નવી દિલ્હીઃ પાકિસ્તાનના જળ સંશાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખી અપીલ કરી છે કે ભારતનું આ પગલું પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે. આ પત્રમાં ભારતને આ નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે. આ પત્ર ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે, પરંતુ ભારતે પાકિસ્તાનની આ અપીલને સ્પષ્ટપણે નકારી દીધી છે.
શું છે સિંઘુ જળ સંધિ?
સિંધુ જળ સંધિ સપ્ટેમ્બર, 1960માં તે સમયેના PM પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની મિલિટરી જનરલ અયૂબ ખાન વચ્ચે કરાચીમાં કરવામાં આવી હતી. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે, જ્યારે પાકિસ્તાનને અંદાજે 80 ટકા પાણી મળે છે. ભારત પોતાના હિસ્સામાંથી પણ માત્ર આશરે 90 ટકા જ પાણીનો ઉપયોગ કરે છે.
આ સંધિ મુજબ સિંધુ ખીણને છ નદીઓમાં વિભાજિત કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે એ સહમતી થઈ હતી. આ સંધિ હેઠળ દર વર્ષે સિંઘુ જળ પંચની બેઠક ફરજિયાત છે. આ સંધિ મુજબ, પૂર્વી નદીઓ પર ભારતનો અધિકાર છે, જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનના અધિકાર હેઠળ રાખવામાં આવી છે. આ સંધિની મધ્યસ્થતા વિશ્વ બેન્કે કરી હતી. ભારતને ત્રણ પૂર્વી નદીઓ — સતલજ, બ્યાસ અને રાવી મળી છે, જ્યારે પશ્ચિમી નદીઓ — સિંધુ, જેલમ અને ચિનાબ — પાકિસ્તાનના હિસ્સામાં ગઈ છે.
પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ
PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “ખૂન અને પાણી એકસાથે વહી શકતા નથી. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય ઠેકાણાંઓ પર જવાબી કાર્યવાહી હજી સ્થગિત કરી છે. આગામી દિવસોમાં પાકિસ્તાનના દરેક પગલાનું મૂલ્યાંકન કરીશું કે તેનું વલણ શું છે. પાકિસ્તાની સેના અને સરકાર જેમ રીતે આતંકવાદને પોષે છે, તે એક દિવસ પાકિસ્તાને જ ખતમ કરી નાખશે. પાકિસ્તાને જો બચવું છે તો તેના આતંકવાદી માળખાનું સમૂળ નાશ કરવો પડશે, એમ તેમણે કહ્યું હતું.
