું, જેની વાર્તા તેમણે રોહિત શેટ્ટીને સંભળાવી હતી. બિગ બી કહે છે- ‘રોહિતના પિતા, જેમને અમે શેટ્ટી સર કહેતા હતા.’ સ્ટંટ કોઓર્ડિનેટર અમને શીખવતા અને બધા એક્શન દ્રશ્યો કરાવતા. અમને શેટ્ટીજી સાથે ઘણી ફિલ્મોમાં કામ કરવાનો લહાવો મળ્યો.

એમબી શેટ્ટીએ કોઈને સ્ટંટ કરવા માટે દબાણ કર્યું ન હતું

એમબી શેટ્ટી વિશે વાત કરતાં અમિતાભ બચ્ચન આગળ કહે છે- ‘તેઓ ખૂબ જ મિલનસાર હતા. તેમણે ક્યારેય સ્ટંટ કરવાનો આગ્રહ પણ નહોતો રાખ્યો. તેણે કોઈને દબાણ કર્યું નહીં. તે કહેતા, ‘જો શક્ય હોય તો કરો, નહીં તો હું ડુપ્લિકેટ મંગાવીશ.’ આ સાથે, બિગ બીએ જણાવ્યું કે હિન્દી સિનેમામાં એક્શન ઓરિએન્ટેડ દ્રશ્યોમાં તેમનું મોટું યોગદાન છે. તમને જણાવી દઈએ કે, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મન્સૂર નામના સ્ટંટમેનના મૃત્યુથી એમબી શેટ્ટી ખૂબ જ આઘાત પામ્યા હતા. આ સ્ટંટમેનના મૃત્યુ માટે તેણે પોતાને જવાબદાર ઠેરવ્યા અને આ દુઃખને કારણે તે દારૂના વ્યસની બની ગયા. આખરે 1982 માં 51 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.

બેકાબૂ SUVએ નવ પદયાત્રીને કચડ્યાઃ ત્રણનાં મોત, છ ઘાયલ

જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક હાઇ સ્પીડ SUV કારે રસ્તા પર અનેક લોકોને કચડ્યા છે.  શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં દારૂના નશામાં ફેક્ટરી માલિકે સાત કિમી સુધી પૂરપાટ ઝડપે SUV હંકારી હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે નવ અન્ય લોકો ઘાયલ થયા છે.

નશામાં ધૂત કારચાલકે બેકાબૂ SUV કાર દ્વારા ચાલતા જઈ રહેલા નવ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ બની હતી.

શહેરના MI રોડ પર એક બેકાબૂ કારે વાહનોને ટક્કર મારી રહી હોવાની પ્રથમ માહિતી મળી હતી. આ પછી કાર શહેરની સાંકડી શેરીઓમાં ઘૂસી હતી. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. અહીંથી લગભગ એક કિલોમીટર દૂર, કાર એક સાંકડી ગલીમાં ફસાઈ ગઈ અને લોકોની મદદથી પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. લોકો નાહરગઢ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ મૃતકો માટે વળતરની માગ કરી રહ્યા છે.

એડ. DCP (ઉત્તર) બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આરોપી ડ્રાઇવર, ઉસ્માન ખાન (62)એ લગભગ 500 મીટરના વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતાના મંદિર પાસે આરોપી ડ્રાઇવરે પહેલા સ્કૂટર-બાઇકને ટક્કર મારી અને પછી રસ્તા પર ચાલતા લોકોને કચડીને ભાગી ગયો. આરોપીએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલાં વાહનોને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શાસ્ત્રીનગર રહેવાસી વિરેન્દ્ર સિંહ (48), મમતા કંવર (50), નાહરગઢ રોડ નિવાસી મોનેશ સોની (28), માનબાગ ઢોર શારદા કોલોની રહેવાસી મોહમ્મદ જલાલુદ્દીન (44) ઘાયલ થયા છે.

આ દરમિયાન, સંતોષી માતા મંદિર વિસ્તારની રહેવાસી દીપિકા સૈની (17), વિજય નારાયણ (65), ઝેબુન્નીશા (50), અંશિકા (24) અને ગોવિંદરાવ જી માર્ગના રહેવાસી અવધેશ પારીક (37)ને પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ મમતા કંવર અને અવધેશને મૃત જાહેર કર્યા હતા. મંગળવારે સવારે અન્ય એક ઘાયલ વીરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું.

ગુજરાતમાં વધ્યું ગરમીનું જોર, 7 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર

ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત્ રહેતાં સતત બીજા દિવસે રાજ્યનાં 7 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સોમવારે, 7 એપ્રિલના રોજ રાજકોટમાં તાપમાન 44.2 ડિગ્રી સુધી પહોંચ્યું, જે સામાન્ય કરતાં 5.2 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજકોટનું તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરી છે. બીજી તરફ, અમદાવાદમાં પણ 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્યથી 3.9 ડિગ્રી વધુ છે.

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે તાપમાન 42 ડિગ્રીથી ઉપર રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મંગળવારે, 8 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગરમીના કારણે રાજકોટ જિલ્લા કલેક્ટરે એક બેઠક યોજી, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા, સ્કૂલોનો સમય સવારનો જ રાખવો, અને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ બજારોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણી અને છાશની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ અસહ્ય ગરમી વચ્ચે હીટવેવ એક્શન પ્લાન હેઠળ કેટલાં પગલાં લેવાય છે, તેની ચોકસાઈ માટે મહાનગરપાલિકા, આરોગ્ય અધિકારીઓ, કલેક્ટર અને જિલ્લા પંચાયતે સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

EUએ અમેરિકાને 25 ટકા જવાબી ટેરિફ લગાવવાની આપી ધમકી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ગયા અઠવાડિયે 180થી વધુ દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ તરત અસરકારક થઈ ગયા છે. ટ્રંપ વહીવટી તંત્રની નવી નીતિ હેઠળ નોન-લિસ્ટેડ દેશોથી થતી તમામ આયાત પર 10 ટકા ટેરિફ લાગશે, જ્યારે એવા દેશો પર વધુ ટેરિફ લાગશે, જે ટ્રંપ વહીવટી તંત્રના અનુસાર અમેરિકી નિકાસ પર કડક નિયમો કે ટેરિફ લગાવે છે.

આ નિર્ણયના જવાબરૂપે ચીને અમેરિકાથી આવતી દરેક આયાત પર હવે 34 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 10 એપ્રિલથી અમલમાં આવશે. ચીન તરફથી જવાબી ટેરિફ લાગ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન પર 50 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે.

બીજી તરફ સમાચાર છે કે હવે યુરોપિયન યુનિયન (EU) પણ અનેક અમેરિકી ઉત્પાદનો પર જવાબી ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. જોકે, આ પ્રસ્તાવને હજુ સભ્ય દેશો દ્વારા મંજૂરી મળવાની બાકી છે.

EUએ સોમવારે કેટલાંક અમેરિકી ઉત્પાદનો પર 25 ટકા જવાબી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એજન્સીએ દસ્તાવેજોના હવાલાથી જણાવ્યું છે કે કેટલાક ઉત્પાદનો પર ટેરિફ 16 મે, 2025થી અમલમાં આવશે, જ્યારે કેટલીક બીજી વસ્તુઓ પર આ વર્ષથી લાગુ થશે. તેમાં હીરા, ઇંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી સહિત અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. સમાચાર છે કે સભ્ય દેશોએ વાંધો ઉઠાવ્યા પછી કેટલીક વસ્તુઓને યાદીમાંથી કાઢી લેવામાં આવી છે.

યુરોપિયન યુનિયનએ સોમવારે આ વાત પર સંમતિ દર્શાવી કે ડોનાલ્ડ ટ્રંપ દ્વારા લાગુ કરાયેલા ટેરિફને હટાવવા માટે જવાબી કાર્યવાહી કરતાં વાતચીતને પ્રાથમિકતા આપવામાં આવશે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને બ્રસેલ્સમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે યુરોપિયન યુનિયન ઔદ્યોગિક વસ્તુઓ માટે શૂન્ય વિરુદ્ધ શૂન્ય ટેરિફ કરાર માટે વાતચીત કરવા માટે તૈયાર છે. ટ્રંપની નીતિ મુજબ 27 દેશોના યુરોપિયન યુનિયનને સ્ટીલ, એલ્યુમિનિયમ અને કારો પર 25 ટકા આયાત શૂલ્ક અને લગભગ તમામ અન્ય વસ્તુઓ પર બુધવારથી 20 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ ચૂકવવો પડશે. ટ્રંપની નીતિ અનુસાર આ દેશો અમેરિકી આયાત પર વધુ ટેરિફ લગાવે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ એપ્રિલ ૨૦૨૫

‘જો જીતા વો હી સિકંદર’ માં હીરોઈન બદલાઈ અને આયશાને મળી  

આયશા ઝુલ્કા કુર્બાન’ (1991) માટે સ્ક્રિન ટેસ્ટ આપવા ગઈ અને ત્યાં જે દ્રશ્ય જોયું એ એને નવાઈ પમાડવા સાથે ચિંતામાં મૂકી ગયું હતું. કેમકે એને કલ્પના ન હતી કે કુર્બાન’ માટે બીજી છોકરીઓ પણ સ્ક્રિન ટેસ્ટ આપવા આવી હશે. એને એમ હતું કે એકલીને જ બોલાવી છે. એક પછી એક છોકરીઓને બોલાવવામાં આવી રહી હતી અને એનો નંબર લાગી રહ્યો ન હતો. અડધો કલાક થઈ ગયો પણ બોલાવવામાં આવી નહીં ત્યારે એણે નક્કી કર્યું કે અંદર સલમાન તો હશે. કંઇ નહીં તો એને મળીને જશે.

એકાદ કલાક પછી બોલાવવામાં આવી. આયશા અંદર ગઈ ત્યારે નિર્દેશક દીપક બાહરી અને એમના સહાયકો હતા. એક સહાયકે પૂછ્યું કે તું શું કરી શકે છે? એણે સામો સવાલ કર્યો કે મારે શું કરવાનું છે? ત્યારે એને કહેવામાં આવ્યું કે સંવાદ બોલવાનું વગેરે કરવાનું છે. આયશાએ કહ્યું કે એ કથ્થક ડાન્સ જાણે છે. સહાયકે કહ્યું કે કથ્થક કરવાનું નથી. આયશાએ કોઈ ડાન્સ કરવાનો આગ્રહ રાખ્યો. પછી કહ્યું કે સંવાદ બોલી નથી પણ પ્રયત્ન કરશે. આયશા બહુ ગંભીર ન હતી. ફિલ્મ ના મળે તો પણ એને કોઈ ફરક પડવાનો ન હતો. એમણે કહ્યું અને આયશાએ આવડે એવો ડાન્સ કર્યો. એ જોઈ કેટલાક હાજર લોકો હસ્યા. પછી આયશાને બહાર બેસવા કહ્યું. એણે સંવાદ બોલવાની તૈયારી બતાવી પણ ના પાડવામાં આવી.

માતાએ પૂછ્યું ત્યારે આયશાએ કહ્યું કે એમણે સંવાદ બોલવા આપ્યા નહીં એટલે કશું થવાનું નથી. પછી બીજી છોકરીઓનો સ્ક્રિન ટેસ્ટ થયો અને છેલ્લે આયશાને કહેવામાં આવ્યું કે એ કુર્બાન’ માટે પસંદ થઈ ગઈ છે ત્યારે સાચું ના લાગ્યું. બીજી ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (1992) આવી જ રીતે સરળતાથી મળી ગઈ હતી. તે કુર્બાન’ કરી રહી હતી ત્યારે સેટ પર માહિતી મળી કે એમાં ઘણા પાત્રોના કલાકારો બદલાઈ રહ્યા છે. જ્યારે કુર્બાન’ ના નિર્માતાને ખબર પડી કે અગાઉ કોઈ હીરોઈને શુટિંગ કર્યું હતું પણ હવે ફેરફાર થઈ રહ્યો છે અને આમિર સામે કોઈ નવી છોકરી શોધવામાં આવી રહી છે. ત્યારે એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આયશાને આ ફિલ્મ મળવી જોઈએ. વાત આગળ વધી અને નિર્માતા નાસીર હુસેન તરફથી આયશાને સંદેશો આવ્યો.

આયશા મળવા ગઈ ત્યારે નાસીરે સારો આવકાર આપ્યો અને થોડી વાત કર્યા પછી ઇન્ટરકોમ પર નિર્દેશક મંસૂર ખાનને ફોન કરીને કહ્યું કે હું તારી મુલાકાત કોઇની સાથે કરાવવા માંગુ છું. આવીને મળી લે. મંસૂર આવ્યા અને સહેજ વાત કરી બે મિનિટમાં જતાં રહ્યા. આયશાને થયું કે તે એમની ફિલ્મ માટે પસંદ આવી નહીં હોય. થોડી વારમાં મંસૂરનો ફોન આવ્યો કે એ ફિલ્મ માટે યોગ્ય રહેશે પણ નાસીરે પહેલાં આયશાની ‘કુર્બાન’ ના દ્રશ્યો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. આયશાએ ફિલ્મનું એક ગીત જ કર્યું હતું. નાસીરને એના કેટલાક અંશ બતાવવામાં આવ્યા અને એમણે જાહેર કરી દીધું કે ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ માટે એ પસંદ થઈ ગઈ છે. આયશા ડી. રામાનાયડૂની ‘પ્રેમ કેદી’ (1991) માટે પણ પસંદ થઈ ગઈ હતી. જ્યારે એને ખબર પડી કે ફિલ્મમાં બિકીની પહેરવાની છે ત્યારે એણે ના પાડી દીધી હતી. તે અંગપ્રદર્શન થાય એવા કપડાં પહેરવા માગતી ન હોવાથી ફિલ્મ છોડી દીધી હતી.

નાગાની પાંચશેરી ભારે

     

     નાગાની પાંચશેરી ભારે

 

દુર્જન માણસ પોતાની દુર્જનતાથી ગમે તેને નડી શકે છે. એની સાથે બગાડવાથી કોઈ ફાયદો નથી એમ સમજીને એની વાતમાં વજૂદ ન હોય તેમ છતાં પણ એની વાતમાં ટાપશી પૂરનારા નીકળે છે. પાંચ શેરી એટલે કે આશરે અઢી કિલો એ ત્રાજવામાં જોખવા માટેનું બાટ અથવા વજનિયું છે. પાંચ શેરી બરાબર પાંચ શેરની જ હોય, તે વધારે કે ઓછી સંભવી શકે નહીં.

આમ છતાંય પોતાની આડોડાઈના જોરે એ પોતાની વાત વધુ વજૂદવાળી છે એટલે કે પોતાની પાંચ શેરી ભારે છે એવું પુરવાર કરી શકે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 08/04/2025