રથયાત્રા પહેલાં સાવચેતી માટે પોલીસની પહેલ

અમદાવાદ: ભગવાન જગન્નાથની આ વર્ષે 148મી રથયાત્રા પૂર્વે રૂટ ઉપર તમામ વિભાગો પોતાની કામગીરી ચોકસાઈ પૂર્વક કરી રહ્યા છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે, એમાં ઘણાં વિસ્તારો એકદમ સાંકડા છે. જ્યાં શેરી, મહોલ્લા, પોળોના જૂના ખખડી ગયેલા એકદમ જર્જરિત મકાનો આવેલા છે. હેરિટેજ અમદાવાદની કેટલીક ઈમારતો સુરક્ષિત કરાઈ છે. વર્ષોથી ખંડેર હાલતના કેટલાક મકાનો ઉતારી પણ લેવામાં આવે છે. બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા કેટલાક લોકોના મકાનો પર ભયજનક ઈમારતની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પહેલેથી જ લગાડવામાં આવી છે. આ સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ વિનાઈલ બેનર્સ લગાડવામાં આવ્યા છે. જેમાં લખાયું છે.
જાહેર ચેતવણી..” આ મકાન ભયજનક છે “આથી ચેતવણી આપી સમજ કરવામાં આવે છે કે આ જર્જરિત મકાનો ઉપયોગ કોઈએ કરવો નહીં, આ મકાનમાં કોઈએ ઉપર ચઢવું નહીં. તેમજ કોઈને ધાબા ઉપર કે ગેલેરી ઉપર ચઢવા દેવા નહીં. તેમજ તેની આસપાસ વધારે વ્યક્તિઓ ભેગા થાય અથવા પસાર થાય એ જોખમકારક છે, તથા જાનહાની થવાની સંભાવના છે. જો તેમ કરવામાં કસુર ઠરસો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર જનતાને જણાવવાનું કે આ મકાન નીચે ઉભા રહેવુ નહીં જે અંગે તમામ નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે. તેનો કોઈ વ્યક્તિ ઓએ ઉપયોગ કરવો નહીં. આ મકાન ઉપર અથવા નીચે અથવા આસપાસ વધારે વ્યક્તિ ઓ ભેગા થાય તે જોખમકારક છે તથા તકેદારી રાખવા દરેક નાગરિક ને ચેતવણી આપવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની, પોલીસ સ્ટેશનની આ પ્રકારની નોટિસો છતાં આવા ભયજનક મકાનમાં લોકો રહે છે. કેટલાક સ્થળોએ વેપાર ધંધા ચાલે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે રથયાત્રા આવે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની સાથે માનવ મહેરામણ રથયાત્રાના રૂટ પર ઉભરાય છે. લોકો રથયાત્રાના દર્શન કરવા ઈમારતની ઉપર અને નીચે ઉભા રહી જાય છે. રથયાત્રા ના દર્શન માટે આવેલા લોકો સાવધાની વર્તે અને સાવચેત થઈ જાય એ માટે આ વર્ષે પણ શહેર પોલીસની ટીમો દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી છે.જે ઈમારતો પર ભયજનક હોવાની નોટિસ એ.એમ.સી. દ્વારા મારવામાં આવી છે એ ઈમારતો પર તરત જ નજર પડે એવા વિનાઈલ બેનર્સ લગાડવા માં આવ્યા છે. પોલીસ જવાનોની ટીમ આને સ્વૈચ્છિક જવાબદારી સમજે છે. લોકોની સેવા કરવી અને સાવધાન રાખવા અમારી ફરજ છે એવું માને છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)