લોકપ્રિય ફિલ્મ નિર્માતા અને અભિનેતા વેલુ પ્રભાવકનું નિધન

રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘કધલ કઢાઈ’ માટે પ્રખ્યાત તમિલ ફિલ્મ નિર્માતા, સિનેમેટોગ્રાફર અને અભિનેતા વેલુ પ્રભાકરનનું શુક્રવાર, 18 જુલાઈના રોજ સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેમણે 68 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું.

ફિલ્મ નિર્માતાના સંબંધીઓએ પુષ્ટિ આપી છે કે તેમનું લાંબી બીમારીને કારણે અવસાન થયું. ફિલ્મ નિર્માતાની હાલત છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ગંભીર હતી અને તેના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેલુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં ‘નાલયા મણિથન’, ‘સિવાન’ અને ‘પુથિયા આચી’ જેવી મહાન ફિલ્મો માટે પ્રખ્યાત હતા.

વેલુ પ્રભાકરનનો પાર્થિવ દેહ શનિવાર સાંજથી રવિવાર 20 જુલાઈ, બપોર સુધી ચેન્નાઈના વાલસરવક્કમ ખાતે જાહેર શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે. આ સમાચાર આવ્યા ત્યારથી ફિલ્મ ઉદ્યોગમાં વેલુ પ્રભાકરનના નિધન પર શોક છવાઈ ગયો છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં તેમના નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાએ અગાઉ અભિનેત્રી-દિગ્દર્શક જયાદેવી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હતાં. અલગ થયાનાં ઘણા વર્ષો પછી તેમણે 60 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. 2017માં તેમણે અભિનેત્રી શર્લી દાસ સાથે લગ્ન કર્યા, જેમણે તેમની 2009ની ફિલ્મ ‘કધલ કઢાઈ’ માં અભિનય કર્યો હતો.

વેલુએ સિનેમેટોગ્રાફર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1989માં, તેમણે ફિલ્મ ‘નાલય મણિથન’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી, તેમણે તેની સિક્વલ ‘અધિસાયા મણિથન’નું દિગ્દર્શન કર્યું.’અસુરન’ અને ‘રાજલી’ જેવી સતત બે ફ્લોપ ફિલ્મો પછી, વેલુએ 90ના દાયકાના અંતમાં અને 2000ના દાયકાની શરૂઆતમાં એક્શન ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું શરૂ કર્યું. 2004માં તેમણે ‘કધલ અરંગમ’ નામની ફિલ્મ પર કામ શરૂ કર્યું જેમાં નવોદિત પ્રીતિ રંગાયણી અને શર્લી દાસ મુખ્ય ભૂમિકામાં હતા. 2017માં તેમણે તેમનું છેલ્લું દિગ્દર્શન સાહસ ‘ઓરુ ઇયક્કુનારિન કધલ ડાયરી’નું દિગ્દર્શન કર્યું. 2019થી વેલુ પ્રભાકરન અભિનયમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેઓ ‘ગેંગ્સ ઓફ મદ્રાસ’, ‘કેડેવર’,’પિઝા ૩: ધ મમી’, ‘રેડ’, ‘વેપન’ અને ‘અપ્પુ VI STD’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ ‘ગજાનન’ હતી જે 2025 માં રિલીઝ થઈ હતી.