Jioના 41,000થી વધુ કર્મચારીઓએ નોકરી છોડી

નાણાકીય વર્ષ 2023 માં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કુલ 1,67,391 કર્મચારીઓએ સ્વેચ્છાએ કંપનીથી પોતાને અલગ કર્યા છે. આમાં 41,818 કર્મચારીઓ રિલાયન્સ જિયોના છે અને 1,19,229 કર્મચારીઓ રિલાયન્સ રિટેલના છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક રિપોર્ટ અનુસાર આ ડેટા સામે આવ્યો છે. પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.6 લાખથી વધુ કર્મચારીઓએ કંપનીને ટાટા બોલાવી હતી. જેમાં 41,000થી વધુ કર્મચારીઓ રિલાયન્સ જિયોથી અલગ થયા હતા. જો કે, કંપનીની નવી ભરતીની સંખ્યા પણ સારી હતી અને છેલ્લા નાણાકીય વર્ષમાં રિલાયન્સ જિયોએ 70,418 નવા કર્મચારીઓની ભરતી કરી છે. આ ટેલિકોમ ઓપરેટરમાં 95326 કર્મચારીઓ કામ કરે છે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં બહાર આવ્યું છે. કંપનીએ તેના કર્મચારીઓને કુલ 1,43,439,839 કલાકની તાલીમ આપી છે.

કંપની છોડનારા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો

નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છોડનારા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022 ની તુલનામાં, કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યામાં અથવા એટ્રિશન રેટમાં 64.8 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ દેશમાં રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં વધતી જતી ભરતીનો લાભ લેવા માટે કંપની છોડવાનો નિર્ણય લીધો હશે, જ્યારે રિટેલ અને ટેલિકોમ સેગમેન્ટમાં તેમની ભૂમિકા બદલવાથી નારાજ કર્મચારીઓએ કંપનીને બાય-બાય કહ્યું હશે. – આવી આશંકા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીએ આખા વર્ષ દરમિયાન કર્મચારીઓની માનસિક અને શારીરિક સ્થિતિ સારી બનાવવા માટે સારી તાલીમની વ્યવસ્થા કરી હતી. આના દ્વારા કર્મચારીઓને કંપનીમાં કામ કરવાની કુશળતા તો મળી જ પરંતુ તેઓ માનસિક રીતે પણ કંપનીના કામકાજના વાતાવરણને અનુરૂપ બનવા માટે ઉત્સુક બન્યા.