ભારતીય ખેતીમાં AIનો ઉપયોગ, સત્યા નડેલાએ વિડીયો શેર કર્યો 

અમેરિકા: હાલમાં AIની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જ્યાં કેટલાક તેના ગુણગાન ગાઈ રહ્યા છે, તો કેટલાક તેના જોખમો વિશે વાત કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક ભારતીય ખેડૂતો ખેતીમાં AIનો ઉપયોગ કરી રહ્યા છે, જેની માહિતી માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ આપી છે. આ પછી, ટેસ્લાના CEO એલોન મસ્ક પણ આ ખેડૂતોના ફેન બની ગયા અને તેમણે નડેલાની પોસ્ટ શેર કરી.

સોમવારે સત્યા નડેલાએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી. અહીં તેમણે મહારાષ્ટ્રના નાના ખેતરોમાં ઉત્પાદન વધારવામાં AIની સકારાત્મક અસર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા વિશે વાત કરી.

વીડિયોમાં, નડેલા કહે છે કે, હું નાના ખેડૂતોનું ઉદાહરણ આપવા માંગુ છું, જેઓ બારામતી (મહારાષ્ટ્ર) સહકારીનો ભાગ છે. જ્યાં તેમણે આ શક્તિશાળી ટેકનોલોજી અપનાવી છે. એક નાના જમીન માલિકે પોતાની ખેતી સુધારી છે. અહીં રસાયણોનો ઉપયોગ ઓછો થયો, પાણીનો વપરાશ સુધર્યો અને અંતે તેમણે જે આંકડા શેર કર્યા તે આશ્ચર્યજનક હતા.

નડેલા વિડીયોમાં સમજાવે છે કે, આ ખેડૂતો હવામાન, માટી, ડ્રોન અને ઉપગ્રહોના ડેટાનો ઉપયોગ કરે છે અને ખેડૂતોને તેમની પોતાની ભાષામાં રિયલ ટાઈમ માહિતી મળે છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર ડેટા માઇક્રોસોફ્ટના એઝ્યુર ડેટા મેનેજર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ તે મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળ અને દૈનિક ભલામણો આપે છે. એઝ્યોર ડેટા મેનેજર ખાસ કરીને કૃષિ માટે રચાયેલ છે.

AI ની મદદથી ખેતીમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા

અહેવાલમાં અનુસાર, AI ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી ખેતીમાં સારા પરિણામો જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં, AIની મદદથી એક એકર જમીનની ખેતી કરવામાં આવી હતી. પરિણામોમાં જોવા મળ્યું કે જમીન વધુ હરિયાળી બની હતી અને ત્યાં વધુ પાક લેવામાં આવ્યો હતો. સંશોધન દર્શાવે છે કે AI આધારિત ખેતીથી ઉત્પાદનમાં ભારે ફાયદો થયો છે. વધુમાં, પાણી અને રસાયણોનો ઉપયોગ ઓછો થયો. આના પરિણામે ઉત્પાદનમાં પણ સારો વધારો થયો છે.

2024ના કૃષિ મહોત્સવમાં AI રજૂ કરવામાં આવ્યું હતું

કૃષિ વિકાસ ટ્રસ્ટ બારામતીએ તેના 2024 કૃષિ મહોત્સવ દરમિયાન AI-સક્ષમ ખેતી રજૂ કરી. આમાં ટામેટા અને ભીંડા જેવા પાક દર્શાવવામાં આવ્યા હતા. આ ખ્યાલને ભવિષ્યના ખેતર તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા ખેડૂતોએ રસ દાખવ્યો અને 20 હજાર ખેડૂતોએ તેમાં ભાગ લીધો. જાન્યુઆરીમાં માઇક્રોસોફ્ટે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રારંભિક પરીક્ષણમાં 1,000 ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાંથી 200 ખેડૂતોએ AIની મદદથી શેરડીનું વાવેતર કર્યું હતું.