રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડીયું

ગાંધીનગર: રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બર સુધી 39મું ચક્ષુદાન પખવાડીયું ઉજવાશે. ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપ્યો છે. જેના કારણે રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ 2022-23 થી જુલાઈ-2024 સુધીમાં 14 લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા આશયથી રાજ્યભરમાં 39મું ચક્ષુદાન પખવાડીયું તા. 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે.છેલ્લા દાયકામાં રાજ્યમાં દર વર્ષે સરેરાશ 7 લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ, હાલ રાજ્યમાં પ્રતિ 10 લાખ વસ્તીએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજ્ય અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2022મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. “મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત 1476 પ્રાથમિક, 333 અર્બન, 347 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ 50 હજારથી જેટલી આશા બહેનોને ખાસ તાલીમ આપવામાં આવેલ છે.આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. 60 થી 80 હજાર જેટલો થતો હોય છે.