PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ ગુજરાતના બોડેલીમાં જાહેરસભાને સંબોધશે. જેમાં છેલ્લી ઘડીએ PMOએ ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ બદલ્યો હતો. તેમજ વાઈબ્રન્ટ સમિટના 20મા વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું અમદાવાદના ટાઉનહોલમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી સપ્ટેમ્બરને બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વેળા તેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 70 હજારથી વધારે સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરશે, જાહેર સભાને સંબોધશે, રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનુ ખાતમુર્હૂત અને લોકાપર્ણો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે 28મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વાઈબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસે અમદાવાદના ટાઉનહોલમાં તેની ઉજવણીનું આયોજન છે. આથી, સંભવતઃ વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.


અગાઉ છોટાઉદેપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બીજી ઓક્ટોબરે યોજાવાનો હતો. પરંતુ, તેમના કાર્યાલય દ્વારા બુધવારે બીજી ઓક્ટોબરને બદલે 27મી સપ્ટેમ્બરની સુચના આપતા છોટાઉદેપુર જિલ્લા તંત્રમાં અને અહીં રાજ્ય સરકારમાં આયોજનને લઈને દોડધામ શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી રહેતા ગુજરાતમાં વિશ્વભરમાંથી મુડી રોકાણ આકર્ષવા વર્ષ 2003ની 28મી સપ્ટેમ્બરે અમદાવાદમાં ટાઉનહોલમાં પ્રથમ વખત વાઈબ્રન્ટ ગુજરાતઃ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યુ હતુ.આગામી સપ્તાહે તેના બે દાયકા અર્થાત 20 વર્ષ પૂર્ણ થશે છે. આથી, છેલ્લી ઘડીએ છોટાઉદેપુરમાં બીજી ઓક્ટોમ્બરે યોજનારો કાર્યક્રમ 27મી સપ્ટેમ્બરે લઈ જવાતા પીએમ મોદી અમદાવાદમાં વાઈબ્રન્ટ સમિટના બે દાયકાની ઉજવણીમાં પણ ઉપસ્થિત રહેશે તેમ મનાય છે. અલબત્ત આ અંગે સત્તાવારપણે કોઈ જ સમર્થન મળ્યુ નથી.