મુંબઈથી દરિયા માર્ગે ટ્રેન દ્વારા દુબઈ પહોંચાશે, જાણો…

નવી દિલ્હીઃ મુંબઈ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના દુબઈ પાસે આવેલા ફુજિરાહ વચ્ચે અન્ડરવોટર રેલવે ટનલ બાંધીને બેઉ શહેરો વચ્ચે રેલવે-સર્વિસ શરૂ કરવાની યોજના UAEના નેશનલ એડ્વાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા થોડાં વર્ષો પહેલાં તૈયાર કરવામાં આવી હતી, પણ આ પ્રોજેક્ટ પર એ પછી કોઈ અપડેટ આવી નથી. હાલમાં આ કંપનીએ આ રેલવે અન્ડરવોટર ટનલ કેવી દેખાશે અને કેવી રીતે માત્ર બે કલાકમાં આ પ્રવાસ પૂરો કરશે એનો વિડિયો યુટ્યુબ પર મૂક્યો છે. આ પ્રોજેક્ટ ૨૦૩૦ સુધીમાં પૂરો થવાની ધારણા રાખવામાં આવી છે અને એ સફળ રીતે અમલી બને તો પાણીની નીચેથી મુંબઈથી દુબઈનો પ્રવાસ કરવાનો ઉમંગ અનેરો થશે. વિડિયોમાં જણાવ્યા અનુસાર આ ફ્લોટિંગ ટનલ આશરે ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે અને એમાં ૬૦૦થી ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટનલ એવી હશે કે અન્ડરવોટર જીવસૃષ્ટિ પણ જોઈ શકાશે. હાલમાં વિમાન દ્વારા પ્રવાસ કરવામાં બેથી અઢી કલાકનો સમય લાગે છે, પણ ટ્રેન દ્વારા પ્રવાસ એના કરતાં ઓછા સમયમાં પૂરો કરી શકાશે.

આ ટનલ દ્વારા મુંબઈથી દુબઈને નર્મદા નદીનું પાણી મોકલવામાં આવશે અને દુબઈથી ભારતને ઓઇલ મોકલવામાં આવશે. આ સિવાય ઝડપથી માલસામાનની પણ હેરફેર થઈ શકશે. જોકે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરવું પડશે.

UAEના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઇ અને મુંબઇ અંડરવોટર રેલ નેટવર્કથી માત્ર UAE અને ભારત જ નહીં, પણ અન્ય દેશોને પણ ફાયદો થશે. બ્યુરોના વડા અબદુલ્લા અલશેહીએ કહ્યું હતું કે અમે ભારતના મુંબઇને દુબઇના ફુજૈરાહ સાથે દરિયા હેઠળ અલ્ટ્રા-હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગીએ છીએ. આનાથી વેપારને વેગ મળશે.