ભાગેડૂ ઝાકીરને આમંત્રિત કર્યો નહોતોઃ કતરની સ્પષ્ટતા

દોહાઃ હાલ અહીં રમાતી ‘ફિફા વર્લ્ડ કપ-2022’ સ્પર્ધામાં ભારતે ભાગેડૂ ઘોષિત કરેલા ઝાકીર નાઈકને આમંત્રણ આપવામાં આવ્યું હોવાના અહેવાલોને રદિયો અપાયો છે. એવું જાણવા મળ્યું છે કે, કતરની સરકારે રાજદ્વારી સૂત્રો મારફત ભારતને સ્પષ્ટતા કરી છે કે નાઈકને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, કતર વર્લ્ડ કપ-2022ના ઉદઘાટન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે હાજરી આપી હતી. પરંતુ, ફૂટબોલનું વિશ્વ સ્તરે સંચાલન કરતી FIFA સંસ્થાએ ઝાકીરને પણ આમંત્રણ આપ્યું હતું એવા અહેવાલો આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં માગણી થઈ હતી કે ભારતે ફિફાનો બહિષ્કાર કરવો જોઈએ. એને પગલે કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે ઝાકીરને આમંત્રણના અહેવાલો અંગે ભારત સરકાર કતરના સંબંધિત સત્તાધિશો સમક્ષ શક્ય એટલી કડક રીતે રજૂઆત કરશે.

અગાઉ એવો અહેવાલ હતો કે ઝાકીર નાઈક કતરમાં ગયો છે અને ત્યાં એ ફૂટબોલપ્રેમીઓને ઈસ્લામનો ઉપદેશ આપવાનો છે.

મની લોન્ડરિંગ અને કોમી ઉશ્કેરણી ફેલાવતા ભાષણો કરવા બદલ ભારતે ઝાકીર નાઈકને ભાગેડૂ ઘોષિત કર્યો છે અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તથા નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીના તે ‘વોન્ટેડ’ લિસ્ટમાં છે. મુંબઈમાં જન્મેલો નાઈક 2016માં ઢાકામાં એક રેસ્ટોરન્ટમાં બોમ્બવિસ્ફોટ થયા બાદ ભારતમાંથી ભાગી ગયો હતો. એવો આરોપ છે કે તે વિસ્ફોટ નાઈકના ભાષણોથી પ્રેરિત હતો. તે હુમલામાં 17 વિદેશીઓ સહિત 20 જણ માર્યા ગયા હતા. નાઈક પર આરોપ છે કે એ એની પીસ ટીવી ચેનલ તેમજ સોશ્યલ મીડિયા નેટવર્ક્સ મારફત સમાજોમાં કોમી લાગણી ભડકાવે છે. એ હાલ મલેશિયામાં રહે છે. એણે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી છે. ભારત સરકારે 2016થી આ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો છે. નાઈક પર આરોપ છે કે એ ભારતમાં તેમજ વિદેશમાંના મુસ્લિમ યુવકોને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ભડકાવે છે.