કરણ જોહરને પોતાની પ્રતિભા પર ઉઠ્યો સવાલ, શા માટે?

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કરણ જોહરે ફિલ્મ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી છે જે ચર્ચાનો વિષય બની છે. નિર્માતા-દિગ્દર્શક કરણે એવું તે શું કહ્યું?

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ‘ધુરંધર’ રિલીઝ થયાના 25 દિવસ પછી પણ સિનેમાઘરોમાં રહે છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને સેલિબ્રિટીઓ તરફથી પણ પ્રશંસા મળી છે. હવે નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે ફરી એકવાર ધુરંધરની પ્રશંસા કરી છે. તે કહે છે કે આ ફિલ્મે તેને પોતાની પ્રતિભા પર પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરી દીધો.

અનુપમા ચોપરા સાથેની એક રાઉન્ડટેબલ મુલાકાતમાં કરણ જોહરે ફરીવાર ‘ધુરંધર’ ની પ્રશંસા કરી. 2025માં પોતાનો સિનેમેટિક અનુભવ શેર કરતા કરણે કહ્યું કે તેના માટે વર્ષ અહાન પાંડે અને અનિત પદ્દાની “સૈયારા” થી શરૂ થયું અને “ધુરંધર” સાથે સમાપ્ત થયું. તેણે કલ્યાણી પ્રિયદર્શન અભિનીત મલયાલમ ફિલ્મ “લોકા ચેપ્ટર 1: ચંદ્રા” ની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેણે કહ્યું,’લોકા’ જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

ધુરંધરની પ્રશંસા કરતા કરણ જોહરે કહ્યું, “ધુરંધરે મને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધો. તેને જોઈને મને એવું લાગ્યું કે મારી કલા મર્યાદિત છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો કેટલો અદ્ભુત ઉપયોગ. મને ધુરંધર વિશે જે ગમ્યું તે એ હતું કે દિગ્દર્શકે પોતાની કારીગરી બતાવવાનો પ્રયાસ કર્યો ન હતો. મને લાગ્યું કે તે દેખાડો કરી રહ્યો નથી, છતાં તે વાર્તા સરળતાથી કહી રહ્યો હતો. મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તેણે ઘણા બધા વાઇડ એંગલનો ઉપયોગ કર્યો છે અથવા કોઈ અદભુત ફ્રેમ બતાવવાનો પ્રયાસ કર્યો છે. મને લાગ્યું કે તે કોઈપણ ઢોંગ વિના સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. તેનાથી મને એક ફિલ્મ નિર્માતા તરીકે મારી પોતાની ક્ષમતાઓ પર પ્રશ્ન થાય છે, અને તે હંમેશા મારા માટે સારી વાત છે.”

ધુરંધર બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય-થ્રિલરમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કરતી આ ફિલ્મે ભારતમાં 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન પણ 1,000 કરોડને વટાવી ગયું છે.