બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ કામચલાઉ હશેઃ કુંબલે

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન, ભૂતપૂર્વ લેગસ્પિનર અનિલ કુંબલેના અધ્યક્ષપદ હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ક્રિકેટ સમિતિએ કોરોના વાઈરસનો ચેપ રોકવા માટે હાલ બંધ કરાયેલી ક્રિકેટની મેચો જ્યારે ફરી રમાડવાનું શરૂ થાય ત્યારે બોલને ચમકાવવા માટે એની પર થૂંક લગાડવાની ભલામણ કરી છે.

કુંબલે સમિતિની આ ભલામણ વિશે વર્તમાન તથા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. કેટલાક જણે કહ્યું છે કે આ રીત પર પ્રતિબંધ મૂકવાથી બોલરોને નુકસાન જશે. અમુક ક્રિકેટરોએ થૂંકને બદલે કોઈ અન્ય કૃત્રિમ પદાર્થ લગાડવાની પરવાનગી આપવાની વકીલાત કરી છે.

હવે કુંબલેએ આ સંદર્ભમાં પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે.

એમણે કહ્યું છે કે બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધનો નિર્ણય કામચલાઉ હશે. કોરોના વાઈરસના ચેપ પર એકવાર અંકુશ આવી જશે તે પછી થૂંક લગાડવાની જૂની રીતને ફરી ચાલુ કરવા દેવામાં આવશે.

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું માનવું છે કે આ કામચલાઉ નિર્ણયથી બોલરોને ઘણું શીખવા મળશે. તેઓ બેટ્સમેનને હંફાવવા માટે કોઈક નવી અને વધારે કુશળ રીત અજમાવતા થશે.