મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ પર MVAમાં ફરી ચર્ચા થશે, સંજય રાઉતે કહ્યું કે…

મુંબઈ: મહાવિકાસ અઘાડી (MVA)ના ત્રણ સાથી પક્ષો મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 18 થી 20 સપ્ટેમ્બર સુધી બેઠક વહેંચણી પર વાત કરશે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે આ માહિતી આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કઈ બેઠકો પર ચૂંટણી લડવાની છે તેની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે આખરી રહેશે. MVAના સાથી પક્ષોમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), NCP-SP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, “18 થી 20 સપ્ટેમ્બર સુધી MVA ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણી અંગે વાતચીત થશે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. કયો પક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેના પર ચર્ચા કરવામાં આવશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બેઠકો નક્કી કરવા માટે જીતની ક્ષમતા એ માપદંડ હશે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી-એસપીએ શિવસેના (UBT) કરતાં વધુ સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો,આ સવાલ જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમની પાર્ટીના મતો મોટાભાગે આ બે પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

શિવસેનાએ કોલ્હાપુર, અમરાવતી અને રામટેક સીટો કોંગ્રેસને આપી દીધી છે. રાઉતે કહ્યું કે જો આ બેઠકો શિવસેના (યુબીટી) પાસે હોત તો તે ચોક્કસપણે જીતી શકત. તેમણે કહ્યું કે શિવસેના (UBT) કાર્યકરોએ બારામતી સહિત NCP-SP માટે સખત મહેનત કરી.