આવા લોકોની સંવેદનાથી ચકલી ઘર અને સંખ્યા વધ્યાં!

અમદાવાદઃ ચારેય દિશામાં વધતી જતી વસ્તી, સતત વધતું શહેરીકરણ, આધુનિક ઉપકરણોના કારણે ચકલી જેવા મકાનમાં માળો બાંધી રહેતા જીવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મકાનો જ જ્યારે માળા જેવા થવા માંડે ત્યારે મનુષ્યના ઘરમાં જ પોતાનો માળો બનાવતા પક્ષીઓ પર માઠી અસર પડી છે. થોડા સમય પહેલાં એક તબક્કો એવો પણ આવ્યો કે જાણે ઘર સુધી પહોંચી ચીં..ચીં કરતી ઉડાઉડ કરતી ચકલીઓ સદંતર ઓછી થઈ ગઈ હતી.છેલ્લાં કેટલાક વર્ષોથી પશુ-પંખીઓના પ્રેમી માણસોની જાગૃતિ, સંવેદનશીલતા, સંવર્ધનના કાર્યક્રમોના કારણે ફરી એકવાર ઘર ચકલીની સાથે અન્ય રંગબેરંગી ચકલીઓની સંખ્યામાં વધારો થયો છે. જે લોકોના કારણે પશુ પંખીઓ પાણી, ચણ, માળા, ચબૂતરા, સારવારની સુવિધાઓ મળે છે. એવા જીવદયા પ્રેમીઓ અને સંગઠનો અસંખ્ય છે. એમાંના એક છે. સાણંદ રોડ નજીક કોલટ ગામમાં રહેતા કિન્નરી ભટ્ટ.20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. ચકલીઓને બચાવવા અને જાગૃતિ માટે અનેક કાર્યક્રમો આ દિવસે યોજાય છે. ત્યારે શુભમ બંગલો કોલટ ગામમાં રહેતા ચકલીઓના ચાહક કિન્નરીબેન ભટ્ટ આ જીવોને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કિન્નરી બહેન ચિત્રલેખા.કોમને કહે છે, “આમ તો મને તમામ મूंગા જીવને મદદ કરવું ગમે‌. પણ ખાસ કરીને ચકલી સાથે મારે અતૂટ સંબંધ. મારે અબોલ પક્ષી સાથેનો સંબંધ વધારે ત્યારે મજબૂત થયો જ્યારે એક ચકલીનું અગમ્ય કારણસર મોત થયું. એના બચ્ચાં રઝળી પડ્યા. ચકલીના બચ્ચાંને જીવાડવાનું બીડું ઝડપ્યું. મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી બચ્ચાની ચાંચમાં પીવડાવવાનુ શરૂ કરવામાં આવ્યું. આ સાથે ભાતનો દાણો પણ પોતે ચાવી અને બચ્ચાંને ખવડાતા. આ રીતે પણ જ્યાં સુધી ચકલીનું બચ્ચું ઊડતું થયું ત્યાં સુધી એને સેવા આપી. ત્યારબાદ એ અબોલ જીવને મારી માયા થઈ ગઈ. એટલે એ આસપાસ જ રમ્યા કરે. અપાર માયા થઇ જતાં ચકલીનું બચ્ચું પછી આસપાસથી ક્યાંય ખસતું નહોતું.”

હાથીજણના એમના મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા હતા. હાલ કોલટમાં પણ નિયમિત ચકલીઓના માળા પાસે બાજરી અને ઝીણી કણકી ભેગા કરી અલગ-અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. આ સાથે ચણાની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. ચોમાસું તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા ભાગને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે, જેથી ઠંડીના લાગે ચોમાસાના પાણીથી ભીંજાય નહીં.ઉનાળાની બળબળતી બપોરે પણ તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય ત્યારે એમને ઇજાના થાય. સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી દિવસ પસાર કરતા હોય છે.

કિન્નરીબહેનની જેમ અનેક લોકો મૂંગા મોઢે અબોલ જીવો માટે સમય, સગવડો સંપત્તિનો સદઉપયોગ કરે છે. ત્યારે જ હવે અનેક ગામના પાદરે પક્ષીઓને ચણ માટે વિશાળ માળાની સગવડો ઉભી થઈ ગઈ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)