રાજ્યોએ ટીમ ઇડિયાની જેમ કામ કરવું પડશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ પંચની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીના ભારત મંડપમમાં યોજવામાં આવી રહી છે. નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય ‘2047માં વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો’ છે, જેમાં આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

ટીમ ઈન્ડિયાની જેમ કામ કરીશું: મોદી

આ બેઠક અંગેની જાણકારી નીતિ પંચે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપી હતી. જેમાં PM મોદીએ એ આ બેઠકમાં કહ્યું હતું કે  આપણે વિકાસની ગતિ વધારવી પડશે. જો કેન્દ્ર અને બધાં રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ સાથે મળીને કામ કરે, તો કોઈ પણ લક્ષ્ય મુશ્કેલ નથી.

PM મોદીએ ભારતના વિકાસનું લક્ષ્ય હાંસલ કરવા બાબતે વાત કરતાં કહ્યું હતું કે વિકસિત ભારત એ દરેક ભારતીયનું લક્ષ્ય છે. જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે. આ તેના 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે. આ માટે દરેક રાજ્યએ ઓછામાં ઓછું એક પર્યટક સ્થળ વસાવવું જોઈએ, જેમાં વૈશ્વિક ધોરણો અનુસાર તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ હોય.

આ અંગે વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે  આપણે ‘એક રાજ્ય: એક વૈશ્વિક સ્થળ’ ના લક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ. આનાથી નજીકનાં શહેરોના પ્રવાસન સ્થળો તરીકે વિકાસનો માર્ગ મોકળો થશે.

આ રાજ્યના CM રહ્યા ગેરહાજર

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કેરળના CM અને ડાબેરી નેતા પિનરાઈ વિજયને હાજરી આપી ન હતી. તેમજ પુડુચેરીના CM એન. રંગાસામી, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી, કર્ણાટકના CM સિદ્ધારમૈયા, ભાજપના સાથી પક્ષ અને બિહારના CM નીતીશકુમારે પણ બેઠકમાં ગેરહાજરી રહ્યા હતા.