ડેવિડ વોર્નર લકી કે યુઝવેન્દ્ર ચહલ અનલકી?

નવી દિલ્હીઃ IPL 2022માં બુધવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં એક મજેદાર ઘટના બની હતી. રિષભ પંતની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટથી જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. દિલ્હીની આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ડેવિડ વોર્નરે અને મિશેલ માર્શે નિભાવી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી, ત્યારે મજાની ઘટના બની હતી. જેને જોઈને ફેન્સ પણ અચંબિત થયા હતા.

બંને ખેલાડીઓએ અર્ધ સદી ફટકારી હતી અને બીજી વિકેટ માટે 144 રનની શાનદાર ભાગીદારી કરી હતી અને ટીમને જીત અપાવી હતી. ડેવિડ વોર્નરે 52 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી, પણ ડેવિડ વોર્નર જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે બોલ સ્ટમ્પ પર લાગ્યો હતો અને બેલ્સ ઊડી હતી, પણ એ નીચે નહીં પડી, જેથી ડેવિડ વોર્નરને જીવતદાન મળ્યું હતું.

આ દ્રષ્ય જોઈને RRના કેપ્ટન સંજુ સેમસન સહિત યઝુવેન્દ્ર ચહલ પણ હેરાન હતા, જ્યારે વોર્નરને તો ખબર જ નહોતી કે બોલ વિકેટ પર લાગ્યો છે. હવે વોર્નરને લકી કહીએ કે યુઝવેન્દ્ર ચહલને અનલકી કહીએ?

આવું જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું, ખુદ ડેવિડ વોર્નર પણ આ જોઈને હસી પડ્યો હતો, જ્યારે બોલર યુઝવેન્દ્ર ચહલ પણ આવું જોઈને દિગ્મૂઢ થયો હતો.