અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે એટલે સૌ પ્રથમ શણગારેલા ગજરાજ અને પાછળ શણગારેલી વિવિધ થીમ સાથેની ટ્રકો જોડાય. આ ટ્રકો વિવિધ વિસ્તાર, સંસ્થા, ધાર્મિક આધ્યાત્મિક સંગઠનો કે સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા સંચાલિત હોય છે. કેટલીક ટ્રકોમાં મગની સાથે વિવિધ પ્રસાદ સામગ્રી હોય છે.જે રથયાત્રાના રૂટ પર ભગવાન જગન્નાથના દર્શન કરવા આવેલા ભક્તોને આપવામાં આવે છે. દર વર્ષે નજીકના સમયમાં બનેલી ઘટનાઓ, બાબતોને ટ્રકો પર વેશભુષા સાથે સજાવવામાં આવે છે.
આ વર્ષે ‘ઓપરેશન સિંદુર ‘ રથયાત્રાની અનેક ટ્રકો પર જોવા મળ્યું. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોની ઝાંખી રથયાત્રાની ટ્રકો પર જોવા મળી.
સૌથી મહત્વની વાત રથયાત્રાની ટ્રકો પર ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકાસિંગના મોટા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા. બ્રહ્મોસ મિસાઈલ અને સશસ્ત્ર દળોના ટેબ્લો-પોસ્ટર્સ વીરગાથાઓ જોવા મળી. ભારતીય સુરક્ષા દળોની પ્રશંસા સાથેની ટ્રકો પસાર થતાં જ રથયાત્રાના રૂટ પર લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતાં.
આ સાથે ભજન કીર્તનના મંડળોમાં પણ ભારતીય સેનાની વીરતાની ઝાંખી જોવા મળી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
