‘ખેલ રત્ન એવોર્ડ’ માટે વિરાટ કોહલી, મીરાબાઈ ચાનુનાં નામને મંજૂરી અપાઈ

નવી દિલ્હી – કેન્દ્રના સ્પોર્ટ્સ મંત્રાલયે ખેલકૂદ ક્ષેત્ર માટે સૌથી પ્રતિષ્ઠિત એવા ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ માટે આ વર્ષના નામાંકિતો તરીકે ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુનાં નામોને મંજૂર રાખ્યાં છે. આ બંનેનાં નામની ભલામણ એવોર્ડ પસંદગી સમિતિએ કરી હતી.

આ એવોર્ડ કોહલી અને મણીપુરનિવાસી ચાનુને આવતા મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરવામાં આવશે.

કોહલી અને ચાનુ, બંનેને આ એવોર્ડના રૂપમાં રૂ. 7 લાખ 50 હજારનું રોકડ ઈનામ તેમજ મેડલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.

ખેલ મંત્રાલયે આ વર્ષના ‘અર્જુન એવોર્ડ’ માટે 20 ખેલાડીઓના નામ પણ મંજૂર કર્યા છે. આમાં મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના, સ્પ્રિન્ટર હિમા દાસ, ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરા, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાનો સમાવેશ થાય છે.