હુસેનની યાદમાં તાજિયા જુલુસ

અમદાવાદ: મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.કરબલાની મહાન દુખદ ઘટના, આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇની સમર્થક છે, એ હજરત હુસેન અને એમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિન્હ સમજે છે.મોહરમના આ પ્રસંગે અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેરોના જુદા જુદા વિસ્તારમાંથી જુલુસ નીકળ્યુ હતું.આ વર્ષે અમદાવાદમાં 91 જેટલા તાજિયા, અખાડા, ઢોલ તાસાં પાર્ટીઓ, લાઉડસ્પીકરો, અલગ નિશાન પાર્ટીઓ, માતમી દસ્તાઓ, ટ્રકો, ઉંટ લારીઓ સાથે માતમ સમુહ જોવા મળ્યો.તાજિયાને ઠંડા કરવા માટે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ થી નહેરુબ્રિજ વચ્ચે ખાનપુર પાસે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા. શહેરના કાલુપુર, જમાલપુર, દરિયાપુર, ખાનપુર સહિત અનેક વિસ્તારમાંથી નાના મોટા વિવિધ આકારના તાજિયા બનાવી મુસ્લિમ બિરાદરોએ શ્રધ્ધા વ્યક્ત કરી હતી. શહેરના કાલુપુર, જમાલપુર વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા સાથે ચાંદીના તાજિયાના જુલુસમાં સામેલ થાય છે.શહેરમાં જે સ્થળેથી તાજિયા પસાર થયા ત્યાં એમનું ભવ્ય સ્વાગત કરવા તેમજ જુલુસમાં ભાગ લેનાર લોકોને સરબત પાણીની સુવિધાઓ આપવા મોટી સંખ્યામાં મંડપ લગાવ્યા સેવાભાવી લોકો ઉમટી પડ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાંથી તાજિયાનું જુલુસ પસાર થવાનું હતું એ સ્થળો પર સ્થાનિક પોલીસ અને એસ.આર.પીના જવાનો , હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)