રાહુલ ગાંધીએ ફરી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આગળ વધી રહી છે. દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં પ્રવર્તમાન મોંઘવારી, ખેડૂતોના દેવા અને MSPને લઈને મોદી સરકાર (ભાજપ સરકાર) પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ રવિવાર, 8 જાન્યુઆરીએ કહ્યું- “દેશમાં ખેડૂતોની આવક બમણી નથી થઈ, તે ઘટી છે. ખેડૂતોને MSP દોઢ ગણી નથી મળી, તેમને મોંઘવારી મળી છે. લોનમાફીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં લોનમાફી ખેડૂતોને નહીં, માત્ર અબજોપતિઓને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને કાળા કાયદા અને નિકાસ નીતિનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ખેડૂતો પર ચોતરફ હુમલો કર્યો. હું કહું છું કે ખેડૂતોને પાછળ છોડીને ભારત આગળ ન વધી શકે.

રાહુલ ગાંધીએ કહ્યું- આજે ભારત એક બની રહ્યું છે

આ પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનું મહત્વ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “આજે કરોડો ભારતીયો નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખોલી રહ્યા છે. ભારત એક બની રહ્યું છે.”

ભારત જોડો યાત્રા આજે કુરુક્ષેત્રથી આગળ વધી રહી છે

જણાવી દઈએ કે ગઈ કાલે ભારત જોડો યાત્રા કરનાલમાં હતી, હવે તે કુરુક્ષેત્ર થઈને પંજાબ તરફ આગળ વધી રહી છે. શનિવારે જ્યારે રાહુલ ગાંધી સમર્થકો સાથે કરનાલના જીટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ કિલોમીટર લાંબો જામ હતો. તે દરમિયાન પણ રાહુલ ગાંધી આગળ વધતા રહ્યા. બોક્સર વિજેન્દર સિંહ જ્યારે ભારત જોડો યાત્રામાં જોડાયા ત્યારે કરનાલમાં રાહુલ ગાંધી સાથે કૂચ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા બોક્સર વિજેન્દર સિંહ સાથે રાહુલ ગાંધીની તસવીર જાહેર કરી. જેની સાથે લખ્યું હતું કે, “નફરત સામે એક મુક્કો.”

‘યાત્રા મોંઘવારી, બેરોજગારી, વધતી નફરત વિરુદ્ધ છે’

રાહુલ ગાંધીના સમર્થનમાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આબિદ મીર મેગામીએ કહ્યું કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખેડૂતોની ઓછી આવક, મોંઘવારી, બેરોજગારી અને વધતી નફરત વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે ભાજપ સરકારમાં વ્યવસ્થા ઘણી કથળી ગઈ છે.