તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ યોજાશે, 20 એપ્રિલ સુધી ઉમેદવારો સંમતિ પત્ર ભરી શકશે

હસમુખ પટેલે જ્યારથી ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી છેલ્લા ઘણા સમયથી અટકેલી પરીક્ષાઓ એક પછી એક લેવાવવાની શરૂ થઈ ગઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ પ્રકારની અડચણ વગર લેવાઈ ગયા બાદ હવે તલાટીની પરીક્ષાની જાહેરાત પણ સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે.

મંડળના કાર્યકારી ચીફ હસમુખ પટેલ દ્વારા સત્તાવાર રીતે આ બાબતે ટ્વિટ કરી માહિતી આપતા કહ્યું હતું કે તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ યોજાશે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ આ બાબતે કન્ફર્મેશન અગાઉથી આપવું જરૂરી રહેશે. જે ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપશે તે જ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 20 એપ્રિલ સુધીમાં મંડળની સત્તાવાર વેબસાઇટ OJAS પર પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો સંમતિ પત્ર ભરી શકશે. પરીક્ષાના દિવસે ઉમેદવારને પેપર 12.30 કલાકે જ અપાશે, જેમાં ઉમેદવારે અંગૂઠાનું નિશાન પણ લેવામાં આવશે અને સાથે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષા અંગે પણ છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે હસમુખ પટેલ દ્વારા જ્યારથી બોર્ડનો કાર્યભાળ સાંભળ્યો છે ત્યારથી છેલ્લા ઘણા સમયથી અટકેલી પરિક્ષાઓનો ઝડપથી નિકાલ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.