અંજના ગોસ્વામી અને નરેન્દ્ર શાસ્ત્રીને વિષ્ણુ પ્રભાકર એવોર્ડથી સન્માનિત કરાયા

દિલ્હીમાં ગાંધી હિંદુસ્તાની સાહિત્ય સભાગારમાં યોજાયેલ સંનિધિ વાર્ષિક સંગોષ્ઠિ સમારોહમાં સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજ અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ સેવા આપી રહેલા દેશની સાત યુવાપ્રતિભાઓને આ વર્ષનું વિષ્ણુ પ્રભાકર સ્મૃતિ રાષ્ટ્રીય પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરાયો હતો. પ્રખ્યાત હાસ્યકાર અને વ્યંગકાર કવિ અને સાહિત્યકાર અશોક ચક્રધરે શનિવારે ગુજરાતી કવયિત્રી અંજના ગોસ્વામી અને ગાયક નરેન્દ્ર શાસ્ત્રીને વિષ્ણુ પ્રભાકર સન્માન એનાયત કર્યું.

અંજના ગોસ્વામી ભાવનગરની જાણીતી કવયિત્રી છે. તેઓ વકીલ, ગાયિકા, ફેશન ડિઝાઇનર, કવિ, લેખિકા એમ બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. તેમની ગઝલ 2019માં મનહર ઉધાસે સ્વરબદ્ધ કરીને અફલાતૂન સીડી આલબમમાં મૂકી હતી ત્યારે અંજનાને ઘણી પ્રસિદ્ધિ મળી હતી.

નરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના જાણીતા શાસ્ત્રીય ગાયક અને સંગીતગુરુ છે. તેઓ યોગશિક્ષક પણ છે. પુરસ્કાર પ્રાપ્તકર્તા અન્ય વ્યક્તિઓમાં દિલ્હીની વીણા ગાંધીને શિક્ષણ-પુસ્તકાલય માટે, તેલુગુ લેખિકા ડૉ. સિરી (તેલંગાણા) તથા હિન્દી-અંગ્રેજી લેખિકા ડૉ. સંજના સિમોન (દિલ્હી)ને સાહિત્યમાં, સમાજ સેવા અને પર્યાવરણ માટે પૂનમ માથુર (દિલ્હી) અને મહેશ શર્મા (બિલાસપુર) પુરસ્કૃત કરાયા.

સમારોહના મુખ્ય મહેમાન પ્રખ્યાત વકીલ અને મધ્યસ્થી વરુણા ભંડારી ગુગલાણી અને વિશેષ અતિથિ તરીકે સાહિત્યકાર સવિતા ચઢ્ઢા હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે પ્રમુખસ્થાનેથી અશોક ચક્રધરે કહ્યું કે સિદ્ધિઓ માટે ઘણા પુરસ્કારોનું આયોજન થતું હોય છે, પરંતુ દેશના ખૂણે ખૂણેથી એવા લોકોને શોધવા કે જેઓ તેમના ક્ષેત્રમાં ઉત્તમ સેવા આપી રહ્યા છે અને તેમને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવા એ ખૂબ જ પ્રશંસનીય અને અનોખું કાર્ય છે, જે વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન છેલ્લા ઘણા વર્ષોથી વાર્ષિક ઉપક્રમ તરીકે ચલાવી રહ્યું છે.

વરુણ ભંડારીએ આ કાર્યક્રમની પ્રશંસા કરી અને પદ્મ ભૂષણ સન્માનિત સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકરની સ્મૃતિને તેમના પુત્ર અતુલ પ્રભાકર દ્વારા આ રીતે જીવંત અવિરત રાખવા બદલ અભિવાદન કર્યું. આ પ્રસંગે કાકાસાહેબ કાલેલકર સંસ્થાનાં પ્રમુખ કુસુમબેન શાહ હાજર રહ્યાં હતાં. તથા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રસુન લતાંતે કર્યું હતું.